થોડી ફિલસુફી, મનની સાફસુફી..

– આજે ન જાણે કોણ ચઢ્યું’તું મારા બગીચાના ઉંબરે.. જેણે મારા બગીચામાં શાયદ એકાદ વેલાને છોડીને બીજા દરેક વૃક્ષો અને છોડવાઓનો પુરેપુરો અભ્યાસ કર્યો છે!! (જયારે જયારે આવા આકસ્મિક મુલાકાતીઓ આવે ત્યારે કાં’તો કોઇ ઉંડી શંકા ઉભી થાય છે અથવા તો કોઇ મજાનો દોસ્ત મળી જાય છે!)

– આજકાલ ઇમેલ-ફેસબુક મેસેજથી કેટલાક લોકો સાથે અંગત વાતચીત પણ થતી રહે છે, જે લોકોને મારી વાતો ગમે છે અને તે સૌ સજ્જનો નો જાહેર આભાર પણ માનુ છું. (જો કે મારી મોટાભાગની વાતો નિજાનંદ હેતુ જ હોય છે તો પણ કોઇ તેને ગમાડે એટલે અનેરો આનંદ થાય.)

– અત્યાર સુધી અજાણ્યા લોકો માટે હું લગબંધ બંધ રહ્યો છું પરંતુ હવે ખુલ્લા બનવાનો પ્રયત્ન છે. બ્લોગમિત્રોમાંથી આજસુધી માત્ર એક વ્યક્તિને રૂબરુ મળ્યો છું. હા, એક અન્ય મિત્રને પણ મળ્યો છું, પણ તેઓ હવે થોડા અંગત લોકોમાં ગણાય છે. (આ એ મિત્ર છે, જે ચાહે તો મારી વિરુધ્ધ કંઇ પણ કરી શકે છે પણ તે કંઇ નહી કરે તેનો વિશ્વાસ પણ એટલો જ છે.)

– વિશ્વાસ ઘણી મોટી ચીજ હોય છે અને એ જ વિશ્વાસથી અંતર્મુખી સ્વભાવ છતાં હવે ધીરેધીરે અજાણ્યા લોકો તરફ પણ હું વિશ્વાસ ધરાવતો બન્યો છું. કોઇએ કયારેક કહ્યુ’તુ કે સામાન્ય રીતે લોકો એટલા ખરાબ નથી હોતા કે તેમની સાથે થોડી દોસ્તી પણ ન કરી શકાય. (કોઇકે કયારેક વિશ્વાસઘાત કર્યો હોય એ તો હવે નાની સી વાત લાગે છે જેને સહેલાઇથી માફ પણ કરી શકુ છું.)

– જેમને મે ભુતકાળમાં મારો સંપર્ક કે વધુ ઓળખાણ ન આપવાની બાબતે નારાજ કરેલા છે તે લોકોની આજે માફી માંગુ છું. શરૂઆતના સમયે નક્કી કર્યું હતુ કે કોઇને અંગત જીવનમાં નહી પ્રવેશવા દઉ પણ હવે તે નિયમમાં હળવો સુધારો કરવાનો વિચાર છે. (આ વિચાર હજુ વિચારણા હેઠળ છે.)

– કેટલાક ઉત્સાહી લોકોના મતે હું કોઇ લેખક બનવાના, કવિ બનવાના, બ્લોગર બનવાના વગેરે વગેરે ગુણ ધરાવુ છું. કોઇ ખોટુ ન લગાડતા..પ્લીઝ પણ..અત્યારે તો હું એક સારો માણસ બની રહેવા ઇચ્છું છું. (અને તે એક ગુણ થોડો પણ મેળવી લઉ તોયે ઘણું છે.)

– જીવનમાં ચિંતા કે સમસ્યાને કયારેય જાત પર હાવી થવા દીધી નથી કેમકે બને ત્યાં સુધી દરેક બાબતે સલામતી પહેલા ચકાસી લઉ છું. કોઇ આપણને મળીને ખુશ થાય એ જ આપણાં જીવનની મોટી મુડી છે. (જીંદાદિલ માણસ હોવું અને કાયમી તેવા બની રહેવું મુશ્કેલ હોય છે તો પણ પ્રયત્ન તો એ જ રહેશે.)

– એક બાબતે આજે જાત પર ગર્વ છે કે જેને મારો દુશ્મન કહી શકું એવો કોઇ માણસ મારા જીવનમાં નથી, બસ ચારે તરફ માત્ર દોસ્તો અને કુટુંબીઓ છે. (સાંભળ્યુ’તું કે, ‘જીવનમાં આગળ વધવા માટે દુશ્મનો હોવા જરૂરી છે’ – પણ તેમાં હું અપવાદરૂપ છું !! છતાં આગળ વધી રહ્યો છું..)

– આવનારા સમય માટે સ્વપ્નો રાખ્યા છે પણ ભવિષ્યની કોઇ ચિંતા નથી અને ભુતકાળના સંભારણા રાખ્યા છે અને તે અંગે કોઇ ફરિયાદ પણ નથી. વહેતા સમય સાથે નીરંતર વહેતા રહેવું એ મારા જીવનનો મંત્ર બનાવ્યો છે. (કોઇ અણધાર્યા વિધ્નો હવે મને વિચલિત નથી કરી શકતા જેને હું મારી આંતરિક સફળતા ગણી શકું.)

– કોઇ સાથે નથી.. તો હું ખુશ છું અને કોઇ સાથે હોય.. તો ઘણો ખુશ છું, હવે કોઇએ સાથ નિભાવવો કે નહી તે સામેવાળાની સમસ્યા હોય છે. આશા એ છે કે જીવનમાં અત્યારે છે એટલા લોકો તો મારો સાથ નહી જ છોડે અને જો કોઇ છોડી દેશે તો તેનો ડર પણ નથી લાગતો… (આ કોઇ સાધુ બનવાના ગુણ નથી, હું એક સંપુર્ણ સંસારી માણસ છું અને એ જ રહીશ.)

– કેમ જાણે આજે ફિલસુફીભરી વાતો લખવાનો મુડ થઇ આવ્યો હતો એટલે થયું કે આજે પોતાની જાત વિશે કંઇક અધ્યઅન કરી, તેની નોંધ કરી લઉ. (કદાચ અત્યારે એક એવું પુસ્તક વાંચી રહ્યો છું એટલે આવી લાગણીઓ જન્મી હોઇ શકે.)

– ઇશ્વર સૌને સલામત રાખે. ખુશ રહો..

– ॥ અસ્તુ ॥

. . .

18 thoughts on “થોડી ફિલસુફી, મનની સાફસુફી..

  1. પિંગબેક: » થોડી ફિલસુફી, મનની સાફસુફી.. » GujaratiLinks.com
  2. આમ તો બીજું પણ ઘણું ગમ્યું પરંતુ…
    આવનારા સમય માટે સ્વપ્નો રાખ્યા છે પણ ભવિષ્યની કોઇ ચિંતા નથી અને ભુતકાળના સંભારણા રાખ્યા છે અને તે અંગે કોઇ ફરિયાદ પણ નથી. વહેતા સમય સાથે નીરંતર વહેતા રહેવું એ મારા જીવનનો મંત્ર બનાવ્યો છે. …
    એ વધારે ગમ્યું.

  3. પુસ્તક વાંચી ને મુડ આવ્યો અને આ બધું લખ્યું…..તો આવા મુડ લાવતા રહેવું….so that અમને પણ તમારા બગીચા માં લટાર મારવાની મજા આવે…………અને મુડ બની જાય….. :p

    1. વિરજભાઇ, આ મુડ પણ ઘણી અટપટી વસ્તુ હોય છે, કયારેક એમ જ આવી જાય તો કયારેક કલાકો બગાડીયે તો પણ મેળ ન આવે..

      જો કે ઉપરની બધી વાતો અત્યારની હકિકત દર્શાવે છે અને જો આપનો હવે મુડ બન્યો હોય તો બનાવી નાંખો એક વિ-લોગ…

    1. મારા બગીચાની મુલાકાત બદલ અને આપના સુંદર પ્રતિભાવ બદલ આભાર. આપનો બગડેલો મુડ કંઇક અંશે સુધારવામાં મારા શબ્દોના નાનકડા ફુલ ઉપયોગમાં આવે તે આ બગીચા માટે અને ‘બગીચાના માળી’ માટે સૌથી ઉત્તમ પળ છે. મારા બગીચાના હરિયાળા વાતાવરણમાં આપનું સ્વાગત છે.

    1. સવાલ તો તમારો યોગ્ય છે અને જવાબ આપવામાં મને જરાયે વાંધો નથી પરંતુ એક નાનકડી સમસ્યા છે! તે પુસ્તકની ઘણી વાતો હજુયે મનમાં ગુંજતી રહે છે પણ મારી કમજોર યાદશક્તિ ઉપર ઘણો બળપ્રયોગ કર્યા છતાંયે તે પુસ્તકનું નામ યાદ નથી આવતું… (ગમે તેમ તોયે આ અઢી વર્ષ જુની વાત છે અને વળી અમારો ભુલકણો સ્વભાવ છે!)

      નોંધ: જયારે પણ તે યાદ આવશે ત્યારે અમે તે નામને આપ સુધી ચોક્કસ પહોંચાડીશું તેની ખાતરી આપીએ છીએ. નોંધ પુરી.

      1. આટ્લો વેહલો જવાબ!!!! હવે તો હુ પણ ભુલી ગઇ હતી કે, મે પુસ્તક નુ નામ પુછેલુ “ભુલિ જવુ એ તો કુદરત નિ દેન છે” ( એવુ મારુ માંનવુ છે.)
        તમે જવાબ આપ્યો એ બદલ ધન્યવાદ અને જો આપ ને યાદ આવે તો નામ ચોક્કસ કેજો આભાર.

  4. *ભાઈ, સરસ વાતો લખી છે. તમારી ફિલસુફીભરી વાતોની એક ખાસિયત એ છે કે એ સાવ સરળ છે! બીજી ખાસિયત એ કે મારા સ્વભાવને ખાસ્સી મળતી આવે છે 🙂 ખાસ કરી ને દુશ્મન ન હોવો, જાણ્યા-અજાણયાથી થોડા અતડા અને અકબંધ રહેવું વગેરે. જોકે હજી ઘણા સુધારા કરવાના બાકી છે, જેમ જેમ આગળ વધતો જાઉં છું તેમ તેમ મારાથી સારા લોકો મને મળી/દેખાઈ રહ્યા છે!
    વધુ ફરી ક્યારેક….આભાર!

બોલો, શું કહેવું છે તમારે...