અપડેટ્સ-40 [May’14]

~ અગાઉ દેશ-ચુટણી-રાજકારણ અને જન્મદિવસની અપડેટ્સ વચ્ચે રોજબરોજની વાતો લગભગ ભુલાઇ ગઇ છે એટલે આજે તેને પ્રાથમિકતા આપવામાં આવી છે; પરંતુ તેની સાથે-સાથે કેટલીક જરૂરી રાજકીય વાતોને પણ અહી જ સમાવી લેવામાં આવી છે. (શું ખબર… ફરી આવો સમય મળે કે ન મળે…)

~ શરૂઆત કરીએ એક ખાસ મુલાકાતથી… થોડા દિવસ પહેલા ગુજરાતી-બ્લૉગીંગ-દુનિયાના મહામહિમ અને અમારા બ્લોગીંગ માર્ગદર્શક અને આદર્શ એવા શ્રી શ્રી કાર્તિકભાઇ સાથે અમદાવાદમાં જ રૂબરૂ મુલાકાત કરવામાં આવી. તેમના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે મારી માટે થોડો સમય ફાળવવા બદલ સંસ્થા તેમનો આભાર વ્યક્ત કરે છે. (રૂબરૂ મુલાકાતની શ્રુંખલામાં આ લગભગ ત્રીજા વ્યક્તિને મળવાનું થયું હશે.)

~ કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ બે સાવ ભિન્ન ક્ષેત્રના વ્યક્તિઓ મળે ત્યારે વાતચિત કયા મુદ્દે કરવી તે પ્રશ્ન ઉદભવે તે સ્વાભાવિક ઘટના છે. જો કે મારી માટે વાતચિત કરતાં આ મુલાકાત વધુ જરૂરી હતી, એટલે મને તો કોઇ વાંધો નહોતો. પણ કાર્તિકભાઇની સમસ્યા અંગે હું ચોક્કસ કહી ન શકું. અમે એકબીજાના મુખ્ય વિષયની થોડીક વાતો કરી. (થોડીક એટલા માટે કે તેમના વિષયમાં મને ટપ્પી ન પડે અને મારા વિષયની બોરિંગ વાતોથી તેમની દુર રાખવાનો મારો નેક ઇરાદો!) એટલે મારા ચિત્ર-વિચિત્ર વિચારોની સાથે-સાથે અમે પરિવાર-દેશ-દુનિયા અને આસપાસના લોકોની ‘પંચાત’ વધુ કરી. (આ મુલાકાત દરમ્યાન આદત મુજબ હું જ વધારે બોલ્યો હોઇશ અને તેમને બોલવાનો ઘણો ઓછો ચાન્સ આપ્યો હશે એવું મારું માનવું છે.)

~ ટેણીયાંને અને તેની મમ્મીને બે દિવસ પહેલા જ ઘર-ભેગા કરવામાં આવ્યા છે. (વેકેશન પુરું થયું!) અને સુનું-સુનું ઘર ફરી ગાજતું થઇ ગયું છે.

~ વ્રજને હવે નાના-નાના સવાલોના જવાબ આપતા આવડી ગયું છે. અમે જે બોલીયે તેના પાછળના શબ્દો રીપીટ કરવામાં પણ છોટું-સાહેબ માસ્ટર થઇ ગયા છે! લગભગ દરેક શબ્દો ચોખ્ખા બોલે છે. (જો કે ચમચીને તો હજુપણ તે ‘મન્ચી’ જ કહે છે! -આ શબ્દથી યાદ આવ્યું કે તેની ભાષામાં બોલાતા શબ્દોનું લિસ્ટ બનાવવાનું ભુલાઇ જાય છે.)

~ પોણા બે વર્ષનો આ ટેણીયો હવે અમને સવાલ પણ પુછે છે! કોઇ પણ નવી વસ્તું દેખે એટલે તેની તરફ આંગળીથી ઇશારો કરીને તેનો સવાલ તૈયાર જ હોય, “પપા, આ શું છે?” (જો કે અત્યારે તો કંઇ પણ જવાબ આપી દો, સ્વીકારી લે છે.)

~ લગભગ ૨૨ દિવસ સુધી એકલા રહેવાનો સૌથી મોટો ફાયદો એ રહ્યો કે છેલ્લા છ મહિના દરમ્યાન ચુકી જવાયેલી ઘણી ફિલ્મને જોઇ લેવાઇ. એમ તો કામકાજમાં પણ વ્યસ્તતાનું પ્રમાણ વધારે રહ્યું. હવે થોડા દિવસોમાં દરેક વ્યક્તિ/પેઢીનો ઇન્કમટેક્ષ ભરવાનો હોવાથી એકાઉન્ટને ફાઇનલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે એટલે દિવસો કાગળીયા વચ્ચે વ્યતિત થઇ રહ્યા છે.

~ છેલ્લા અઠવાડીયામાં જ રવિન્દર સિંઘના બે પુસ્તક1ને ઉપરાઉપરી વાંચવામાં આવ્યા. પુસ્તકો માટે હવે મારા બગીચામાં એક અલગ વિભાગ બનાવવામાં આવ્યો છે જેમાં વાંચવામાં આવેલા પુસ્તક અંગે મારા મંતવ્યો રજુ કરતા રહેવાનો વિચાર છે. નવા વિભાગ માટે જુઓ- અહી.

~ આજકાલ ગરમીનો પારો 44-45 ની આસપાસ રહેવાના કારણે સખત ત્રાસદાયક વાતાવરણ છે. સવારે વહેલા અને રાત્રે થોડી-થોડી ઠંડક રહે છે પણ તે સિવાય આખો દિવસ સખત બફારો અનુભવાય છે. બપોરે 1 થી 5 દરમ્યાન તો બહાર નીકળી ન શકાય એવી હાલત છે. હવે તો વરસાદનો ઇંતઝાર છે. (કયારે વરસાદ આવે ને… કયારે મન મોર બની થનઘાટ કરે…)

~ મારા આ બગીચાના રૂપરંગમાં ફરી બદલાવ ન કરવાનો વિચાર કર્યો હોવા છતાં એક નાનકડો ચેન્જ કરવામાં આવ્યો છે. હવેથી બેકગ્રાઉન્ડમાં લીલો-લીલો બગીચો જોઇ શકાશે. (આ હરિયાળા બેકગ્રાઉન્ડ વિના મારો બગીચો મને સુકો-સુકો લાગતો હતો!)

~ આખરે દેશમાં અબકી બાર મોદી સરકાર આવી જ ગઇ. જેમ ફેસબુક પર લોકોને કહેતા સાંભળ્યા છે એમ હું કહી શકું છું કે નરેન્દ્ર મોદીની જીત માટે અમે પણ સચોટ આગાહી કરી હતી. જો કે હું અહીયાં તે બધું કહીને આપબડાઇ કરવામાં માનતો નથી એટલે કંઇ જ કહેતો નથી. (જોયું! ના-ના કહેતા કહી પણ દીધું છે! 😉 અને જો કોઇને ખાતરી કરવી હોય તો નવેમ્બર-2013 થી ચુટણી પરિણામ પહેલાની વાતો જોઇ લેવી.)

~ આ વખતે પ્રથમવાર દેશના વડાપ્રધાનની સપથવિધિનો શાનદાર સમારોહ નિરાંતે નિહાળવામાં આવ્યો. જો કે એક-ને-એક સપથ અલગ-અલગ વ્યક્તિઓના મુખે સાંભળીને ત્યાં પધારેલા મહેમાનોની જેમ મનેય કંટાળો આવતો હતો; પણ સપથવિધી બાદ નવા-નવા વડાપ્રધાનના મુખે કંઇક સાંભળવાની લાલચે ટીવી સામે બેસી રહ્યો હતો. પણ છેક સુધી તેઓ ન આવ્યા. 🙁 (વડાપ્રધાન બન્યા પછી અત્યાર સુધી મોદી’જી નું કોઇ જાહેર ભાષણ સાંભળવા નથી મળ્યું. જો કે સુત્રોથી મળતી જાણકારી અનુસાર બે દિવસમાં વડાપ્રધાન દેશની પ્રજાને સંબોધન કરશે એવા સમાચાર છે.)

~ સપથવિધી બાદ મોદીસરકાર જે રીતે કામકાજ કરી રહી છે તે જોતા લાગે છે કે અચ્છે દિન જલ્દ હી આ જાયેંગે.. જો કે કેટલાક લોકોને તેમાં શંકા પણ છે. (આ કેટલાક લોકો આજકાલ કોંગ્રેસી તરીકે ઓળખાય છે! આમ તો હવે સરકારના દરેક કાર્યોમાં શંકા કરવી તેમની ફરજ પણ છે.)

~ દેશના પડોશીઓ સાથે જે રીતે નિકળતા કેળવવામાં આવી રહી છે તે પ્રક્રિયાને અમે સંપુર્ણ ટેકો આપીએ છે. અમે અગાઉ જણાવી ચુક્યા છીએ કે આસપાસના દેશ સાથેના વિવાદિત મુદ્દે વાતચિત એ શ્રેષ્ઠ વિકલ્પ છે. પણ જો સામે પક્ષે શાંતિ-પ્રયાસના બદલે વારંવાર છમકલાં કરવામાં આવે તો યુધ્ધને અમે છેલ્લો વિકલ્પ પણ ગણીયે છીએ. (તમને એમ લાગશે કે હું તો એવી રીતે મારો મત જણાવી રહ્યો છું કે જાણે અમારા આ મતથી કોઇ મોટો ફરક પડવાનો હોય!)

~ મારી ધારણા મુજબ જ ગુજરાતમાં હવે મોદી-સરકારની જગ્યાએ પટેલ-સરકાર આવી ગઇ છે. (જુઓ- છ મહિના પહેલાની આગાહી) મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના પ્રમાણમાં આનંદીબેન થોડા કમજોર ચોક્કસ છે પણ તેમની ઉપર સાહેબનો હાથ રહેશે એટલે વાંધો નહી આવે એવું અમારું માનવું છે. (આનંદીબહેનની ગણના કડક વ્યક્તિ તરીકેની છે, પણ રાજકારણમાં કડક વ્યક્તિત્વ કરતાં સમય અનુસાર નિર્ણય લઇ શકે એવી પ્રેક્ટિકલ વ્યક્તિ વધુ સફળ રહે છે.)

~ રાજકારણ વિશેની અપડેટ્સ તો ઘણી છે પણ આજે અહી અટકીએ તે ઠીક રહેશે. બીજી કોઇ અપડેટ્સ ધ્યાનમાં આવતી નથી અને સંપુર્ણ કોમર્સીયલ-ઇવેન્ટ એવી IPL માં મને જરાયે રસ ન હોવાથી તેની કોઇ જ વિગત મારા બગીચામાં ઉમેરવાની જરૂર લાગતી નથી. (ચોખવટ: અહી માત્ર અમારું જ શાસન હોવાથી અમને રસ હોય એ જ માહિતી ઉમેરવામાં આવે છે.)

# આજનો કોશ્ચન2

6 thoughts on “અપડેટ્સ-40 [May’14]

  1. જો વ્યક્તિ નાસ્તિક હોય તો માતા-પિતા’ને નામે શપથ લેવી અને જો તે પણ ન હોય તો સાક્ષાત પત્ની’નાં નામે શપથ લેવી 😉

    ટેણીયા’ની કાલીઘેલી ભાષા’નાં શબ્દો જાણવાની ઇન્તેઝારી [ મારો ભાણિયો હજુ સુધુ પંજાબી’ને ચંપાબી કહેતો હતો ! ]

    પુસ્તકોનો નવો વિભાગ શરુ કરવા બદલ ધન્ય+વાદ 🙂

    અને છેલ્લે , આ સાસન શું છે 😉 અને કોશ્ચન ❓

    1. સપથ માટેનો આપનો વિકલ્પ ‘અમલીય’ છે!

      ટેણીયાના શબ્દોનું લિસ્ટ બનાવવું તો છે અને તેની કાલીઘેલી ભાષામાં બોલાતા શબ્દો નોંધીને સુરક્ષિત કરી લેવા પણ જરૂરી છે, નહી તો કાળક્રમે હું ભુલી જઇશ એવી સંભાવના વધુ છે.

      આપના ધન્ય+વાદ બદલ અમે આ+ભાર પ્રગટ કરીએ છીએ. (ત્યાં હજુ ઘણાં પુસ્તકો વિશે ઉમેરવાનું બાકી છે.) આમ જ ફિલ્મ માટે પણ એક અલગ વિભાગ બનાવવો છે. (જો કે આ વિભાગોમાં આપના જેવું ઉત્કૃષ્ઠ વિવરણ નહી હોય પણ મારી ભાષામાં બે-ત્રણ વાક્યો અને આ પામર જીવ દ્વારા અપાતું રેટિંગ હશે.)

      ‘સાસન’-માં મારી જોડણી ભુલ છે. (હવે સુધારી લઉ છું.) મુળ શબ્દ છે: શાસન – જુઓ: http://gujaratilexicon.com/dictionary/GG/%E0%AA%B6%E0%AA%BE%E0%AA%B8%E0%AA%A8*/

      અને તમે કોશ્ચન’ને નથી જાણતા? – તો આવો ફેસબુક-ટ્વીટર પર અને જુઓ;
      1 https://www.facebook.com/hashtag/%E0%AA%95%E0%AB%8B%E0%AA%B6%E0%AB%8D%E0%AA%9A%E0%AA%A8
      2 https://www.facebook.com/hashtag/koshchan
      3 https://twitter.com/search?q=%23koshchan&src=typd

      1. લો બોલો , આ કોશ્ચન વિષે તો અમે જરા સરખું પણ જાણતા ન હતા ! ધન્ય+વાદ 🙂

        [ અમે ફેસબુક / ટ્વીટર મહાનિષ્ક્રિય છીએ ]

  2. સૌ પ્રથમ જવાબ મોડો આપવા બદલ માફિ. વાહ ! બગિચા નો નવો દેખાવ ઘણો સુન્દર લાગે છે.
    હવે આપે પુછેલ પ્રશ્ન નો જવાબ :- આમ જોઇ એ તો આ પ્રશ્ન ના જવાબ આપવા માટે મને કદાચ ૧૦ પાના પણ ઓછા લાગે છ્તા…. ટુક્મા મરિ વાત રજુ કરુ તો, “વ્યક્તિ ક્યરેય ‘નાસ્તિક’ ક ‘આસ્તિક’ નથી હોતિ બસ એ ‘ધાર્મિક’ અને ‘આધ્યત્મિક’ હોય છે.બસ આપ્ણે એ સમજી નથિ સક્તા એટ્લે નાસ્તિક એવુ નામ અપિ દૈએ છિએ. બાકિ નસ્તિક સબ્દ નો અર્થ એવો થાય છે કે- “ ઇશ્વર મા શ્રદ્ધા નહિ ધરાવનાર” મત્લબ કે નસ્તિક માનસ ઇશ્વર મા શ્રદ્ધા નહ્તિ ધરવ્તો પણ્ ઇશ્વર છે ખરો એવુ માને તો છે જ!!!
    આટ્લા લામ્બા વક્યો દ્વ્વારા મારા કેહ્વાનો મત્લબ અટ્લો જ છે કે, દરેક માનસ કોઇ ને કોઇ શક્તિ મા વિશ્વસ તો ધરવે જ છે પછિ એ ભલે ઇશ્વર ,ભગ્વન, અલ્લ્લાહ, ઇશુ કે પછિ કોઇ અગમ્ય શક્તિ કેમ ન હોય. એ એને યાદ કરી ને શપથ લૈ સકે છે.

બોલો, શું કહેવું છે તમારે...