આજની વાત

તાઃ ૧૧-૯-૨૦૧૧

. . .

– ઇન્દીરા બ્રીજ પાસે ગણેશ વિસર્જનમાં આજે લગભગ ત્રણ કલાક ફસાવવાનો દુ:ખદ (અને અતિ ત્રાસદાયક) અનુભવ થયો.

– અસહ્ય ટ્રાફિક, અશિસ્ત, અતિશય ઘોંઘાટ, બિભત્સ નૃત્ય, અશ્લિલ ગીતો, નશામાં પાગલ ભક્તોની વાહનચાલક તથા પોલિસ સાથેની અસભ્ય વર્તણુક અને ભક્તિનો ઓવરડોઝ એ આજના ગણપતિ વિસર્જનના મુખ્ય અંશ હતા. (બીજુ એવુ પણ ઘણુ બધુ છે જે અત્યારે અહી ઉમેરવું યોગ્ય નથી લાગતું.)

(કહેવાતા) ભકતો દ્વારા છાંટવામાં આવેલા ગુલાલ અને રંગોથી મારી ગાડીના હાલ પણ બેહાલ થઇ ચુકયા હતા. એ તો ભલુ થજો વરસાદનું કે સમયસર વરસીને મારો થોડો ગુસ્સો શાંત કર્યો.

– આખા પ્રસંગમાં કંઇ ગમાડવા લાયક ન લાગ્યું, ઉલ્ટાનું સમય-શક્તિ તથા પેટ્રોલ-ડિઝલ જેવા બહુમુલ્ય મર્યાદિત સ્ત્રોતનો ખોટો વ્યય ઘણો ખુચ્યો. મારા ગાંધીનગર ફિલ્મ જોવા જવાના પ્લાન પર સૌથી વધારે ગુસ્સો ત્યારે આવ્યો જ્યારે ફિલ્મ શરુ થવાના સમયે ભક્ત-લોકો માર્ગ આપે તેની રાહ જોતો હું ગાડી બંધ કરીને ચુપચાપ બેઠો હતો. ( ન આગળ જઇ શકાય, ન પાછા જઇ શકાય..)

– ગણપતિદાદાના ભકતો અને ગણપતિ વિસર્જન પ્રત્યેની મારી નફરતમાં હવે ઘણો વધારો થઇ ગયો છે એટલે બગીચાના મુલાકાતીઓ ને નમ્ર વિનંતી કે આ બાબતે મને એટલિસ્ટ બે દિવસ સુધી છંછેડશો નહી. (એમાંય ગણપતિના ભકતો ખાસ દુર રહે…..)

. . .

આજની વાત

– મારા બગીચાના નવા વાતાવરણ માં આપ સૌનું તાજુ-તાજુ સ્વાગત છે!

સંપર્ક પાનું બની ગયું છે એટલે હવે મને સંપર્ક કરવા ઇચ્છતા લોકો તેમની પસંદ મુજબનો વિકલ્પ પસંદ કરી શકે છે.

– ગણપતિના ભક્તો ધમાલ મચાવી રહ્યા છે. (આ ધમાલનો અર્થ સકારાત્મક અને નકારાત્મક બંને રીતે લઇ શકાય છે.)

– આજકાલ દિવસો વધારે ગતિથી જઇ રહ્યા હોય એવું લાગે છે. ખબર જ નથી પડતી કે કયારે દિવસ પુરો થઇ જાય છે અને કયારે મહિનો અને કયારે વર્ષ. (કયારેક એમ પણ વિચાર આવે છે કે શું જીંદગી આમ જ પુરી થઇ જવાની છે?)

– અમદાવાદમાં હજુયે વરસાદી માહોલ જામેલો છે.

– વરસાદી વાતાવરણમાં ધોવાયેલા રસ્તાઓ ત્યાંથી પસાર થતા વાહનોને ડાન્સ કરવા મજબુર કરી રહ્યા છે અને શહેરના નાગરીકોની સુખાકારી હેતુ રચાયેલ અમદાવાદ મ્યુ. કોર્પોરેશન આદત મુજબ ઘોર નિંદ્રા માં છે. (કોઇ તો જગાડે..)

– ઘરમાં બધાની ઘણી ઇચ્છા હોવા છતાં મે ગણેશ-દર્શન ના પ્રોગ્રામમાં જવાની સાફ ના કહી દીધી છે. (મને આ ભક્તિનો દેખાડો બિલકુલ પસંદ નથી અને ત્યાંની બેકાબુ લોકોની ભીડ પણ.)

– બે-ત્રણ દિવસ થોડો ફાજલ સમય છે તો મેડમજી સાથે કયાંક બહાર જવાનો વિચાર કરું છું, એ બહાને તેને પણ રોજની એક જ દિનચર્યા માંથી થોડો ચેન્જ મળે.

– અંબે મા ના દર્શને જતા પગપાળા ભક્તો અને તે ભક્તો ની સેવા કરનારા સેવા કેન્દ્રો દર વર્ષે વધી રહ્યા હોય એવું લાગી રહ્યું છે.

મુસાફરી માટેની તમામ વ્યવસ્થાઓ હવે ઉપલબ્ધ હોવા છતાં આમ હેરાન-પરેશાન થઇને પગપાળા અંબાજી જવાનું કારણ મને તો કયારેય સમજાયુ નથી.

આજની વાત

  • અણ્ણાજી એ સરકાર પાસે જે મનાવ્યું તેની જીતની ઉજવણી પતાવી. (હજુ મનમાં સરકારના ઇરાદાઓ અંગે શંકા છે.)

  • વરસાદ આ વર્ષે ઘણો લાંબો ચાલ્યો છે. સામાન્ય રીતે આ સમયે વરસાદના પાણી ઉતરી જતા હોય છે.

  • મેડમજી આજે મારી માટે એક સરપ્રાઇઝ ગીફટ લાવ્યા છે! આ ગીફટ આપવાનું કારણ સમજાયુ નથી પણ તેની પાછળ તેનો કોઇ ‘માસ્ટર પ્લાન’ જરુર હશે. (જવા દો ને.. આમ પણ આ લેડીઝ લોકો ના દિમાગને અત્યાર સુધી વૈજ્ઞાનિકો પણ પુરુ સમજી શકયા નથી ત્યાં મારા જેવા પામર જીવની શી વિસાત ? )

  • અગાઉ ની પોસ્ટમાં બ્લોગના મુળ વાતાવરણ (Theme) અંગે સુધારાનો જે પ્રસ્તાવ સુચવવામાં આવ્યો હતો તે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. (વોટિંગમાં માત્ર હું જ હતો અને મે મારા પક્ષમાં વોટ આપ્યો છે ! )

  • નવું વાતાવરણ કેવું લાગે છે તે અંગે આપનો નિષ્પક્ષ અભિપ્રાય આપજો. (તમને જે લાગે તે… પણ મને તો ગમે છે.)

  • મારી સાથે ઘણી ખુશીથી જોડાયેલ એક મિત્રએ મને તેના ફ્રેન્ડ લિસ્ટ માથી ચુપચાપ કાઢી નાખ્યો છે. (તેનું કારણ તો તે જ જણાવી શકે….પણ મને તેનુ ઘણું દુઃખ થયું છે.)

  • આમ તો નવા સંબંધો બાંધવામાં ગમે એટલી ચોકસાઇ રાખીએ છતાંયે કયાંક તો ભુલ થઇ જ જાય છે. હવે ઘણું સાચવીને આગળ વધીશ.

  • ધંધાકીય કામકાજ હવે ખુલવા લાગ્યા છે એટલે હવે વળી નવરાત્રી-દિવાળીની તૈયારીઓ માં જોતરાવું પડશે. 🙂

  • ઘરમાં સામાન્ય તાવનો (અને તેની દવાઓ નો) સ્વાદ વારાફરતી બધાએ ચાખ્યો, હવે તે સ્વાદ પડોશીઓ ચાખી રહ્યા છે. (એમાં અમારો કોઇ વાંક નથી, એ તો જેવુ જેનુ નસીબ.)

અને છેલ્લે…

  • બે દિવસ સરકારી રજા છે પણ મારી ઓફિસ ચાલુ છે એટલે ધંધે લાગેલા રહેવું પડશે. સરકારી ઓફિસ અને બેન્ક બંધ હોવાથી આમ તો દિવસ રજા જેવો જ રહે છે.

 

  • સરકારી લોકો માણજો અને..

  • મારા જેવા લોકો પોતાનું કર્મ કરવામાં માનજો… આવજો..

 

  • મળતા રહીશું..