અષ્ટ્મ-ષષ્ટ્મ

– અહીયાં અપડેટ્સ નોંધવાનું કાર્ય લગભગ ભુલાઇ રહ્યું છે. મારી આળસમાંથી મને જરાયે ફુરસદ મળતી નથી તેમ પણ કહી શકાય. સમય એટલો ઝડપથી સરકી રહ્યો છે કે કંઇક નોંધલાયક વિચારૂં તે પહેલા જ બીજી ઘટનાઓ પ્રથમ ઘટનાને દેખવાની દ્રષ્ટિ બદલી નાંખે છે. (મનમાં વિચારોનું વિચિત્ર દ્વંદ્વ યુધ્ધ જામેલું છે.)

– તાજેતરમાં નવરાત્રીનો શોર રહ્યો અને ગઇ કાલે શરદપુનમની ઉજવણી બાદ આ ગરબા ફેસ્ટીવલની ઓફિસીયલ પુર્ણાહુતી થઇ. ખેલૈયાઓની મજા શરૂઆતમાં વરસાદે બગાડી પણ અંતમાં મોજ કરવા દીધી. એક જગ્યાના ગરબા-આયોજક હોવાને લીધે વરસાદથી અમે પણ ઘણાં હેરાન થયા, પણ કુદરત સામે સૌ લાચાર હતા. (જેમના છત્રી-રેઇનકોટ વેચાયા/ઉપયોગ વગરના રહી ગયા હતા, તે સિવાય કોઇનું આ એક્સ્ટ્રા વરસાદથી લગભગ ભલું નહી થયું હોય! કુદરતને જે ગમ્યું તે ખરું!)

– જુલાઇ કામમાં વિત્યો, ઓગષ્ટ રજાઓ વચ્ચે અને સપ્ટેમ્બર રખડપટ્ટીમાં ગયો છે. હવે થોડા દિવસોમાં દિવાળી આવશે. લગભગ ધાર્મિક તહેવારોની ઉજવણીએ વ્યસ્ત રાખ્યા. કયારેક વિચાર આવે છે કે આ તહેવારો ખરેખર આપણાં જીવનના ઉત્સાહને ટકાવી રખાવા છે કે પછી આપણને નવરા ન થવા દેવા માટે કોઇએ કરેલું વિધિવત પ્લાનીંગ છે! (એમ તો આ વિચાર ઘણો જુનો છે પણ હું ખુદ હજુ કોઇ એક મત સુધી પહોંચી શક્યો નથી.)

– છેલ્લી અપડેટ્સ જુલાઇ મહિનામાં નોંધવામાં આવી હતી; હવે ત્રણ મહિના બાદ ફરી કંઇક લખવાનો કીડો મનમાં સળવળ્યો છે. (કુછ કીડે ઐસે ભી હોતે હૈ!)

– વ્યસ્તતાને ઉપાર્જન સાથે સીધો સંબંધ હોય એવું હું માનતો હતો, પણ પોતાની જાત અનુભવ બાદ કહી શકાય કે તે બંને વચ્ચે કાર્યકારણનો એવો કોઇ સંબંધ સિધ્ધ થતો નથી. (‘ઘડીની નવરાશ નહિ, ને પાઇની પેદાશ નહિ’ –એવી વાત છે આ.)

– આપણે સતત બદલાતા એવા સમય સાથે જીવી રહ્યા છીએ કે આજે સ્વીકારેલું સત્ય પણ આવતી કાલે આપણને જ અર્ધસત્ય કે અપ્રાસંગિક લાગવા લાગે છે. (યાદ આવ્યું કે, ક્યારેક ‘સત્ય’ વિશે ઘણું-બધું લખવાનું વિચાર્યું હતું.)

– બધું જ ઠીક છે અને એક સુખી આરામદાયક જીવન હોવા છતાં ખબર નથી પડતી કે હું શું ઇચ્છું છું. ના, આધ્યાત્મ કે આત્માની શોધમાં મને જરાયે રસ નથી. તેમાં સમય અને શક્તિનો બગાડ કરવા કરતાં કોઇ સામાન્ય માણસના ધ્યેયને પુર્ણ કરવાનું એક પગથીયું બનવું પસંદ કરીશ. (મને જલ્દી કોઇ નવું લક્ષ્ય જોઇએ છે.)

– આજકાલ કંઇક અલગ લખવાની ઇચ્છા થાય છે. એક-બે કહાનીઓ છે જે મનમાં ગુંથાઇ રહી છે, જેને કોઇ કાગળ જોઇએ છે. કયાં લખું અને કઇ રીતે તે વિશે દ્રિધા છે. વિચારું છું કે અહીયાં જ તેનું ચિતરામણ કરું; પણ પછી એમ લાગે છે કે દરેક લખાણને પબ્લીકમાં રજુ કરતાં પહેલાં તે યોગ્ય બનાવવું. (મનમાં ઉઠતા હજારો સ્પંદનોથી સ્ફુરતો આ એક વિચાર છે. ઇચ્છા છે કે તે દિશામાં હું આગળ વધી શકું.)

ઓફિસ-ટાઇમમાં આવા વિચારો કરવા એ સંસ્થા અને સંસ્થાના વહિવટદારના આર્થિક ભવિષ્ય માટે જોખમી છે, એટલે બીજા વિચારો રાત્રે કરવામાં આવશે. (આજકાલ રાત્રે ઉંઘ પણ નથી આવતી! બોલો, કેટલી ફરિયાદો છે મને મારી માટે!)

– અને મને ખબર છે કે આવું કંઇ ટાઇટલ ન હોય પણ બધી દિશાઓમાં એકસાથે ફેલાતી વાતોને યોગ્ય કોઇ મથાળુ ન સુજે તો આખરે એક માણસ પણ કેટકેટલું વિચારે!? (વધારે પડતું વિચારીને મગજ-ની-મા-બેન1 એક થઇ જાય તે પહેલા કંઇ પણ ટાઇટલ આપી દેવું સારું ને..)

– ઓકે. અસ્તુ. ખુશ રહો!

ક્રમશઃ

દરિયામાં ઉછળતા મોજા

– છેલ્લી વાત ઉમેરતી વખતે વિચાર્યું’તું કે તે જ દિવસે રાત્રે અહીયાં કંઇક તો લખીશ. ખૈર, ત્યારે તો તે શક્ય ન બન્યું પણ આજે ચોઘડીયા સરસ છે. (જો બકા, આપણું મન માળવે હોય ને એ બધા ચોઘડીયા ઉત્તમ જ કહેવાય.)

  • સાઇડટ્રેકઃ ચોઘડીયા કઇ રીતે જોવાય એવું ઘણાં સમય પહેલા (લગભગ ૧૬-૧૭ની ઉંમરે) એક જોષી પાસેથી શીખ્યો’તો, હવે ઉપયોગના અભાવે અને આદતવશ તે જ્ઞાન ક્ષીણ બની ગયું છે. જો કે તેનો કોઇ અફસોસ નથી. (મને હજુયે યાદ છે કે આ જ્ઞાનના કારણે તે સમયમાં હું એટલો અંધશ્રધ્ધાળું બની ગયો’તો કે ઉઠવા-સુવાના, રમવા-ભણવા અને ખાવા-પીવાના સમય પણ ચોઘડીયાથી નક્કી કરતો.)
  • જ્ઞાનની એક સરળ વ્યાખ્યા એવી છે કે તે અજ્ઞાનના અંધકારને દુર કરે છે! પણ થોડા અંગત અનુભવોના આધારે મારું માનવું છે કે કોઇ-કોઇ જ્ઞાન અંધકાર દુર કરવાને બદલે વધુ અંધકારમાં ખેંચી જાય છે. (એમ તો જ્ઞાન કોને કહીશું અને અજ્ઞાન કોને કહેવાય તે એક મોટી ચર્ચાનો વિષય છે, પણ આપણે અત્યારે તેની ચર્ચામાં ન પડીયે.)

– આ સાઇડટ્રેક લાંબો ચાલ્યો ને?… ક્યાં હતો હું?…. હા, કંઇક લખવાની વાત થતી હતી ને…  પણ લખતા પહેલા હજુ એક વાંચનની વાત ઉમેરી લઉ… મારો બગીચો લગભગ છેલ્લા એક વર્ષથી ઘણી અવ્યવસ્થિત અવસ્થામાં છે. મુળ ઉદ્દેશ જે હતો તેમાં માત્ર રોજબરોજની અપડેટ્સ સિવાય કંઇ ખાસ ઉમેરી શકાતુ નથી. (અને એ અપડેટ્સમાં પણ પુરતો સમય આપી શકાયો નથી.)

– અઘરા વિષયો અને મોટી-મોટી વાતોની વચ્ચે હું મારી સરળતા ખોઇ રહ્યો છું.  વિચિત્રતાઓ તો અંદર ઘણી છે છતાંયે મારી સરળતા જળવાઇ રહે તેનું ધ્યાન રાખવું પડે એમ લાગે છે. (કોઇ કોઇ જગ્યાએ તો હું મને પોતાને જ અઘરો લાગી રહ્યો છું!)

– જયારે અહી લખવાનું શરૂ કર્યું હતું તે સમય અને આજના સમય વચ્ચે જીવનના વિવિધ ક્ષેત્રે આવેલું પરિવર્તન એક મુખ્ય કારણ છે. છતાંયે આજે પણ એક ઇચ્છા એવી જ છે કે શરૂઆતના એ સમયની સ્થિરતા હું જાળવી રાખું. (મને મારી અંદરનો એ વ્યક્તિ ખોવો નથી.)

– સમય પ્રમાણે બદલાવું જોઇએ એ ઠીક છે પણ આજે પહેલા જેવા બનવાની ઇચ્છા થાય છે. દરેક ને જેમ મોટા થયા પછી જેમ બાળપણ પાછું મેળવવાની ઇચ્છા જાગે એવી આ વાત છે. ના ભઇ, મને એમ બાળક નથી બનવું પણ બે-ત્રણ વર્ષ પહેલા જેવો હતો એવા જ બનવું છે એટલે એ અશક્ય છે એવું તો ન કહેવાય. (ટ્રાઇ કરને મે ક્યા જાતા હૈ..)

– ગમે તેટલું મેળવી લો તોયે કોઇ અવસ્થા પછી જુનું જીવન ફરી પાછું મેળવવાની ઇચ્છા કેમ થતી હશે? -અઘરો સવાલ છે ને.. (મને તો સ્કુલની પરિક્ષાઓમાં પણ બધા સવાલ કાયમ અઘરા જ લાગ્યા છે.)

ફરી કંઇક..

– આગળ જે ‘કંઇક” હતું તે વિશે આજે લખવા બેઠો છું. વચ્ચે એમ જ લાંબો સમય નીકળી જાય એટલે આગળની વાતો-લાગણીઓની એક લીંક તુટી જાય અને શું કહેવાનું હતું તે જ ભુલાઇ જાય. ચલો, શરૂ કરીશ તો કંઇક યાદ આવશે…

– મારા જીવનમાં એક પછી એક પુરા થતા દિવસોની ઝડપ અત્યારે ટૉપ-સ્પીડ ઉપર છે. છેલ્લા કેટલાક અપડેટ્સથી આ વાત વારંવાર નોંધવામાં આવી રહી છે. કેલેન્ડરમાં મહિનાઓના પાના તો જાણે અડધા મહિને બદલવા પડતા હોય એટલી ઝડપથી જીંદગી પસાર થઇ રહી છે. આસપાસ શું બની રહ્યું છે તે વિશે પણ પુરતુ વિચારવાનો સમય નથી. જીવન પ્રત્યે બેફિકર તો હું પહેલાથી છું, પણ આટલો તો કયારેય નહોતો. ગમતું કરવાના ચક્કરમાં મેં જ જીવવાની ઝડપ વધારી દીધી છે કે પછી એક દિવસમાં મને જે જોઇએ છે તેમાં ૨૪ કલાક ટુંકા પડે છે, તે નક્કી કરવું મુશ્કેલ છે.

– આ લખતાં લખતાં વિચારું છું તો મને સમજાય છે કે હું જીવનના એક એવા વિચિત્ર જીવનકાળમાંથી પસાર થઇ રહ્યો છું જે ઘણી રીતે અસામાન્ય છે. જેના કારણે આ બધી અવ્યવસ્થા સર્જાઇ છે. પણ દિલથી કહું તો હું આ અવ્યવસ્થા વચ્ચેય ઘણો ખુશ છું. જો કે આ સમય અંગે જન-સામાન્ય મત મેળવવામાં આવે તો લગભગ ૯૦ ટકા લોકોનો મત એ હશે કે આ અવસ્થામાં વધારે રહેવું યોગ્ય નથી. જો કે જયાં સુધી કંઇ હાનિકારક ન લાગે ત્યાં સુધી આ સમયકાળને લંબાવવામાં વાંધો નથી.

– કયારેક આપણે એવું પણ કરવા ઇચ્છતા હોઇએ છીએ જે આપણી સામાન્ય છાપ કે સ્થિતિથી વિપરિત હોય પણ દરેક વખતે ‘લોકો શું કહેશે’ કે ‘મારાથી આવુ તો ના કરાય’ એવું વિચારીને જીવનના ઘણાં આનંદને દુર ધકેલી દેતા હોઇએ છીએ. કોઇ સંજોગોના ગુલામ બનીને જીવે છે તો કોઇ ‘કોણ શું કહેશે’ -માં અટવાઇને જીવતા જાય છે. મને સંબંધના બંધન સ્વીકારીને પણ સ્વતંત્ર રહેવું પહેલેથી ગમ્યું છે. ધર્મ, સમાજ, રીતરિવાજના બંધન આમ પણ મારી ઉપર લાગવા પણ નથી દીધા. હા, આપણાં દેશના કાયદા-કાનુનને મને-કમને પણ સંપુર્ણ પાળું છું.

– હું જે માનુ છું કે જે કંઇ કરું છું તે યોગ્ય જ છે એવું તો નહી કહું પણ હું જે કંઇ છું એ મારી સંપુર્ણ મરજીથી છું. મેં કયારેય શ્રેષ્ઠ હોવાનો દાવો કર્યો નથી કે હું બનવા પણ ઇચ્છતો નથી. એક સામાન્ય માણસમાં હોય એ બધી બુરાઇઓ સાથે જ મને જીવવું છે. મારા મતે શ્રેષ્ઠતા આમ પણ એક દંભ માત્ર જ છે. તેને કયારેય કોઇ પામી ન શકે, માત્ર તેને મેળવી લીધાનું અભિમાન કરી શકે. ચોખ્ખી ભાષામાં કહું તો તેને માત્ર એક ઢોંગ કહેવાય. દરેક વ્યક્તિમાં મનુષ્યસહજ ત્રુટીઓ રહેવાની જ. મને શ્રેષ્ઠ બનવાની કયારેય ઇચ્છા જાગી નથી, મહાન પણ નથી બનવું… અને એવા કોઇ વિશિષ્ટ ગુણ પણ નથી. છે તો માત્ર વિચિત્રતાઓ અને માન્યતાઓ, જે મને પ્રિય છે. એમ તો મારી વિચિત્રતા કે મારી આ બધી માન્યતાઓ જડ નથી, પરિવર્તનનો અવકાશ ચોક્કસ છે પરંતુ તે માટે પુરતા કારણો હોવા જરૂરી છે.

– આગળ ઘણું લખી શકાય એમ છે અને વળી આજે મુળ વિષય કંઇક લખવાનો હતો એટલે આટલું લખ્યું છે, પણ જે વિશે ‘કંઇક’ લખવાનું હતું તે હવે યાદ આવે છે. ખૈર, લાગે છે કે આ ‘કંઇક’ લાંબુ ચાલશે. ચલો, એ બહાને જે લોકો અહી આવે છે અને મને વાંચે છે તે સૌ મને એકવાર મારી નજરે પણ જોઇ શકશે.

– વધુ આવતા અંકે..

– મળતા રહીશું, આવજો.. ખુશ રહો!

 


[header image: via google]