નિઃસ્વાર્થ ભાવ અને શ્રધ્ધા

faith


“મનુષ્ય ત્યાં જ માને છે જ્યાં તેનો સ્વાર્થ સરે છે. નિ:સ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ શ્રધ્ધા કહેવાય.”

ના. આવું કંઇ જ અમે જાતે લખ્યું નથી; આ તો રખડતાં-વાંચતા ઉપરોક્ત વાક્ય એક બ્લૉગમાં નજરે આવી ગયું અને હવે મનમાં અટકી ગયું છે. (તે બ્લૉગને અહીયાં લીંક કરી શકાય, પરંતુ અમારી બચેલી સમજણ એવું કહે છે કે તેમ કરવું કોઈને સળી કરવા બરાબર ગણાશે.)

લગભગ આ જ પ્રકારનો અર્થ ધરાવતા વાક્યો હું ઘણીવાર પ. પુ. સંતો/મહંતો અને મહાજ્ઞાની ગુરુઓ પાસેથી પણ સાંભળી ચુક્યો છું એટલે મારી માટે કંઈ નવું નથી. (સંસારમાં અગાઉ બધું કહેવાઇ ચુક્યું છે!)

આજે એમ જ આ વાત પર નજર પડી હતી તો તેના પર વધું ચિંતન કરવાનું મન થયું. જો એકલા-એકલા વિચારીને ભુલી જઇએ તો વાતનું વતેસર ન થાય પરંતુ આ વાતને મારા વિચારો તરીકે આ બગીચામાં કાયમી નોંધવાની પણ ઇચ્છા થઇ; જેથી હું મારી આ સમયની માન્યતાને ભવિષ્યમાં પણ જોઇ શકું! (અહી નોંધાયેલી વાતોથી બીજો ફાયદો એ પણ થાય છે કે ક્યારેક જરૂર પડે ત્યારે આખીવાત સમજાવવાની મહેનત કરવા કરતાં કોઇને ડાયરેક્ટ રેફરન્સ લીંક આપતા ફાવે.)

ઉપરનું ક્વૉટ ધરાવતી મુળ પોસ્ટ આસ્તિક અને નાસ્તિક વચ્ચેના મુકાબલામાં આસ્તિકતાને સર્વશ્વ/સર્વોત્તમ/સત્ય પુરવાર કરવાના હેતુથી હતી. (કોઇને ઇચ્છા હોય તો તે પોસ્ટની લીંક માંગી લેજો. ઠીક લાગશે તો મોકલી પણ આપીશ)

ટેકનીકલી અમે હજુ થોડાક આસ્તિક છીએ પણ વધારે પડતી તાર્કિક વાતો કરતા હોવાથી લોકોએ અમને નાસ્તિક્તાના ટોળામાં સમાવી દીધા છે! (હોય એ તો… જેવી જેની સમજણ.)

જો કે બગીચાવાળા બાબા બગીચાનંદે પણ પ્રખર અધ્યયન બાદ કહ્યું છે કે; આસ્તિકતા પુરવાર કરવા માટે ‘શ્રધ્ધા‘ સૌથી શક્તિશાળી હથિયાર છે; કે જેનો મુકાબલો ક્યારેય નાસ્તિક લોકો નહી કરી શકે. 1

~ પ્રસ્તાવનામાં જ ઘણું કહેવાઈ ગયું; હવે મુખ્ય મુદ્દા ઉપર આવું. (મને પણ થયું કે હું વાતને ખેંચી રહ્યો છું.)


# વાક્યના પ્રથમ ભાગનું પૃથ્થકરણ2 કરીએ:

“મનુષ્ય ત્યાં જ માને છે જ્યાં તેનો સ્વાર્થ સરે છે.”

  • આ વિશે વધારે કહેવાની જરુર તો નથી કેમ કે આ એક સંપુર્ણ સનાતન સત્ય છે. તેની સત્યતા વિશે લગભગ કોઇ મતમતાંતર નહી હોય. (કેટલીક વાત એટલી સાચી હોય કે તે વિશે ટિપ્પણી થઈ ન શકે.)
  • સનાતન સત્ય એવા આ વાક્યનો ઉપયોગ અહીયાં માત્ર બીજા વાક્યની સત્યતાને વધુ પ્રમાણમાં સાબિત કરવા માટે જ થયો છે. (છતાંય આ પૃથ્થકરણ માટે કોઈને વાંધો હોય તો કહી દેવું.)

# હવે આ પોસ્ટ લખવાનો જે મુળ હેતુ છે તે ભાગ પર આવીએ –

“નિ:સ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ શ્રધ્ધા કહેવાય.”

  • ચર્ચા માટે અઘરો વિષય પણ સમજવામાં સાવ સરળ. અઘરો એટલા માટે, કેમ કે મોટા/મહાન જ્ઞાનીઓના ઓટલા અને રોટલાનો સવાલ છે! (તેમના મતે… આપણે સામાન્ય માણસ પાસે એટલું જ્ઞાન જ ક્યાં છે કે એવા તત્ત્વજ્ઞાનીઓના વિષય પર ચર્ચા કરી શકીએ!)
  • શ્રધ્ધાની વ્યાખ્યા ઘણી વિસ્તૃત છે, પરંતુ બાબા બગીચાનંદ અનુભવીઓના સંસર્ગ બાદ વ્યાખ્યાથી થોડું આગળ વધીને જણાવે છે કે અંધશ્રધ્ધા એ શ્રધ્ધાનું વિરોધી નથી. શ્રધ્ધાનું વિરોધી અશ્રધ્ધા કહી શકાય. અંધશ્રધ્ધા તો એક એવી પરિસ્થિતિ છે જે શ્રધ્ધાના અતિરેક પછી જન્મે છે.
  • અહી ઉપર જે વાક્યમાં જણાવ્યું છે કે “નિઃસ્વાર્થ ભાવે માન્યતા હોય તેને જ શ્રધ્ધા કહેવાય” – શ્રધ્ધા ક્યારેય નિઃસ્વાર્થ ભાવે હોઇ જ ન શકે. માત્ર અંધશ્રધ્ધા જ નિઃસ્વાર્થ ભાવે હોઇ શકે છે. શ્રધ્ધા ત્યાં જ જન્મી શકે જ્યાં સ્વાર્થ હોય. જો અગર સ્વાર્થ નથી તો ત્યાં ક્યારેય શ્રધ્ધા પ્રવેશ કરી જ ન શકે!
  • જો કોઇને એમ લાગતું હોય કે તેમની શ્રધ્ધા ખરેખર સંપુર્ણ નિઃસ્વાર્થ છે, તો પોતાના મા-બાપ/બાળકો/ઇશ્વરના સમ ખાઇને દિલ પર હાથ મુકીને મનોમન વિચારજો. કોઇનેય જણાવ્યા વગર તમારી શ્રધ્ધાના ઉંડાણમાં જજો કે શા માટે આપને જે-તે પંથ/વ્યક્તિ/ગુરૂ/ઇશ્વર/ધર્મ પ્રત્યે એટલી શ્રધ્ધા છે. (આપનું દિલ આપને સાચો જવાબ આપશે જ. આપનો સ્વાર્થ પણ જણાવશે. હા, મોક્ષ કે સ્વર્ગ મેળવવાની ઇચ્છા પણ સ્વાર્થનો જ એક પ્રકાર છે! બસ, આપનું તાર્કિક મગજ તેને સ્વીકારવા તૈયાર હોવું જોઇએ.)
  • સ્વાર્થથી જન્મેલી આ શ્રધ્ધામાં જ્યારે અતિરેક ભળે ત્યારે તેનું અંધશ્રધ્ધામાં રૂપાંતર થતું હોય છે અને અંધશ્રધ્ધા જન્મે તો જ નિઃસ્વાર્થ ભાવ જન્મ લેતો હોય છે.
  • આવી અંધશ્રધ્ધામાં રાચતા વ્યક્તિની શ્રધ્ધા એકદમ પવિત્ર અને નિઃસ્વાર્થ કહી શકાય. કેમ કે આ કક્ષા બાદ વળતરની અપેક્ષા નહિવત બની જાય છે અને ક્યારેક વળતરનો એ સ્વાર્થ ભુલીને પોતાની જાતને જે-તે વસ્તુ/વ્યક્તિ કે અન્ય હેતુ માટે નિઃસ્વાર્થ પણે ખપાવી દેવા તૈયાર થઇ જાય છે.
  • આ સ્થિતિમાં વ્યક્તિની સામે તર્ક, વાસ્તવિકતા કે વૈજ્ઞાનિક સત્યની કોઇ કિંમત હોતી નથી, તેની માટે તેની અંધશ્રધ્ધા3 જ સર્વોપરી, સનાતન અને નિઃસ્વાર્થ બની ગઇ હોય છે.

માટે, ઉપરોક્ત પુર્ણ વાક્યના અધ્યયન અને તે વિશે વિચારણા કર્યા બાદ કહી શકાય કે શરુઆતમાં જણાવેલ આખું વાક્ય/ક્વૉટ સદંતર ખોટું અને ગેરમાર્ગે દોરનારું છે.

લાગતા-વળગતા નોંધ લે.
ન સમજાય તે ઇગ્નૉર કરીને આગળ વધે.
અસ્તુ.

🙏

નોટબંધી પુરાણ

~ ઘણાં દિવસ પહેલાં લખવાનું વિચાર્યું હતું પણ આજે વિચારને કીબોર્ડ મળ્યું છે એટલે કંઇક લખાશે એવું લાગે છે. એમ તો નોટબંધી વિશે ઘણું લખાઇ ચુક્યું છે અને ઘણું ચર્ચાઇ ચુક્યું છે પણ મેં આજસુધી મારા બગીચામાં નથી લખ્યું એટલે મારો તો હક બને છે.

~ જો આ નવિન પ્રકારની સ્થાનિક / પ્રાદેશીક / રાષ્ટ્રીય ઘટના કે જેની અસર લાંબા / ટુંકા ગાળે રાજકીય / આર્થિક / સામુહિક / વ્યક્તિગત રીતે અસર કર્તા છે, તો તેની નોંધ અહી ન લેવાય એ શક્ય નથી. (આ પણ મારા જીવનની એક અગત્યની ઘટના બનશે એવું લાગે છે.)

નોંધઃ જો મારા સિવાય જે કોઇ આ વાંચી રહ્યું છે તેમની માટે ખાસ ચોખવટ કે, આ લખનાર વ્યક્તિ કોઇ અર્થશાસ્ત્રી / મનોવિજ્ઞાનિક / રાજકીય સલાહકાર / ટેક્ષ એક્સપર્ટ / પત્રકાર / ભક્ત / રાજકારણી કે તેની આસપાસની અન્ય કોઇ લાયકાત ધરાવતો નથી. છતાંયે આપને મારી વાતમાં એવો કોઇ સંયોગ દેખાય છે, તો તે માત્ર આપનો દ્વષ્ટિભ્રમ હશે.

# મુખ્ય ઘટના એમ બને છે કે..

~ કારતક સુદ 8 (અંગ્રેજીમેં બોલે તો 8, નવેમ્બર) ના તે સાધારણ દિવસના સુર્યાસ્ત બાદ ભારતવર્ષ1ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓ સમક્ષ ટીવીના માધ્યમથી એક અસાધારણ જાહેરાત કરી કે – “આજે મધરાતથી રૂ 500 અને રૂ 1000 ની ચલણી નોટને કાયદેસર ચલણ તરીકે રદ કરવામાં આવે છે.

~ ઉપરાંત તેને રદ કરવાના કારણો અને ચલણમાં ફેરફાર અંગે અન્ય જાહેરાતો પણ કરવામાં આવી. (આવું પણ કરી શકાય? -એમ વિચારતા મારા મન માટે આ જાહેરાત ખરેખર અચરજ સમાન હતી!)

~ એક મીટીંગમાં વ્યસ્ત હોવાથી સૌ પ્રથમ ન્યુઝ વ્હૉટ્સએપ્પ દ્વારા મળ્યા. પહેલા તો સામાન્ય મેસેજીસની જેમ તેને એક અફવા ગણીને ઇગ્નૉર કરવામાં આવ્યા પણ ધીરેધીરે આખી મીટીંગ પર આ નોટબંધી ના સમાચાર છવાઇ ગયા.

~ બહાર નીકળીને જોયું તો બાજુમાં આવેલ પેટ્રોલપંપ પર અસાધારણ ટ્રાફિક હતો. ચારેતરફ લોકો એવા બેચેન હતા કે જાણે તેમનું બધું લુંટાઇ રહ્યું છે એટલે જેટલું બચે એટલું બચાવી લો. (ડરપોક અને ચીટર લોકોની નબળી માનસિકતા!)

~ જેમની પાસે ઢગલો પડયો’તો તેઓ દોડે એ સમજ્યા પણ જેમની પાસે ખિસ્સામાં માંડ 4-5 નોટ હતી એ પણ સમજ્યા વગર હાંફળા થઇને દોડી આવ્યા’તા! (આ બધા પણ મોટી નોટ જ કહેવાય!)

~ બીજો દિવસ બધી બેંક બંધ અને વળી બંધ થયેલ નોટનું બીજું કંઇ થઇ શકે એમ ન હોવાથી લોકોએ આખો દિવસ અસમંજસ, તર્ક-વિતર્ક અને સંદેશા આપ-લે-ફોરવર્ડ કરવામાં ગુજાર્યો. (‘હુ તેવા લોકોમાં સામેલ ન થયો’ -તેવું જણાવીશ તો કોઇ મને અભિમાની અથવા તો અસામાજીક વ્યક્તિ કહેશે. ભલે ને કહે.. મને કોઇ ફરક નહી પડે.)

~ નોટબંધી જાહેરાતના ત્રીજા દિવસે નોટને બદલવાનું ભગીરથ કાર્ય બેંકિંગ સિસ્ટમ દ્વારા શરૂ થયું અને દેશભરમાં જોવા મળ્યું એક અભુતપુર્વ ઘટના-ચક્ર. બેંકની બહાર લાંબી લાઇનો લાગી અને લોકોની દિનચર્યા બદલાઇ ગઇ. ચલણમાં લગભગ 80-85 ટકા જેટલું પ્રમાણ બંધ થયેલ નોટનું હોવાથી રોકડનો બધો વ્યવહાર અચાનક બંધ થઇ ગયો. ચારેતરફ ચર્ચા જ ચર્ચા છે કે આ શું બની ગયું છે. (આપણે મુળ તો ચર્ચાપ્રિય પ્રજા છીએ!)

નોટબંધી બાદ બેંક સામેની લાઇન

~ શરૂઆતના દિવસોમાં જે કોઇ મળે કે ફોન કરે તે સૌનો પ્રશ્ન એ રહેતા કે, “તમારે કેવી હાલત છે? નોટબંધીએ કેટલા પરેશાન કર્યા? અને કેટલી જગ્યા છે? આ નોટબંધી વિશે તમને શું લાગે છે?” (હજુયે આવા પ્રશ્નો ચાલું જ છે પણ હવે બંધ થઇ જશે એવી આશા રાખીએ.)

~ કેટલી જગ્યા છે ? – આ સવાલ પુછનાર બધાના નામ-ઠામ આપીશ તો સરકારને ઘણો માલ મળી શકે એમ છે! આશા રાખીશ કે કોઇ મારી વાતને સરકાર સુધી ન પહોંચાડે અને મને કોઇ પુછવા ન આવે. (અમારું તો ભાઇ સહદેવ જેવું છે, પુછશે તો બધું જ જણાવીશું.)

# આજે તે જાહેરાતના દિવસને 50 દિવસ પુરા થઇ ચુક્યા છે..

~ હવે બધે સમિક્ષા ચાલી રહી છે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું. દરેકનો મત અલગ-અલગ છે. પબ્લીકનો મોટો વર્ગ આજે પણ સરકાર સાથે છે.

~ જો કે શરૂઆતમાં મોદીના આ નિર્ણયની પ્રસંશા કરતો હતો તેમાંથી 2-5 ટકા લોકોના મત હવે બદલાયા પણ છે. આ બદલાયેલા મતનું મુખ્ય કારણ નોટ-બદલી દરમ્યાન વ્યવસ્થાની ખામી છે અથવા તો તેમને ‘કોઇ ખાસ પ્રકારનું’ નુકશાન થયું છે!

~ વિરોધીઓ હજુએ તેમના વિરોધી વલણ પર કાયમ છે. મોદીએ આ નિર્ણયથી આખા દેશની ઇકોનોમી ખતમ કરી દીધી છે એવો તેમનો અભિપ્રાય છે.2

~ ભારત જેવા દેશમાં આવો નિર્ણય અઘરો જ નહી, જોખમી પણ બની શકે એમ હતો પણ મોદીના નસીબ સારા કે એવું કંઇ અજુગતું ન બન્યું. દેશનો દરેક નાગરિક આજે ઇકોનોમિસ્ટ કે રાજનૈતિક વિશ્લેષક બની ગયો હોય એમ વર્તે છે.

~ આ વિષયે તમારો જે મત હોય તે મુજબ તમને ભક્ત કે સમર્થકના લેબલ લાગી રહ્યા છે. દેશના નાગરિકો નેતાઓ વચ્ચે આટલા વહેંચાયેલા પહેલા ક્યારેય નથી રહ્યા. (પર્સનલી હું કોઇ લેબલ લાગવાના ડરથી કોઇ એક ચોક્કસ પક્ષ ન લેતા વ્યક્તિઓનો વિરોધી છું પણ આખો દેશ એમ વહેંચાઇ જાય એ ન ચાલે.)

~ નોટબંધી એ એક સોલિડ સ્ટેપ છે એ સ્વીકાર્યું, પણ આજે પહેલીવાર એવું બન્યું છે કે કોઇ ચોક્કસ ઘટના અંગે મારી પાસે કહેવા જેવું કંઇ નથી. ભવિષ્યમાં શું થશે એ વિશે અનુમાન લગાવવું અઘરું છે. (નોટબંધીએ બધાને કેસ-લેસ બનાવ્યા છે અને હું સ્પીચલેસ છું!)

~ ઘણાં મતમતાંતર અત્યાર સુધી હું જોઇ ચુક્યો છું. આસપાસની સ્થિતિની સાથે સાથે વિરોધીઓ અને સમર્થકો બંનેનું શાંતિથી નિરિક્ષણ કરી રહ્યો છું. દરેકને પોતાનો મત આપવાની ઉતાવળ છે અને વળી તેને સાચો પુરવાર કરવાની વધુ ઉતાવળ છે.

~ ખરેખર તો આ વિષયે હમણાં કંઇપણ કહેવું કે કોઇ એક પક્ષ તરફ વધુ ઝુકાવ આપવો ઉતાવળું ગણાશે. ઓકે એટલું તો છે કે હું નોટબંધીના આ સ્ટેપને સપોર્ટ કરું છું છતાંયે હું ઇચ્છું છું કે આ વિષયે મારો મત હું થોડા સમય પછી આપું. (હજુ તો આ વિષયે પ્રાથમિક કાર્ય પુરું થયું છે એટલે નિવડયે વખાણ/ટીકા કરવામાં આવશે.)

~ અત્યારે મુખ્ય વાત એ નોંધી શકાય કે આ 50 દિવસોમાં ચારે તરફ અગવડ અને અનિશ્ચિતતાઓ અસંખ્ય રહી, જોકે પબ્લીકની સહનસીલતાને સલામ કરવી પડે! આપણે સૌએ ધીરજ રાખી જેથી સરકાર એ નહી કહી શકે કે પબ્લીકે સાથ ન આપ્યો એટલે અમે રીઝલ્ટ ન આપી શક્યા. તેમની ઉપર હવે પરિણામ આપવા દબાણ બનશે. (મોટા સપના બતાવ્યા છે તો તેને અનુરુપ પરિણામ આપવું તેમની જવાબદારી પણ છે.)

~ મને શરૂઆતમાં એમ લાગતું હતું કે છપાયેલી નોટમાંથી કુલ 70% જેટલી જ રકમ બેંકમાં આવશે પણ છેલ્લા દિવસ સુધી લગભગ 90%થી વધુ રકમ બેંકમાં ભરવામાં આવી છે. પોલિસ કરતાં ચોર હંમેશા બે કદમ આગળ હોય એમ સરકાર અને કાળાબજારીઓ દોડપકડ રમી રહ્યા છે.

~ રોજેરોજ બદલતા-ઉમેરાતા નિયમોની લોકોએ ઘણી મજાક ઉડાવી છે અને ઘણાંને વિચિત્ર લાગે છે પણ મને એ વાત ગમી કે સરકારે બદલાતી સ્થિતિ જોઇને નિર્ણય લેવામાં મોડું નથી કર્યું. (જો સરકાર આમ જ દરેક સ્થિતિ પર પ્રતિક્રિયારૂપ નિર્ણય લેવા લાગે તો આ દેશની ઘણી ફરિયાદોનો નિકાલ જલ્દી આવી જશે.)

~ ડિઝીટલ પેમેન્ટને પ્રોત્સાહન એક અલગ વસ્તું છે અને ડીમોનેટાઇઝેસન એક અલગ પ્રક્રિયા છે એટલે નોટબંધીને સ્વતંત્ર મુલવવામાં આવશે. આ બહાને પેમેન્ટ માટે ડિઝીટલ-મોડ હવે સર્વ સ્વીકૃત બન્યો એ મારા જેવા કાર્ડ લઇને ફરતા લોકો માટે આનંદની વાત છે. એમ તો આ દિશામાં હજુ ઘણો લાંબો રસ્તો કાપવાનો બાકી છે પણ નોટબંધી ના કારણે તેની સ્પીડ ઘણી વધશે. જો કે તેને નોટબંધીના ફાયદા કરતાં એક ‘આડપેદાશ’ તરીકે મુલવવી ઠીક રહેશે.

~ કાશ્મીરમાં પથ્થરમારો બંધ છે અને નક્સલીઓની હાલત ખરાબ છે, તેને તાત્કાલિક મળેલ પરિણામોમાં ઉમેરી શકાય. હવાલા અને સોદાબાજી બંધ થઇ ચુકી છે પણ આ લોકોના હાથમાં રોકડા ફરી ન પહોંચી જાય તે જોવાનું કામ સરકારનું છે.

~ અત્યાર સુધી જે નવી નોટોના ઢગલા સાથે લોકો પકડાયા છે તેનું મુળ ચોક્કસ બેંકીગ સિસ્ટમમાં છે. જે લોકોને શરૂઆતમાં બિરદાવવામાં આવ્યા તેમને હવે લોકો શંકાની નજરે જોઇ રહ્યા છે. (કોને વખાણવા અને કોને અવખાણવા એ જ નક્કી નથી થતું.)

~ આપણે ભારતીયોમાં આ મુળ દુષણ છે કે આપણને બધું ઠીક કરવું છે; પરંતુ પોતાને મળતો ફાયદો કોઇ પણ પ્રકારે લઇ લેવો છે. આપણને ભ્રષ્ટાચાર પસંદ નથી પણ તેની જગ્યાએ આપણે હોઇએ તો તે જ ભ્રષ્ટાચારને હક તરીકે સ્વીકારી લેવામાં પણ આપણને શરમ નથી.

~ મોદી કાળુ નાણું પકડે તેનો વાંધો નથી પણ મારી પાસે જે કંઇ છે તેમાં કોઇ નુકશાન ન થવું જોઇએ, ચાહે તેમાં બ્લેકમની પણ કેમ ન હોય. આજે કોઇ પર આક્ષેપ નથી કરવો પણ દિલ પર હાથ મુકીને કોઇ કહી ન શકે કે મેં જીવનમાં કંઇ ખોટું નથી કર્યું. (ક્યારેક અરિસા સામે ઉભા રહીને પોતાની જાતને ધ્યાનથી જોજો અને વિચારજો કે શું આ એ વ્યક્તિ છે જે વિશે એમ કહી શકાય કે તેના મનમાં કોઇ પાપ નથી?)

~ ભુતકાળ બદલવો શક્ય નથી, પણ ભવિષ્ય મારા હાથમાં છે. તો હવે જે થશે એ માત્ર કાયદેસર થશે એટલું હું નક્કી કરું છું. અસ્તું.

bottom image of blog about નોટબંધી