Jan’14 : અપડેટ્સ-2

– ગઇ વખતે જયાં અટક્યા હતા ત્યાંથી જ શરૂઆત કરીએ.

– આમ તો આપણે કમુરતામાં માનવાવાળા ગુજરાતીઓ! પણ અમે જરાં વિચિત્ર ગુજરાતી અને વળી સ્પેશીયલ-સર્ટીફાઇડ હિન્દુ છીએ એટલે અમને કમુરતા કે શુભ-અશુભ નડતા નથી. (ચોખવટ: સર્ટીફિકેટ જોવા માટે RTI હેઠળ અરજી કરી શકાશે નહી.)

– લગભગ દિવાળીથી નવી ગાડી ખરીદવા વિશે વિચારતા હતા તે આખરે ના-ના કરતાં પણ લઇ જ લીધી. (જો કે ‘ગાડી હમણાં લેવી કે પછી’ તે જ વિચારતા હતા પણ કઇ લેવી તે અંગે વિચાર્યું નહોતું.)

– અને જયારે નક્કી કરવાનું આવ્યું ત્યારે નિર્ણય બે કલાકમાં લેવાઇ ગયો. સવારે કંપની અને મોડલ નક્કી કરીને બપોરે તે ગાડી જોવા ગયા અને ત્યાં જ નિર્ણય લઇ લીધો. (મારી સાથે આવું ઘણીવાર બન્યું છે કે કોઇવાર નિર્ણય લેવામાં દિવસો વિતી જાય, તો કયારેક તરત નિર્ણય લેવાઇ જાય.)

– આગળ કોઇએ(કદાચ નિરવભાઇએ) ફોટો મુકવાનું કહ્યું’તુ અને મેં પણ સંમતિ દર્શાવી’તી એટલે અહી ફોટો મુકુ છું. (નોંધ: અહી કોઇ કંપની/ગાડીની જાહેરાત કરવાનો મારો કોઇ આશય નથી પણ છતાંયે જો જે-તે કંપની મને તે માટે બે-પૈસા ચુકવવા ઇચ્છે તો તે હું તેમને નિરાશ નહી કરું.)

– જોઇ લીધા હોય તો હવે ફોટોવિધિ પુરી કરીએ અને આગળ વધીએ. આમ તો આ નાનકડી-સી-ગાડી છે પણ શહેરની ટ્રાફિકમાં રેગ્યુલર ચલાવવાના અને પાર્કિંગમાં સરળતાના માપદંડને ધ્યાનમાં રાખીને પસંદગીનો ફુવારો આ ગાડી ઉપર ઢોળવામાં આવ્યો. (આવી ઠંડીમાં પસંદગીનો કળશ ઢોળીયે તો ઠરી જાય એટલે ફુવારાંથી પતાવ્યું!)
– મૉડલ/મેન્યુફેક્ચરર/Type: Chevrolet BEAT 1.0 LT Diesel

– આવતીકાલે આખો દિવસ ગાંધીનગરમાં વિતાવવાનો છે. ના ભાઇ, કોઇ ચુટણીલક્ષી કાર્યક્રમ નથી. આ તો બિઝનેસ સેમિનાર, સામાજીક ચિંતન-ચર્ચાસભા અને સંગીત-સમાગમ જેવું આયોજન છે. ત્યાં શ્રીમાન જય વસાવડા ઉપરાંત બીજા કેટલાક સારા-સારા વ્યક્તિઓની મુલાકાત થશે. (આયોજકોમાં અમે પણ કોઇ એક ખુણે સામેલ છીએ એટલે બધાને પર્સનલી મળવાનો લ્હાવો મળશે.)

– બે દિવસ પછી પતંગનો તહેવાર આવી રહ્યો છે અને આ વખતે લાગતા-વળગતાં ઘણાંબધાને ધાબા ઉપર ભેગા કરીને ઉજવવાનો વિચાર છે. આમ જોઇએ તો ઉત્તરાયણ માથે આવી ગઇ છે અને દોરી-પતંગ હજુ દુકાનવાળાના ગોડાઉનમાં પડ્યા-પડ્યા મારી રાહ જોઇ રહ્યા છે. (મતલબ કે ખરીદવાના બાકી છે.)

– આ વર્ષે ઠંડી અગાઉનો રેકોર્ડ તોડી નાખશે એવું લાગે છે. બીમારીનો કાયમી શિકાર એવો હું આ વર્ષે સંપુર્ણ સ્વસ્થ છું પણ વ્રજને થોડી શરદી-ખાંસી થઇ છે. ઉત્તરાયણ પછી વ્રજના ટકાટક ફોટોવાળી એક પોસ્ટ આવવાની સંભાવના પણ છે.

– આખી પોસ્ટમાં હજુ સુધી કોઇ રાજકીય વાતો નથી આવી એટલે હવે ઉમેરીને આ પોસ્ટને જનરલ અપડેટ બનાવવા કરતા પર્સનલ અપડેટ્સ પુરતી સિમિત રાખવી ઠીક રહેશે. (ચલો, એ બહાને જે બે-ચાર લોકો મારી વાતો વાંચે છે તેમને આ વખતે બોરીંગ રાજકીય વાતો વાંચવાથી છુટકારો મળશે.)

– તો મળીયે ઉતરાયણ પછી… આવજો.

તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન…

– આ વિષયે કદાચ હું પ્રથમવાર જાહેરમાં કંઇ લખી રહ્યો છું અને હું જે વિચારું છું તે જ લખવાનો પ્રયત્ન છે.

– ભગવાન અને તેને માનવાવાળા લોકોના સમુહમાં મારો સમાવેશ હવે નહિવત છે; છતાં પણ કયારેક કોઇની લાગણીને ખાતર કોઇ મંદિરમાં કે કોઇ ધાર્મિક સ્થળે આંટો મારી આવતો હોઉ છું. (તે સ્થળ મારી માટે તો કોઇ બગીચા, ફુટપાથ કે અન્ય પ્રવાસ સ્થળ જેવું જ સામાન્ય છે.)

– અન્ય સ્થળ કરતાં ત્યાં નવી વસ્તુ એ હોય છે કે તે જગ્યાએ કોઇ મુર્તીને કે તેના નામને સર્વ શક્તિમાન ઇશ્વરના સ્વરૂપે ગોઠવવામાં આવેલા હોય છે; અને એ મુર્તીને શ્રધ્ધાળુ લોકો બંધ આંખે (કે આંખો બંધ કરીને) પુજતાં હોય છે!!

– ઇશ્વરને પુજનારા ભક્તોની અતુટ શ્રધ્ધા પ્રત્યે કોઇ ફરિયાદ નથી. આમ પણ ઇશ્વરના અસ્તિત્વ અંગે હવે હું એકદમ સ્પષ્ટ છું. (આજે મારો કોઇ ભગવાન નથી અને કોઇ પ્રાઇવેટ ગુરૂ-બાબામાં શ્રધ્ધા પણ નથી.)

– હું તે લોકોની શ્રધ્ધાને વંદન કરું છું, જેમને એક જડ મુર્તીમાં પણ તેમનો તારણહાર દેખાય છે. હું સ્વીકારું છું કે જીવન જીવવા માટે કયારેક શ્રધ્ધા ઘણી મોટી ચીજ બનતી હોય છે. (પણ મને કયારેય એવા કોઇ ઇશ્વરની જરૂર નથી પડી એટલે મેં મારી શ્રધ્ધાને કુદરતના નિયમ સાથે સીધી જોડી દીધી છે.)

– ચમત્કાર કયારેય થયા નથી કે થવાના નથી. દરેક વસ્તું કુદરતી રીતે ગોઠવાયેલી છે અને તે તેના પ્રમાણે જ ચાલે છે. તેને બદલવું (ભગવાન માટે પણ) લગભગ અશક્ય છે. (કુદરત માટે જે એક સ્વાભાવિક પ્રક્રિયા છે તેને કોઇ ચમત્કાર કે ઇશ્વરની દેન ગણી શકે છે, પણ તેનાથી કુદરતને કોઇ ફેર પડતો નથી કે પડવાનો પણ નથી.)

– રોજે-રોજ કયાંક ને કયાંક ચાલતી કથા-સરઘસ-જાહેરાત ઉપરાંત ઠેર ઠેર બનાવેલા (કે બની રહેલા) મોટા-મોટા, ભવ્યાતિભવ્ય અને ભક્તોની ચાપલુસી (અને અઢળક દાનની કમાણી)થી (અતિ)પ્રખ્યાત મંદિરમાં કે ખોટા-મોટા બાવાઓના આશ્રમોમાં ઠસોઠસ એકઠા થયેલા લોકોને જોઇને કયારેક દુઃખ જેવું થાય. (પણ જો લોકો જ સામેથી લુંટાવા તૈયાર બેઠા હોય તો તેમને લુંટનારાને કેટલીવાર ખોટા કહીશું?)

– આજે એક ભવ્ય ઇમારત (કે જેને બનાવવામાં આસ્થાળું લોકોના કરોડો રૂપિયા ખર્ચાયા છે અને જેનાથી લાખો જરૂરિયાતમંદ લોકોની કરોડો સમસ્યા દુર કરી શકાઇ હોત) એવા મંદિરની મુલાકાત વખતે હજારો લોકોની ભીડ વચ્ચે સાવ એકલી ચુપ-ચાપ ઊભેલી મુર્તી જોઇને મારા મનથી નીકળેલાં શબ્દો…

તારી હાજરીની કોઇ સાબિતી હોય તો,
જલ્દી આપ ભગવાન…
તારા ભક્તોને તું હોવાની..

ઘણી મોટી જાહેરાતો કરવી પડે છે!”


*કાર્તિકભાઇની નજરે “ભીડ” જોઇને આ પોસ્ટ યાદ આવી ગઇ. લગભગ 7 મહિના પહેલા લખાયેલી આ પોસ્ટને ત્યારે જાહેરમાં મુકી નહોતી. (કદાચ કોઇની લાગણી દુભાશે એવો ડર હશે.)

આજની વાત – ૧૬/૧૦/૨૦૧૧

. . .

– આજે ફરી નવી વાત મુકયાને ઘણો સમય થઇ ગયો. શ્રી જગજીતસંહ’જી અને શ્રી સ્ટીવ જોબ્સ ની વિદાય પછી મન થોડુ સુનુ થઇ ગયું હતું. એટલે મનને મનાવવા થોડા દિવસ તેને ધંધામાં વધુ પરોવ્યું હતું.

– નવરાત્રી પુરી થઇ અને દિવાળી ઉંબરે આવીને ઉભી છે. તહેવારો પણ કેવા ઝટ ઉકેલાઇ જાય છે !!!

– નવરાત્રી તો દિલ ભરીને માણી પણ દિવાળી વિશે આવું કહી શકાય તેમ નથી. કામ ઘણું-બધુ છે એટલે આ વખતે દિવાળીની રજાઓ માણવાનું કેન્સલ કરવું પડે તેમ છે.

– જયારે નાના હતા ત્યારે એક દિવાળીથી બીજી દિવાળી સુધીનો સમય ઘણો લાંબો લાગતો. દિવાળી-વેકેશન કયારે આવશે તેની ગણતરી બે મહીના પહેલાથી થવા લાગતી. પણ હવે જીવનમાં કેટલી દિવાળી ઉમેરાઇ તે ગણવાનો સમય પણ નથી મળતો.

– દિવાળીની સિઝન આમ તો જામેલી છે પણ બજારમાં અત્યારે કયાંક નિરુત્સાહ પણ જોવા મળી રહ્યો છે. (જો કે કેટલાકને તો બારેમાસ મંદીનો પીરીયડ જ જણાતો હોય છે.)

– વર્ડપ્રેસ દ્વારા ગુજરાતી બ્લોગર માટે gu.wordpress.com નામનું અલગ સ્પેશીયલ નેટવર્ક પણ આપવામાં આવે છે તેની મને બે દિવસ પહેલા જ ખબર પડી. (આ પહેલા મારો બગીચો શાન થી અંગ્રેજી બ્લોગના નેટવર્કમાં સામેલ હતો !!!)

– મિત્રો દ્વારા જાણવા મળ્યું છે કે મારા બગીચામાં અન્ય લોકોની જાહેરાત પણ દેખાય છે. તો તેમને સવિનય જણાવવાનું કે શ્રી વર્ડપ્રેસ માલિક દ્વારા આપવામાં આવતી આ ફ્રી જગ્યાનું ભાડું વસુલવાની તે એક ખાસ પધ્ધતિ છે. તે જાહેરાતો સાથે બગીચાના માળીને કાંઇ લાગતુ વળગતુ નથી તેની (ઘણી મોટી) નોંધ લેવી.
(તમે શું કહો છો દોસ્તો ? – આ વર્ડપ્રેસ-વાળા લોકોએ તે બધી જાહેરાત માંથી મળતી આવકનો કમ-સે-કમ ૧-૨ ટકા હિસ્સો તો મને આપવો જોઇએ ને… 😉 પણ તેમને કોણ સમજાવે !!! જવા દો…)

– બ્લોગરની પણ અલગ દુનિયા હોય છે અને તે દુનિયાની અલગ રીતરસમો પણ હોય છે એવું બધુ આજકાલમાં જાણવા મળ્યું છે. (આપણે તો આપણાં મનની જ કરવાના, જો કે બને ત્યાં સુધી કોઇનેય નડવું નથી.)

. . .