May’12 : અપડેટ્સ

– ગરમીનો પ્રકોપ સંપુર્ણ માત્રામાં ખીલેલો છે. (મારા જેવો ઠંડો જીવ પણ એ.સી. ના રવાડે ચડી જાય એ આ ગરમીના પ્રકોપની મોટી નિશાની.)

– પૃથ્વીને અગનગોળો બનતી બચાવવા માટે શ્રધ્ધાળુંઓ હવે  ગરમી-દેવીના મંદિરે જઇને ઠંડાઇ-ચાલિસાના પાઠ કરે તો કદાચ કોઇ કૃપા થાય… (આ ગરમીદેવીની ‘કૃપા’ સાથે નિર્મલ બાબાને કાંઇ લેવા-દેવા નથી.)

– ભ્રષ્ટાચાર, ક્રિકેટ, બાબાઓના ભવાડા, ગોટાળા, પેટ્રોલના ભાવ, નેતાઓના કાંડ, વગેરે વગેરે વગેરે….. આ બધી આપણાં દેશની કાયમી સમસ્યાઓ છે, જેની હવે મારા બગીચામાં નોંધ લેવી જરૂરી નથી લાગતી.

– આમ જોઇએ તો માણસજાતનો સ્વભાવ જ હોય છે ફરિયાદ કરતા રહેવાનો. શિયાળામાં ઠંડીથી, ઉનાળામાં ગરમીથી અને ચોમાસામાં વરસાદથી આપણને વાંધો હોય છે બોલો!! કયારેક વિચાર આવે કે આપણે કેટલા જલ્દી કંટાળી જઇએ છીએ..

– ભાણીયાંઓથી ઘર ગુંજી રહ્યું છે અને એમાંયે કાલે રજા છે. આજે સવારે જ મારી પાસે કબુલાવવામાં આવ્યું છે કે હું કાલે સાંજે તે બધાને કાંકરીયા ફરવા લઇ જઇશ. (હે પરવરદિગાર…..વેકેશનના સમયે રજાના દિવસે હરવા-ફરવા અને ખાવા માટે કીડી-મકોડાની જેમ ઉભરાતા મારા અમદાવાદી નાગરિકોની ભીડમાં સમાવવા મને થોડી જગ્યા દેજે…)

– આવતી કાલે ઇશકજાદે જોવાનો પ્લાન છે, એ પણ એકલાં-એકલાં!!! જે કોઇ સાથે આવવા ઇચ્છતું હોય તે આજે નામ નોંધાવી શકે છે. (સ્ટોરીમાં આપણને કોઇ રસ નથી. હું તો ફિલ્મની હિરોઇનને જોવા માટે જોવા જવાનો છું. સાંભળ્યું છે કે બહુ મસ્ત છે… 😉 )

– ચલો, ઓફિસ ટાઇમ પુરો થવા આવ્યો છે…તો હવે ઘર તરફ પ્રયાણ કરીએ.

31st March – અપડેટ્સ..

. . .

– આજે ૩૧, માર્ચ. નાણાંકીય હિસાબી વર્ષનો છેલ્લો દિવસ. (કાલથી ઘણી ધમાલ શાંત થઇ જશે.)

– કેટકેટલાયે કામ યાદ કરી-કરીને પુરા કરવાના અને કરાવવાના. (લોકોને વારંવાર કહીને ચલાવવા પડે..) જાતે કામ કરવા પણ તૈયાર રહેવું પડે..

– અને આજે.. જાતે કામ પુરૂ કરવાની એ જ હોંશિયારીની એક સાહસ-કથા…

– ટોરેન્ટ પાવરનું એક બીલ ત્રણ દિવસ પહેલા જ મળ્યું’તું. ત્યારે ચેક લખી રાખ્યો હતો પણ ટોરેન્ટમાં ભરવાનો ભુલાઇ ગયો. આજે અચાનક યાદ આવ્યું અને કામ જાતે પુરું કરવાનું નક્કી કર્યું.

– સૌ પ્રથમ ટોરેન્ટ પાવરની લોકલ ઑફિસની મુલાકાત. ત્યાં પહોંચતા જ જાણવા મળ્યું કે આજે છેલ્લો દિવસ હોવાથી નારણપુરા જ જવું પડશે. (વિચાર આવ્યો કે માત્ર એક ચેક ભરવા ભરબપોરે નારણપુરાનો ધક્કો કોણ ખાય….પણ..) હાથમાં લીધેલું કામ પુરું કર્યા વગર પરત ફરવું ‘હાર’ જેવું લાગ્યું એટલે છેલ્લે નારણપુરા ઝોનલ ઑફિસ સુધી લાં….બા થવાનું નક્કી કર્યું.

– નારણપુરા ઑફિસ પહોંચ્યો અને છેલ્લા દિવસે બિલ ભરનારની લાંબી લાઇનમાં નંબર લગાવ્યો. ૧૫-૨૦ મિનિટની તપસ્યા પછી મારો નંબર આવ્યો અને જાણવા મળ્યું કે મારું મીટર કનેક્શન શાહપુર ઝોનલ ઑફિસની હદમાં આવે છે અને આજે ૩૧ માર્ચ હોવાથી તે અહી સ્વીકારવામાં નહી આવે. (બહુ ગુસ્સો આવ્યો…. ઽ%#%&^%$*#@~%, આ જ વાત મને પેલા લોકલ ઑફિસવાળાએ જણાવતા શું જતું હતું?) આટલે સુધી પહોંચીને હવે પરત ફરવાનો કોઇ સવાલ જ નહોતો એટલે બીજા વિકલ્પના અભાવે શાહપુર જવા માટે કમને મન મનાવ્યું.

– હવે, શાહપુરની મુલાકાત આ જીંદગીમાં તો કરી નહોતી એટલે કોલંબસની જેમ એક નવા વિસ્તારની શોધમાં નીકળી પડયો પણ ત્યાં સુધી પહોંચવામાં ખરેખર આંટા આવી ગયા. સાંકડા રસ્તાઓમાં એક જગ્યાએ થોડો ભુલો પડયો તો ગાડીને ફેરવવામાં નાની યાદ આવી ગયા. (હેલ્લો નાની.. 😀 ) ગલીઓ-કુંચીઓ ખુંદીને જેમતેમ પહોંચ્યો તો ખરો પણ “પહોંચીને નીરખું તો પાર્કિંગ ન મળે”… હાય રે મેરી કિસ્મત… 🙁 (આખરે.. ગાડીને રોડના કિનારે અને ‘રામ ના ભરોષે’ પાર્ક કરવામાં આવી.)

– બિલ્ડીંગ પ્રવેશ બાદ બીલ ભરવાની વિધી પતાવી ત્યાં તો સામે દિવાલે શોભતું ‘કમ્પલેઇન બોક્ષ’ દેખાણું ! થયેલ હેરાનગતિ બાબતે એક લાંબીલચક ફરિયાદ ઠપકારવાની મને ભારે ઇચ્છા થઇ આવી પણ ભુખ્યા પેટ દ્વારા ઘડીયાળમાં થયેલો સમય બતાવવામાં આવ્યો અને મારી ઇચ્છા વિરૂધ્ધ તેની મજબુરી જતાવી એટલે પેલી ભારે ઇચ્છાનું ઠંડા કલેજે ખુન કરવું પડયું… (નોંધ- હું કોઇ ખુની નથી) અને ફાઇનલી ‘કામ પુરું થયું’ તેની વિજયી મુદ્રામાં ગાડીના ટાયરને ઘર તરફ વાળવામાં આવ્યા.

– આજની શીખ :

  • વર્ષના છેલ્લા દિવસે આવી કોઇ બહાદુરી ન બતાવવી.
  • અને ખરેખર ઇચ્છા થઇ જ આવે તો પહેલા સંપુર્ણ જાણકારી એકઠી કરી લેવી.
  • શાહપુરમાં ગાડી લઇને ન જવું.
  • પાવર કનેક્શન કઇ ઝોનલ ઑફિસની હદમાં આવે છે તે જાણકારી હોવી જોઇએ.

. .

નક્કામી નોંધ : ઉપરની વાતમાં આવતા શબ્દો જેવા કે તપસ્યા, ઇચ્છા, ખુન.. વગેરેને કોઇ બેકાર ટીવી-સિરીયલના પાત્રો કે તેની કોઇ ઘટના સાથે કાંઇ લેવા-દેવા નથી અને જો કોઇ સંબંધ હોય તો તેને માત્ર સંયોગ કહેવાશે.

. . .

મારી મોટી મોટી વાતો

– અ.મ્યુ.કો. સાથે ફાઇનલી સેટ-અપ થયું અને મારૂ કામ પુરું થયું. સરકારી ઓફિસમા તમે સાચા હોવ તો પણ ભોગવવાનું તમારા પક્ષે જ હોય છે. (જો કે અગાઉના સુખદ અનુભવથી કામ થોડું સરળ બન્યું હતું.)

– ગઇ કાલે ગણતરી કરીને સરવાળો કર્યો કે મારે એક વર્ષમાં લગભગ ₹ 2,20,000 જેટલો પ્રોપર્ટી-ટેક્ષ ચુકવવાનો થાય છે. (જેમાં ગોડાઉન, દુકાન, ઓફિસ, ઘર દરેકનો સમાવેશ થાય છે.)

– આ ઉપરાંત વર્ષમાં ઇન્કમટેક્ષ, સેલ્સટેક્ષ, પ્રોફેશનટેક્ષ, સર્વિસ ટેક્ષ, રોડ ટેક્ષ, પાણી ટેક્ષ, એજ્યુકેશન સેસ, એડિશનલ સેસ, વેટ, ટોલ ટેક્ષ, સુઅરેજ ટેક્ષ વગેરે સ્વરૂપે વર્ષમાં બીજા કેટલાક-લાખ રૂપિયા ચુકવતો હોઉ છું. (આ બધાનો સરવાળો મેળવવો તો ઘણો મુશ્કેલ છે.)

– આજે સરકાર-નિયમો-બંધારણ માટે મગજમાં ઘણી ભડાશ ભરાઇ છે જેને કયાંક ઠાલવવી જરૂરી છે. પછી હું હળવો થઇને મારા નિયમિત કામે વળગી શકું. (અને અહી બીજાને ધંધે વળગાડી શકું… 😇 )

# એટલે આજે થોડી નક્કામી અને થોડી ‘આઉટ ઑફ ટ્રેક’ વાત…

ખાસ નોંધઃ કોઇએ મગજ ના બગાડવું હોય તો આગળ ન વાંચશો. 🙏 (જાણે મારા કહેવાથી કોઇ રોકાઇ જવાના હતા..)

– આજે વિચારું છું કે હું ટેક્ષ તરીકે જેટલા ચુકવું છું તેના બદલામાં સરકાર તરફથી મને જે સેવા મળે છે તેનું પ્રમાણ કેટલું હશે? શું હું મારા દ્વારા ચુકવવામાં આવેલા ટેક્ષના બદલામાં સરકાર કે સરકારી વિભાગ તરફથી સહકાર, સુરક્ષા કે સુવિધાની આશા ન રાખી શકું? મારા દ્વારા ચુકવવામાં આવતા નાણાંનો કેટલો હિસ્સો સરકાર મારી પાછળ ખર્ચ કરતી હશે ?

– હું બી.પી.એલ. ધારક નથી કે એસ.સી.-એસ.ટી.-બક્ષીપંચ તથા લઘુમતી અને ખાસ-સેલીબ્રીટી પણ નથી કે જેનો મને કોઇ સરકારી લાભ પણ મળતો હોય !!! હું એક એવા સામાન્ય નાગરીકની કેટેગરીમાં છું જેની કિંમત ચુટણીના સમયે એક ‘મત‘ જેવી છે. (કહેવાઉ લાખોનો પણ વેચવા નીકળો તો ફુટી કોડી પણ ન આવે.)

– મને સરકાર તરફથી મને મળતી મુખ્ય સુવિધાઓમાં સુરક્ષા, વ્યવસ્થા, પોલિસ, રેલ્વે, હોસ્પીટલ, પાણી-ગટર અને રોડ-રસ્તા વગેરે વગેરેનો સમાવેશ થાય છે. (વીજળી એ સરકારી સેવા નથી.)

– હવે નવાઇની વાત એ છે કે તે દરેક સુવિધા મેળવવાની કિંમત તેની ફી ઉપરાંત ઢગલો ટેક્ષ સ્વરૂપે હું ચુકવું છું તો પણ સરકાર દ્વારા મને મળતી અપુરતી કે ખામીયુક્ત સેવા બદલ વળતરની કોઇ જોગવાઇ ભારતીય બંધારણમાં નથી. (સરકાર કોઇપણ નાગરિકને ટેક્ષ ચુકવવા માટે ફરજ પાડી શકે એવી જોગવાઇ કરવામાં આવી છે, પણ કોઇ નાગરિક સરકારને સુવિધા પુરી પાડવા માટે ફરજ પાડી શકે એવી કોઇ જોગવાઇ બંધારણે સામાન્ય લોકોને આપી નથી.)

– જેમ ગ્રાહક સુરક્ષા દ્વારા વેપારી-ઉત્પાદક કે સેવા આપનાર સામે અયોગ્ય સેવા/ખામીયુક્ટ વસ્તુ માટે દાવો માંડી શકે છે, તેમ અહી સરકાર સેવા આપનારના સ્થાને છે અને હું તેના ઉપભોકતા તરીકે અયોગ્ય સેવા અંગે દાવો પણ ન કરી શકું તો એ કયાંનો ન્યાય? (ફરિયાદ કરવી હોય તો કરો, પણ તેનો ઉકેલ લાવવો કે નહી તે સરકાર નક્કી કરશે અને વળતરની આશા તો બિલકુલ ન રાખવી.)

– ભારતની રાજનીતિ જે રીતે ચાલી રહી છે અને તેનાથી દેશના જે હાલ થઇ રહ્યા છે તેમાં પણ આપણાં બંધારણનો પણ મોટો વાંક છે. સીધી વાતને સરળ રીતે કહેવાને બદલે ગોળ-ગોળ નિયમોમાં ફેરવીને દરેક કાયદાને જરૂર કરતાં મોટું સ્વરૂપ આપી દીધું છે. (જે બંધારણે લોકોને આંદોલન કરવાનો હક આપ્યો પણ એ જ બંધારણે સરકારને ઘણી સત્તા આપી રાખી છે એટલે નાના-મોટા આંદોલનનું એકાદ ‘બ્રેકિંગ ન્યુઝ’ સિવાય બીજું કંઇ ઉપજતુ નથી.)

– એક તરફ જે કલમ દેશના દુશ્મનને ફાંસીએ ચઢાવવાનો મજબુત કાયદો બનાવી આપે છે, તે બીજીબાજુ દયાના નામે દુશ્મનને પાળતા રહેવા મજબુર કરે, એ આપણાં બંધારણ અને તેને અનુરૂપ ચાલતા તંત્રની ઘોર નિષ્ફળતા છે. (સામાન્ય નાગરિક સાથે ઉઘરાણી માટે કડક હાથે વર્તવાની જોગવાઇ ધરાવતા કાયદાઓમાં ખત્તરનાક ગુનેગારો માટે ભરપુર દયાળું જોગવાઇઓ છે!) આપણે ત્યાં નાગરિક કરતાં વધારે સુરક્ષા ત્રાસવાદીઓ અને નેતાઓ માટે હોય છે!! (કાયદાના મતે તે લોકો દેશ માટે ઘણાં અગત્યના છે!! અંધા-કાનુન… )

લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે ચાલતી વ્યવસ્થા અને ભારતીય લોકશાહી એટલે સરકારી અધિકારીઓ દ્વારા, ટેક્ષ ઉઘરાવીને, પૈસા માટે, રાજકીય પક્ષ વડે ચાલતી વ્યવસ્થા. (આવું કયાંય લખ્યું નથી; આ અર્થ મારો પોતાનો બનાવેલો છે.)

– આ બધુ એટલે સ્વીકારી લેવાયું છે કેમ કે અહી પ્રજા હક પ્રત્યે જાગૃત નથી અને ફરજ પ્રત્યે જવાબદાર નથી. આઝાદી માત્ર કાગળ પર દેખાય છે, આપણે હવે મત આપીને ચુટેલી સરકારના ગુલામ છીએ. (કદાચ આપણી ચામડી ઉપર ગુલામીના થર એટલા જામી ગયા છે કે આપણને ગુલામ હોવાનો અહેસાસ પણ નથી.)

– દરેક નાગરીકને સમાન અધિકાર આપનાર બંધારણની જોગવાઇ નીચે જ ઢગલો ભેદભાવ ફુલી-ફાલી રહ્યા છે. કોઇ ચોક્કસ જ્ઞાતિ, ધર્મ અને વર્ગ માટે સ્પેશીયલ નિયમો બનાવવામાં દરેકને સમાન અધિકાર આપવાની વાત હવામાં ‘છુ‘ થઇ જાય છે. પણ તેને પડકારે કોણ ? (ભગવાન જાણે સમાન સિવિલ કોડ કયારે આવશે.)

– આજે પેલા સંસદ સુધી પહોંચી ગયેલા ધારાસભ્યો પોતાને અને સંસદને સર્વોચ્ચ ગણાવે છે. બંધારણ મુજબ લોકો તેમનું કહેલું સ્વીકારવા મજબુર બની જાય તો તે પણ એક પ્રકારની ગુલામી જ કહેવાય. (હું બંધારણનો ગુલામ, બંધારણીય ધારાસભ્યોનો ગુલામ કે પછી બંધારણીય સંસ્થાનો ગુલામ….. શું માનવું?)

– બંધારણના આમુખમાં લખવામાં આવેલ છે કે ‘અમે ભારતના લોકો’ આ બંધારણને અનુસરવાનું નક્કી કરીયે છીએ. (જયારે.. ભારતના ૧% લોકો પણ દેશના મુળ બંધારણ વિશે જાણતા નહી હોય.)

– કોઇ વ્યક્તિએ કહ્યું હતું કે, ‘આપણું બંધારણ કચરાપેટીમાં ફેંકી દેવા લાયક છે.’ (ઘણી એકતરફી જોગવાઇઓને કારણે હવે મને પણ કયારેક એવું લાગે છે.)

– બંધારણમાં નાના-મોટા સુધારા ઘણાં થયા છે, પણ હજુ સુધી તેના કેન્દ્રમાં નાગરિકો માટે સુવિધાની જવાબદારીની જગ્યાએ સરકારની સત્તાનુ પ્રમાણ ઘણું મોટું છે.


છેલ્લે, કયાંક વાંચેલું એક વાક્ય (કદાચ તુષાર ગાંધી દ્વારા લખાયેલ) – ‘કોણ કહે છે કે ખંડણી લાંબો સમય નથી ટકતી… ભારતમાં ઇન્કમટેક્ષનો કાયદો ૧૫૦ વર્ષ જુનો છે!’