Aug’20 : અપડેટ્સ

લોકડાઉન ખુલ્યા પછી કામમાં એવા પરોવાઇ ગયા કે આ જગ્યા પર આવવાની આદત છુટી ગઇ. કોરોનાએ તો ભલભલાની લાઇફ ડિસ્ટર્બ કરી છે તો અમે પણ એમાં બાકાત નથી. કળ વળતા વાર લાગશે.

રમેશભાઇને પણ નથી ખબર કે હજુ કેટલો સમય કોરોનાકાળમાં જીવવું પડશે. અમિતાભ ભૈ થી અમિત શાહ સુધી તેની ઝપેટમાં આવી ગયા એ નવાઇની વાત છે. હા, જે રીતે રિકવરી રેટ ઉંચો જઇ રહ્યો છે તે થોડીક આશા જન્માવે છે કે બધું ઠીક થઇ જશે. એમ તો જો દરરોજના નવા કેસ અને મૃત્યુના આંકડાઓ જોતા રહીયે તો ડિપ્રેશન થઇ જાય એવી હાલત છે. કોણ જાણે દવા/રસી ક્યારે આવશે.

અમદાવાદમાં કોરોનાએ જે કેર વર્તાવ્યો હતો તેને ઘણાં અંશે કાબુમાં કરવામાં આવ્યો છે. અગાઉ આ મુદ્દે જે જે લોકોને અહીથી સારી ભાષામાં ખરાબ શબ્દો કહ્યા હતા તે અમે પરત લઇએ છીએ. શહેરના ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ સૌને અભિનંદન. 104 મેડિકલ સુવિધા અને 108 સર્વિસ ફુલ ફોર્મમાં છે. હજુ પણ શહેર પર આફત તો છે જ એટલે લડાઇનો આ જુસ્સો ટકાવી રાખે તો સારું.

લડાઇથી યાદ આવ્યું કે થોડા દિવસ પહેલાં ચીનના સૈનિકો સાથે નાનકડી લડાઇ પછી સીમા ઉપર ઘણી તંગ પરિસ્થિતિ બની છે. પછીથી લાંબી વાટાઘાટો ચાલી રહી છે પણ છેલ્લે મેળવેલા સમાચાર મુજબ ચીન હજુ પાછો પગ કરવાના મુડમાં નથી. સરકારે વિવાદ વચ્ચે જાસુસીના બહાને ઘણી ચાઇનીઝ એપ્લીકેશન બંધ કરાવી દીધી છે. બીજું બધું તો ઠીક, પેલા ટીકટોકીયા નવરા થઇ ગયા હશે.

ગયા અઠવાડીએ ફ્રાન્સથી 5 લડાકુ-વિમાન આવ્યા અને ન્યુઝમાં ઘણાં ઉડ્યા. બોર્ડર પરની બબાલ ના કારણે લોકોએ રાફેલમાં ઘણો રસ લીધો કે મીડીયાએ પરાણે રસ લેવડાવ્યો એ નક્કી કરવું મુશ્કેલ છે. એમપણ મોદીના આવ્યા પછી સમાન્ય લોકોને ડિફેન્સ-મેટરમાં કંઇક વધારે જ ઇન્ટરેસ્ટ દેખાય છે! ઓકે. તેમાં રસ લેવામાં કંઇ ખોટું પણ નથી.

અરે હા, સુશાંત સિંહ રાજપુતની વાતો પણ હજુ ન્યુઝમાં છે. પહેલાં મને એમ હતું કે માત્ર આત્મહત્યાનો મામલો છે પણ જે રીતે એક પછી એક પડ ખુલી રહ્યા છે તે જોતાં દાળમાં ઘણું કાળું હોવાનું જણાય છે. અત્યાર સુધી સુશાંતની બોડીને લટકતી ઉતારવાના ત્રણ અલગ-અલગ વર્ઝન બહાર આવ્યા છે! આ સિવાય બીજી ઘણી નાની-મોટી શંકાઓ છે. ગઇ કાલના સમાચાર મુજબ બિહાર અને મુંબઇ પોલીસ વચ્ચેની ખેંચતાણ પછી આ કેસ સીબીઆઇને સોંપી દેવાનો નિર્ણય લેવાયો છે.

આટલા વિશાળ દેશમાં કોઇ એક વ્યક્તિના મૃત્યુને સેલીબ્રીટી હોવાને લીધે આટલું કવરેજ મળે તે અતિરેક જેવુંય લાગે. સુશાંતની જગ્યાએ કોઇ સામાન્ય માણસ હોત તો નજીકના ચાર લોકો સિવાય કોઇને તેની મોતના કારણ જાણવામાં રસ પણ ન હોત.

રાજસ્થાનનો મામલો હજુ ગુંચવાયેલો છે. બે-પાંચ તો હુકમના પત્તા જેવા માથા બચ્યા છે જેને પણ કોંગ્રેસ ખોઇ રહી છે. આમ વર્તમાન કદાચ સચવાઇ જાય પણ ભવિષ્ય અંધકારમય હશે તે કોઇપણ કહી શકે છે. કોંગ્રેસીઓ જલ્દી જ આ નકલી ગાંધીઓની ભક્તિમાંથી બહાર નિકળે તો સારું અને તેને કોઇ સમજદાર આગેવાન જલ્દી મળે એવી આશા; નહી તો આ દેશ વિપક્ષ વગરનો થઇ જશે. લોકશાહી માટે વિપક્ષ વગરની સરકાર લાંબાગાળે નુકશાનકારક સાબિત થઇ શકે છે. આજની ભાજપ ભવિષ્યમાં નહેરુ-ઇન્દીરાની કોંગ્રેસ ન બની જાય તે માટે પણ વિપક્ષ જરુરી છે.

ગઇ કાલે 5 ઓગષ્ટ હતી. રામ જન્મભૂમી પર રામ મંદિર બનાવવાનું મુહુર્ત કરવામાં આવ્યું. મંદિર તો બનશે ત્યારે દેખાશે પણ નરેંદ્ર મોદીએ પોતાનું કદ ઘણું વધારી દીધું. ધાર્મિક કાર્યક્રમમાં દેશના વડાપ્રધાને ન જવું જોઇએ એવો તર્ક કરનાર મહામુર્ખ હોઇ શકે છે કેમ કે આ દેશ અને તેના નેતાઓ હંમેશા ધર્મની આસપાસ રહ્યા છે. હા, પહેલા તે મુસ્લીમ ધર્મ હતો એટલે કહેવાતા સેક્યુલરોને ચાલતું હતું પણ હવે હિંદુ માન્યતાઓને મહત્વ મળે છે તે જોઇને ઘણાંને પેટમાં દુઃખતું હોય એવું લાગે છે.

મારા માટે તો બંને પક્ષ સરખા અંતરે છે; પણ મને હંમેશા નવાઇ લાગે કે નિરિશ્વરવાદી એવા ડાબેરીઓ અને ધર્મનિરપેક્ષતાની વાતો કરતા સેક્યુલરો છેવટે ઇસ્લામ આગળ કેમ નમી જતા હશે? ખૈર, આ બધા વિશે લખવાનું શરુ કરીશ તો વાત ઘણી લાંબી ચાલશે. હા, આ બધાની આસપાસ બીજી કેટલીક જરુરી વાતોની ખાસ નોંધ કરવી છે તો એક અપડેટ તે વિશે પણ લખવાનો વિચાર આવે છે..

ચલો હવે બઉ થઇ ગામની પંચાત. હુંય થાક્યો છું લખી-લખી ને. હવે પછી નવી ફુરસતમાં વાત આગળ વધારીશ.

અપડેટ્સ – 191020

~ છેલ્લી અપડેટની પોસ્ટને લગભગ 3 મહિના થઇ ગયા છે! અહીયાં અલગ-અલગ વિષયે જે કંઇ ઉમેરાય છે તે બધું અપડેટ્સમાં જ ગણી લઇએ તો પણ અલગથી પોસ્ટ નથી લખાઇ એ નોંધ લાયક છે. (મતલબ કે મારા માટે નોંધ લાયક. બીજાને તો શું ફેર પડવાનો યાર)

~ પાછળના દિવસોમાં બાકી રહી ગયેલી ઘણી ફિલ્મો પણ જોવામાં આવી છે. જેમાં તાસ્કંદ ફાઇલ્સ, રેવા, ન્યુટન, કેસરી અને હવાહવાઇ જેવી મુવીએ મનમાં ખાસ જગ્યા બનાવી. કદાચ મારો ટેસ્ટ પણ બદલી રહ્યો છે; રોમેન્ટીક અને કોમેડી ફિલ્મો કરતાં હવે ઐતિહાસિક અને કોઇ મુદ્દા કે ઘટના આધારીત ફિલ્મમાં મને વધારે રસ આવે છે. (હું ગુજરાતી છું એટલે ફિલ્મનું બહુવચન ફિલ્મો જ કરીશ. જેને ન સમજાય તેઓએ જાતે સુધારીને વાંચી લેવું.)

~ અગાઉના મહિનાઓના પ્રમાણમાં સપ્ટેમ્બર મહિનામાં મારી સુસ્તી જણાય છે. લખવા લાયક ઘણી વાતો હોવા છતાં એક-બે કારણસર વધુંં લખી નથી શકાયું. (કારણ ન પુછશો, કેમ કે તે વિશે હું કંઇ કહી શકું એમ નથી.)

~ સપ્ટેમ્બરના પ્રમાણમાં ઓક્ટોબર મહિનાની સ્થિતિ વિરુધ્ધ છે. સખત વ્યસ્તતા રહી છે મહિનાની શરુઆતથી. વળી નવરાત્રી-દિવાળીનો સમય હોય એટલે કામમાં થોડી વધારે ભાગદોડ હોય એ સ્વાભાવિક છે. (સિઝનમાં બે પૈસા વધારે કમાઇ લઇએ તો એમાં કાંઈ ખોટુંય નથી ને ભાઇ.)

~ આ વખતે નવરાત્રીની શરુઆત વરસાદ સાથે રહી પણ ત્રીજા નોરતાં પછી રસીયાઓનો રંગ જામી ગયો. વરસાદ પ્રમાણમાં સારો કહી શકાય એવો રહ્યો અને લાંબા સમય સુધી પણ. (વાતાવરણ અચાનક પલટી જાય અને તડકામાંથી ધોધમાર વરસાદ આવીને બધા પ્લાન ફેરવી દે એવું આ વખતે થયા કર્યું.)

~ દેશના નેતાઓમાં અટલજી અને પર્રિકર બાદ અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજને ગુમાવ્યાનો અફસોસ થયો. તેઓ ચોક્કસ સ્મરણમાં રહેશે. (શ્રધ્ધાંજલી આપતા આવડતું નથી અને ઇશ્વર તેમના આત્માને શાંતી આપે એવું લખવામાં અમને અમારી માન્યતાઓ નડે છે.)

~ કાશ્મીરની વાતો, હાઉડી-મોદી, મંદી અને ચિદંબરમની બંદી જેવા મુદ્દાઓ સામાન્ય જનમાનસ પર હાવી રહ્યા. હવે બધે હરિયાણા-મહારાષ્ટ્રની ચુટણીની વાતો ચાલી રહી છે. હું લગભગ દરેક પ્રકારની ચર્ચાથી દુર રહ્યો છું. (વિદેશમાં પી.એમ.નું સન્માન સરસ વાત છે, તો પણ છેવટે દેશ સંભાળવો વધુ જરુરી હોય છે.)

~ કોર્પોરેટ ટેક્ષમાં થયેલ ઘટાડો નોંધલાયક વાત છે; ભવિષ્યમાં આ નિર્ણય ઘણાં વૈશ્વિક ઉદ્યોગકારોને ભારતમાં કારખાનાં સ્થાપવા આકર્ષી શકે છે. હું કોઇ ઇકોનોમીસ્ટ નથી પણ થોડીક સમજણ મુજબ કહી શકું કે હાલ તો આ ઘટાડા બાદ થનાર રાજકોષીય ખાધને પહોંચી વળવું પણ સરકાર માટે ચેલેન્જ રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે મંદીનો સમય છે અને હવે આપણી ઇકોનોમી પણ તેની અસરમાં છે.

~ દેશમાં મંદી છે તે સરકારે પણ સ્વીકારવું પડશે, તો જ તેના માટે યોજનાઓ બનાવી શકાશે. ફિલ્મોના કલેક્શન અને એમેઝોન કે ફ્લીપકાર્ટના ઓફર દિવસોમાં થયેલ વેચાણના આંકડા સાથે કુલ ઇકોનોમીને સરખાવી ન શકાય. (મંત્રીઓને સમજાતું ન હોય તો સાવ બાલીશ બહાનાઓ બતાવવાને બદલે ચુપ રહેવું જોઇએ.)

~ ન્યુઝ ચેનલોમાં પાકિસ્તાન અને ઇમરાનની વાતો હવે ઇરીટેટ કરે એ લેવલ પર છે. દેશ ઘણો મોટો છે અને આપણી પાસે ચર્ચા કરવા માટે હજુ ઘણાં જરુરી આંતરિક મુદ્દાઓ છે; તો તે તરફ પણ થોડું ધ્યાન આપે એવી સદબુધ્ધિ પત્રકારો મેળવે એવી આશા.

~ BJPના રાજકારણનું કેંદ્રસ્થાન એવા આયોધ્યા કેસમાં દલીલો પુરી થયા બાદ ફાઇનલ ચુકાદાની રાહ જોવાઇ રહી છે. લગભગ હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આવી જશે. (આશા રાખીએ કે 370 ની જેમ આમાં પણ બધું શાંતીથી પતે.)

~ મારો સ્પષ્ટ મત હતો કે આયોધ્યામાં રામ જન્મભૂમી બાબતે મુસ્લીમ પક્ષે પોતાનો દાવો છોડી અને મોટું મન રાખીને સામેથી જગ્યા સોંપી હોત તો ભવિષ્યમાં અન્ય ઘણાં મામલે તેઓ પ્રત્યે હિંદુઓની લાગણી હોત. આ કેસની હાર-જીત આવનારા સમયમાં બીજી ઘણી જગ્યાએ ઘર્ષણ ઉભું કરશે અને હવે તે ટાળી શકાય એમ નથી. (વધારે તુ-તુ મૈ-મૈ અને મારું-તારું થશે…)

~ હવે ઉપરની બધી વાતોથી અલગ વાત. આજકાલ મને એક બહુજ મોટું પરિવર્તન થઇ રહ્યું હોવાનું જણાય છે. આખી દુનિયા, આ દેશ અને આપણાં વિચારો નવા પરિમાણમાં ટ્રાન્સફર થઇ રહ્યા છે. જાણે કે કોઇ એવી થીંક-ટેંક છે જે ત્રીપલ શીફ્ટમાં કામ કરી રહી છે અને બધે જ એક પછી એક ઘટનાઓને ગોઠવી રહી છે.

~ આજે તમે કે હું જે કંઇ કરીએ છીએ, જે પ્રતિભાવ આસપાસની ઘટના કે સમાજ તરફ ધરાવીએ છીએ, તેમાં કોઇ પેટર્ન ચોક્કસ છે. ક્યાંક તો નેરેટીવ સેટ થયેલા છે; અથવા તો સેટ કરવામાં આવી રહ્યા છે. કોઇ વ્યક્તિ/સમુહ કે સમયની માંગ તેની પાછળ હોઇ શકે છે જે સામુહિક ભવિષ્યને ક્યાંક લઇ જવા માંગે છે અથવા તો આપણે સૌ કોઇ એક દિશા તરફ જવા માટે જાણતાં-અજાણતાં જોડાઇ ગયા છીએ. (જ્યારે મુળ માન્યતાઓ કે વિચારો બદલાતા હોય ત્યારે તેની પાછળના કારણો પણ વિચારવા જોઇએ એવું મને લાગે છે.)

~ આ બધું વાચનારને ઉપરની વાતો ડાર્કહોલમાં સમાતી હોય એવું પણ લાગી શકે છે. કારણ કે હમણાં હું જે કહેવા માંગુ છું તે ટુંકમાં કે સીધી રીતે કે સરળ શબ્દોમાં સમજાવી શકું એમ નથી. ઘણીબધી ગુંચવણભરી વાતો છે અને એકરીતે જોઇએ તો બધી સંભાવનાઓ જ તો છે. (ખરેખર ઘણું બધું છે આમાં અથવા તો કંઇ જ નથી!)

~ બીજી વાતો નવી પોસ્ટમાં ઉમેરવાના વિચાર સાથે આજે અહી અટકું છું. (ઉપરના મુદ્દે કંઇક વધુ ઉમેરવાના ચક્કરમાં આ પોસ્ટ 2 દિવસથી ડ્રાફ્ટમાં પડી છે.)