દર્શિત – પ્રદર્શિત

આજકાલ પશ્ચિમ બંગાળમાં ચુટણીની સિઝન ચાલી રહી છે અને રાજકારણમાં રસ રાખતા લોકોને તેમાં રસ વધારે આવે એવો માહોલ ત્યાં જામેલો છે. તો, ચુટણીની જ એક વાતથી આજની વાતને યોગ્ય શરુઆત મળશે એવું મને લાગે છે. (સારી શરૂઆત સૌને ગમે!)

મોદી સાહેબે વર્ષ 2014માં પ્રચાર સમયે કોઈ સભામાં કહેલી પેલી 15 લાખ વાળી વાત યાદ છે? હા, યાદ જ હશે. ઘણાં તો આજેય રાહ જોઈ રહ્યા હશે! એમ તો આજે રાજકારણની કોઈ વાત નથી કરવાની; તે વાતની જેમ જ ભૂતકાળમાં બની ગયેલી એક નાનકડી ઘટના અને તેની આજ વિશે નોંધ કરવી છે. (જોયું! અમે નાનકડી વાત કહેવા માટે 15 લાખનો રેફરન્સ લીધો છે.)

ઓકે.. મૂળ ટ્રેક પર વાત કરીએ. લગભગ ઘણાં સમયથી હું આ વાતનો અલગ અલગ સમયે ઉલ્લેખ કરતો રહ્યો છું, પણ હવે લાગે છે કે થોડીક ચોખવટ જરૂરી છે. આમ તો અહિયાં ચોખવટ કરવી એ પોતાના પગ પર કુહાડી મારવા સમાન હશે. કદાચ અહિયાં  પોતાની જાતને જાતે જ કુવામાં ધક્કો મારવા જેટલી આત્મઘાતી પુરવાર થઈ શકે છે. (જે થાય તે, એમપણ અહિયાં આટલો સમય રહ્યા પછી કોણ શું વિચારશે એ બાબતે વધુ હરખ-શોક જેવું રહ્યું નથી.)

અહીયાં એટલે કે મારા બગીચામાં માત્ર 25-30 પોસ્ટ ઉગાડી હતી એ સમયની આ વાત છે. પહેલાં ઘણીવાર બન્યું હતું એમ એ દિવસે પણ કોઈ આવ્યું હતું મારા આ બગીચામાં જેમણે બધી જ પોસ્ટ વાંચી લીધી હશે એવું આંકડાઓ જોઇને સમજાઈ જતું હતું. એ જ દિવસે બે પોસ્ટ પર તેમના પ્રતિભાવ અને ઇનબોક્ષમાં એક ઈમેલ હતો. (એ દિવસોમાં મારી નજર આંકડાઓ ઉપર ઘણી રહેતી.)

વળી એક સંદર્ભ સાથે મૂળ વાત પર આગળ વધીએ. વર્ષો પહેલાં દુરદર્શન પર એક કાર્યક્રમ આવતો જેમાં તેમને મળેલાં ઢગલો પત્રોમાંથી કોઇપણ પત્ર ઉઠાવીને તેને ટીવી પર વાંચતા અને તેમની પસંદના ગીતની ફરમાઇશ પુરી કરવામાં આવતી. પેલો ઇમેઇલ મેળવ્યો એ દિવસે હું એ જ સ્થિતિમાં હતો. મારા ઇનબોક્ષમાં આવેલ ઇમેલના નાનકડા ઢગલામાંથી એક અજાણ્યા વ્યક્તિ દ્વારા મળેલ ઇ-પત્ર ખોલીને તેમના શબ્દો સાથે જોડાયેલ લાગણી અને આગ્રહભરી ફરમાઇશને જોઇ રહ્યો હતો. (વિચારી પણ રહ્યો હતો.)

કોમેન્ટ તો જે-તે પોસ્ટ સંદર્ભે હતી પણ ઇમેલ કોઈ જ સંદર્ભ વગર મને ઉદ્દેશીને જ મોકલાયેલો હતો. તેમણે મારી સાથે સીધી જ વાત કરવાનો હેતુ જણાવીને મારો મોબાઇલ નંબર અને સાથે-સાથે સાચું નામ-સરનામું જણાવવા આગ્રહ કર્યો હતો. (એમ તો આવી માંગણી કોઇએ પહેલીવાર કરી હોય એવું પણ નહોતું.)

મિત્રો-વાચકો કે મુલાકાતીઓના પ્રતિભાવ કે ઇમેલના જવાબ આપવાની મારી આળસના એ સમયગાળામાં માત્ર શબ્દોથી મારા બગીચા સાથે જોડાયેલા આવા વાચકો ક્યારે અલગ થઈ ગયા એ ખબર ન પડી. ક્યારેક એમ થાય કે મેં અજાણતાં જ કેટલાં બધાં લોકોને ટાળી દીધા હશે અને એવા બધા લોકો મારાથી કંટાળીને દુર પણ થઈ ગયા હશે! (આજેય જ્યારે એ સમયમાં જવાબ ન અપાયેલા શબ્દોને જોઉ છું તો મને મારી પોતાની જાત પ્રત્યે અસંતોષ થઈ આવે છે.)

મને તો હંમેશા ગુમનામ રહીને જ લખવું હતું. પોતાના માટે જ લખવું હતું. મારો સમય નોંધવો હતો, યાદો લખવી હતી અને વિચારો વહેંચવા હતા. અનામી રહેવાનો નિયમ મારા માટે અલગ કારણથી પણ જરુરી હતો અને જો આમ અજાણ્યા વ્યક્તિ દ્વારા મળેલ ઈ-પત્રમાં મારા નામ-નંબર વહેંચવા લાગુ તો ગુમનામીનો એ જરુરી નિયમ માત્ર નિયમપોથી પુરતો રહી જાય. (હા, કોઇ તો એમ પણ કહેશે કે નિયમો તોડવા માટે જ બનતા હોય છે.)

પેલા ઈ-મેલમાં શબ્દો જેટલાં સંયમિત રીતે મુકાયેલા હતા અને આગ્રહ એટલો જ વધુ હતો કે જેને ટાળી ન શકાય; અથવા તો એમ સમજો કે તેમને તરત જ ચોખ્ખી ‘ના’ કહીને નિરાશ ન કરી શકાય એવું ત્યારે જણાતું હતું. તેથી જ લાંબા વિચાર બાદ અને થોડાક મનોમંથન બાદ તેનો જવાબ લખવાનું નક્કી કર્યું..

વધુ આવતા અંકે…

લેખક અને વાચક વિશે બાબાની જ્ઞાનવાણી

~ લેખક અને વાચક વચ્ચેના સંબંધ વિશે સંસારીક વ્યાખ્યાનના જ્ઞાની વકતા શ્રી બગીચાનંદ બાબા દ્વારા કહેવાયેલી જ્ઞાનવાણી ઇ-સંસારની જનતાએ ખાસ જાણવા અને સમજવા જેવી છે..

લેખક અને વાચક વિશે બાબાની જ્ઞાનવાણી. Lekhak ane vachak vise baba bagichanand ni gyanvani

વક્તાનો પરિચયઃ

– વક્તા શ્રી અલ્પજ્ઞાની બાબા બગીચાનંદ ઇ-સંસારના અનુભવી છે; જેમણે લાખો ભાવકોના ઇ-જન્મનો સાક્ષાત્કાર કરાવ્યો છે અને તેમને સિધ્ધિ અપાવી છે!

~ જો આપ બાબાજીની જ્ઞાનવાણીનો નિયમિત લાભ ઇચ્છતા હોવ તો બાબાજીના ઇ-આશ્રમ મારોબગીચો.કોમ પર ચાલી રહેલા પ્રવચનોમાં ગમે ત્યારે ભાગ લઇને આપની ઇ-આત્માનું કલ્યાણ કરી શકો છો!!


વધુ માહિતી કે સંપર્ક માટે લખો;

પ્રતિ..
શ્રી આશ્રમ વ્યવસ્થાપક,
મારોબગીચો.કોમ
આંતરઝાળની અંદર, ગુજરાતી વિભાગ,
હંમેશા ઓનલાઇન રસ્તો, ભારતવર્ષ
ઇ-સંપર્કકડી: mail@marobagicho.com


શ્રી ભાવકો જોગ:
બાબા બગીચાનંદની અંગત સલાહ મેળવવા કે દિવ્ય ગ્રીન પદ્ધતિથી સમસ્યાનો હલ કે ઇ-માર્ગદર્શન મેળવવા માટે તેમના અંગત સંપર્ક bagichanand@marobagicho.com પર જ ટપાલ લખવી. 🙏

ઇ-સંસારની સર્વે ઇ-આત્માનું કલ્યાણ એ જ બાબા બગીચાનંદનો જીવન ધ્યેય

હરિઓમ… તત્ સત્…..

🙂

ફરી એક નક્કામુ સંશોધન !!!

. . .

# વાત જરા એમ બની કે…. ઉત્તરાયણના બીજા દિવસે મારું પતંગ ઉડાડવાનુ સુખ સહન ન થતા શ્રી પવનકુમારે પલ્ટી મારી હતી અને આખરે ઘણી રાહ જોયા પછી (અને પતંગ ચગાવવાના ઘણાં નિષ્ફળ પ્રયાસ બાદ) પણ પવનકુમાર હાજર ન થયા. એટલે નવરાં બેઠા-બેઠા મારા (એટલે કે “બગીચાનો માળી” પ્રોફાઇલના) ફેસબુક મિત્રો વિશે કરેલું નક્કામું (પણ મારી માટે મજેદાર) સંશોધન તમે ભોગવ્યે જ છુટકો.. :

(*દરેક જગ્યાએ ચોક્કસ સંખ્યા દર્શાવવી ખતરાસ્વરૂપ લાગી એટલે ટકાવારીમાં આંકડા જણાવ્યા છે.)

– મારા કુલ ફેસબુક મિત્રો માંથી 60 % લોકોએ મને Restricted List માં મુકેલો છે !! (વાહ વાહ.. વાહ વાહ.. )

– જો કે વધુ આશ્ચર્યજનક વાત એ છે કે 15 % લોકોએ મને ખાસ મિત્રોના લિસ્ટમાં પણ રાખ્યો છે !!! (થેંક્યુ… થેંક્યુ.. )

– ચુપચાપ remove કરનાર મિત્રો (જે મારી માટે હજુપણ મિત્રો જેવા જ છે તેવા) 2.25 % ગણી શકાય અને 0.09 % (અંદાજીત) એ મને બ્લોક કરેલ છે !! (ભગવાન તેમને પણ રાજી રાખે…)

– આ 0.75 % લોકો મારી સાથે શું share કરવું તે બાબત બહુ ચોક્કસાઇથી નક્કી કરે છે (એટલે કે જે-તે પોસ્ટ મુકવા સમયે જ નક્કી કરે છે.)

– પેલા 2 % લોકોને કઇ જગ્યાએ મુકવા તે બાબતે હું કન્ફ્યુઝ્ડ છું (કેમ કે આ લોકો મારા કરતાં વધુ ચાલાક છે એટલે તેમના મન કળવા મુશ્કેલ છે) અને બાકી રહેલ મિત્રો મારી બાબતે કન્ફ્યુઝ્ડ છે !! (આ બાબતે.. નો કોમેન્ટ્સ) 😛

– ફેક (ખોટી) પ્રોફાઇલ વાળા લગભગ ૩% હશે. (આ સંખ્યા પહેલા ૧૨%ની આસપાસ હતી જેમાંથી ૯% ને મે વિના સંકોચે બહાર કાઢી મુકયા છે.)

– મારા દ્રારા બ્લોક (Block) કરાયેલા મિત્રો (પણ… તેમાં મિત્રતાના કોઇ ગુણ નહોતા) 2% અને મારા દ્વારા Restricted List માં મુકાયેલા મિત્રોની સંખ્યા 1.5% છે.

* યે હૈ મેરી ફેસબુક-દુનિયા કા સચ !!! બોલો, હૈ ના મજેદાર…

નોંધ :
– કોઇ વાચકને (જે મારા ફેસબુક ફ્રેન્ડ પણ હોય તેને) તેમની અને મારી મિત્રતા ઉપરની કઇ કેટેગરીમાં આવે છે તે જાણવામાં રસ હોય (જેમને પોતાના સેટીંગ્સ અને મારી જાણકારી પર ભરોષો ન હોય) તો પર્સનલી મેસેજ કરજો.
– બિલકુલ સાચી અને નિષ્પક્ષ માહિતી આપવામાં આવશે. (કોઇ મિત્રને મારી સાચી માહિતીથી ખોટુ લાગે તેમ હોય તો તેઓ સમજીને દુર રહે તો સારું.)
– કદાચ સાચી માહિતીની સારી/ખરાબ અસર આપણાં ભવિષ્યના સંબંધ પર પડી શકે છે. (અને તેની સંપુર્ણ જવાબદારી જે-તે વ્યક્તિની પોતાની ગણાશે.)
– આ માહિતી તાઃ ૧૫, જાન્યુઆરી, ૨૦૧૨ની સ્થિતિ દર્શાવે છે.

. . .