જન્માષ્ઠમી ~ જન્મદિવસ

~ થોડીક મોડી અપડેટ છે, પણ નોંધ તરીકે જરુરી છે. એટલે, અઠવાડીયા પછી પણ તેને અહી ઉમેરવાનું મને યોગ્ય લાગે છે. (અને જો મને યોગ્ય લાગે છે તો અહીયાં એમ જ થશે.)

~ આ કોઇ તહેવાર વિશેની અપડેટ નથી. તહેવાર માત્ર એક સંજોગ છે. આ વર્ષે જન્માષ્ઠમીના દિવસે વ્રજ આઠ વર્ષનો થયો. વ્રજનો જન્મદિવસ અને કાનુડાની જન્મ-તિથી એક જ દિવસે સેટ થઇ ગઇ તેનો ઘરમાં અતિઉત્સાહ દેખાયો! (અને અમે અહી તે સંજોગનો ઉપયોગ કરી રહ્યા છીએ તે અંદરની વાત છે.)

~ નક્કી થયેલ પ્રોટોકોલ મુજબ ઉજવણીમાં સામાજીક અંદર જાળવવાનો પુર્ણ પ્રયત્ન હોવા છતાં તે એકંદરે શક્ય બન્યું નહોતું. જો કે માત્ર પરિવારના જ સભ્યો હોવાથી અમે તે વિશે જે-તે સમયે વિરોધ કરવાનું ટાળ્યું હતું. (ક્યારેક રિસાયેલા ફુઆ બની રહેવા કરતાં ઉજવણીનો ભાગ બનવું કાર્યક્રમના હિતમાં રહેતું હોય છે.)

~ આમ તો પહેલાં કોઇ ઉજવણીનો પ્લાન નહોતો, પણ મેડમજીની ઇચ્છાને આજ્ઞા સમજીને અમે ઉજવણી બાબતે સહમત થયા. ઘરની અંદર જ ભેગા થઇને અને કોઇ-કોઇ સામાન બહારથી મેળવીને ઉજવણી પુર્ણ કરવામાં આવી. (કોઇની ખુશી આપણી મંજુરી માટે અટકેલી હોય તો તે સમયે ઉદાર વલણ ધરાવવાનો અમારો મત છે.)

~ સંસ્થાના આદેશ બાદ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઉજવણી સમયના ફોટો’ને અહી ઉમેરવાનો કાર્યક્રમ રદ જાહેર કરવામાં આવેલ છે, જેની નોંધ લેવી. (સોસીયલ ડિસ્ટન્સ કે માસ્ક પહેરવાની સલાહ આપવા ઇચ્છા લોકોને નિરાશ કરવા બદલ અમે દિલગીર છીએ.)

~ છતાંયે આજના દિવસની યાદગીરી તરીકે એક ફોટો ઉમેરવાની લાલચ રોકી શકાય એમ ન હોવાથી બગીચાના ચોકીદાર પાસેથી બે ફોટો માટેની પરવાનગી હાથ જોડીને મેળવેલ છે. (કોઇ કહેશે કે, અમે પગે પડીને પરવાનગી મેળવી હોય તોય તેમને કોઇ ફરક પડયો ન હોત. વાત તો સાચી છે; બીજાને શું ફરક પડે!)

~ વ્રજના જન્મદિવસે ક્લીક કરેલ એક ફોટોઃ

~ હવે સમય છે બીજો ફોટો ઉમેરવાનો; હાજર છે બે વર્ષ પહેલાંનો એક ફોટો જે ઉપરોક્ત તહેવાર સાથે આબેહુબ બંધબેસે છે. ફોટો વ્રજનો છે, લુક કનૈયાનો છે અને કારીગરી અમારી છે! (આ ફોટોને મેડમજીના ખાસ આગ્રહ અનુરૂપ બનાવ્યો છે, તો તે બાબતે કોઇ નકારાત્મક ટિપ્પણી કરવી નહી. વખાણ આવકાર્ય. લિ. હુકમથી.)

🎉

Jul’20 : અપડેટ્સ

કોરોનાકાળમાં જીવી રહ્યા છીએ એ જ આજની મોટી અપડેટ છે. 

અમદાવાદમાં કોરોના સંક્રમણનો આંકડો દિવસે દિવસે વધી રહ્યો છે અને એ જ ગતિથી આ શહેર સામાન્ય સમય તરફ આગળ વધી રહ્યું છે.

જીજીવિષા દરેકમાં છે અને હવે ડરીને રહેવું મંજુર ન હોય એમ બધા લડી લેવાના મુડમાં દેખાય છે. આ સમયે શહેરમાં ઘરેથી બહાર નિકળતો દરેક વ્યક્તિ યોધ્ધા સમાન છે. દરેક્ને શ્રધ્ધા છે કે તેને કંઇ નહિ થાય અને ક્યાંક મનમાં ડર છે તો તે પણ હવે મજબુરી નીચે દબાઈ ગયો છે.

હવે કોઇને બેદરકાર કહીને અપમાન કરવું ઠીક નથી લાગતું. પોતાનો જીવ બધાંને વ્હાલો છે એટલે થઈ શકે એટલાં પ્રયત્ન તે કરશે જ.

અંગત રીતે ન ઓળખતા એવા લોકોએ પણ અમદાવાદ મુકીને થોડો સમય બહાર નિકળી જવા માટે સલાહ આપી છે. તેમની લાગણી બદલ આભાર પણ હું આ શહેરને એમ છોડી શકું તેમ નથી. મને મનમાં પુરો વિશ્વાસ છે કે આ શહેર જલ્દી ઉભું થશે. હું હજુ હિંમત હાર્યો નથી, મારું અમદાવાદ પણ હિંમત હારે એમ નથી.

મેડમજી અને બાળકોને નાના-નાની પાસે ભરૂચ રહેવા મોકલ્યા તેને હવે મહિનો થવા આવ્યો છે. કન્ફ્યુઝ છું કે તેમને હવે લેવા જવું કે નહિ. અહી સ્થિતિ ડેન્જર તો છે; સાથે-સાથે એમપણ થાય છે કે આ સમયે બધા સાથે હોય તો સારું.

અમારી સોસાયટીમાં ત્રણ ઘર પછીના ઘરે એક ભાઇ કોરોનાને સોસાયટીમાં લઇ આવ્યા હતા. હોસ્પિટલમાંથી ઠીક થઇને કાલે જ ઘરે પહોંચ્યા છે. SVP હોસ્પિટલ અને સરકારી વ્યવસ્થાના ભરપેટ વખાણ પણ કરી રહ્યા છે. બીજું બધું તો ઠીક, હવે અમારો ડર ઓછો થઇ ગયો છે.


ઉપરની વાતો અઠવાડિયા પહેલાં લખાયેલી પડી હતી, પણ આજેય સ્થિતિ એવી જ છે. નવું એટલું છે કે આજકાલ અમદાવાદ કરતાં સુરતમાં આંકડા ઝડપથી વધી રહ્યા છે. એમ તો આ આંકડાની માયાજાળમાં પડવા જેવું નથી કેમ કે અસલી ચિત્ર રમેશભાઈ સારી રીતે જાણે છે.

અને હા-ના કરતાં-કરતાં મે પરિવાર ભેગો કરી લીધો છે. ઘરમાં બાળકો સાથે હોય તો એક આનંદ છવાયેલો રહે છે. બધા સલામત રહીશું એવો વિશ્વાસ છે. જો કે થોડી ચિંતા જેવી વાત એ પણ છે કે આસપાસની સોસાયટીઓમાં હવે નવા 5 કોરોના-દર્દી છે!

😰

ઐયો રામા, નિસર્ગા

થોડા દિવસો પહેલાં એક વાવાઝોડું આવ્યું અને ફેસબુક-ટ્વીટર પર #NisargaCyclone સિઝનલ ટ્રેંડ ચાલ્યો. આખું ભારત ટ્રેંડમાં જોડાયું, પણ મુખ્યત્વે અસરકારક વિસ્તાર હોવાના લીધે મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકો મારા ધ્યાનમાં વધારે આવ્યા. (કદાચ હું જે લોકો વચ્ચે રહું છું તેમાં આ લોકો વધારે છે એટલે એવું બની શકે.)

ના, આજે નોંધનો વિષય વાવાઝોડું નથી અને આજે તેનાથી થયેલાં નુકશાન વિશે લખવાનો ઇરાદો નથી. એમપણ અમદાવાદમાં તેના કારણે માત્ર વરસાદ પડયો છે અને એય કોઇ-કોઇ વિસ્તારોમાં. (વાદળોએ પણ કોરોનાની જેમ ઝોન બનાવી લીધા લાગે છે. નક્કી કરીને વરસે છે!)

તો હવે મુદ્દા ઉપર આવું. મહારાષ્ટ્રના લોકો તેમનું કુટી ખાશે, અહીયાં ગુજરાતીઓની વાત વધારે કરવી છે. આ ઘટના હમણાં બની એટલે વાતો તાજી થઇ ગઇ પણ એક રીતે આ ઘણી જુની બબાલ છે. (હા કારણ વગરની માથાકૂટ કહી શકો.)

તો, મુદ્દો છે નામ અને તેનો ઉચ્ચાર.

નિસર્ગ કે નિસર્ગા?

હકિકત એ છે કે બાંગ્લાદેશે આ વાવાઝોડાને કુદરતને અનુરુપ નિસર્ગ (Nisarg) નામ આપ્યું હતું; તો પછી એવું શું થયું કે તેનું નામ ગુજરાતીમાં નિસર્ગા (Nisarga) થઇ ગયું?

તેનું કારણ છે આપણાં અંગ્રેજ ગુજરાતીઓ. હા, અંગ્રેજ ગુજરાતી! ગુજરાતની આ એવી જનરેશન છે જેના વિચારો પણ અંગ્રેજીમાં હોય છે અને આ લોકો માત્ર સ્પેલીંગ બદલવાથી ન અટક્યા, સ્પેલીંગ મુજબ તેનો “નિસર્ગા” ઉચ્ચાર પણ અપનાવી લીધો!

આઝાદી પછી દેશની એજ્યુકેશન સિસ્ટમમાં સાઉથ-ઇંડીયન, બંગાળીઓ, ડાબેરી-વામપંથી અને વિદેશમાં ટીપટોપ ભણીને આવેલાં લોકોનું જોર વધું રહ્યું. તેઓ સ્વભાવે જ હિંદી વિરોધી હતા. (આજે પણ છે!) એટલે અંગ્રેજી તરફ જોર વધારતા ગયા. આજે પણ દેશનો મુખ્યત્વે વહિવટ અંગ્રેજીમાં ચાલે છે, હિંદી તેમને સ્વીકાર્ય નથી. બન્યું એવું કે ઇતિહાસ અને શાસ્ત્રોને તેમની મરજી અને મંતવ્ય મુજબ અંગ્રેજીમાં ફેરવવામાં આવ્યા. અંગ્રેજી મીડીયમના અભ્યાસક્રમ પણ આ જ લોકોની વિચારધારા મુજબ સેટ કરવામાં આવ્યા. મહાન ભારતવર્ષનો કેટલો લાંબો ગૌરવિત ઇતિહાસ હોવા છતાં માત્ર “મુઘલો જીંદાબાદ” -વાળો જે ઇતિહાસ આપણે ભણીએ છીએ તે પણ આ જ લોકોના મગજની ઉપજ છે. ખૈર, આ વળી બહુજ લાંબો અને અલગ મુદ્દો છે. આજે તેની ચર્ચામાં ન પડીએ.

મુળ મુદ્દા ઉપર આવીએ. નામ અને ઉચ્ચારનો આ ડખો અંગ્રેજી મીડીયમને લીધે થયો છે. અભ્યાસક્રમમાં આપણાં આ શબ્દોને અંગ્રેજી ભાષામાં ઢાળનાર એવા લોકો હતા જેમણે પોતના અનુસાર અર્થઘટન કર્યુ. નામ ઉચ્ચારણની આ દક્ષિણ ભારતીય શૈલી છે. પરંતુ મને વાંધો દક્ષિણ ભારતીયોના ઉચ્ચારણથી નથી. તેમની ભાષા છે, તેમના ઉચ્ચાર છે, તેમની સંસ્કૃતિ છે તો તેઓ તે પ્રમાણે જ બોલશે. તેમનો હક છે તે મુજબ વર્તવાનો.

ભુતકાળમાં જે થયું તે પણ હવે મારો વાંધો એવું ભણતર લઈને ડોઢ-અંગ્રેજ બનેલા અંગ્રેજી મીડીયમવાળા ગુજરાતીઓના ઉચ્ચાર પ્રત્યે છે. જેને નામ તરીકે રામ સ્વીકાર્ય નથી, રામા જ યોગ્ય લાગે છે! હે રામ… નામની આવી જ દશા શિવા, કર્ણા, દશરથા, રાવણા જેવા ઘણાંની છે. કંસને કોઇ કંસા કહે એ તો કેવું વિચિત્ર લાગે. 🤦‍♂️ ક્યાંક આ વિશે વાંધો લીધો તો કોઇ મહાન ગુજરાતી જ મારી સામે પડ્યા કે તે આપણાં જ સાઉથ ઇંડીયન લોકોની બોલી છે તો આ વિશે આપણાં જ ભારતીય ગુજરાતીઓને ‘અંગ્રેજ-ગુજરાતી’ કહેવું એ તેમનું અપમાન કરવા સમાન છે.

અંગ્રેજી મીડિયમમાં ભણતાં આવા બાળકો તેમની ગુજરાતી ભાષામાં થતી ચર્ચામાં પણ આ જ શબ્દોનો ઉપયોગ કરે છે. આપણી પોતાની માતૃભાષા, સંસ્કૃતિ અને ઓળખ છે; આપણું વ્યાકરણ અને મૂળાક્ષરો છે, ઉચ્ચાર છે. મારા મતે આપણી એ નવી પેઢીને સાચા શબ્દો શિખવવા જરુરી છે. મોડર્ન બનીને પાંડવાઝ અને કૌરવાઝ તરીકે મહાભારતની ચર્ચા કરતાં ગુજરાતીઓ ઘણાં હાસ્યાસ્પદ લાગે છે. કોઇ તો રોકો એમને…


સાઇડટ્રેક:

એકવાર શ્રી શ્રી રવિશંકરના આશ્રમમાં જવાનું થયું હતું જ્યાં કોઇ વિખ્યાત ગુજરાતી સ્કોલરનું શારિરીક સ્ત્રાવ વિશે લેક્ચર હતું. સામે 100 ટકા ગુજરાતીઓ બેઠા હોવા છતાં તેણે આખુ ભાષણ અંગ્રેજીમાં આપ્યું; જ્યારે એમાંથી 10 ટકા લોકોને પણ સામાન્યથી વધુ અંગ્રેજી ન’તું આવડતું!
આજેય તેમાંથી કોઇ મળી જાય તો એ લેક્ચરર’નો ઉલ્લેખ કરીને ત્યારે તેના મોઢે પચ્ચીસેક વખત બોલાયેલો એક ત્રિ-શબ્દ ખાસ યાદ કરીએ અને બધા સાથે હસી પડીએ. હા, અનએજ્યુકેટેડ કહી શકો છો અમને. 😉

તે ત્રિ-શબ્દ હતો : વાતા-પિત્તા-ક્ફ્ફા