અને..

green house and a way

એક મોટા અવાજ સાથે દરવાજો બંધ થાય છે. બંધ કરવા માટે લગાવેલ ધક્કો એટલો વધારે હોય છે કે દરવાજાની અંદરની બાજુમાં સજાવેલી વિશાળ ફોટો ફ્રેમ જમીન પર પટકાય છે. પહેલા દરવાજો બંધ થયાનો મોટો અવાજ અને પછી કાચ તુટવાનો તીણો અવાજ શાંત વાતાવરણને થોડીવાર માટે ડહોળી મુકે છે; પણ નાયકને તેની ક્યાં પડી હતી. તે તો હજુયે ખોવાયેલો છે અને ઘણો ગભરાયેલો છે અંદરથી..

તુટેલા કાચ સાથેની ફોટો ફ્રેમ

અખુટ વૈભવથી સજાવેલા રુમનું વાતાનુકુલીત વાતાવરણ પણ આજે શાંત રહેવામાં સાથ આપી રહ્યું નહોતું, માનસિક હાલત પણ બગડી રહી હતી. વિશાળ રૂમની ચાર દિવાલો તેને પોતાની તરફ આવી રહી હોવાનો ભાસ થતો હતો. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ જણાઇ હતી; અને યાદ કરે છે કે, અંદરની કોઇ ગુંગણામણથી છુટવા જ તો બહાર દોડી આવ્યો હતો!..

પણ, હજુયે તેની સ્થિતિ એવી જ છે; ખુલ્લા આકાશ નીચે પણ તેનો શ્વાસ હાંફી રહ્યો છે. તે હજુયે કેમ ગુંગળામણ અનુભવી રહ્યો છે, વિચારે છે; કશુંજ સમજાતુ નથી. અનાયાસે જ તે મુખ્ય દ્વારથી ગાઢ જંગલ તરફ જતી ફુટપાથ તરફ વળે છે. સિમેંટથી ચોટાડેલા પથ્થર પર ટક-ટક અવાજ સાથે બુટમાં દબાયેલા બંને પગ વિચારોમાં ખોવાયેલા મન સાથે માત્ર તાલમેલ મેળવવાના પ્રયત્નોથી ઝડપભેર ખત્તરનાક દિશામાં કારણ વગર વધી રહ્યા છે.

Do not enter board, a danger sign

આગળ એક એવું ગાઢ જંગલ છે, કે જ્યાં ફરતા પ્રાણીઓના હિંસક કિસ્સાઓ જંગલથી બહાર પણ લોકજીભે છે. હવે તો અંધારું પણ જંગલ પર તેનો હક જતાવી રહ્યું હતું..

પગ નીચે ફુટપાથ પુરી થઇ ચુકી છે, માત્ર સાંકડી પગદંડી કહી શકાય એવો કાચો રસ્તો દેખાય છે અને જેમ-જેમ જંગલ ગાઢ બની રહ્યું છે તેમ-તેમ પગદંડી પણ વધારે સાંકડી બની રહી છે! પરંતુ પગ આગળ વધી રહ્યા છે, ઝડપથી.. આંખો ચારે તરફ ફરી રહી છે, દેખાતું કંઇ નથી. અને હવે તો ચારે તરફની દિશાઓ સરખી થઇ ગઇ છે, પગ માટે; અને વિચારો માટે પણ! પરંતુ બંને દિશાવિહીન છે, દિશાશૂન્ય પણ કહી શકાય!

અંધકારમય જંગલમાં ભટકતો માણસ

પગદંડીએ પણ તો હવે સાથ છોડી દીધો છે. દોડતા જતા પગને કંઇ સમજાતું નથી કે ક્યાં જવું છે અને પોતાના વિચારો નાયકને ક્યાં લઇ જવા ઇચ્છે છે તે હજુયે તેને કળી નથી શકતો..

શરીરના દરેક ભાગ જાણે મનના ગુલામ બનીને પગ સાથે એવા લાચારીથી બંધાયેલાં છે કે અજાણતાં મનના વિચારોના પ્રત્યાઘાત દર્શાવી રહ્યા છે. અને નાયક? તે તો ઓગળી રહ્યો છે, આ પ્રકૃતિમાં, અંધારા સાથે.. બસ, આગળ વધી રહ્યો છે. આજે તે ખોવાઇ જવા ઇચ્છે છે, આ વિચારોના દંગલથી છુટવા ઇચ્છે છે. જંગલમાં તે કોઇ જંગલી પશુનો ખોરાક બની જશે તેનો ભય પણ નથી લાગી રહ્યો, ઉલ્ટાનું તેનું મન તેને ચીર શાંતિ મેળવવાના માર્ગ તરીકે દર્શાવી રહ્યું છે!

અંધારામાં ભટકતા મનમાં કોઇ ખુણે અચાનક વિચાર ઝબકે છે કે, આવું કેમ બની શકે?; પોતાનું જ મન પોતાને વિનાશના માર્ગે કઇ રીતે દોરી શકે?? આ તેને હકિકત જણાય છે તો પણ તે પોતાને રોકી કેમ નથી શકતો??;

વિરુધ્ધ વિચારોના આંતરિક દ્વંદ્વ યુધ્ધ વચ્ચે વિનાશના વાસ્તવિક વિચારોને અટકાવવામાં તે પોતાની જાતને અસમર્થ અનુભવે છે અને તે તરફ સતત વધતા જતા પગને રોકવામાં પણ! તેણે ડરવું જોઇએ તેવું સમજાય છે પણ તેને ડરનો અહેસાસ નથી. કદાચ અહેસાસની લાગણી પણ તે જાણીજોઇને દબાવી દેવા ઇચ્છે છે. ક્યાંક ઉંડાણથી એવું દર્દ ઉઠયું છે કે તેનાથી છુટવા તે કોઇપણ ભોગે ખોવાઇ જવા ઇચ્છે છે. તેને લાગે છે કે કુદરતમાં વિલિન થઇ જવું એ એકમાત્ર વિકલ્પ છે; તે તો બસ એમ જ કોઇ કારણમાં તેનો અંત ઇચ્છે છે..

પરેશાન મન જ્યારે વિચારો પર હાવી હોય ત્યારે વ્યક્તિનું શરીર આપોઆપ તેના ભાવ પ્રદર્શિત કરતું હોય છે. પ્રકૃતિ પણ જાણે તાલ મિલાવી રહી છે નાયકની આ અવસ્થામાં. તે શોધી રહ્યો છે ઉઠતા હજારો સવાલોના જવાબ ને, અંદર અને બહાર!

તેને બધું અલગ દિશામાં ભાગતું જણાય છે, એક અગોચર દુનિયાનો અહેસાસ થઇ રહ્યો છે. હા, આ એ જ નાયકની મનોસ્થિતિ છે કે જેની સાથે પગ અને મન જોડાયેલા છે અને જેને દુનિયા એક સફળ વ્યક્તિ તરીકે ઓળખે છે! તેને અભિમાન હતું એકઠી કરેલ અખુટ સંપતિ અને અસિમિત શક્તિ પર. પણ આજે ભટકી રહ્યો છે પાગલ બનીને જંગલમાં, બધાથી દુર.. દરેક આરોપનો સજ્જડ પ્રત્યુત્તર આપનાર, હંમેશા જીતનો સ્વાદ લેનાર અને વિરોધીઓને યેનકેન પ્રકારે પરાસ્ત કરનાર આજે હારી રહ્યો છે અંદરથી, પોતાના વિચારોથી..

એક જ સમયે ઘુમરાઇ રહેલા હજારો વિચારોના વંટોળને અલગ-અલગ દિશાઓમાં ભટકતા પગ સાથે કે દિશાશૂન્ય થયેલા મન સાથે કાર્યકારણનો પણ સંબંધ નથી રહ્યો! આસપાસ ખીલેલી પ્રકૃતિમાં ફેલાયેલી શાંતિ આજે તેને ખાવા આવી રહી હોય એવું લાગે છે. આ એજ હરિયાળી હતી જેને તે અનહદ ચાહતો હતો અને આસપાસ એ જ શાંતિ છે જેને મેળવવા તે તરસતો હતો. અહી બધું જ છે ત્યાં પણ તે પોતે ત્યાં નથી, મનથી.. વિચારોથી. અથવા તો તેને ત્યાં હોવાના પોતાના જ અસ્તિત્વને નકારી દેવા ઇચ્છે છે, એક રીતે નકારી જ તો દિધું છે..

અચાનક, ભટકતું શરીર જાણે કોઇ ખડક સાથે ટકરાઇને સખત પ્રત્યાઘાત અનુભવે છે. પોતે કોઇ વિશાળ પથ્થરને અથડાયો હોય એવું નાયકને જણાય છે. વિચારોને અટકાવતો સુપર-બ્રેક લાગ્યો છે! વ્યાકુળ મન હાલની બદલાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા તરફ વળ્યું છે. અંધકારમાં પણ દેખાતી તેની લાલઘુમ આંખો કોઇ અસહ્ય દર્દથી કણસી ઉઠી છે. ભાગંભાગ કરીને થાકેલા પગ હવે ભારે લાગી રહ્યા છે, શરીરના વજનથી જમીનમાં ખુંપી રહ્યા હોય એવું લાગે છે.

તે સ્થિર ગયો છે; જાણે શરીરમાંથી જીવ નીકળી ગયો હોય એમ.. જડ. શુન્ય. નિર્જીવ. હા, તે એક મોટો પથ્થર જ હતો! પણ, તેના મનમાં, વિચારોના વંટોળમાંં! …તેનો અસલ ચહેરો બતાવતો પથ્થર, તેના હજારો સવાલોનો એકમાત્ર જવાબરૂપ પથ્થર, સમાજ પર તેના દૈત્યરૂપ હોવાની હકિકતનો ભારરૂપ ખડક..

આજે પ્રથમવાર તેનો પોતાના રાક્ષસી-રુપ સાથે સામનો થયો હતો! તેને કારણો હવે તેને સમજાઇ રહ્યા છે. તેનું મન એ દરેક વાસ્તવિક્તા સુધી પહોંચી ચુક્યુંં છે, જે સત્યતાનું પોતે જ વર્ષો પહેલાં ખુન કરી ચુક્યો હતો! પોતાના હાથે, નિર્દયતાથી, ઠંડા કલેજે.

પણ સત્ય આજે ન્યાય કરવાના ઇરાદામાં છે. નાયકનો સમય પલટાઇ ચુક્યો હતો. સત્યએ કબ્જો કરી લીધો હતો તેના હોવાપણાં પર, તેના મન-વિચારો-અસ્તિત્વ પર. આ બધું જ તેને અંદરથી, પોતાની નજરમાં જ વિલન બનાવીને કરેલ અન્યાયનો બદલો લેવા માટે થઇ રહ્યું હતું. એ દરેકનો બદલો જેની સાથે નાયકે જીવનભર બહુજ ક્રુર બનીને અત્યાચાર કર્યો હતો, નિર્દોષની લાચારીનો વિકૃત ફાયદો ઉઠાવ્યાનો આ પ્રતિશોધ હતો.

નાયક સાથે થયેલ આ કુદરતી ન્યાય છે… કર્મોની સજા.

👺

મુલાકાતઃ સાબરમતી આશ્રમ

સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ, અમદાવાદ. Sabarmati Ashram, Gandhi Ashram Ahmedabad

~ પોરબંદરના મોહનદાસ કરમચંદ ગાંધી જે સમયજતાં ગાંધીજી અને બાપુ તરીકે આખા ભારતમાં ઓળખાયા. તેમની મહાત્મા બનવા તરફની યાત્રાની શરુઆત જ્યાંથી થઇ તે જગ્યા એટલે આ સાબરમતી આશ્રમ.

સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ, અમદાવાદ. Sabarmati Ashram, Gandhi Ashram Ahmedabad

~ એક સમયગાળા દરમ્યાન ગાંધીજીનું રહેઠાણ રહેલ આ જગ્યા હવે ઐતિહાસિક સ્થળ છે; જેની મુલાકાતે વિશ્વભરથી પ્રવાસીઓ આવતા હોય છે… પણ અમદાવાદમાં કાયમી વસતા હોવા છતાં મેં 15 વર્ષ બાદ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી! (જેની પાસે હોય તેને તેની કદર ન હોય તે માનવ સ્વભાવમાં છે.)

~ આશ્રમ રોડ પર મહિનામાં 15 વાર જવાનું થતું હશે તો પણ કેમજાણે મનથી ઇચ્છા હોવા છતાંયે આ સ્થળે અટકવાના સંજોગ બનતા ન હતા. છેવટે એક બહાને દિવસ નક્કી થયો અને મુલાકાતનો પ્લાન બની ગયો. (ઘણીવાર મને ધક્કો મારનાર અથવા તો ખેંચી જનાર વ્યક્તિ કે કારણ ખુટતું હોય છે.)

~ અહીયાં 15-મી ઓગષ્ટના દિવસે આવવાનો પ્લાન હતો એટલે પહેલાંથી માનસિક રીતે તૈયાર હતો કે સ્વાતંત્ર્ય દિવસ હોય અને ગાંધી આશ્રમ જેવી જગ્યા હોય તો હાઇ-સિક્યુરીટી હોવી સ્વાભાવિક છે. એમપણ આવા દિવસોમાં રિસ્ક સામાન્ય દિવસો કરતાં વધુ રહે છે.

~ પહોંચતા પહેલાં વિચારીને રાખ્યું હતું કે ચારે તરફ કડક સુરક્ષા હશે એટલે કેમેરાને અંદર લઇ જવાની પરવાનગી પણ ન મળે, મોબાઇલને કદાચ ગાડીમાં જ રાખવો પડશે અને દરેક ખુણે તમારી ઉપર નજર રાખવા માટે કમાન્ડોઝ હાજર હશે; પણ અહીયાં તો સાવ અલગ અહેસાસ થયો. મુખ્ય એન્ટ્રીમાં એક-બે સામાન્ય પોલીસવાળા સિવાય કોઇ જગ્યાએ એવું કંઇજ ન જણાયું અને જે-જે વિચાર્યું હતું એવું તો કંઇ જ ન થયું!

~ અહીયાં બધી જગ્યાએ કોઇજ પ્રકારની રોકટોક વગર મનફાવે ત્યાં ફરી શકાય છે અને ઐતિહાસિક ઇમારતો તથા બીજા મુલાકાતીઓને ખલેલ ન થાય એમ જ્યાં ફાવે ત્યાંથી, જેવા ફાવે તેવા ફોટો ક્લીક કરી શકો છો! (આ મને વધારે ગમ્યું.)

~ કોઇપણ પ્રકારનો એન્ટ્રી ચાર્જ નથી અને અંદર કોઇ ફેરીયા/ભીખારીઓ કે ગાઇડનો ત્રાસ નથી એ પણ ગમ્યું. જો કોઇ વિષયે માહિતી કે ઐતિહાસિક જાણકારી ઇચ્છો તો આશ્રમના વ્યવસ્થાપકો વિસ્તારથી જણાવવા તત્પર છે. (બસ, એકવાર તેમને પુછવું પડે!)

~ ખરેખર શાંત અને રમણીય જગ્યા છે. આજે આ જગ્યાની સ્વચ્છતા અને સુંદરતા જાળવવા બદલ વ્યવસ્થાપકોને શાબાશી આપવી પડે! ગાંધીજી પોતે સ્વચ્છતાના આગ્રહી હતા અને તેમના આશ્રમમાં આજે પણ તેનું ધ્યાન રખાય છે તે સારું લાગ્યું.

~ અમારી પણ અંગત માન્યતાઓ અને કેટલીક વિચિત્રતાઓ છે કે જે આ મહાન વ્યક્તિત્વના દરેક વિચારો સાથે બંધબેસતી નથી. પરંતુ દેશની આઝાદી સમયના એક વિશિષ્ટ અને સમગ્ર દુનિયામાં સન્માનિત વ્યક્તિની ખાસ જગ્યા વિશેની આ મુલાકાત પોસ્ટમાં તે બધું ઉમેરવું યોગ્ય નથી લાગતું. (ક્યારેક અંદરની નકારાત્મકતાને કંટ્રોલ કરવી જરુરી હોય છે.)

# હવે છે સ્થળની મુલાકાત દરમ્યાન કરવામાં આવેલ ક્લીક્સઃ

નકશો - સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ, અમદાવાદ. Sabarmati Ashram, Gandhi Ashram Ahmedabad Map

# સ્થળ અને દિશા સુચક પાટીયાંઓ.. (આ ફોટો એટલાં માટે છે કે અહીયાં શું-શું આવેલું છે તે સમજી શકાય.)

આશ્રમમાં ગાંધીજી જે ઘરમાં રહેતાં તે ઘરના ફોટો..

*કોઇપણ ફોટો પર ક્લીક કરીને તેને પુરા કદમાં જોઇ શકાશે.

સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ, અમદાવાદ. Sabarmati Ashram, Gandhi Ashram Ahmedabad

# આશ્રમના પરિસરમાં બનાવવામાં આવેલ સુંદર મ્યુઝીયમ..

~ આ સંગ્રહાલયમાં મોહનદાસથી મહાત્મા બનવા સુધીની સફરની ફોટોગ્રાફ સાથે વિસ્તૃતમાં માહિતી છે અને એ પણ વાંચવી-જોવી ગમે તે રીતે સુંદર આયોજનથી ગોઠવાયેલી! જેના કેટલાક ફોટોગ્રાફ અહી નીચે જોઇ શકો છો..

સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ, અમદાવાદ. Sabarmati Ashram, Gandhi Ashram Ahmedabad
સાબરમતી આશ્રમ કે ગાંધી આશ્રમ, અમદાવાદ. Sabarmati Ashram, Gandhi Ashram Ahmedabad

અપડેટ્સ – 191020

~ છેલ્લી અપડેટની પોસ્ટને લગભગ 3 મહિના થઇ ગયા છે! અહીયાં અલગ-અલગ વિષયે જે કંઇ ઉમેરાય છે તે બધું અપડેટ્સમાં જ ગણી લઇએ તો પણ અલગથી પોસ્ટ નથી લખાઇ એ નોંધ લાયક છે. (મતલબ કે મારા માટે નોંધ લાયક. બીજાને તો શું ફેર પડવાનો યાર)

~ પાછળના દિવસોમાં બાકી રહી ગયેલી ઘણી ફિલ્મો પણ જોવામાં આવી છે. જેમાં તાસ્કંદ ફાઇલ્સ, રેવા, ન્યુટન, કેસરી અને હવાહવાઇ જેવી મુવીએ મનમાં ખાસ જગ્યા બનાવી. કદાચ મારો ટેસ્ટ પણ બદલી રહ્યો છે; રોમેન્ટીક અને કોમેડી ફિલ્મો કરતાં હવે ઐતિહાસિક અને કોઇ મુદ્દા કે ઘટના આધારીત ફિલ્મમાં મને વધારે રસ આવે છે. (હું ગુજરાતી છું એટલે ફિલ્મનું બહુવચન ફિલ્મો જ કરીશ. જેને ન સમજાય તેઓએ જાતે સુધારીને વાંચી લેવું.)

~ અગાઉના મહિનાઓના પ્રમાણમાં સપ્ટેમ્બર મહિનામાં મારી સુસ્તી જણાય છે. લખવા લાયક ઘણી વાતો હોવા છતાં એક-બે કારણસર વધુંં લખી નથી શકાયું. (કારણ ન પુછશો, કેમ કે તે વિશે હું કંઇ કહી શકું એમ નથી.)

~ સપ્ટેમ્બરના પ્રમાણમાં ઓક્ટોબર મહિનાની સ્થિતિ વિરુધ્ધ છે. સખત વ્યસ્તતા રહી છે મહિનાની શરુઆતથી. વળી નવરાત્રી-દિવાળીનો સમય હોય એટલે કામમાં થોડી વધારે ભાગદોડ હોય એ સ્વાભાવિક છે. (સિઝનમાં બે પૈસા વધારે કમાઇ લઇએ તો એમાં કાંઈ ખોટુંય નથી ને ભાઇ.)

~ આ વખતે નવરાત્રીની શરુઆત વરસાદ સાથે રહી પણ ત્રીજા નોરતાં પછી રસીયાઓનો રંગ જામી ગયો. વરસાદ પ્રમાણમાં સારો કહી શકાય એવો રહ્યો અને લાંબા સમય સુધી પણ. (વાતાવરણ અચાનક પલટી જાય અને તડકામાંથી ધોધમાર વરસાદ આવીને બધા પ્લાન ફેરવી દે એવું આ વખતે થયા કર્યું.)

~ દેશના નેતાઓમાં અટલજી અને પર્રિકર બાદ અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજને ગુમાવ્યાનો અફસોસ થયો. તેઓ ચોક્કસ સ્મરણમાં રહેશે. (શ્રધ્ધાંજલી આપતા આવડતું નથી અને ઇશ્વર તેમના આત્માને શાંતી આપે એવું લખવામાં અમને અમારી માન્યતાઓ નડે છે.)

~ કાશ્મીરની વાતો, હાઉડી-મોદી, મંદી અને ચિદંબરમની બંદી જેવા મુદ્દાઓ સામાન્ય જનમાનસ પર હાવી રહ્યા. હવે બધે હરિયાણા-મહારાષ્ટ્રની ચુટણીની વાતો ચાલી રહી છે. હું લગભગ દરેક પ્રકારની ચર્ચાથી દુર રહ્યો છું. (વિદેશમાં પી.એમ.નું સન્માન સરસ વાત છે, તો પણ છેવટે દેશ સંભાળવો વધુ જરુરી હોય છે.)

~ કોર્પોરેટ ટેક્ષમાં થયેલ ઘટાડો નોંધલાયક વાત છે; ભવિષ્યમાં આ નિર્ણય ઘણાં વૈશ્વિક ઉદ્યોગકારોને ભારતમાં કારખાનાં સ્થાપવા આકર્ષી શકે છે. હું કોઇ ઇકોનોમીસ્ટ નથી પણ થોડીક સમજણ મુજબ કહી શકું કે હાલ તો આ ઘટાડા બાદ થનાર રાજકોષીય ખાધને પહોંચી વળવું પણ સરકાર માટે ચેલેન્જ રહેશે. આંતરરાષ્ટ્રીય સ્તરે મંદીનો સમય છે અને હવે આપણી ઇકોનોમી પણ તેની અસરમાં છે.

~ દેશમાં મંદી છે તે સરકારે પણ સ્વીકારવું પડશે, તો જ તેના માટે યોજનાઓ બનાવી શકાશે. ફિલ્મોના કલેક્શન અને એમેઝોન કે ફ્લીપકાર્ટના ઓફર દિવસોમાં થયેલ વેચાણના આંકડા સાથે કુલ ઇકોનોમીને સરખાવી ન શકાય. (મંત્રીઓને સમજાતું ન હોય તો સાવ બાલીશ બહાનાઓ બતાવવાને બદલે ચુપ રહેવું જોઇએ.)

~ ન્યુઝ ચેનલોમાં પાકિસ્તાન અને ઇમરાનની વાતો હવે ઇરીટેટ કરે એ લેવલ પર છે. દેશ ઘણો મોટો છે અને આપણી પાસે ચર્ચા કરવા માટે હજુ ઘણાં જરુરી આંતરિક મુદ્દાઓ છે; તો તે તરફ પણ થોડું ધ્યાન આપે એવી સદબુધ્ધિ પત્રકારો મેળવે એવી આશા.

~ BJPના રાજકારણનું કેંદ્રસ્થાન એવા આયોધ્યા કેસમાં દલીલો પુરી થયા બાદ ફાઇનલ ચુકાદાની રાહ જોવાઇ રહી છે. લગભગ હિંદુ પક્ષની તરફેણમાં ચુકાદો આવી જશે. (આશા રાખીએ કે 370 ની જેમ આમાં પણ બધું શાંતીથી પતે.)

~ મારો સ્પષ્ટ મત હતો કે આયોધ્યામાં રામ જન્મભૂમી બાબતે મુસ્લીમ પક્ષે પોતાનો દાવો છોડી અને મોટું મન રાખીને સામેથી જગ્યા સોંપી હોત તો ભવિષ્યમાં અન્ય ઘણાં મામલે તેઓ પ્રત્યે હિંદુઓની લાગણી હોત. આ કેસની હાર-જીત આવનારા સમયમાં બીજી ઘણી જગ્યાએ ઘર્ષણ ઉભું કરશે અને હવે તે ટાળી શકાય એમ નથી. (વધારે તુ-તુ મૈ-મૈ અને મારું-તારું થશે…)

~ હવે ઉપરની બધી વાતોથી અલગ વાત. આજકાલ મને એક બહુજ મોટું પરિવર્તન થઇ રહ્યું હોવાનું જણાય છે. આખી દુનિયા, આ દેશ અને આપણાં વિચારો નવા પરિમાણમાં ટ્રાન્સફર થઇ રહ્યા છે. જાણે કે કોઇ એવી થીંક-ટેંક છે જે ત્રીપલ શીફ્ટમાં કામ કરી રહી છે અને બધે જ એક પછી એક ઘટનાઓને ગોઠવી રહી છે.

~ આજે તમે કે હું જે કંઇ કરીએ છીએ, જે પ્રતિભાવ આસપાસની ઘટના કે સમાજ તરફ ધરાવીએ છીએ, તેમાં કોઇ પેટર્ન ચોક્કસ છે. ક્યાંક તો નેરેટીવ સેટ થયેલા છે; અથવા તો સેટ કરવામાં આવી રહ્યા છે. કોઇ વ્યક્તિ/સમુહ કે સમયની માંગ તેની પાછળ હોઇ શકે છે જે સામુહિક ભવિષ્યને ક્યાંક લઇ જવા માંગે છે અથવા તો આપણે સૌ કોઇ એક દિશા તરફ જવા માટે જાણતાં-અજાણતાં જોડાઇ ગયા છીએ. (જ્યારે મુળ માન્યતાઓ કે વિચારો બદલાતા હોય ત્યારે તેની પાછળના કારણો પણ વિચારવા જોઇએ એવું મને લાગે છે.)

~ આ બધું વાચનારને ઉપરની વાતો ડાર્કહોલમાં સમાતી હોય એવું પણ લાગી શકે છે. કારણ કે હમણાં હું જે કહેવા માંગુ છું તે ટુંકમાં કે સીધી રીતે કે સરળ શબ્દોમાં સમજાવી શકું એમ નથી. ઘણીબધી ગુંચવણભરી વાતો છે અને એકરીતે જોઇએ તો બધી સંભાવનાઓ જ તો છે. (ખરેખર ઘણું બધું છે આમાં અથવા તો કંઇ જ નથી!)

~ બીજી વાતો નવી પોસ્ટમાં ઉમેરવાના વિચાર સાથે આજે અહી અટકું છું. (ઉપરના મુદ્દે કંઇક વધુ ઉમેરવાના ચક્કરમાં આ પોસ્ટ 2 દિવસથી ડ્રાફ્ટમાં પડી છે.)