અમદાવાદીઓ મરશો

લોકો, સરકાર અને કોરોના, આ બધાય ગુનેગાર છે; ભેગા થઈને આખા અમદાવાદની પથારી ફેરવી નાખી છે. કોઇ વિસ્તાર બાકી નથી રહ્યો હવે.

ડેન્જર હાલત છે તોય અમદાવાદમાં મનફાવે ત્યાં બિન્દાસ્ત જઈ-આવી શકાય છે. કોઈ ગંભીરતા પણ જણાતી નથી. અહિયાં લોકો કોરોનાને હળવાશમાં લેતા હોય એવું લાગે છે. સરકારી અધિકારીઓ હવે સરકારી ઢબે કામ કરી રહ્યા છે. કમિશનર બદલીને અને દોષ બીજા ઉપર નાખીને નેતાઓ-અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છુટી જવાના બહાના શોધી રહ્યા છે.

રોગચાળાને કાબૂમાં રાખવા માટે શહેરના મેયર અને રાજ્યના મુખ્યમંત્રી તો સખત કાચા પુરવાર થયા છે. આંકડાની રમત કરીને અને પોતાના વખાણ કરીને હકીકત દબાવી રહ્યા હોય તેવું લાગે છે. સાચી વાત કોઇ કોઇને કહેતું નથી. સરકારે તો હાથ ઉંચા કરી લીધા હોય એવી હાલત છે. અમદાવાદને વુહાન બનતા કોણ અટકાવશે?

વળી આજકાલ તો મેસેજ પણ ફરવા લાગ્યા છે કે કોરોનાથી ડરવાની કોઈ જરૂર નથી! એ વાત સાચી છે કે લોકોને કાયમી ઘરમાં પુરી ન રખાય અને કામકાજ વગર હવે છુટકો નથી; પણ અમદાવાદમાં સ્થિતિ હવે ઘણી નાજુક બની ગઈ છે. અહીયાં તો નાછુટકે કડક શિસ્ત જાળવવી પડે એમ છે.

જ્યાં કોઈ કેસ નથી અથવા તો બે પાંચ કેસ છે ત્યાં લોકડાઉનમાં છૂટ આપવામાં આવે એ સમજાય પણ અમદાવાદમાં લોકડાઉન ખોલીને બધાને આમથી તેમ થવા દેવાનો નિર્ણય મને વિચિત્ર લાગે છે. શહેરમાં લોકડાઉનમાં છૂટ આપ્યા પછીની સ્થિતિની સમીક્ષા કરવી પણ ઘણી જરૂરી છે.

લોકો સોશીયલ મિડીયા પર ફરિયાદ કરી રહ્યા છે કે કોરોના હેલ્પલાઇન ૧૦૪ પર કોઈ જવાબ મળતો નથી. બીમારીના લક્ષણ હોવાની જાણ કરવા છતાંયે કોઈ ટેસ્ટ કરવા પણ આવતું નથી અને એમ્બ્યુલન્સ પણ સમયસર પહોંચતી નથી. મેં જાતે પુરી ખાતરી તો નથી કરી પણ આ વાતોમાં સચ્ચાઈ હોઇ શકે છે.

ત્રણ દિવસ પહેલાં મેડમ અને છોકરાંઓને મુકવા સાસરે જઈ આવ્યો. તે સિવાય અન્ય કામસર બીજા બે ગામમાં પણ જવાનું થયું. જ્યાં જઈએ ત્યાં બધે ગાડી ઉપર લાગેલી નંબર-પ્લેટ જોઈને સ્થાનિક લોકો ભડકે છે!

ભરૂચમાં રહેણાંક સોસાયટીઓએ નિયમ બનાવ્યો છે કે અમદાવાદ-સુરતમાંથી કોઈને સોસાયટીમાં પ્રવેશ ન આપવો અને જો કોઈ ત્યાંથી આવે તો જેના ઘરે આવ્યા હોય એ બધાએ ૧૪ દિવસ ફરજિયાત કવોરનટાઇનમાં રહેવું.

ચીખલી પાસે બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં તો GJ 01 ની ગાડી જોઈને ગામમાં એન્ટ્રી જ ના આપી. એન્ટ્રી ન આપવા બદલ કોઈ ફરિયાદ નથી પરંતુ મને વિચાર એ આવે છે કે ત્યાં આટલી બધી કાળજી લેવાય છે અને કોરોના-જ્વાળામુખી બનેલાં અમદાવાદમાં કોઈ જ રોકટોક નથી.

આ વિષયથી દુર રહેવાનો ઘણો પ્રયત્ન કરું છું છતાંયે વાસ્તવિકતાને કેટલો સમય ટાળી શકાય. દુઃખ થાય છે એ જોઈને કે હવે આ શહેરથી બહાર જતાં દરેક અમદાવાદીને કોરોના-આતંકવાદી તરીકે દેખવામાં આવે છે. હું અહીયાં આવી અપડેટ્સની નોંધ કરીશ એવું તો ક્યારેય ન’તું વિચાર્યું.

🙁

Apr’20 : અપડેટ્સ

કેટલાય દિવસથી વિચારું છું, છેવટે હા-ના કરતાં-કરતાં આજે મારો મુળ વિષય હાથમાં લીધો છે. આ વિશે ગમે ત્યારે લખી શકાય એમ હોવા છતાં આટલાં દિવસોની નવરાશમાં પણ આ મુદ્દો ખોવાઇ ગયો હતો! (હા, આળસમાંથી નવરાશ મળે તો ને..)

છેલ્લે 7 માર્ચ પછી હવે ઘણાં દિવસ પછી મારી પોતાની અપડેટ્સ લખાઈ રહી છે, એટલે જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ વધવાની શરૂઆત કરું જેથી અપડેટ્સની કડી જોડાયેલી રહે. (ડીયર બગી, પોતે લખેલું પોતે જ વાંચવું છે, તો કોના માટે આ કડી જોડવી છે તારે? 🤔)

લોકડાઉન યુગ શરૂ થયો તેનાથી થોડાં જ સમય પહેલાની આ વાત છે. આ એ જમાનો છે જ્યારે બધા મુક્ત રીતે હરતાં-ફરતાં હતા અને કોરોના માત્ર સમાચારોમાં જ દેખાતો હતો. માસ્ક માત્ર ડોક્ટર્સ પહેરતા હતા અને રોડ-શહેર ટ્રાફિક અને ઘોંઘાટથી ગાજતા હતા. (ટુંકમાં, બધું સામાન્ય હતું.)

સાઇડટ્રેકઃ કોઇવાર ક્રિકેટમાં કે બીજી કોઈ રમતમાં દરેક સાથે એકવાર તો થયું જ હશે કે તમારે દાવ લેવાનો વારો આવે ત્યારે જ કંઈક એવું બને કે તમારે ક-મને પણ પરિસ્થિતિ સ્વીકારી લેવી પડે અને તમારો વારો-રમતની મજા જતી કરવી પડે. “જેઓની સાથે આવું ક્યારેય ન બન્યું હોય તેમના જીવન ઉત્તેજના વિનાના શુષ્ક હશે.” -એવું બાબા બગીચાનંદ કહે છે. (અમારા બાબા જ સત્ય છે, બીજું બધું મિથ્યા છે! 😎)

સમયની ચાલ નિરાળી છે, જ્યારે 15 દિવસ બિમારીના લીધે ઘર-હોસ્પિટલમાં વિતાવ્યા પછી હું એવું અનુભવી રહ્યો હતો કે હવે ફરી મારો વારો આવ્યો છે દુનિયામાં બંધન-મુક્ત વિહરવાનો; ત્યારે જ કોરોના વાઇરસ નવી મુસીબત તરીકે મારા અરમાનોની પથારી ફેરવી નાખે છે. (કોઇને મારી આઝાદી સાથે અંગત-અદાવત હોય અને તેણે મને રોકવા માટે કોરોના ફેલાવ્યો હોવાની શંકા કરી શકાય? #કુછ_ભી)

ઉપરની બધી વાત પ્રસ્તાવના હતી, તેમાં અપડેટ એટલી જ છે કે 15 દિવસ પછી તબિયતમાં સુધારો જણાતા બે દિવસમાં કુલ ચાર કલાક માટે જ ઓફિસ ગયો હોઇશ અને મોદી સાહેબે દેશવાસીઓને જનતા-કર્ફ્યુ માટે વિનંતી કરી. બધાએ સ્વીકારી, પણ જનતા કર્ફ્યુનો દિવસ પુરો થાય એ પહેલાં તો ગુજરાત સરકારે લોકડાઉનની જાહેરાત કરી દીધી. (મૈ ઘર મેં થા, ઘર મેં હી રેહ ગયા.. મેરા જીવન કોરા કાગજ…. 😭)

અમદાવાદમાં લોકડાઉનને આજે લગભગ 40 દિવસ થયા છે. હું ઘરમાં જ છું. મારા ડોક્ટરના મતે રોગ-પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી મને કોરોનાનો ચેપ લાગે તો રીકવર થવાની સંભાવના ઓછી છે. બે-ચાર વાર શાક-પાંદડા અને દવા-દારુ માટે દુકાન સુધી ગયો હોઇશ પણ એ સિવાય ઘરથી બહાર નીકળ્યો નથી. (દવા-દારુ એક જ શબ્દ છે; તો-પણ, શોખીન સજ્જનો શબ્દના અડધા ભાગ ઉપર નજર અટકાવી રાખશે.)

વર્તમાન કે ભવિષ્યનો કોઇ વિચાર કર્યા વગર કામકાજ અને નિયમિત લાઇફથી દુર કેટલાક દિવસ હું માત્ર મારી સાથે રહી શકું એવો સમય મેળવવાની ઘણી જુની ઇચ્છા હતી; પણ કોરોના વાઇરસના લીધે ખરેખર એવા દિવસો દેખ્યા ત્યારે શરુઆતમાં થોડું અઘરું થઇ ગયું. અહી 26 માર્ચની એક પોસ્ટ તે જ અઘરી સ્થિતિ દર્શાવતી હતી. બિમારીના લીધે એમપણ હું 15 દિવસથી ઘરમાં પુરાયેલો હતો અને પછી થયું લોકડાઉન…

ખૈર, લોકડાઉન થયા પછીના બે-પાંચ દિવસ નિયમિત સમાચાર જોવામાં, સોસીયલ મીડીયામાં, બાકી રહી ગઇ હોય એવી મુવી-સીરીઝ જોવામાં, કામ વગર ઘરે પુરાઇ રહેવાની વાતોમાં નિકળ્યા. પછીના દસ-પંદર દિવસ સમાચારોથી અંતર જાળવવામાં અને ભારે વિષયોની મુવી-સીરીઝ ટાળવામાં ગુજર્યા. વિચિત્ર વિચારો, ગભરાટ, ઉચાટ અને થોડા સમયના ડિપ્રેશન બાદ હવે એ માનસિક અવસ્થામાં છું જેમાં વિચારો સ્થિર છે અને એકંદરે મન શાંત છે. (મારા માટે આ સ્થિતિ જાળવી રાખવી જરુરી છે.)

હવે માત્ર હળવી અને મોટેભાગે એનીમેશન મુવી, કોમેડી સિરિઝ જોવાનું રાખુ છું. અમદાવાદ-ગુજરાતના જરુરી ન્યુઝ સિવાય કોઇ જ જાણકારી રાખવી નથી. દિવસનો મોટા ભાગનો સમય નાયરા સાથે રમવામાં વિતે છે અને બાકીનો સમય ઉંઘવામાં, ખાવા-પીવા-નાહવામાં, મહાભારત-રામાયણમાં વિતે છે. (બસ, લાઇફ યુ હી કટ રહી હૈ..)

નાયરાની વાતથી યાદ આવ્યું આ આખી અપડેટમાં હજુ સુધી વ્રજનો કોઇ ઉલ્લેખ નથી થયો. નાયરાના જન્મદિવસની વાતોમાં પણ તે ક્યાંય ન’તો. કેમ? તેની અલગ ઘટના છે. એક લોકડાઉન-સ્ટોરી છે. સિરીયસ કંઇ નથી, પણ તે વિશે નવી પોસ્ટમાં નોંધ કરીશ કેમ કે આ પોસ્ટ ઘણી લાંબી થઇ ગઇ છે તો અહીયા પુરી કરું. (વળી આજે તો કંટાળાજનક વાતો જ લખી છે.)

અચ્છા, બે દિવસ પહેલાં બગીચાનો ટાઇટલ લોગો અપડેટ કર્યો છે. નોટીસ કીયા ક્યા? (મૈને બનાયા હૈ બાઉજી, મૈને! #પ્રફુલપારેખ)

😊

છળ કે વાસ્તવિક્તા?

આ કોઇ છળ કે સપનું નથી ને? વાસ્તવિક્તા આટલી ભયાનક ન હોઇ શકે!? આવું બધું ફિક્શન-મુવી કે વાર્તાઓમાં જ બની શકે યાર..

છેલ્લા બે-ત્રણ દિવસથી સો વાર પોતાની જાતને ખાતરી કરાવી ચુક્યો છું કે હું પુરેપુરો સભાન-અવસ્થામાં છું અને જે બની રહ્યું છે તે બધું સાચે જ થઇ રહ્યું છે!.. દરેક ઉંઘ પછી ઉઠીને હું પોતાને ડબલ-ચેક કરું છું; છતાંયે હજુ મન સ્વીકારવા તૈયાર નથી.

દરેક સાથે બન્યું હશે કે ઉંઘમાં કોઇ સપનામાં એવા ખોવાઇ જઇએ કે તે ક્ષણે ઘટતી વિચિત્ર અવાસ્તવિક ઘટનાઓને જ સાચી માની લઇએ અને આપણે પોતાને ત્યાં સાચે હોવાનો ભ્રમ થઇ આવે. આંખો ખુલે ત્યારે અહેસાસ થાય કે તે માત્ર એક સપનું જ હતું.

મારી સાથે આવું અનેકવાર બની ચુક્યું છે. બિમારીના સમયમાં મને ખરાબ સપના નિયમિત આવતા હોય છે જેમાં એવું-એવું બન્યું હોય છે કે જે વિશે ફરી વિચારતા કંપારી છુટી જાય. હા, મોટાભાગે ભુલાઇ જાય પણ કોઇ-કોઇ સપનાઓ યાદ પણ રહી જાય.

અંદરથી હજુયે ક્યાંક એમ થયા રાખે છે કે મારી ઉંઘ પુરી થશે પછી અથવાતો ગભરાટની એક હદ પછી હું જાગી જઇશ અને આખી દુનિયા જેવી હતી એવી જ ફરી મળી જશે! છેવટે કોરોનાનો ભય એક ખરાબ સ્વપ્ન બનીને રહી જશે. કાશ….

જો આ જ હકિકત હોય તો ખરેખર ભયાનક સમય હવે આવવાનો છે. મારી જનરેશનમાં કોઇએ આવી વૈશ્વિક કુદરતી આફત કે વિશ્વયુધ્ધકાળ નથી દેખ્યો. હાલ તો ઘરમાં જ રહેવું પડે એમ છે. એમપણ સલામત રહેવાનો આ એકમાત્ર ઉપાય છે.


સાઇડટ્રેક: માત્ર વાસ્તવિક્તામાં માનતો હોવા છતાં મને ક્યારેક એવું લાગતું હોય છે કે મારી સામે હકિકતમાં બની રહેલી ઘટના ઘણાં સમય પહેલાં મારા કોઇ સપનામાં બની ચુકી છે.