Apr’20 : અપડેટ્સ

કેટલાય દિવસથી વિચારું છું, છેવટે હા-ના કરતાં-કરતાં આજે મારો મુળ વિષય હાથમાં લીધો છે. આ વિશે ગમે ત્યારે લખી શકાય એમ હોવા છતાં આટલાં દિવસોની નવરાશમાં પણ આ મુદ્દો ખોવાઇ ગયો હતો! (હા, આળસમાંથી નવરાશ મળે તો ને..)

છેલ્લે 7 માર્ચ પછી હવે ઘણાં દિવસ પછી મારી પોતાની અપડેટ્સ લખાઈ રહી છે, એટલે જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ વધવાની શરૂઆત કરું જેથી અપડેટ્સની કડી જોડાયેલી રહે. (ડીયર બગી, પોતે લખેલું પોતે જ વાંચવું છે, તો કોના માટે આ કડી જોડવી છે તારે? 🤔)

લોકડાઉન યુગ શરૂ થયો તેનાથી થોડાં જ સમય પહેલાની આ વાત છે. આ એ જમાનો છે જ્યારે બધા મુક્ત રીતે હરતાં-ફરતાં હતા અને કોરોના માત્ર સમાચારોમાં જ દેખાતો હતો. માસ્ક માત્ર ડોક્ટર્સ પહેરતા હતા અને રોડ-શહેર ટ્રાફિક અને ઘોંઘાટથી ગાજતા હતા. (ટુંકમાં, બધું સામાન્ય હતું.)

સાઇડટ્રેકઃ કોઇવાર ક્રિકેટમાં કે બીજી કોઈ રમતમાં દરેક સાથે એકવાર તો થયું જ હશે કે તમારે દાવ લેવાનો વારો આવે ત્યારે જ કંઈક એવું બને કે તમારે ક-મને પણ પરિસ્થિતિ સ્વીકારી લેવી પડે અને તમારો વારો-રમતની મજા જતી કરવી પડે. “જેઓની સાથે આવું ક્યારેય ન બન્યું હોય તેમના જીવન ઉત્તેજના વિનાના શુષ્ક હશે.” -એવું બાબા બગીચાનંદ કહે છે. (અમારા બાબા જ સત્ય છે, બીજું બધું મિથ્યા છે! 😎)

સમયની ચાલ નિરાળી છે, જ્યારે 15 દિવસ બિમારીના લીધે ઘર-હોસ્પિટલમાં વિતાવ્યા પછી હું એવું અનુભવી રહ્યો હતો કે હવે ફરી મારો વારો આવ્યો છે દુનિયામાં બંધન-મુક્ત વિહરવાનો; ત્યારે જ કોરોના વાઇરસ નવી મુસીબત તરીકે મારા અરમાનોની પથારી ફેરવી નાખે છે. (કોઇને મારી આઝાદી સાથે અંગત-અદાવત હોય અને તેણે મને રોકવા માટે કોરોના ફેલાવ્યો હોવાની શંકા કરી શકાય? #કુછ_ભી)

ઉપરની બધી વાત પ્રસ્તાવના હતી, તેમાં અપડેટ એટલી જ છે કે 15 દિવસ પછી તબિયતમાં સુધારો જણાતા બે દિવસમાં કુલ ચાર કલાક માટે જ ઓફિસ ગયો હોઇશ અને મોદી સાહેબે દેશવાસીઓને જનતા-કર્ફ્યુ માટે વિનંતી કરી. બધાએ સ્વીકારી, પણ જનતા કર્ફ્યુનો દિવસ પુરો થાય એ પહેલાં તો ગુજરાત સરકારે લોકડાઉનની જાહેરાત કરી દીધી. (મૈ ઘર મેં થા, ઘર મેં હી રેહ ગયા.. મેરા જીવન કોરા કાગજ…. 😭)

અમદાવાદમાં લોકડાઉનને આજે લગભગ 40 દિવસ થયા છે. હું ઘરમાં જ છું. મારા ડોક્ટરના મતે રોગ-પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી મને કોરોનાનો ચેપ લાગે તો રીકવર થવાની સંભાવના ઓછી છે. બે-ચાર વાર શાક-પાંદડા અને દવા-દારુ માટે દુકાન સુધી ગયો હોઇશ પણ એ સિવાય ઘરથી બહાર નીકળ્યો નથી. (દવા-દારુ એક જ શબ્દ છે; તો-પણ, શોખીન સજ્જનો શબ્દના અડધા ભાગ ઉપર નજર અટકાવી રાખશે.)

વર્તમાન કે ભવિષ્યનો કોઇ વિચાર કર્યા વગર કામકાજ અને નિયમિત લાઇફથી દુર કેટલાક દિવસ હું માત્ર મારી સાથે રહી શકું એવો સમય મેળવવાની ઘણી જુની ઇચ્છા હતી; પણ કોરોના વાઇરસના લીધે ખરેખર એવા દિવસો દેખ્યા ત્યારે શરુઆતમાં થોડું અઘરું થઇ ગયું. અહી 26 માર્ચની એક પોસ્ટ તે જ અઘરી સ્થિતિ દર્શાવતી હતી. બિમારીના લીધે એમપણ હું 15 દિવસથી ઘરમાં પુરાયેલો હતો અને પછી થયું લોકડાઉન…

ખૈર, લોકડાઉન થયા પછીના બે-પાંચ દિવસ નિયમિત સમાચાર જોવામાં, સોસીયલ મીડીયામાં, બાકી રહી ગઇ હોય એવી મુવી-સીરીઝ જોવામાં, કામ વગર ઘરે પુરાઇ રહેવાની વાતોમાં નિકળ્યા. પછીના દસ-પંદર દિવસ સમાચારોથી અંતર જાળવવામાં અને ભારે વિષયોની મુવી-સીરીઝ ટાળવામાં ગુજર્યા. વિચિત્ર વિચારો, ગભરાટ, ઉચાટ અને થોડા સમયના ડિપ્રેશન બાદ હવે એ માનસિક અવસ્થામાં છું જેમાં વિચારો સ્થિર છે અને એકંદરે મન શાંત છે. (મારા માટે આ સ્થિતિ જાળવી રાખવી જરુરી છે.)

હવે માત્ર હળવી અને મોટેભાગે એનીમેશન મુવી, કોમેડી સિરિઝ જોવાનું રાખુ છું. અમદાવાદ-ગુજરાતના જરુરી ન્યુઝ સિવાય કોઇ જ જાણકારી રાખવી નથી. દિવસનો મોટા ભાગનો સમય નાયરા સાથે રમવામાં વિતે છે અને બાકીનો સમય ઉંઘવામાં, ખાવા-પીવા-નાહવામાં, મહાભારત-રામાયણમાં વિતે છે. (બસ, લાઇફ યુ હી કટ રહી હૈ..)

નાયરાની વાતથી યાદ આવ્યું આ આખી અપડેટમાં હજુ સુધી વ્રજનો કોઇ ઉલ્લેખ નથી થયો. નાયરાના જન્મદિવસની વાતોમાં પણ તે ક્યાંય ન’તો. કેમ? તેની અલગ ઘટના છે. એક લોકડાઉન-સ્ટોરી છે. સિરીયસ કંઇ નથી, પણ તે વિશે નવી પોસ્ટમાં નોંધ કરીશ કેમ કે આ પોસ્ટ ઘણી લાંબી થઇ ગઇ છે તો અહીયા પુરી કરું. (વળી આજે તો કંટાળાજનક વાતો જ લખી છે.)

અચ્છા, બે દિવસ પહેલાં બગીચાનો ટાઇટલ લોગો અપડેટ કર્યો છે. નોટીસ કીયા ક્યા? (મૈને બનાયા હૈ બાઉજી, મૈને! #પ્રફુલપારેખ)

😊

6 thoughts on “Apr’20 : અપડેટ્સ

  1. સરસ લોગો… મારે પણ સમર્થ (4 વર્ષ) ના લીધે અનિમેશન મૂવી જ જોવા નું ચાલે છે મોટા ભાગે. અમારે લોકડાઉન ના 60 દિવસ થઈ ગયા અને હજુ 60 ની તૈયારી રાખી છે. તમે પણ અડગ રહો… બગીચા માં બહાર આવશે, બગીચા પણ બહાર આવશે…

    1. વાહ.. તમારી તૈયારીએ નવી હિંમત આપી. મને કુલ 55 દિવસ થયા કહેવાય; પણ આગળના 15 દિવસની બિમારીએ જે માનસિક અસ્વસ્થતા આપી હતી તેમાંથી બહાર આવવા માટે સમય ન મળ્યો અને કદાચ એટલે જ ક્યારેક મન કમજોર પડી જાય છે. મને ખબર છે કે મારી સાથે શું થઇ રહ્યું છે, તો પણ ક્યારેક ખોટા વિચારોમાં ફસાઇ જવાય છે.

      સૌના બચીચામાં બહાર આવે અને ફરી સામાન્ય દુનિયા જલ્દી મળે એવી આશા, કેમ કે આ બગીચાનો માળી હવે બહાર જવા તડપે છે..

બોલો, શું કહેવું છે તમારે...