છળ કે વાસ્તવિક્તા?

આ કોઇ છળ કે સપનું નથી ને? વાસ્તવિક્તા આટલી ભયાનક ન હોઇ શકે!? આવું બધું ફિક્શન-મુવી કે વાર્તાઓમાં જ બની શકે યાર..

છેલ્લા બે-ત્રણ દિવસથી સો વાર પોતાની જાતને ખાતરી કરાવી ચુક્યો છું કે હું પુરેપુરો સભાન-અવસ્થામાં છું અને જે બની રહ્યું છે તે બધું સાચે જ થઇ રહ્યું છે!.. દરેક ઉંઘ પછી ઉઠીને હું પોતાને ડબલ-ચેક કરું છું; છતાંયે હજુ મન સ્વીકારવા તૈયાર નથી.

દરેક સાથે બન્યું હશે કે ઉંઘમાં કોઇ સપનામાં એવા ખોવાઇ જઇએ કે તે ક્ષણે ઘટતી વિચિત્ર અવાસ્તવિક ઘટનાઓને જ સાચી માની લઇએ અને આપણે પોતાને ત્યાં સાચે હોવાનો ભ્રમ થઇ આવે. આંખો ખુલે ત્યારે અહેસાસ થાય કે તે માત્ર એક સપનું જ હતું.

મારી સાથે આવું અનેકવાર બની ચુક્યું છે. બિમારીના સમયમાં મને ખરાબ સપના નિયમિત આવતા હોય છે જેમાં એવું-એવું બન્યું હોય છે કે જે વિશે ફરી વિચારતા કંપારી છુટી જાય. હા, મોટાભાગે ભુલાઇ જાય પણ કોઇ-કોઇ સપનાઓ યાદ પણ રહી જાય.

અંદરથી હજુયે ક્યાંક એમ થયા રાખે છે કે મારી ઉંઘ પુરી થશે પછી અથવાતો ગભરાટની એક હદ પછી હું જાગી જઇશ અને આખી દુનિયા જેવી હતી એવી જ ફરી મળી જશે! છેવટે કોરોનાનો ભય એક ખરાબ સ્વપ્ન બનીને રહી જશે. કાશ….

જો આ જ હકિકત હોય તો ખરેખર ભયાનક સમય હવે આવવાનો છે. મારી જનરેશનમાં કોઇએ આવી વૈશ્વિક કુદરતી આફત કે વિશ્વયુધ્ધકાળ નથી દેખ્યો. હાલ તો ઘરમાં જ રહેવું પડે એમ છે. એમપણ સલામત રહેવાનો આ એકમાત્ર ઉપાય છે.


સાઇડટ્રેક: માત્ર વાસ્તવિક્તામાં માનતો હોવા છતાં મને ક્યારેક એવું લાગતું હોય છે કે મારી સામે હકિકતમાં બની રહેલી ઘટના ઘણાં સમય પહેલાં મારા કોઇ સપનામાં બની ચુકી છે.

કોરોના અપડેટ્સ – 2

અગાઉ જ્યારે અહી આ વિષયે નોંધ લેવાઇ ત્યારે ગુજરાતમાં કોઇ કેસ નોંધાયા ન હતા, પણ આજે પરિસ્થિતિ બદલાઇ ચુકી છે. અત્યાર સુધી મળેલ જાણકારી મુજબ અમદાવાદમાં ત્રણ, વડોદરામાં બે, સુરત અને રાજકોટમાં એક-એક એમ કુલ-7 પોઝીટીવ કેસ નોંધાઇ ચુક્યા છે. અને ભારતભરમાં નોંધાયેલ કુલ covid-19 કોરોના વાઇરસથી પોઝીટીવ કેસની સંખ્યા 200 ને પાર કરી ચુકી છે.

અમદાવાદમાં હજુયે લોકો મુક્તરીતે હરીફરી રહ્યા છે. એટલા નોર્મલ રીતે કે જાણે તેમને કોઇ જ ખતરો જ નથી જણાતો. કોણ ક્યારે ક્યાં શિકાર બનશે તે કળી શકાય એમ નથી. ઘણાં આગોતરા પગલાંઓને લીધે ભારતમાં આ વાઇરસ હજુ ઇટાલી, ઇરાન અને અમેરિકાની જેમ કોમ્યુનીટી-સ્પ્રેડ નથી થયો એટલું સારું છે પણ હજુયે કંઇ કહેવાય એમ નથી. તેનો ઉપકાર માનીને પણ થોડા દિવસ ઘરમાં પુરાઇ રહીએ તો સારું.

અત્યાર સુધી નોંધાયેલ દરેક કેસમાં મુખ્યત્વે વિદેશથી આવેલ વ્યક્તિઓ છે, પણ હવે થોડું ચેલેંજ જેવું લાગી રહ્યું છે. સામુહિક પ્રયત્નો કરવા જ પડશે. ગઇકાલે પ્રધાનમંત્રીના પ્રજાજોગ સંબોધનમાં એક દિવસનો ‘જનતા કર્ફ્યુ‘ નો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે તે ડ્રીલ સમાન લાગી રહ્યો છે.

આપણે રોતલ-નાગરિક બનીને ફરિયાદ પણ ન કરી શકીએ એટલી સરકાર એકટીવ છે! પરંતુ દરેક લોકોના સામુહિક સહયોગ વગર બધું જ બેકાર છે. જો એકવાર વાઇરસ લોકોમાં ફેલાવા લાગ્યો તો ખરેખર બહુજ ખરાબ દિવસો જોવા પડે એમ છે.

આગળની વાત નોંધતી વખતે લાગ્યું હતું કે જરુર કરતાં વધારે ભય બતાવાઇ રહ્યો છે પણ દુનિયાભરથી આવતા આંકડાઓ જોઇને હવે ચોક્કસ લાગે છે કે ડરવા માટે પુરતા કારણો છે.

અત્યાર સુધી ચીનમાં 80,967 પોઝિટીવ કેસ સામે 3,248 લોકોના મૃત્યુના આંકડાઓ જાહેર કર્યા છે, પણ ચીન બહાર નોંધાયેલ પોઝિટીવ કેસ અને મૃત્યુની સ્થિતિ જોઇને લાગે છે કે ચીને દુનિયાથી ઘણું છુપાવ્યું છે.

ખૈર, દુનિયાનું તો પછી જોવાશે જો આપણે સલામત રહીશું. અત્યારે સંપુર્ણ રીતે સ્વાર્થી બનવાનો સમય આવી ગયો છે. પોતાના દેશ અને રાજ્ય માટે, પોતાના શહેર અને વિસ્તાર માટે, ઘર અને પરિવાર માટે, ખાસ તો પોતાની જાત માટે સ્વાર્થી બનીને બને ત્યાં સુધી એકબીજાથી સીધો સંપર્ક ટાળવાનો આ સમય છે.

અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન સખત એલર્ટ છે. મ્યુનીસીપલ કમીશનર શ્રી વિજય નેહરા દ્વારા આજે નીચેની જાહેરાત કરવામાં આવી છે જેને ખાસ ધ્યાનમાં લેવા જેવી છે.

public advisory by ahmedabad municipal corporation

કોરોના વાઇરસની અસર દેખાતા બે થી પંદર દિવસ સુધીનો સમય હોય છે. એટલે તેનો અસરગ્રસ્ત વ્યક્તિ ત્યાં સુધી પબ્લીકમાં રહીને કેટલાય લોકોને ચેપ લગાડી શકે છે અને ચેપ લાગનાર વ્યક્તિને થોડા દિવસો બાદ તેની ખબર પડે એટલે ત્યાં સુધી તે બીજા કેટલાય સુધી આ વાઇરસ ફેલાઈ શકે છે. આ બિમારીને મહામારી બનતાં જરાય વાર લાગે એમ નથી અને અત્યારે તમારાથી તે એક વેંત જેટલી દુર છે. જરા સી ચુક ઔર હો ચુકા કલ્યાણ!

જો સ્થિતિ કાબુ બહાર નીકળે તો કેવી હાલત થઇ શકે તે જાણવું હોય તો બ્લોગર શ્રી હર્ષ ગાંધી એક દુઃસ્વપ્ન બતાવે છે કે;

Corona ની સામે સાવચેતી ન ભરી એટલે રોગચાળો વકર્યો છે. India માં રોજ ના 5000 નવા case આવે છે. Hospital એ 60 years થી ઉપરના લોકોનો ઈલાજ કરવાનો બંધ કર્યો છે. જેટલા જવાન લોકો બચે છે એટલા ને બચાવા પ્રયત્ન ચાલુ છે. Doctors મૂંઝાઈ જાય છે. કેટલા ને સાચવવાના. એક વાત છે કે દર્દી ના સગા સંબંધી ઓ માથાકૂટમાં નથી પડતાં. કેમકે ‌તેઓ પોતે દર્દી બનીને બેઠા છે. આખી Health care system ચૂસાઈ જાય છે. ફરજિયાત બધી industry બંધ કરવી પડે છે. રોડ સૂમસામ છે. લોકો બહાર નીકળી નથી શકતા. એમના કોઈ પણ સંબંધી ને મળવા નથી જઈ શકતા. શાકભાજી અને દવાઓ નથી આવતી. કેમકે બધું બંધ છે. Communication industry પણ ધીમે ધીમે બંધ થાય છે. લોકોનું Internet નથી ચાલતું. કેમકે ત્યાં કામ કરતા લોકો નું schedule ખોરવાઈ ગયું છે. લાખો લોકો ને hospital મા સાચવતા ધીમે ધીમે Doctors નો જોશ ઉતરી જાય છે.

મુળપોસ્ટ : https://anviksiki.blog


થોડા દિવસ માત્ર અગત્યના કામ સિવાય બહાર નહી નીકળવાથી કોઇ આભ નથી તુટી પડવાનું. અને ‘રોજ કમાઇને ખાનારા લોકો શું કરશે’ અને ‘પૈસા વગરના ગરીબોનું શું થશે’ -એવા સુફિયાણા સવાલોને કરતાં પહેલાં પોતે ઘરમાં બેસો એ બહુજ જરુરી રહેશે. વહિવટ કરનારને તે પણ નજરમાં આવશે એવી આશા રાખીએ, કેમ કે તમે પોતે બીજું કંઇ જ કરી શકવાની સ્થિતિમાં નથી. હાલ તો જનતા કર્ફ્યુને સફળ બનાવીએ અને આ એક દિવસનો કર્ફ્યુ આપણને ભવિષ્યમાં જરુર પડે તો સંપુર્ણ લોકડાઉન માટે પણ તૈયાર કરશે.

Continue reading “કોરોના અપડેટ્સ – 2”

કોરોના અપડેટ્સ

મુળ ચીનના વુહાન શહેરથી શરૂ થયેલ કોરોના વાઇરસ [COVID-19] હવે આખી દુનિયામાં ફેલાઇ ચુક્યો છે. માંસાહારની વિચિત્ર આદતોને લીધે મનુષ્યોમાં ફેલાયેલો આ રોગ હજુ સુધી અસાધ્ય છે. શરૂઆતમાં શરદી-ખાંસીના સામાન્ય લક્ષણો ધરાવતી આ ચેપી જીવલેણ બિમારીનો સીધો ઇલાજ ન હોવાને લીધે તેને વધુ ગંભીર ગણવામાં આવે છે.

વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતો આ વાઇરસ હવે આખી દુનિયામાં ફેલાઇ ચુક્યો છે. શરીરમાં ફેલાયેલા આ વાઇરસ ચેપગ્રસ્ત વ્યક્તિને ઝડપથી મૃત્યુ તરફ ખેંચી જતો હોવાને લીધે સમગ્ર દુનિયાની સરકારો તે માટે ચિંતિત છે. સૌથી વધુ કેસ ચીન બાદ ઇટાલી અને ઇરાનમાં નોધાયા છે. છેલ્લા આંકડા મુજબ દુનિયાભરમાં કુલ 1,67,000 લોકો તેની અસર હેઠળ આવ્યા છે, જેમાંથી અંદાજીત 6,000 થી વધુ લોકોની મૃત્યુ થઇ ચુકી છે અને 70,000 થી વધુ લોકોને સારવાર બાદ જીવલેણ કોરોના-વાઇરસ-મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

corona virus country wise

દુનિયાના દરેક દેશ પોતપોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે. વિશ્વભરમાં મોટા-મોટા સમારંભ, ઇવેન્ટ્સ, પ્રદર્શન અને રમત-સ્પર્ધાઓના કાર્યક્રમ ટાળી દેવામાં આવ્યા છે. સામાન્ય આંતરરાષ્ટ્રીય ઉડાન રદ કરી દેવાઇ છે અને વિઝિટર-વિઝા પણ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. દરેક સરકાર પોતાની સરહદમાં પ્રવેશતા લોકો પર સખત નજર રાખી રહી છે.

ભારતમાં આપણને બધાને નવાઇ લાગે એટલી હદે કેંદ્ર અને રાજ્ય સરકારો મહામારીને રોકવા માટે આયોજન કરી રહી છે! આવી પરિસ્થિતિમાં નાગરિકોના જીવ બચાવવાને પ્રાથમિકતા આપવા બદલ દરેક અભિનંદનને પાત્ર છે.

દરેક વિમાન મથક પર આવતા લોકોનું સ્ક્રીનીંગ ફરજીયાત છે. દરેક કેસને ઝીણવટથી ચકાસવમાં આવી રહ્યા છે. શંકાસ્પદ કેસમાં પણ સરકાર રિસ્ક લેવાના મુડમાં નથી જણાતી. સંભાવનાઓને આધારે દરેક રાજ્યોએ વિશેષ તૈયારીઓ કરી રાખી છે ઉપરાંત ઝડપી નિદાન-સારવાર માટેની ટીમ અને હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

આ નોંધી રહ્યો છું ત્યાં સુધી આખા દેશમાં કુલ કોરોના વાઇરસ(COVID-19)થી સંક્રમિત એવા 107 પોઝીટીવ કેસ નોંધાયા છે; જેમાં કેરળ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. હવે ત્યાં આ ચેપ વધુ ન ફેલાય તે માટે પગલાં લેવા આવશ્યક હોઇ શકે છે.

ગુજરાતમાં કોઇ જગ્યાએ શંકાસ્પદ કેસ નોંધાયા હોવાના ન્યુઝ છે પણ આજસુધી કોઇ કન્ફર્મ કેસ નોંધાયો ન હોવા છતાંયે મહામારી ફેલાઇ હોય એમ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આજના સમાચાર મુજબ સમગ્ર ગુજરાતમાં સ્કુલ-કોલેજ, મોલ-સિનેમાને થોડા દિવસો માટે બંધ કરવાનો અને દરેક મેળાવડા કે સેમીનાર-કાર્યક્રમને ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કંપનીઓ પણ ‘વર્ક-ફ્રોમ-હોમ‘ ફોર્મુલા અપનાવી રહી છે. જોકે તકલીફ ત્યાં આવશે જ્યાં કારખાનામાં વસ્તુઓનું ઉત્પાદન થતું હોય અને જ્યાં પ્રક્રિયામાં કામદારોની સીધી જ જરુરીયાત રહેતી હોય; ત્યાં લગભગ કારખાનું કે ધંધાકીય એકમને બંધ કરવું પડે એવી સ્થિતિ બનશે.

આર્થિક નુકશાનનો અંદાજ લગાવવો હજુ વહેલો ગણાશે કેમ કે રોગચાળો ફેલાતો અટકાવવો વધુ જરુરી છે. હજુ સુધી દેશમાં નવા કેસ નોંધાતા જવાનો સીલસીલો યથાવત છે એટલે પહેલાં તેમાં રોક લગાવવાને પ્રાથમિકતા અપાય તે પણ યોગ્ય છે.

સૌથી વધુ વ્યસ્ત હોય તો અત્યારે હોસ્પિટલ અને તેના ડોકટર-નર્સીંગ સ્ટાફ છે. તેમની માટે ડબલ-ડ્યુટી નિભાવવાનો ટાઇમ છે અને કોઇ જ ફરિયાદ વગર નિભાવી પણ રહ્યા છે. અગાઉની એક અપડેટ્સમાં ડોક્ટર વિશે કરેલ ટિપ્પણી માટે આજે પરત લઉ છું. એમ તો ત્યારે ટીકા માટે કેટલાક કારણો હતા, પણ અત્યારની પરિસ્થિતિમાં તેઓ અભિનંદન યોગ્ય છે.

દેશ-દુનિયામાં આ સમયમાં ચર્ચાનો આ મુખ્ય વિષય છે. યુધ્ધ-વિગ્રહ ભુલાઇ ગયા છે; ઇશ્વર-અલ્લાહ-ઝીસસ વગેરેના ઠેકેદારો-એજન્ટો અને ભક્તો ઉપરાંત આતંકવાદીઓએ પણ આ વાઇરસ સામે હાર સ્વીકારી લીધી છે. એક ભયાનક બિમારીએ બધાને એક કરી દીધા છે!

ક્યારેક એમ પણ લાગે છે કે કોરોના વાઇરસ મુદ્દે જરુર કરતાં વધુ ભય બતાવવામાં આવી રહ્યો છે. લોકો વધુ પડતા જ સંવેદનશીલ બનીને ડરી રહ્યા છે અને વળી એકબીજામાં વધુ ભય ફેલાવી રહ્યા છે. વાસ્તવિકતા ગંભીર હોઇ પણ શકે છે પરંતુ આસપાસમાં હજુ એટલી ખરાબ પરિસ્થિતિ ઉભી નથી થઇ એવું મને લાગે છે.

ખૈર, પાણી પહેલાં પાળ બાંધવી એ પણ જરુરી પ્રક્રિયા છે અને વળી આ વાઇરસના ચેપથી બચવા માટે કેટલીક સામાન્ય જાણકારી હોવી જ પર્યાપ્ત છે. એટલે ગભરાઇ જવા કરતાં શાંત અને સજાગ રહેવામાં સમજદારી છે.