કોરોના અપડેટ્સ

મુળ ચીનના વુહાન શહેરથી શરૂ થયેલ કોરોના વાઇરસ [COVID-19] હવે આખી દુનિયામાં ફેલાઇ ચુક્યો છે. માંસાહારની વિચિત્ર આદતોને લીધે મનુષ્યોમાં ફેલાયેલો આ રોગ હજુ સુધી અસાધ્ય છે. શરૂઆતમાં શરદી-ખાંસીના સામાન્ય લક્ષણો ધરાવતી આ ચેપી જીવલેણ બિમારીનો સીધો ઇલાજ ન હોવાને લીધે તેને વધુ ગંભીર ગણવામાં આવે છે.

વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતો આ વાઇરસ હવે આખી દુનિયામાં ફેલાઇ ચુક્યો છે. શરીરમાં ફેલાયેલા આ વાઇરસ ચેપગ્રસ્ત વ્યક્તિને ઝડપથી મૃત્યુ તરફ ખેંચી જતો હોવાને લીધે સમગ્ર દુનિયાની સરકારો તે માટે ચિંતિત છે. સૌથી વધુ કેસ ચીન બાદ ઇટાલી અને ઇરાનમાં નોધાયા છે. છેલ્લા આંકડા મુજબ દુનિયાભરમાં કુલ 1,67,000 લોકો તેની અસર હેઠળ આવ્યા છે, જેમાંથી અંદાજીત 6,000 થી વધુ લોકોની મૃત્યુ થઇ ચુકી છે અને 70,000 થી વધુ લોકોને સારવાર બાદ જીવલેણ કોરોના-વાઇરસ-મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

corona virus country wise

દુનિયાના દરેક દેશ પોતપોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે. વિશ્વભરમાં મોટા-મોટા સમારંભ, ઇવેન્ટ્સ, પ્રદર્શન અને રમત-સ્પર્ધાઓના કાર્યક્રમ ટાળી દેવામાં આવ્યા છે. સામાન્ય આંતરરાષ્ટ્રીય ઉડાન રદ કરી દેવાઇ છે અને વિઝિટર-વિઝા પણ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. દરેક સરકાર પોતાની સરહદમાં પ્રવેશતા લોકો પર સખત નજર રાખી રહી છે.

ભારતમાં આપણને બધાને નવાઇ લાગે એટલી હદે કેંદ્ર અને રાજ્ય સરકારો મહામારીને રોકવા માટે આયોજન કરી રહી છે! આવી પરિસ્થિતિમાં નાગરિકોના જીવ બચાવવાને પ્રાથમિકતા આપવા બદલ દરેક અભિનંદનને પાત્ર છે.

દરેક વિમાન મથક પર આવતા લોકોનું સ્ક્રીનીંગ ફરજીયાત છે. દરેક કેસને ઝીણવટથી ચકાસવમાં આવી રહ્યા છે. શંકાસ્પદ કેસમાં પણ સરકાર રિસ્ક લેવાના મુડમાં નથી જણાતી. સંભાવનાઓને આધારે દરેક રાજ્યોએ વિશેષ તૈયારીઓ કરી રાખી છે ઉપરાંત ઝડપી નિદાન-સારવાર માટેની ટીમ અને હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

આ નોંધી રહ્યો છું ત્યાં સુધી આખા દેશમાં કુલ કોરોના વાઇરસ(COVID-19)થી સંક્રમિત એવા 107 પોઝીટીવ કેસ નોંધાયા છે; જેમાં કેરળ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. હવે ત્યાં આ ચેપ વધુ ન ફેલાય તે માટે પગલાં લેવા આવશ્યક હોઇ શકે છે.

ગુજરાતમાં કોઇ જગ્યાએ શંકાસ્પદ કેસ નોંધાયા હોવાના ન્યુઝ છે પણ આજસુધી કોઇ કન્ફર્મ કેસ નોંધાયો ન હોવા છતાંયે મહામારી ફેલાઇ હોય એમ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આજના સમાચાર મુજબ સમગ્ર ગુજરાતમાં સ્કુલ-કોલેજ, મોલ-સિનેમાને થોડા દિવસો માટે બંધ કરવાનો અને દરેક મેળાવડા કે સેમીનાર-કાર્યક્રમને ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કંપનીઓ પણ ‘વર્ક-ફ્રોમ-હોમ‘ ફોર્મુલા અપનાવી રહી છે. જોકે તકલીફ ત્યાં આવશે જ્યાં કારખાનામાં વસ્તુઓનું ઉત્પાદન થતું હોય અને જ્યાં પ્રક્રિયામાં કામદારોની સીધી જ જરુરીયાત રહેતી હોય; ત્યાં લગભગ કારખાનું કે ધંધાકીય એકમને બંધ કરવું પડે એવી સ્થિતિ બનશે.

આર્થિક નુકશાનનો અંદાજ લગાવવો હજુ વહેલો ગણાશે કેમ કે રોગચાળો ફેલાતો અટકાવવો વધુ જરુરી છે. હજુ સુધી દેશમાં નવા કેસ નોંધાતા જવાનો સીલસીલો યથાવત છે એટલે પહેલાં તેમાં રોક લગાવવાને પ્રાથમિકતા અપાય તે પણ યોગ્ય છે.

સૌથી વધુ વ્યસ્ત હોય તો અત્યારે હોસ્પિટલ અને તેના ડોકટર-નર્સીંગ સ્ટાફ છે. તેમની માટે ડબલ-ડ્યુટી નિભાવવાનો ટાઇમ છે અને કોઇ જ ફરિયાદ વગર નિભાવી પણ રહ્યા છે. અગાઉની એક અપડેટ્સમાં ડોક્ટર વિશે કરેલ ટિપ્પણી માટે આજે પરત લઉ છું. એમ તો ત્યારે ટીકા માટે કેટલાક કારણો હતા, પણ અત્યારની પરિસ્થિતિમાં તેઓ અભિનંદન યોગ્ય છે.

દેશ-દુનિયામાં આ સમયમાં ચર્ચાનો આ મુખ્ય વિષય છે. યુધ્ધ-વિગ્રહ ભુલાઇ ગયા છે; ઇશ્વર-અલ્લાહ-ઝીસસ વગેરેના ઠેકેદારો-એજન્ટો અને ભક્તો ઉપરાંત આતંકવાદીઓએ પણ આ વાઇરસ સામે હાર સ્વીકારી લીધી છે. એક ભયાનક બિમારીએ બધાને એક કરી દીધા છે!

ક્યારેક એમ પણ લાગે છે કે કોરોના વાઇરસ મુદ્દે જરુર કરતાં વધુ ભય બતાવવામાં આવી રહ્યો છે. લોકો વધુ પડતા જ સંવેદનશીલ બનીને ડરી રહ્યા છે અને વળી એકબીજામાં વધુ ભય ફેલાવી રહ્યા છે. વાસ્તવિકતા ગંભીર હોઇ પણ શકે છે પરંતુ આસપાસમાં હજુ એટલી ખરાબ પરિસ્થિતિ ઉભી નથી થઇ એવું મને લાગે છે.

ખૈર, પાણી પહેલાં પાળ બાંધવી એ પણ જરુરી પ્રક્રિયા છે અને વળી આ વાઇરસના ચેપથી બચવા માટે કેટલીક સામાન્ય જાણકારી હોવી જ પર્યાપ્ત છે. એટલે ગભરાઇ જવા કરતાં શાંત અને સજાગ રહેવામાં સમજદારી છે.

CAA, તોફાન અને અમદાવાદ

~ ભારે ચર્ચા બાદ સંસદના બંને ગૃહમાં નાગરિકતા સંશોધન બિલ (CAB) પાસ કરવામાં આવ્યું અને નાગરિકતા સંશોધન એક્ટ (CAA) તરીકે કાયદો અમલમાં આવ્યો.

~ લાગતું ન’તું કે તેનો આટલો મોટો વિરોધ થશે. મારી સમજ મુજબ તેનો વિરોધ કરવા માટે કોઇ જ વ્યક્તિ કે વિપક્ષ પાસે ચોક્કસ કારણો ન હોઇ શકે. જે કારણો ચર્ચા દરમ્યાન આપવામાં આવ્યા તેની ચોખવટ પણ ત્યારે થઈ ચૂકી હતી. પરંતુ સરકારના પક્ષે ખોટું એ થયું કે તેઓએ આંદોલનને ગણકાર્યું નહી અને લોકો સાથે સંવાદ ન સાધ્યો. નેતાઓ મિથ્યાભિમાનમાં રહ્યા. પુરતી માહિતી ન આપી જેથી લોકો અફવાઓ અને દુષ્પ્રચારમાં ફસાઇ ગયા.

~ ગઇ કાલે અમદાવાદમાં પણ તેના વિરોધની આગ પહોંચી. તેમના વિરોધનો ભોગ પોલીસવાળા વધુ બન્યા. ધર્મવિશેષ, શાંતિપ્રિય સમુદાય કે લઘુમતી જેવા શબ્દોનો ઉપયોગ કરીને પોલીટીકલ કરેકટનેસ બતાવવાની જરુર મને નથી લાગતી એટલે ચોખ્ખું કહીશ કે મુસ્લીમ ધર્મના લોકોએ જ તેમાં ભાગ લીધો હતો અને મંજૂરી વગર કાઢેલ રેલીને છેવટે તોફાનમાં ફેરવી નાખી.

~ અગાઉથી પ્લાનીંગ કરીને કરવામાં આવેલ હોવાથી કોઇરીતે તેને અચાનક બગડેલી સ્થિતિ તરીકે જોઇ ન શકાય. જે પુર્વનિયોજીત હોય તેને કાવતરું જ કહેવાય અને આ હિંસક બનેલ આંદોલન એક કાવતરું જ છે મારા શહેરની શાંતિ ખરાબ કરવાનું.

~ દેશનું દુર્ભાગ્ય કહો કે પોલીટીકલ એજન્ડા કહો, જે કહો તે; પણ આટલા બધા લોકોને સામુહિક રીતે મુર્ખ પણ બનાવી શકાય તે ઘણી નવાઇની વાત લાગી. સવાલ પણ થયો કે મુસલમાનોમાં એવા કોઇ બે શાણા માણસો પણ નહી હોય કે જેઓ એક કાયદાના બે વાક્યોનું સાચુ અર્થઘટન પણ ન કરી શકે?? અને સાચી વાત પોતાના લોકો સુધી પહોંચાડી પણ ન શકે?

~ દિવા જેવું સ્પષ્ટ છે કે નાગરિક્તા સંસોધન કાયદામાં કોઇની નાગરિક્તા જતી નથી અને માત્ર દેશ બહારના લોકોને નાગરિક્તા આપવાની વાત છે તો પણ ‘મારી નાગરિક્તા છીનવાઇ જશે’ -ના ડરથી ઉશ્કેરાઇ જનાર લોકોને ખરેખર મુર્ખ કહી શકાય. અને તેમને ઉશ્કેરનાર લોકોને દેશના ગુનેગાર કહી શકાય.

~ જે લોકો ચિંતા છે કે પડોશી દેશોની લઘુમતીના બધા જ લોકોને અહી નાગરિકતા આપવામાં આવશે અને દેશ પર તેનો ભાર વધશે તો તેઓએ જાણી લેવું જોઇએ કે CAA મુજબ 31 ડિસેમ્બર 2014 ના દિવસને ડેડલાઇન તરીકે સ્વીકારવામાં આવેલો છે. ત્યાં સુધી ભારતની શરણમાં આવી ગયેલ લોકો માટે જ આ કાયદો છે. તેઓ ઓલરેડી ભારતમાં આપણાં વચ્ચે છે. વર્ષોથી, દસકાઓથી..

~ માત્ર એક વ્યક્તિ કે પાર્ટીના વિરોધમાં કે પોતાની નાસમજમાં દેશ સળગાવનાર દરેક લોકો આ દેશના પણ ગુનેગાર છે. કોઇ મજબુત મુદ્દો શોધીને સરકારને વધુ જવાબદાર બનાવવાના બદલે તોફાનીઓને ખોટી માહિતી આપીને ઉશ્કેરવાની આ વૃતિ તેઓમાં રહેલી કાયરતા બતાવે છે.

~ મેં આ વિશે કંઇ ન લખ્યું હોત જો આ મુદ્દો અહી સુધી ન પહોંચ્યો હોત. બને ત્યાં સુધી સંયમિત રહેવાનું નક્કી કર્યું છે પણ આજે સૌથી વધારે તો એ ખટક્યું કે આ આગ મારા અમદાવાદને સળગાવે છે; અને તે મને કોઇ રીતે મંજુર નથી. હવે હું ચુપ ન રહી શકું, પાટીદાર આંદોલન વખતે પણ આ મંજુર ન’તું, પદમાવત વખતે પણ સ્વીકાર્ય ન’તું અને આજે પણ નથી. ક્યારેય નહી હોય.

~ હજુ પણ તે લોકોમાં અંદર ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જણાય છે. જો આવું જ રહેશે તો મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે સીધા ભાગલા થઈ જશે. અત્યારે બધું મુસલમાનો કરી રહ્યા છે અને કોંગ્રેસીઓ કે જેમને પોલીટીકલ સ્કોર વધારવો છે તેઓ તેમનો ઉપયોગ રાજકીય લાભ માટે કરી રહ્યા છે. મુસલમાનો પોતાનું ભવિષ્ય જોઈને, વિચારી-સમજીને શાંતિ જાળવે તો સારું અને હિંદુવાદીઓ પણ તેમનો સંયમ જાળવી શકે તો સારું.

~ ઉંડાણથી વિચારતા અને રેલીમાં જોડાયેલા લોકોના ભાવ જોઇને મને દેખાવકારોમાં અન્ય કોઇ હેતુ હોવાની ગંધ આવી રહી છે. CAA-NRC નો વિરોધ માત્ર બહાનું છે, મુળ ઉદ્દેશ્ય કંઇક અલગ જ છે. પોલીસ અને વ્યવસ્થાતંત્ર આગમચેતી રાખીને ચેતી જાય તો સારું. ફરીવાર 2002 નો સમય નથી જોવો હવે.

~ ગોધરાકાંડ પછી આ શહેરની હાલત મેં નજરે જોઇ છે. સમયકાળની એ ભયાનકતા અનુભવી છે. એટલે આ શહેરને બાનમાં લેનાર દરેક કૃત્યનો હું સૌથી મોટો વિરોધી રહીશ. તોફાનીઓની માંગણી યોગ્ય હોય કે ન હોય, પણ જે આ શહેરને આગ લગાડશે તે દરેક હાથને કાપી નાખવાની હું તરફેણ કરીશ.

#HappybirthdayPMModi

Happy birthday to pm narendra modi
Happy Birthday PM Narendra Modi

~ સામાન્યરીતે કેલેન્ડરમાં ભુતકાળમાં જન્મેલા રાજપુરુષોની જન્મજયંતિ કે ભગવાનની ખાસ તીથી હોય ત્યારે આવું પાનું દેખાતું હોય છે! મોદી ખરેખર ઘણાં આગળ નીકળી ગયા…

વડનગરથી વડાપ્રધાન સુધી પહોંચેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ!!

~ લખી રાખજો કે, ભવિષ્યમાં ભારતવર્ષ તથા તેના નાગરીકો માટે આ તારીખ અને નરેન્દ્ર મોદીનું બહુ જ મોટું ઐતિહાસિક મહત્વ હશે. મહાન નહેરુ થી દુર્ગા ઇન્દિરા સુધી આવીને અટકી ગયેલો આ મહાન દેશનો ઇતિહાસ એક નવું સિમાચિન્હ મેળવશે, એવી બગીચાનંદની આગાહી છે.


*ઉપરનો ફોટો મારા ઘરે લગાવેલા તારીખીયાના ડટ્ટાનો છે. (ડટ્ટો શબ્દ નવો લાગ્યો? હા? તો તમે ગુજરાતી નથી.)