રસ, રસી અને રસીક

કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને એકમાત્ર રસ્તો હોવાથી તે દિશામાં મહેનત કરવી યોગ્ય પણ છે.

અત્યારે તો લિમિટેડ સ્ટોક સાથે મળી રહી છે એટલે બધાને મળતા થોડોક સમય લાગશે. પોતાનો નંબર ન લાગે ત્યાં સુધી ધીરજ રાખવી પડે એમ છે અને સાથે-સાથે રસી મુકાવવી પણ એટલી જ જરૂરી છે.

એમ તો મારી આસપાસમાં જ બે-ચાર એવા લોકો પણ છે જેમને રસી કેટલી જરૂરી છે તે સમજાવવામાં હું અસફળ રહ્યો છું; એટલે બધા સરળતાથી માનશે એવું નથી લાગતું. કોરોના ચેપથી કાયમી બચવા માટ રસી સિવાય અત્યારે કોઇ વિકલ્પ નથી દેખાતો.

આજે અમો અહી આ જાહેર યાદી પ્રસિદ્ધ કરીએ છીએ કે અમે પોતે પણ સ-જોડે રસી મુકાવી લીધી છે. જો કે હજુ સુધી કોઈ ઈ-જગ્યાએ તે અન્વયે ફોટો-જાહેરાત નથી કર્યા; જેની લાગતા-વળગતાં લોકો નોંધ લે.

પ્રવર્તિત સામાજીક રિવાજ પ્રમાણે અહીં અમારો પોતાનો ઇન્જેક્શન લઈને ઉભેલી નર્સ સાથેનો ફોટો રજૂ કરવાનો હોય પરંતુ સંસ્થાના બંધારણમાં સુચવેલ ઓળખ-ગુપ્તતા-અધિનિયમ નં-4ક અનુસાર તે શક્ય નથી.

નિયમ એટલે નિયમ. તો ફોટોની નોંધ શક્ય નથી; પણ અનુભવની નોંધ ચોક્કસ કરીશ. જે રીતે લોકો રસીથી ડરી રહ્યા છે, તેમને હિંમત આપવા મારો આ અંગત અનુભવ કદાચ કામ આવી શકે.

  • સાવ ભૂખ્યા પેટે ન જવું એવું અમને કોઈએ સમજાવ્યું હતું એટલે બપોરે ધરાઈને રસ-રોટલી-શાક ખાઈને રસી અપાવવા ગયા હતા.
  • જે બપોરે રસી મુકાવી તે દિવસે રાત્રે તાવ આવ્યો જે બીજા દિવસે સવારથી ઓછો થતો ગયો. બપોર સુધીમાં બિલકુલ ઠીક અને બધું નોર્મલ. (બસ ઈતની સી સ્ટોરી હૈ)
  • રસી સમયે આપેલ દવા ચાર ટાઈમ સમયસર લીધી. (તાવ ઉતરી ગયો હતો તોય સોંય ભોંકનાર પરિચારિકાના શબ્દોનું માન રાખીને બાકી રહેલી છેલ્લી એક ગોળીને યોગ્ય સન્માન પણ આપ્યું હતું!)
  • રસી લિધા બાદ આજ સુધી બીજી કોઈ પ્રકારની તકલીફ થઈ નથી. પણ… જે હાથ પર રસી લીધી હતી તે હાથ કુલ ત્રણ દિવસ દુખ્યો. (આ થોડુંક અઘરું લાગ્યું હતું.)

અરે હા, અમે તો સરળતાથી નીકળી ગયા પણ મેડમજીનો અનુભવ અલગ રહ્યો. તેને બે દિવસ તાવ રહ્યો અને સતત ચક્કર આવવાની ફરિયાદ રહી. એમ તો ત્રીજા દિવસ પછી તે પણ ઠીક થઈ ગઈ હતી.

 

એકંદરે લોકો ડરાવતા હતા એવું કંઈ જ નથી. મને તો ઇન્જેક્શન ની સોય પણ ન’તી વાગી! (ઇન્જેક્શન લેતા પહેલાં મને આવોય ડર હતો બોલો, તમે માનશો?)

 

તો… હે સજ્જન તથા સન્નારીઓ અને મત આપવાની ઉંમર ધરાવતા દરેક વ્યક્તિઓ, આપનો વારો આવે તેવો પ્રયત્ન કરીને જેમ બને તેમ ઝડપથી રસી મુકાવી લેશો.

💉

 

સાઇડટ્રેકઃ

બગ્ગી – ટાઇટલમાં જે રસ અને રસી છે તે વિશે ઉપર લખાયેલું છે; પણ ત્યાં રસીક શું કરે છે એવું નહી પુછો?
હું – જો બગ્ગી, અહીયાં આવીને આ બધું વાંચનારા ક્યારેય આવા સવાલ કરતા નથી.
બ. – સાચ્ચે?
હું. – હા બકા.
બ. – તો ચોખવટ ન કરું?
હું. – ના. કોઈ જરુર નથી.

અણધાર્યું જો ને એવું રે થાશે..

~ અમદાવાદમાં ગયા અઠવાડિયે બે દિવસના લોકડાઉન ઉર્ફે કરફ્યુમાં કોરોનાની શરૂઆતના એ દિવસો યાદ આવી ગયા.

~ આ વખતે થોડોક ફરક એ રહ્યો કે દિવાળી પછી રજાઓના જ દિવસો હતા એટલે કોઈ વધારે અસર ન થઈ; પણ દુઃખ એટલું થયું કે રજાઓમાં ફરવા-રખડવાનો પ્લાન રદ કરવો પડ્યો અને ઘરમાં પુરાઇને બેસી રહેવું પડયું. (થાય એ પણ ક્યારેક.)

~ હજુયે અમદાવાદમાં અને બીજા મોટા શહેરોમાં 9 થી સવારે 6 સુધીનો રાત્રી કરફ્યુ અમલમાં છે. કોરોના રાત્રે જ હુમલો કરે છે એમ તો ન જ કહેવાય પણ રાતે ખાવા-પીવા-ટહેલવા નીકળતાં અને એક-બે જગ્યાએ ટોળે વળતાં અમદાવાદીઓને બિમારીની અસર પ્રત્યે થોડા સિરિયસ બનાવવા માટે આ રીત પણ ઠીક છે. હા, કરફ્યુ ટાઇમમાં રાત્રે એકાદ કલાકની વધુ છૂટ મળે તો કેટલાક ધંધાકીય એકમ અને દુકાનો, શો-રૂમ માટે સારું રહે. (કેટલાક તો કરફ્યુ હોવો જ ન જોઇએ એમ પણ કહેશે.)

~ સરકારને સલાહ આપનાર એમપણ વધારે છે એટલે મારી સલાહ-પોટલી બંધ રાખું એ જ ઠીક છે. (આમેય અમારું કોઈ માને એમ નથી.)

~ એક રીતે જોઈએ તો સરકાર કંઈ નથી કરતી એમ ન કહી શકાય અને ક્યાંક વધુ પડતું કરે છે એમપણ કહેવાય! બીજું બધું તો ઠીક પણ ધંધા અને ટ્રાન્સપોર્ટના નિયમોમાં અચાનક ફેરફાર ન કરે એટલી હાથ જોડીને વિનંતી છે. કેમ કે એ બધુ જ ડિસ્ટર્બ કરી દે છે અને ફરી પાટે ચડાવવામાં વેપારીઓનો દમ નીકળે છે. (સરકારભાઇ, ફરીથી કહું છું કે વેપારીઓને મરવા ન દેતા. પલીજ.)

~ કોરોના/કોવિડ-19 ના ફેલાવા વિશે તો વાત કરવા જેવી નથી. અહિયાં આજકાલ કેસ ખરેખર એટલા બધા છે કે તમે સરકાર કહે એટલું જ સમજો તો ઠીક છે. હકીકત જોવા જશો તો મગજ ચકરાવે ચડી જશે. (લગભગ બધાને એકવાર કોરોના થઈને જ રહેશે એવું લાગે છે.)

~ અમારી આસપાસ સોસાયટીઓમાં 50 થી વધુ કેસ હાલમાં એક્ટિવ છે. ડર સાવ નથી એમ ન કહી શકું પણ તોય હજુ અમે અમારી દિનચર્યા બદલી નથી. (આ બહાદુરી ગણાય કે મુર્ખામી એ નક્કી કરવાનું બાકી છે.)

~ ક્યારેક તુત લાગે છે તો ક્યારેક તોપ લાગે છે, ક્યારેક આ કોરોના મને બહુરુપી લાગે છે. કોરોના-ગ્રસ્ત બનીને ઠીક થયા હોય એ માંથી 49.50 ટકા એ પક્ષમાં છે કે કોરોનાથી ડરવા જેવું કંઈ જ નથી; કેમ તે સામાન્યથી ભારે તાવ અને શરદીથી વધું નથી અને થોડા દિવસની સામાન્ય દવામાં ઠીક થઈ શકાય છે. જ્યારે 49.50 ટકા લોકો એ પક્ષમાં છે કે કોરોનાને જરાય હળવાશથી લેવા જેવા જેવો નથી; કેમ કે આ એક જીવલેણ વાયરસ છે. (બચેલા 1 ટકા લોકો મારી જેમ કન્ફ્યુઝ છે અથવા તો બંને બાજુ હિલોળા લીધા કરે છે.)

~ રસીનું પરીક્ષણ પણ ચાલી રહ્યું છે. ટેસ્ટીંગ ડોઝ અપાઇ ચુક્યા હોવાના સમાચાર છે. મોદી સાહેબ પણ ખાસ તેના માટે ફરી ગુજરાત-અમદાવાદની મુલાકાતે આવવાના ન્યૂઝ જાણ્યા છે. (મુલાકાતના બીજા કોઈ ઉદ્દેશ સંસ્થાના ધ્યાનમાં નથી આવ્યા.)

~ ઠીક છે તો જે થશે એ જોયું જશે. અન્ય લોકો સાથે સંપર્કમાં આવો ત્યારે ખાસ માસ્ક પહેરવું અને સામાજીક અંતર જાળવવું એ જ હાલ સૌથી મોટો ઈલાજ છે. ચેપથી બચવા હાથ ચહેરાને ન અડે તે પણ ધ્યાન રાખવું એટલું જ જરુરી છે.

~ અંતે તો.. અણધાર્યું જો ને એવું રે થાશે; મન કે ચિત્તમાં ન હોય…

😷

Aug’20 : અપડેટ્સ

લોકડાઉન ખુલ્યા પછી કામમાં એવા પરોવાઇ ગયા કે આ જગ્યા પર આવવાની આદત છુટી ગઇ. કોરોનાએ તો ભલભલાની લાઇફ ડિસ્ટર્બ કરી છે તો અમે પણ એમાં બાકાત નથી. કળ વળતા વાર લાગશે.

રમેશભાઇને પણ નથી ખબર કે હજુ કેટલો સમય કોરોનાકાળમાં જીવવું પડશે. અમિતાભ ભૈ થી અમિત શાહ સુધી તેની ઝપેટમાં આવી ગયા એ નવાઇની વાત છે. હા, જે રીતે રિકવરી રેટ ઉંચો જઇ રહ્યો છે તે થોડીક આશા જન્માવે છે કે બધું ઠીક થઇ જશે. એમ તો જો દરરોજના નવા કેસ અને મૃત્યુના આંકડાઓ જોતા રહીયે તો ડિપ્રેશન થઇ જાય એવી હાલત છે. કોણ જાણે દવા/રસી ક્યારે આવશે.

અમદાવાદમાં કોરોનાએ જે કેર વર્તાવ્યો હતો તેને ઘણાં અંશે કાબુમાં કરવામાં આવ્યો છે. અગાઉ આ મુદ્દે જે જે લોકોને અહીથી સારી ભાષામાં ખરાબ શબ્દો કહ્યા હતા તે અમે પરત લઇએ છીએ. શહેરના ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ સૌને અભિનંદન. 104 મેડિકલ સુવિધા અને 108 સર્વિસ ફુલ ફોર્મમાં છે. હજુ પણ શહેર પર આફત તો છે જ એટલે લડાઇનો આ જુસ્સો ટકાવી રાખે તો સારું.

લડાઇથી યાદ આવ્યું કે થોડા દિવસ પહેલાં ચીનના સૈનિકો સાથે નાનકડી લડાઇ પછી સીમા ઉપર ઘણી તંગ પરિસ્થિતિ બની છે. પછીથી લાંબી વાટાઘાટો ચાલી રહી છે પણ છેલ્લે મેળવેલા સમાચાર મુજબ ચીન હજુ પાછો પગ કરવાના મુડમાં નથી. સરકારે વિવાદ વચ્ચે જાસુસીના બહાને ઘણી ચાઇનીઝ એપ્લીકેશન બંધ કરાવી દીધી છે. બીજું બધું તો ઠીક, પેલા ટીકટોકીયા નવરા થઇ ગયા હશે.

ગયા અઠવાડીએ ફ્રાન્સથી 5 લડાકુ-વિમાન આવ્યા અને ન્યુઝમાં ઘણાં ઉડ્યા. બોર્ડર પરની બબાલ ના કારણે લોકોએ રાફેલમાં ઘણો રસ લીધો કે મીડીયાએ પરાણે રસ લેવડાવ્યો એ નક્કી કરવું મુશ્કેલ છે. એમપણ મોદીના આવ્યા પછી સમાન્ય લોકોને ડિફેન્સ-મેટરમાં કંઇક વધારે જ ઇન્ટરેસ્ટ દેખાય છે! ઓકે. તેમાં રસ લેવામાં કંઇ ખોટું પણ નથી.

અરે હા, સુશાંત સિંહ રાજપુતની વાતો પણ હજુ ન્યુઝમાં છે. પહેલાં મને એમ હતું કે માત્ર આત્મહત્યાનો મામલો છે પણ જે રીતે એક પછી એક પડ ખુલી રહ્યા છે તે જોતાં દાળમાં ઘણું કાળું હોવાનું જણાય છે. અત્યાર સુધી સુશાંતની બોડીને લટકતી ઉતારવાના ત્રણ અલગ-અલગ વર્ઝન બહાર આવ્યા છે! આ સિવાય બીજી ઘણી નાની-મોટી શંકાઓ છે. ગઇ કાલના સમાચાર મુજબ બિહાર અને મુંબઇ પોલીસ વચ્ચેની ખેંચતાણ પછી આ કેસ સીબીઆઇને સોંપી દેવાનો નિર્ણય લેવાયો છે.

આટલા વિશાળ દેશમાં કોઇ એક વ્યક્તિના મૃત્યુને સેલીબ્રીટી હોવાને લીધે આટલું કવરેજ મળે તે અતિરેક જેવુંય લાગે. સુશાંતની જગ્યાએ કોઇ સામાન્ય માણસ હોત તો નજીકના ચાર લોકો સિવાય કોઇને તેની મોતના કારણ જાણવામાં રસ પણ ન હોત.

રાજસ્થાનનો મામલો હજુ ગુંચવાયેલો છે. બે-પાંચ તો હુકમના પત્તા જેવા માથા બચ્યા છે જેને પણ કોંગ્રેસ ખોઇ રહી છે. આમ વર્તમાન કદાચ સચવાઇ જાય પણ ભવિષ્ય અંધકારમય હશે તે કોઇપણ કહી શકે છે. કોંગ્રેસીઓ જલ્દી જ આ નકલી ગાંધીઓની ભક્તિમાંથી બહાર નિકળે તો સારું અને તેને કોઇ સમજદાર આગેવાન જલ્દી મળે એવી આશા; નહી તો આ દેશ વિપક્ષ વગરનો થઇ જશે. લોકશાહી માટે વિપક્ષ વગરની સરકાર લાંબાગાળે નુકશાનકારક સાબિત થઇ શકે છે. આજની ભાજપ ભવિષ્યમાં નહેરુ-ઇન્દીરાની કોંગ્રેસ ન બની જાય તે માટે પણ વિપક્ષ જરુરી છે.

ગઇ કાલે 5 ઓગષ્ટ હતી. રામ જન્મભૂમી પર રામ મંદિર બનાવવાનું મુહુર્ત કરવામાં આવ્યું. મંદિર તો બનશે ત્યારે દેખાશે પણ નરેંદ્ર મોદીએ પોતાનું કદ ઘણું વધારી દીધું. ધાર્મિક કાર્યક્રમમાં દેશના વડાપ્રધાને ન જવું જોઇએ એવો તર્ક કરનાર મહામુર્ખ હોઇ શકે છે કેમ કે આ દેશ અને તેના નેતાઓ હંમેશા ધર્મની આસપાસ રહ્યા છે. હા, પહેલા તે મુસ્લીમ ધર્મ હતો એટલે કહેવાતા સેક્યુલરોને ચાલતું હતું પણ હવે હિંદુ માન્યતાઓને મહત્વ મળે છે તે જોઇને ઘણાંને પેટમાં દુઃખતું હોય એવું લાગે છે.

મારા માટે તો બંને પક્ષ સરખા અંતરે છે; પણ મને હંમેશા નવાઇ લાગે કે નિરિશ્વરવાદી એવા ડાબેરીઓ અને ધર્મનિરપેક્ષતાની વાતો કરતા સેક્યુલરો છેવટે ઇસ્લામ આગળ કેમ નમી જતા હશે? ખૈર, આ બધા વિશે લખવાનું શરુ કરીશ તો વાત ઘણી લાંબી ચાલશે. હા, આ બધાની આસપાસ બીજી કેટલીક જરુરી વાતોની ખાસ નોંધ કરવી છે તો એક અપડેટ તે વિશે પણ લખવાનો વિચાર આવે છે..

ચલો હવે બઉ થઇ ગામની પંચાત. હુંય થાક્યો છું લખી-લખી ને. હવે પછી નવી ફુરસતમાં વાત આગળ વધારીશ.