અણધાર્યું જો ને એવું રે થાશે..

~ અમદાવાદમાં ગયા અઠવાડિયે બે દિવસના લોકડાઉન ઉર્ફે કરફ્યુમાં કોરોનાની શરૂઆતના એ દિવસો યાદ આવી ગયા.

~ આ વખતે થોડોક ફરક એ રહ્યો કે દિવાળી પછી રજાઓના જ દિવસો હતા એટલે કોઈ વધારે અસર ન થઈ; પણ દુઃખ એટલું થયું કે રજાઓમાં ફરવા-રખડવાનો પ્લાન રદ કરવો પડ્યો અને ઘરમાં પુરાઇને બેસી રહેવું પડયું. (થાય એ પણ ક્યારેક.)

~ હજુયે અમદાવાદમાં અને બીજા મોટા શહેરોમાં 9 થી સવારે 6 સુધીનો રાત્રી કરફ્યુ અમલમાં છે. કોરોના રાત્રે જ હુમલો કરે છે એમ તો ન જ કહેવાય પણ રાતે ખાવા-પીવા-ટહેલવા નીકળતાં અને એક-બે જગ્યાએ ટોળે વળતાં અમદાવાદીઓને બિમારીની અસર પ્રત્યે થોડા સિરિયસ બનાવવા માટે આ રીત પણ ઠીક છે. હા, કરફ્યુ ટાઇમમાં રાત્રે એકાદ કલાકની વધુ છૂટ મળે તો કેટલાક ધંધાકીય એકમ અને દુકાનો, શો-રૂમ માટે સારું રહે. (કેટલાક તો કરફ્યુ હોવો જ ન જોઇએ એમ પણ કહેશે.)

~ સરકારને સલાહ આપનાર એમપણ વધારે છે એટલે મારી સલાહ-પોટલી બંધ રાખું એ જ ઠીક છે. (આમેય અમારું કોઈ માને એમ નથી.)

~ એક રીતે જોઈએ તો સરકાર કંઈ નથી કરતી એમ ન કહી શકાય અને ક્યાંક વધુ પડતું કરે છે એમપણ કહેવાય! બીજું બધું તો ઠીક પણ ધંધા અને ટ્રાન્સપોર્ટના નિયમોમાં અચાનક ફેરફાર ન કરે એટલી હાથ જોડીને વિનંતી છે. કેમ કે એ બધુ જ ડિસ્ટર્બ કરી દે છે અને ફરી પાટે ચડાવવામાં વેપારીઓનો દમ નીકળે છે. (સરકારભાઇ, ફરીથી કહું છું કે વેપારીઓને મરવા ન દેતા. પલીજ.)

~ કોરોના/કોવિડ-19 ના ફેલાવા વિશે તો વાત કરવા જેવી નથી. અહિયાં આજકાલ કેસ ખરેખર એટલા બધા છે કે તમે સરકાર કહે એટલું જ સમજો તો ઠીક છે. હકીકત જોવા જશો તો મગજ ચકરાવે ચડી જશે. (લગભગ બધાને એકવાર કોરોના થઈને જ રહેશે એવું લાગે છે.)

~ અમારી આસપાસ સોસાયટીઓમાં 50 થી વધુ કેસ હાલમાં એક્ટિવ છે. ડર સાવ નથી એમ ન કહી શકું પણ તોય હજુ અમે અમારી દિનચર્યા બદલી નથી. (આ બહાદુરી ગણાય કે મુર્ખામી એ નક્કી કરવાનું બાકી છે.)

~ ક્યારેક તુત લાગે છે તો ક્યારેક તોપ લાગે છે, ક્યારેક આ કોરોના મને બહુરુપી લાગે છે. કોરોના-ગ્રસ્ત બનીને ઠીક થયા હોય એ માંથી 49.50 ટકા એ પક્ષમાં છે કે કોરોનાથી ડરવા જેવું કંઈ જ નથી; કેમ તે સામાન્યથી ભારે તાવ અને શરદીથી વધું નથી અને થોડા દિવસની સામાન્ય દવામાં ઠીક થઈ શકાય છે. જ્યારે 49.50 ટકા લોકો એ પક્ષમાં છે કે કોરોનાને જરાય હળવાશથી લેવા જેવા જેવો નથી; કેમ કે આ એક જીવલેણ વાયરસ છે. (બચેલા 1 ટકા લોકો મારી જેમ કન્ફ્યુઝ છે અથવા તો બંને બાજુ હિલોળા લીધા કરે છે.)

~ રસીનું પરીક્ષણ પણ ચાલી રહ્યું છે. ટેસ્ટીંગ ડોઝ અપાઇ ચુક્યા હોવાના સમાચાર છે. મોદી સાહેબ પણ ખાસ તેના માટે ફરી ગુજરાત-અમદાવાદની મુલાકાતે આવવાના ન્યૂઝ જાણ્યા છે. (મુલાકાતના બીજા કોઈ ઉદ્દેશ સંસ્થાના ધ્યાનમાં નથી આવ્યા.)

~ ઠીક છે તો જે થશે એ જોયું જશે. અન્ય લોકો સાથે સંપર્કમાં આવો ત્યારે ખાસ માસ્ક પહેરવું અને સામાજીક અંતર જાળવવું એ જ હાલ સૌથી મોટો ઈલાજ છે. ચેપથી બચવા હાથ ચહેરાને ન અડે તે પણ ધ્યાન રાખવું એટલું જ જરુરી છે.

~ અંતે તો.. અણધાર્યું જો ને એવું રે થાશે; મન કે ચિત્તમાં ન હોય…

😷

બોલો, શું કહેવું છે તમારે...