અપડેટ્સ – 200228

બે દિવસ પહેલા બીજાના કારણે હોસ્પીટલના ધક્કાની વાત હતી અને આજે આ લખી રહ્યો છું ત્યારે હું બિમાર થઇને ઘરમાં ફરજીયાત આરામ કરી રહ્યો છું. (ફરજીયાત ન હોત તો હું આરામ પણ ન કરતો હોત. મને તો એમાંયે કંટાળો આવે.)

જેની ખબર પુછવા હું જતો હતો, તે હવે મારી ખબર પુછી રહ્યા છે. સમય પણ કેવો તરત પલટાઈ પણ જતો હોય છે! પરિસ્થિતિને વશ રહેવું પડે ભાઇ, અભિમાન કોઇનું ચાલતું નથી. (અહંકારી રાવણનું પણ ન’તું ચાલ્યું અને જીતી-જીતીને અખંડ ભારત બનાવનાર સમ્રાટ અશોકે પણ છેવટે શાંતિનો માર્ગ સ્વીકારવો પડયો હતો; હું તો સાવ સાધારણ માણસ છું.)

શરદી, થોડો તાવ અને અશક્તિની ફરિયાદ શું કરી, બધા મને કાલે સાંજથી શંકાની નજરે દેખવા લાગ્યા છે. કોરોના નો ડર ઘણો ભારે! 🤷‍♂️ (હા યાર, એક-બે પળ માટે તો મને પણ શંકા થઇ આવી; હાલ તો મન મનાવ્યુ છે. પ્લીઝ, કોઇએ આ મુદ્દો છેડવો નહી.)

ચીનમાં જે રીતે હજુ બધું લોક-ડાઉન છે તે રીતે લાંબુ ચાલશે તો દુનિયાની ઇકોનોમીને મોટો ફટકો પડી શકે એમ છે. અરે દુનિયાને છોડો યાર, નવો કાચો માલ નહી આવે તો ભારતને પોતાના ઉદ્યોગો ચલાવવા ભારે પડી શકે છે. (નેતાઓ ભલે કહેતા કે મોટી અસર નહી થાય; પણ હું કહું છું કે આવું જ રહેશે તો આવનારો સમય અઘરો હશે.)

મારો પીછો કરતાં જીવોને જણાયું હશે કે લગભગ મૃત અવસ્થામાં રહેતી મારી સોસીયલ પ્રોફાઇલમાં કોઇ સળવળાટ જણાય છે. જો, આરામ જ કરવાનો હોય એટલે બેઠા બેઠા શું કરવાનું?… તો જે મળે તેની મેથી મારવાની હોય. 😂 (બની શકે ત્યાં સુધી વિવાદાસ્પદ મુદ્દાને ટાળવાનો પ્રયત્ન કરું છું, છતાંયે આદત મુજબ ક્યાંક તો સળગતું ઉપાડી લઉ છું. યાર, હું સુધરતો જ નથી.)

એમ તો વચ્ચે આ સામાજીક ઇ-માધ્યમોમાં એકટીવ થવાનું નક્કી કર્યું હતું, પણ લાંબો સમય ટકી ન શકાયું; ટ્વીટર સિવાય દરેક જગ્યાએથી હું ગાયબ છું. તેમ છતાયે ઇચ્છા છે કે કેટલાક લોકો સાથે સંપર્ક જળવાઇ રહે અને તેમની વાતોમાં રસ હોવાના લીધે ફેસબુક પર ફરી સક્રિય થવું છે.

સક્રિય થવાનો મતલબ એમ છે કે સમયાંતરે ત્યાં આંટો મારતા રહેવું. મારી કોઇ અપડેટ કે નવી પોસ્ટ ત્યાં હોવાની સંભાવના નહિવત્ છે. આપણે તો આ બગીચે જ ઠીક છીએ. એકલા-અટુલા ભલે હોઇએ, તો પણ મને આ જ જગ્યા ગમે છે મારા વિચારો ઠાલવવા માટે. (મેરા બગીચા મહાન! 👌)

દિલ્લીના તોફાનો સિવાય સોસીયલ મીડીયા પર બીજું કંઇ જ દેખાતું નથી, ટી.વી.ના કોઇ પ્રોગ્રામમાં આપણે રસ ધરાવતા નથી, ન્યુઝચેનલોનો બહિસ્કાર ચાલી રહ્યો છે, વેબ સીરીઝ બધી બંધનમાં નાંખે છે અને મારા બે (અતિ) તોફાની બાળકો એક આખી મુવી સળંગ જોવા દે એમ નથી. (અને અમે ભુતકાળમાં મનોમન ભિષ્મપ્રતિજ્ઞા લઇને બેઠા છીએ કે, મુવી જોવી હોય તો સળંગ જોવી; નહી તો જરાય ન જોવી.)

થોડા દિવસોમાં વ્રજની ફાઇનલ પરિક્ષાઓ આવી રહી છે એટલે મેડમજી ઉપર તેનું ટેન્શન જણાય છે. નાયરાનું પ્લે-ગ્રુપમાં એડમીશન થઇ ગયું છે. મારી બગલીના નખરાંઓનો એક મસ્ત ફોટો પણ ઘણાં દિવસથી અહીયાં મુકવાનો ભુલાઇ જાય છે. 🤦‍♂️

અત્યારે તો મેડમજી જમવા બોલાવે છે, તેને પ્રાથમિકતા આપુ. આ લખાણપટ્ટી તો નીરંતર ચાલ્યા જ રાખશે. ફોટો માટે એક નવું પાનું ચિતરવામાં આવશે.. મજા આવશે. 👍

પવાર, FDI, આંદોલન, લોકપાલ અને મફત સલાહ

. . .

# આજે ટાઇમ છે થોડા રાજકીય અપડેટ્સની નોંધ લેવાનો…

– શ્રી શરદ પવારને થોડા દિવસ પહેલા સામાન્ય નાગરિકની થપ્પડ પડી જેની ગુંજ આખાયે દેશમાં સંભળાઇ. (તે સંભળાય જ ને….ન્યુઝ ચેનલવાળાએ એક જ ટેપને ફેરવી ફેરવીને હજારવાર બતાવી હતી.)

– ઉચ્ચસ્તરના (સંસદ સભ્ય જેવા) નેતાઓ સિવાય દરેકને આ વાત ગમી અને લાફો મારનાર હરવિંદર સિંહ સામાન્ય જનતામાં હિરો બની ગયો. (દેશના કોઇ અગ્રણી નેતા પર આવો હુમલો થાય એ પ્રથમ નજરે નીંદનીય કૃત્ય કહેવાય પણ કેમ જાણે આ ઘટનાથી કંઇ અજુગતુ બન્યુ હોય એવુ નથી લાગતુ.)

– શીખ જાતિની મર્દાનગી પ્રત્યે માન થઇ આવ્યું પણ… રબ્બર સ્ટેમ્પ સમાન પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિંહને જોઇને મન ભરાઇ આવ્યું. (કયારેક ખરેખર થાય કે શ્રી મનમોહન સિંહે રાજનીતિ છોડીને માત્ર નીતિ-વિષયક જગ્યાએ જ પોતાની સેવા આપવી જોઇએ.)

– આજકાલ FDI ના વિરોધમાં દેશવ્યાપી બંધના એલાન અપાય છે અને સંસદની મહત્વની કામગીરી ઠપ પડી છે. FDI નો આટલો બધો વિરોધ મને સમજાતો નથી. મારા મતે રીટેલક્ષેત્રે ખુલ્લા અને હરિફાઇવાળા બજારનો લાભ અંતે તો ગ્રાહકને મળવાનો છે તો પછી વિરોધ શા માટે ? કદાચ આ મુદ્દે સામાન્ય લોકોમાં કોઇ ગેરસમજ છે અથવા ફેલાવવામાં આવી છે.

– FDI ના કારણે (જન)લોકપાલવાળો મુદ્દો ભુલાઇ ગયો છે. (અણ્ણાજીને ફરી ઉપવાસ કરવા માટે અત્યારથી તૈયાર રહેવું પડે એવા એંધાણ વર્તાય છે.)

– માનનીય અણ્ણાજીને એક મફત સલાહ : જયારે પણ આ મુદ્દે ઉપવાસ કરો ત્યારે ધ્યાન રાખવું કે શ્રીમતી સોનિયા ગાંધી ભારતમાં જ હાજર હોય જેથી સરકાર તરફથી નિર્ણય ઝડપથી આવી શકે.

– સરકારને સલાહ : જયારે શ્રીમતી સોનિયાજી વિદેશ પ્રવાસે જાય ત્યારે ઓફિસિયલ સ્ટેટમેન્ટ બહાર પાડવું જોઇએ કે અત્યારે કોઇએ ઉપવાસ-આંદોલન કે અન્ય કોઇપણ પ્રકારના આંદોલનો ન કરવા. ( કેમ કે અમે જાતે કોઇ નિર્ણય લેવાની ક્ષમતા ધરાવતા નથી.)

. . .