Sep’13 : અપડેટ્સ-2

~ અગાઉની અપડેટમાં ઉતાવળના કારણે ઘણી વાતોને ઉમેરવામાં નહોતી આવી એટલે આજે લગભગ દોઢ મહિનાની વાતો ભેગી થઇ છે. જે યાદ આવશે અને લખવા જેવું હશે તે જ અહી લખાશે એમ માનીને આગળ વધીએ. (જો એમ લાગે કે હું કોઇ અપડેટ ચુકી ગયો છું તો સમજી લેવું કે તેમાં નોંધવા જેવું કંઇ હતું નહી અથવા તો તે પ્રાઇવેટ પોસ્ટમાં નોંધવામાં આવ્યું છે.)

~ હા તો અપડેટની શરુઆત કરીએ. સૌપ્રથમ વાત કરીએ થોડા દિવસ પહેલાના ગણેશ વિસર્જનની. જય હો.. જય હો.. જય હો.. ગણેશદેવાની અને તેમના દ્વારા થતી હેરાનગતીઓની….

~ પ્રભુ જેવા આ વર્ષે પધાર્યા એમ જ આવતે વર્ષે પણ આવજો અને આપના ભક્તોએ જાહેર પબ્લીકની જે હેરાનગતિ કરી છે તેવી આવતા વર્ષે પણ કરતા રહે તેનું ધ્યાન રાખજો. #કટાક્ષ (બીજું તો કંઇ કહેવું નથી અથવા તો કહેવા જેવું નથી, કેમ કે જે કહેવું છે તે અગાઉ પણ કહેવાઇ જ ગયું છે. જુઓઃ અહીં)

~ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુવિધા માટે એક હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. જો આપને અ.મ્યુ.કો. દ્વારા પુરી પાડવામાં આવતી કોઇ સુવિધા અંગે ફરિયાદ હોય તો અહી ફોન, મેસેજ કે ઇમેલ દ્વારા રજીસ્ટર કરાવી શકો છો. (મારી પાસે તો ફરિયાદોનો ઢગલો તૈયાર જ હોય એટલે મેં એકવાર ફરિયાદ કરીને અનુભવ કરી લીધો છે. સારી સર્વિસ છે.)

  • આ હેલ્પલાઇન અંગેની સંપુર્ણ માહિતી માટે જુઓ: amccrs.com/AMCPortal

~ એપલ દ્વારા રજુ કરાયેલી iPhone ની નવી ઓપરેટીંગ સિસ્ટમ iOS7 થી મોબાઇલ અપડેટ કરી દેવામાં આવ્યો છે. હજી તો વધુ અનુભવ નથી કર્યો; પણ જેમ શરૂઆતમાં નવી વસ્તું ઘણી ગમે અને આકર્ષક લાગે તેમ અત્યારે આ નવી સિસ્ટમ વાપરવાની ઘણી મજા આવે છે. જો કે હજુ તો અમે બંને (એટલે કે હું અને મારો મોબાઇલ) એકબીજા સાથે તાલમેલ મેળવી રહ્યા છીએ. (આમ તો ખુટે એવું તો કંઇ દેખાતું નથી અને વળી નવું-નવું ઘણું બધું છે. એટલે ફરિયાદ જેવું હશે નહી એવું કહી શકાય.)

~ આ વખતે મોદીને ભારતીય જનતા પાર્ટીપ્રધાનમંત્રી ઉમેદવાર બનાવ્યાના ન્યુઝ તો હવે જગજાહેર છે. કોઇને ગમ્યા અથવા તો કોઇને ખટક્યા હશે! પણ મને પર્સનલી ઘણો આનંદ થયો કે કોઇ રાજકીય પક્ષે એક એવી વ્યક્તિને આગળ મુકી છે, જે કંઇક તો કરી બતાવશે. (કમ-સે-કમ પ્રધાનમંત્રી તરીકે મનમોહનસિંહજી કરતા તો તે ઘણાં સારા સાબિત થશે તેનો મને અત્યારે વિશ્વાસ છે, આગળ તો જેવી રમેશભાઇ ની ઇચ્છા…)

~ હવે સામે પક્ષે પણ આવા જ કોઇ સક્ષમ ઉમેદવાર રજુ કરવામાં આવે તો ટક્કર જામે! (અહી સક્ષમ ઉમેદવારની વાત થાય છે’ એટલે મહેરબાની કરીને રાહુલબાબાને વચ્ચે ન લાવતા. યાર, ઔર ભી લોગ હૈ કોંગ્રેસમેં રાહુલ કે સીવા..)

~ નરેન્દ્ર મોદીની ખામીઓ ચોક્કસ છે, પણ તેમની ખુબીઓને તમે નજરઅંદાજ તો ન કરી શકો. એક એ વાત પણ સમજી લેવા જેવી છે કે, બધાને સાથે લઇને ચાલનારો માણસ લાંબે જઇ શક્તો નથી. અથવા તો મોટા કે અઘરા નિર્ણયો લઇ શક્તો નથી. મોદી અંગે મારી ટુંકી સમજણ પ્રમાણે કહું તો જો તેઓ PM બનશે તો કંઇક એવું કરશે જ જે અગાઉના પ્રધાનમંત્રીઓ કરી નથી શક્યા અથવા તો કરતાં ખચકાતા હતા.

~ દેશની હાલની પરિસ્થિતિ, રાજકારણ અને મતદારોની સ્થિતિ જોઇએ તો મારો અંદાજ કહે છે કે આ વખતે મોદીને પ્રધાનમંત્રીની ખુરશી શોભાવતા જોવા તૈયાર રહેવાનું છે. (ચેતવણી: આ મારું અંગત તારણ છે. મારો કોઇ એક પક્ષ, વ્યક્તિ કે સંસ્થા સાથે કોઇ સીધો સંબંધ નથી અને જો કોઇ આડકતરો સંબંધ પણ હશે તો તેને માત્ર સંયોગ કહેવાશે! -ચેતવણી પુરી.)

~ છેલ્લા મહિનામાં બે વખત અમદાવાદ-સુરત-અમદાવાદની મુસાફરી કરવામાં આવી અને એ પણ ભારતીય રેલ્વેના જનરલ ડબ્બામાં!! ટ્રેનમાં જનરલ ડબ્બો કોને કહેવાય, કેવો હોય અને તેમાં મુસાફરી કેવી રીતે કરાય તેનું મોંઘુ અને વિચિત્ર જ્ઞાન સ્વ-અનુભવે સાવ સસ્તામાં મેળવવામાં આવ્યું. (તે અનુભવ ફરી યાદ ન કરાવવા જાહેર વિનંતી.)

~ હા, હકારાત્મક વાત એ છે કે તે બહાને એક નવી સંસ્કૃતિને જાણવામો મોકો પણ મળ્યો. નવી એટલે કે, ટ્રેન સંસ્કૃતિ!! ટ્રેનમાં કાયમી મુસાફરી કરતા લોકોની પણ એક અલગ દુનિયા-વિચારો-ગ્રંથી અને આદતો હોય છે, જેનાથી આજસુધી હું લગભગ અજાણ હતો એમ કહી શકાય. એકંદરે નવું જાણવા મળ્યું તેનો આનંદ લીધો અને હવે વિશ્વાસ આવી ગયો કે ભવિષ્યમાં કયારેક આવી મુસાફરી કરવાની આવે તો મને કોઇ વાંધો નહી આવે. (રેલ્વેની દરેક મુસાફરી વખતે કન્ફર્મ બુકીંગ મળી ન શકે તે હકિકતને પણ હવે ધ્યાનમાં રાખવી પડશે.)

~ સુરત ખરેખર સુંદર શહેર છે અને કોઇ-કોઇ જગ્યાએ તો તે અમદાવાદથી પણ ચઢિયાતું લાગે. રોડ-રસ્તામાં તો તેને ચોક્કસ અમદાવાદથી આગળ ગણી શકાય. જો ગુજરાત સરકાર (વાંચો, મોદી સરકાર) તેને અમદાવાદ જેટલું જ મહત્વ કે લાભ આપવાનું શરૂ કરી દે તો એ વાત ચોક્કસ છે કે સુરત થોડા જ વર્ષોમાં અમદાવાદથી આગળ નીકળી જાય! (સાઇડટ્રેક: હું ભલે આખા ગામની પંચાત કરું છું પણ સુરતમાં બીચ-દરિયાકિનારો છે, તેની જાણકારી મને લગભગ બે-ત્રણ વર્ષ પહેલા જ થઇ છે!)

~ મારા એક નિયમને બાયપાસ કરીને થોડા દિવસો પહેલા જ યુવરાજભાઇની મુલાકાત લેવામાં આવી હતી. (કેટલાક નિયમો તોડવા માટે જ બનતા હોય છે.)

~ અમે નાની-મોટી ચર્ચા કરી જે ખરેખર જરૂરી નહોતી પણ મળ્યા એટલે સામ-સામે ચુપ બેસી રહેવા કરતાં બે વાતો કરીએ તો સારું લાગે અને સ્વાભાવિક છે કે અમારી મુલાકાત જે કોમન વિષયના આધારે થઇ છે, તે વિષય ચર્ચામાં વધુ રહ્યો. ત્યારે ઓવરઓલ હું વધારે બોલ્યો હોઇશ, યુવરાજભાઇ જરૂર પુરતું બોલ્યા હતા અને અમારા (પોતપોતાના) ધર્મપત્ની મુખ્યત્વે શ્રોતાગણના સ્થાને રહ્યા!! (જયારે હું સળંગ બોલતો હોઉ ત્યારે મને અટકાવવો ખરેખર અઘરું કામ હશે એવું મને પણ કયારેક લાગતું હોય છે!)

~ યુવરાજભાઇ પાસે સમય નહોતો છતાંયે મારી માટે સમય ફાળવ્યો તે બદલ તેમનો આભાર માનવો પડે અને છેલ્લે, મળીને આનંદ થયો -એવું લખવાનો અને કહેવાનો આપણે ત્યાં રિવાજ છે એટલે કહી દઉ છું. 🙂 (સારો રિવાજ છે!)

~ જો કે દિલથી કહું તો એક નવા મિત્ર મળ્યા તેની ખુશી થઇ, યુવરાજભાઇની નિખાલસતા ખરેખર ઘણી ગમી. તેમણે બે પુસ્તકો આપ્યા છે; જેમાંથી એકને થોડો ન્યાય આપવામાં આવ્યો છે અને બીજું પુસ્તક તેમની નવલકથા ‘સળગતા શ્વાસો‘ છે જે વાંચી લેવામાં આવી છે. (તેને હવે પાછી આપવાની છે પણ આળસમાં ભુલાઇ જાય છે.)

~ મારો ટેણીયો હવે ઘરની બહાર રખડવાનો ઘણો શોખીન થઇ ગયો છે. ઘરે આવો એટલે પહેલા તો તમને તે પોતાને તેડી લેવા કહે અને પછી તરત બહાર જવાનો રસ્તો બતાવશે. (આ નાના છોકરાંઓને બહાર જવું કેમ વધારે ગમતું હશે? ઘરમાં રહીને કંટાળી જતા હશે; કે પછી બહારની દુનિયાને જાણવાનું કુતુહલ વધારે હશે; કે પછી કોઇ અન્ય કારણ પણ હોઇ શકે.)

~ બે દિવસથી વરસાદ છે અને વાતાવરણમાં હવે ઠંડક પણ છે એટલે ડ્રાફ્ટમાં લખાયેલી ગરમીની ગરમા-ગરમ વાતોને રીમુવ કરી દેવી પડી છે. (સમયસર પોસ્ટને ‘Publish’ ન કરવામાં આવે તો આવી સમસ્યાઓ બની શકે છે.)

~ ઘણાં દિવસોની વાતો ભેગી કરી છે એટલે પોસ્ટ લાંબી થઇ જાય તે સ્વાભાવિક છે એટલે હવે વધારે આડીઅવળી વાતો ન ઉમેરવી યોગ્ય લાગે છે. (હાશ…… – કોણ બોલ્યું?)

~ બીજું બધું તો તેની જગ્યાએ બરોબર ચાલી રહ્યું છે. વજન 56 કિલો એ પહોંચ્યું છે. દવાઓ બંધ થઇ ચુકી છે. હું સંપુર્ણ સ્વસ્થ છું અને જીવનમાં એકંદરે શાંતિ છે.


*મારા જીવનનું એક વિચિત્ર કેરેક્ટર. જેઓની ઓળખાણ કયારેક કરાવવામાં આવશે.

નેશનલ બુક ફેર (પુસ્તક મેળો) 2013

– ત્રણ દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત બુક ફેરની મુલાકાત લેવામાં આવી અને પુસ્તકોની વિશાળ દુનિયાના દર્શન કર્યા.

– આગળના વર્ષે ઘણી ઇચ્છા હોવા છતાં આ પુસ્તક મેળા સુધી પહોંચી નહોતુ શકાયું એટલે આ વખતે નક્કી કર્યું હતું કે જેમ બને તેમ જલ્દી જ જઇ આવવું.

– આમ તો આ પુસ્તક મેળામાં જવા માટે કોઇ ચોક્કસ કારણ નહોતું, પણ મને પુસ્તકો ગમે એટલે ત્યાં જવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. (અને આ બહાને બે-ચાર નવા પુસ્તકો ખરીદી લેવાય તેવી છુપી ઇચ્છા પણ ખરી.)

– એક પછી એક ઘણાં સ્ટોલની મુલાકાત લેવામાં આવી અને ફરતાં-ફરતાં કુલ દસેક પુસ્તક પસંદ કરવામાં આવ્યા. (આ બધા પુસ્તકનો એકસાથે ફોટો લેવો હતો પણ ઘરે આવ્યા પછી બધા પુસ્તકો ઘરના વ્યક્તિઓમાં આપોઆપ વહેંચાઇ ગયા, એટલે…)

– એક પુસ્તક કે જેને મેડમશ્રીના આગ્રહથી લેવામાં આવ્યું તેનો ફોટો નીચે જોઇ લો. (તેને ત્યાં આ વિષયના પુસ્તકોમાં જ રસ હતો એટલે આવા અન્ય બે પુસ્તકો પણ ખરીદવામાં આવ્યા.)

બાળ આરોગ્યશાસ્ત્ર - ડૉ. આઇ.કે.વિજળીવાળા

– આપણે ત્યાં સામાન્યરીતે સરકારી સંસ્થાઓ દ્વારા આ પ્રકારના આયોજનો ખુબ ઓછા હોય છે અને જો હોય તો તેની વ્યવસ્થામાં સરકારી ટચ આંખે ઉડીને દેખાતો હોય છે; પણ આ ‘બુક-ફેર’ને સંપુર્ણ રીતે પ્રોફેશનલ ટચ આપવા બદલ અને સુવિધા-સરળતાનો સુંદર ખ્યાલ રાખવા માટે આયોજકોને અભિનંદન અને દિલથી આભાર. (જો કે આ માટેની ક્રેડિટ તો મુખ્યમંત્રી મોદીને પણ આપવી પડે, તેમણે સરકારી ખાતાને ‘પ્રાઇવેટ સ્ટાઇલ’માં આયોજનો કરતા શીખવી દીધું ખરું!)

– હવે તો બે જ દિવસ બાકી છે છતાંયે જો પહોંચવું શક્ય હોય અને પુસ્તક સાથે થોડો પણ પ્રેમ હોય તો એકવાર મુલાકાત લેવા જેવી ખરી. પુસ્તકમેળા અંગેની માહિતી આ પોસ્ટની અંતમાં છે.

– પુસ્તકમેળાની કેટલીક છબીઓ : (ત્યાં અંદર ફરતી વખતે અમે પુસ્તકો જોવામાં એટલા વ્યસ્ત હતા કે ફોટો ક્લીક કરવાનું યાદ જ ન આવ્યું.)

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજીત બુક ફેર 2013

Amdavad National Book Fair 2013

જુઓ ઉપરનો ફોટો; સરકારી અધિકારીઓ તેમની સ્વામી ભક્તિ જતાવવાનો એક પણ મોકો ન ચુકે ! 😀

Amdavad National Book Fair 2013

Amdavad National Book Fair 2013
Amdavad National Book Fair 2013
Amdavad National Book Fair 2013

અમદાવાદ નેશનલ બુક ફેર ૨૦૧૩ અંગેની માહિતી :

Amdavad National Book Fair 2013
Amdavad National Book Fair 2013

BSNLનું શું થશે..

~ ગઇ કાલે BSNL ની સુભાષ-બ્રીજ સ્થિત ઓફિસની મુલાકાત બાદ ચોક્કસ કહી શકાય કે જો આ સરકારી કંપની તેના ઘરડા કર્મચારીઓ1ની ચુંગાલમાંથી જલ્દી મુક્ત નહી થાય તો તેનું પતન થવું નિશ્ચિત છે. આખી ઓફિસમાં ફરી જુઓ.. તમને બધ્ધે ડોશીઓ જ દેખાશે. (લગભગ જીવનના ૬૦ વર્ષ અને કાર્ય પ્રત્યેનો ઉત્સાહ વિતાવી ચુકેલી !!)

~ પ્રોફેશનાલિઝમ કે કસ્ટમર સર્વિસ કોને કહેવાય તે આ લોકોને ખબર જ નથી. અહી બેઠેલા ‘સાહેબ’ કે ‘મેડમ’ને તમે તમારા હક માટે વિનંતી જ કરી શકો કેમ કે કસ્ટમરની ફરિયાદ સાંભળવા આ લોકો ટેવાયેલા નથી. (બસ, હમે ઔર કુછ ના કહો…)

bsnl logo png image~ સ્વીકાર્યું કે તે કર્મચારીઓ જયારે આ કંપનીમાં જોડાયા ત્યારે તેમની ‘સાહેબી’ હતી. (એ સમયે પબ્લીક માટે બીજો કોઇ વિકલ્પ નહોતો. અરે, પટાવાળાને પણ સાહેબ કરીને રાખવો પડતો!)

~ દિવાળીએ બી.એસ.એન.એલ.ના વાયરમેનને બૉનસ આપવું ફરજિયાત હતું. (હા, બોનસ!!! આ લોકો કસ્ટમર પાસેથી પણ હકથી બૉનસ માંગી લેતા. આ રિવાજ આજે પણ ઘણી જગ્યાએ પ્રચલિત છે!)

~ જો BSNLના તે લોકલ વાયરમેનને બૉનસ ન આપો તો ચોમાસામાં તમારો ફોન બંધ થવાનું પાક્કુ અને તેને ચાલુ કરાવવા લાખ પ્રયત્ન કરો પણ બૉનસની ચુકવણી પછી જ વાત આગળ વધે. (આ મારો અંગત અનુભવ છે. એ પણ બબ્બે વારનો..)

~ હવે સ્પર્ધાત્મક યુગમાં બીજી ઘણી કંપનીઓ BSNL ની અવેજીમાં ઉપલબ્ધ બની ગઇ છે એટલે BSNLની અને તેના કર્મચારીઓની મોનોપોલી ઘણી ઘટી ગઇ છે, પણ પેલા સાહેબી ભોગવી ચુકેલા કર્મચારીઓ ને હજુ કસ્ટમર-ફ્રેન્ડલી બનવું ફાવ્યું નથી. (હજુ તેમને સાહેબ કહીને બોલાવવાનો રિવાજ ચાલું છે !!)

~ કોમ્પ્યુટર અને સિસ્ટમ તો તેમને માથાનો દુખાવો લાગે છે !! અનેકવાર એવું થયું છે કે BSNL ઑફિસમાં જઇએ તો કોઇ સરખો જવાબ આપવા તૈયાર ન હોય.

# મારા દ્વારા ગઇકાલની જ મુલાકાત વખતની એક એવી નજીવી ઘટનાનું વર્ણન…

~ ‘છુટ્ટા ની રામાયણ‘માં કેશીયર-ડોશી અને બીલ ભરવા આવનાર એક ‘ઉંમરલાયક કાકા’ વચ્ચે થયેલી બોલાચાલી.

# સમસ્યા:  ગ્રાહક-કાકાને રુ.૪૫૦ નું ટેલીફોન બિલ ભરવું હતું; અને કાકા એ ૫૦૦ ની કડકડતી નોટ કેશીયર-ડોશી સામે ધરી દીધી!! (પછીનો સંવાદ નીચે મુજબ…)

  • કેશીયર-ડોશી (મોઢુ બગાડીને) : છુટ્ટા લઇને આવતા હોવ તો…
  • ગ્રાહક-કાકા (નિર્દોષતાથી) : ખાલી ૫૦ રૂપિયા માટે છુટ્ટા લેવા કયાં જવું…? તમે જ આપી દો ને બેન..
  • કેશીયર-ડોશી (હક સાથે) : હું તમારા બિલમાં ૫૦૦ જમા કરી દઉ છું…
  • ગ્રાહકકાકા (ભડકીને) : ના. ના.. એવુ ના ચાલે ? પરચુરણની માથાકુટ ના થાય એટલે ૪૪૨ ના બીલ સામે હું ૪૫૦ તો ભરું જ છુ ને… તો હવે બીજા વધારે શા માટે જમા કરાવું ? તમારે એટલા છુટ્ટા તો રાખવા જોઇએ ને…
  • કેશીયર-ડોશી (ઉકળીને2) : એક તો છુટ્ટા લાવવા નથી અને પાછા મને ઓડર આપે છે. અમારે શું કરવાનું એ તમારે શીખવાડવાની જરૂર નથી. અમે કંઇ તમારા નોકર નથી..
  • ગ્રાહક-કાકા (થોડા ઉંચા અવાજે) : તો હું તમારો નોકર નથી કે તમે મને છુટ્ટા લઇને આવવાનું કહો છો.. તમે આ ૪૫૦નું બીલ ભરી દો ને એટલે વાત પતે..

~ ડોશી-કેશીયર ગુસ્સામાં કોમ્પ્યુટરની સ્વિચ એક આંગળીથી ધીરે-ધીરે સાચવીને-સંભાળીને દબાવતા જાય છે… અને પછી જે પ્રિન્ટ નીકળે છે તેની સાથે (ગુસ્સો ઉમેરીને) ૫૦ રૂપિયાની નોટ પેલા કાકાને પાછી આપે છે.

  • ગ્રાહક-કાકા (હવે ગુસ્સામાં) : ૫૦ છુટ્ટા તો હતા… તો પછી આટલી માથાકુટ કેમ કરી? બસ… અમને હેરાન જ કરવા છે તમારે લોકોએ તો…
  • ડોશી-કેશીયર (ધીમેથી) : ચાલ્યા આવે છે કયાંથી આવા હવાર હવારમાં… મારો તો આખો દી બગાડી નાખ્યો.. (મોટેથી) જાવ જાવ હવે… બીજીવાર છુટ્ટા લઇને આવજો…અમે કંઇ તમારી માટે છુટ્ટા રાખવા નવરા નથી બેઠા… શું જોઇને ચાલ્યા આવે છે અહીયા…. જાણે અમે તેમના નોકર હોઇએ એમ ઓડર આપે છે પાછા..

~ પેલા કાકા તો આ ‘હિટલર’ ડોશી-કેશીયરથી છુટવા મળ્યું એ સંતોષમાં તેને વળતો જવાબ આપ્યા વગર ચુપચાપ નીકળે છે. જતાં-જતાં મારી સામે જોઇને તે ડોશીના વર્તન અંગે આંખોથી અને માથુ હલાવીને નિઃસાસો નાખતા જાય છે.

~ હવે ડોશી-કેશીયરનો નવો શિકાર બનવાનો મારો વારો હતો !!… જો કે આગળની ઘટના બન્યા પછી હું તો છટકવાનો રસ્તો શોધી ચુક્યો હતો..

~ મારે જે બીલ ભરવાનું હતું તેમાં છુટ્ટાની માયાજાળમાં પડવાને બદલે કહી દઉ છું કે પુરે-પુરા ભરી દો. વાર્તા પુરી.. હેપ્પી એન્ડીંગ! 🙂


‘કસ્ટમર ઇઝ કિંગ’ – એ વાત આ લોકોને હજુ કયારે સમજાશે?

~ એક નાની અમથી વાત છે; પણ જે કંપનીના કર્મચારીનું વર્તન તેની કંપનીના કાયમી ગ્રાહક સાથે આવું હોય, જે કંપનીના કર્મચારીની સરેરાશ ઉંમર અને કાર્યક્ષમતા વૃધ્ધની કેટેગરીમાં આવતી હોય, તે કંપનીને પરાસ્ત કરવા હરિફોની જરૂર નથી. તેને તો તેના કર્મચારીઓ જ ડુબાડી દેશે..

~ BSNL ના ડેટા પ્લાન, બેન્ડવિથ, સ્પિડ, સર્વર, મોડેમ કે તેની કેપેસીટી, મોબાઇલ નેટવર્ક કે કનેક્ટીવીટી અથવા અન્ય કોઇ પણ ટેકનીકલ જાણકારી ઇચ્છો તો તે અહી બેઠેલા બુઝુર્ગ લોકો માટે અશક્ય કાર્ય છે. (તમને તરત અલગ ઑફિસનું એડ્રેસ કે નંબર પકડાવી દેશે કે ત્યાં જાઓ અથવા ત્યાં વાત કરી લો.)

~ કસ્ટમરકેર બાબતે કયારેક AEC ની પણ આ જ હાલત હતી, પણ ટોરેન્ટના આવવાથી કમ-સે-કમ કસ્ટમર-ફ્રેન્ડલી વાતાવરણ તો બન્યું છે. (ટોરેન્ટ હેલ્પ લાઇન પર કોઇ પણ સવાલનો ચોક્કસ જવાબ હવે મળી જાય છે.)

~ મોબાઇલના આવવાથી બી.એસ.એન.એલ.ના લેન્ડલાઇન ગ્રાહકમાં મોટો ઘટાડો થવો સ્વાભાવિક હતો પણ એક હદ પછી હવે તે ઘટાડો કંપનીને ખુંચવો જોઇએ… મોબાઇલ નંબર પોર્ટેબિલીટી આવવાથી મોબાઇલ ગ્રાહકમાં પણ ઘટાડો થયો છે. (કંપનીની બજારમાં પકડ ઘટી રહી છે તો પણ કર્મચારીઓની અકડ નથી જતી.)

~ જો કે BSNL નું ફોલ્ટ બુકિંગ અને રિપેરીંગ કાર્યમાં ઘણો સુધારો આવી ગયો છે. તેઓ બદલાવના અને નવી સેવાઓ ઉમેરવાના ઘણાં સારા પ્રયાસ પણ કરી રહ્યા છે. આજે હું વિશ્વાસ સાથે BSNL ના બ્રોડબેન્ડ કનેકશનનો ઉપયોગ કરું છું અને તેની સેવા મને ગમે પણ છે. મોબાઇલનો વધુ ઉપયોગ ટાળવા તેની લેન્ડલાઇનનો ઉપયોગ વધારે કરવાનુ નક્કી કર્યું છે. (હા, BSNL મોબાઇલ સર્વિસ વિશે કંઇ કહેવા જેવુ નથી.)

# સાઇડટ્રેકઃ તમે કયારેય ૧૫૦૦ નંબર ડાયલ કરીને BSNL કસ્ટમર કેર અધિકારી ‘સાહેબ’ સાથે વાત કરી છે ? જીવનમાં આ અનુભવ પણ કરવા જેવો ખરો હોં..