~ પોરબંદરના મોહનદાસ કરમચંદ ગાંધી જે સમયજતાં ગાંધીજી અને બાપુ તરીકે આખા ભારતમાં ઓળખાયા. તેમની મહાત્મા બનવા તરફની યાત્રાની શરુઆત જ્યાંથી થઇ તે જગ્યા એટલે આ સાબરમતી આશ્રમ.
~ એક સમયગાળા દરમ્યાન ગાંધીજીનું રહેઠાણ રહેલ આ જગ્યા હવે ઐતિહાસિક સ્થળ છે; જેની મુલાકાતે વિશ્વભરથી પ્રવાસીઓ આવતા હોય છે… પણ અમદાવાદમાં કાયમી વસતા હોવા છતાં મેં 15 વર્ષ બાદ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી! (જેની પાસે હોય તેને તેની કદર ન હોય તે માનવ સ્વભાવમાં છે.)
~ આશ્રમ રોડ પર મહિનામાં 15 વાર જવાનું થતું હશે તો પણ કેમજાણે મનથી ઇચ્છા હોવા છતાંયે આ સ્થળે અટકવાના સંજોગ બનતા ન હતા. છેવટે એક બહાને દિવસ નક્કી થયો અને મુલાકાતનો પ્લાન બની ગયો. (ઘણીવાર મને ધક્કો મારનાર અથવા તો ખેંચી જનાર વ્યક્તિ કે કારણ ખુટતું હોય છે.)
~ અહીયાં 15-મી ઓગષ્ટના દિવસે આવવાનો પ્લાન હતો એટલે પહેલાંથી માનસિક રીતે તૈયાર હતો કે સ્વાતંત્ર્ય દિવસ હોય અને ગાંધી આશ્રમ જેવી જગ્યા હોય તો હાઇ-સિક્યુરીટી હોવી સ્વાભાવિક છે. એમપણ આવા દિવસોમાં રિસ્ક સામાન્ય દિવસો કરતાં વધુ રહે છે.
~ પહોંચતા પહેલાં વિચારીને રાખ્યું હતું કે ચારે તરફ કડક સુરક્ષા હશે એટલે કેમેરાને અંદર લઇ જવાની પરવાનગી પણ ન મળે, મોબાઇલને કદાચ ગાડીમાં જ રાખવો પડશે અને દરેક ખુણે તમારી ઉપર નજર રાખવા માટે કમાન્ડોઝ હાજર હશે; પણ અહીયાં તો સાવ અલગ અહેસાસ થયો. મુખ્ય એન્ટ્રીમાં એક-બે સામાન્ય પોલીસવાળા સિવાય કોઇ જગ્યાએ એવું કંઇજ ન જણાયું અને જે-જે વિચાર્યું હતું એવું તો કંઇ જ ન થયું!
~ અહીયાં બધી જગ્યાએ કોઇજ પ્રકારની રોકટોક વગર મનફાવે ત્યાં ફરી શકાય છે અને ઐતિહાસિક ઇમારતો તથા બીજા મુલાકાતીઓને ખલેલ ન થાય એમ જ્યાં ફાવે ત્યાંથી, જેવા ફાવે તેવા ફોટો ક્લીક કરી શકો છો! (આ મને વધારે ગમ્યું.)
~ કોઇપણ પ્રકારનો એન્ટ્રી ચાર્જ નથી અને અંદર કોઇ ફેરીયા/ભીખારીઓ કે ગાઇડનો ત્રાસ નથી એ પણ ગમ્યું. જો કોઇ વિષયે માહિતી કે ઐતિહાસિક જાણકારી ઇચ્છો તો આશ્રમના વ્યવસ્થાપકો વિસ્તારથી જણાવવા તત્પર છે. (બસ, એકવાર તેમને પુછવું પડે!)
~ ખરેખર શાંત અને રમણીય જગ્યા છે. આજે આ જગ્યાની સ્વચ્છતા અને સુંદરતા જાળવવા બદલ વ્યવસ્થાપકોને શાબાશી આપવી પડે! ગાંધીજી પોતે સ્વચ્છતાના આગ્રહી હતા અને તેમના આશ્રમમાં આજે પણ તેનું ધ્યાન રખાય છે તે સારું લાગ્યું.
~ અમારી પણ અંગત માન્યતાઓ અને કેટલીક વિચિત્રતાઓ છે કે જે આ મહાન વ્યક્તિત્વના દરેક વિચારો સાથે બંધબેસતી નથી. પરંતુ દેશની આઝાદી સમયના એક વિશિષ્ટ અને સમગ્ર દુનિયામાં સન્માનિત વ્યક્તિની ખાસ જગ્યા વિશેની આ મુલાકાત પોસ્ટમાં તે બધું ઉમેરવું યોગ્ય નથી લાગતું. (ક્યારેક અંદરની નકારાત્મકતાને કંટ્રોલ કરવી જરુરી હોય છે.)
# હવે છે સ્થળની મુલાકાત દરમ્યાન કરવામાં આવેલ ક્લીક્સઃ

# સ્થળ અને દિશા સુચક પાટીયાંઓ.. (આ ફોટો એટલાં માટે છે કે અહીયાં શું-શું આવેલું છે તે સમજી શકાય.)
આશ્રમમાં ગાંધીજી જે ઘરમાં રહેતાં તે ઘરના ફોટો..
*કોઇપણ ફોટો પર ક્લીક કરીને તેને પુરા કદમાં જોઇ શકાશે.

# આશ્રમના પરિસરમાં બનાવવામાં આવેલ સુંદર મ્યુઝીયમ..
~ આ સંગ્રહાલયમાં મોહનદાસથી મહાત્મા બનવા સુધીની સફરની ફોટોગ્રાફ સાથે વિસ્તૃતમાં માહિતી છે અને એ પણ વાંચવી-જોવી ગમે તે રીતે સુંદર આયોજનથી ગોઠવાયેલી! જેના કેટલાક ફોટોગ્રાફ અહી નીચે જોઇ શકો છો..


સરસ ઇ-મુલાકાત કરાવી દીધી ગાંધી આશ્રમની, કેમેરા સારો છે 😀
કેમેરા વતી હું આપનો આભાર માનુ છું! (અને કેમેરા પાછળ માણસ પણ સારો છે; થોડી ક્રેડીટ તેનેય આપજો સાહેબ.. 😀 )
સરસ માહિતીસભર પોસ્ટ.” ~ અમારી પણ અંગત માન્યતાઓ અને કેટલીક વિચિત્રતાઓ છે કે જે આ મહાન વ્યક્તિત્વના દરેક વિચારો સાથે બંધબેસતી નથી. પરંતુ” અમે તમારા આ પરંતુ સાથે સહમત છીએ.
હા, ક્યારેક સંયમ જાળવવો જરુરી લાગે છે અને હવે પોતાનાથી અલગ મતનું સન્માન કરતા પણ શીખી રહ્યો છું. આપના પ્રતિભાવ બદલ આભાર..
ખુબ સરસ વર્ણન. ધણા વર્ષો સુધી આશ્રમ રૉડ પરથી પસાર થયો, ઘણા પુસ્તકો પણ વાંચ્યા પણ કદી ઇચ્છા થઇ નહોતી. વિદેશમાં ગાંધીજીના ઘણા સ્થાનકો જોયા પછી ઇચ્છા થઇ કે હવે અમદાવાદ અને પોરબંદર પહેલા જવું પડશે. છેલ્લા ૨ વર્ષમાં ૨ વાર પરિવાર સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી. યાદગીરી માટે લાકડાનો રેંટીયો (souvenir), ભારતનો ધ્વજ પણ લઇ લીધો.
ખુબ સરસ ફૉટોગ્રાફ લીધા છે.
જે અનુભવ્યું એ લખ્યું. આપને ગમ્યું તેનો આનંદ થયો અને મેં ક્લીક કરેલા ફોટોને વખાણવા માટે ધન્યવાદ.
આ જોઇ-વાંચીને ચાર નવા લોકોને ત્યાં જવાની ઇચ્છા થાય તે મારા માટે ઉત્સાહની વાત છે.