Apr’21 – અપડેટ્સ

ખરેખર અપડેટ્સ તો આ સમયે નિયમિત લખવા જેવી હતી. ખૈર, હજુયે બદલાયું હોય એવું નથી. સમય ગંભીર અને નાજુક છે. કોરોનાને લીધે ચારેતરફ ભય અને અનિશ્ચિતતા નો માહોલ છે.

ગયા વર્ષે જે પરિસ્થિતિ ની આશંકા મનમાં આવતી હતી તે સ્થિતિ વચ્ચે અત્યારે જીવી રહ્યા છીએ. કોરોના કહેરનો આ બીજો તબક્કો ખરેખર ભયાનક છે. મને એમ હતું કે આપણે જેમતેમ બચીને સરળતાથી નીકળી ગયા, પણ મહામારીનું અસલી રૂપ હવે દેખાઈ રહ્યું છે.

હું પોતાને બીમારીઓ માટે સરળ શિકાર તરીકે દેખું છું અને કોરોના બાબતે જેટલો બેફિકર છેલ્લા ત્રણ મહિનાઓમાં રહ્યો છું એ જોતાં મને પણ નવાઈ લાગી રહી છે કે અત્યાર સુધી ખબર નહિ કેમ હું બચી ગયો! હા, હોઈ શકે કે મને ચેપ લાગ્યો હોય પણ સામાન્ય અસરથી અજાણતા જ તેમાંથી બહાર નીકળી ગયો હોઉં અથવા તો ‘ઇમ્યુનીટી’ નો કોઇ કમાલ હોઈ શકે.

હોસ્પિટલમાં જગ્યા અને ઇન્જેક્શન-દવા ખૂટી રહ્યા છે. ટેસ્ટ કરાવવા પડાપડી થઈ રહી છે. ચારે તરફ જ્યાં જુઓ ત્યાંથી નવા દર્દીઓ ઉમેરાઈ રહ્યાના સમાચાર મળી રહ્યા છે. સાથે સાથે પોતાના સ્વજન ગુમાવતા લોકોને હું કોઈ જ ભાવ વગર જોઈ રહ્યો છું.

સમજાતું નથી કે પ્રયત્નથી કેટલો ફરક પડશે અને હું કેટલે સુધી કરી શકીશ. મન મજબૂત કરીને ફરી લાગી જઈએ તો પણ ફરી ક્યાંકથી કોઈ ઓળખીતા વ્યક્તિના મૃત્યુના સમાચાર મન ને ડગાવી દે છે. દવા-ઓક્સિજન કે હોસ્પિટલમાં જગ્યા ન મળવાથી થયેલ મોત અસહ્ય હોય છે.

દરેક પોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છે અને જ્યાં મળે ત્યાં રસ્તો શોધવા હવાતિયાં મારી રહ્યા છે. જેને હજુ સુધી એવી પરિસ્થિતિમાંથી પસાર નથી થવું પડ્યું તે બધા લોકો માટે દુર થી આવી સ્થિતિને દેખવું કદાચ અતિરેકભર્યું પણ લાગતું હશે. જેણે ભોગવ્યું છે અથવા તો નિકટના વ્યક્તિને ગુમાવ્યું છે તે જ સાચું સમજી શકશે.

સરકારી આરોગ્ય વ્યવસ્થા, જે લગભગ થાકેલી અવસ્થામાં જ હોય છે, તે હવે મરી જવાની અવસ્થામાં છે. નેતાઓ અને અધિકારીઓ હવે પોતાનું નાક બચાવવા તેને જબરદસ્તી જીવાડી રહ્યા છે. આશા રાખીએ કે તે એક સમય સુધી જીવી જાય તો ઘણાં બીજા જીવી જશે.

લોકોને સરકાર પરથી લગભગ વિશ્વાસ ઉઠી ચૂક્યો છે. હા, હજુયે એવા લોકો છે જેઓને આવી પરિસ્થિતિમાં સરકાર પર પુરો અવિશ્વાસ નથી જાગ્યો અને એવાયે છે જેઓને હવે કોઈ ડોક્ટર પર પણ વિશ્વાસ નથી આવતો. સ્થિતિ એવી છે કે વિશ્વાસ ક્યાં અને કેટલો થઈ શકે તે નક્કી થઈ શકે એમ નથી. બધી જવાબદારી સરકાર પર નાખીને કે તેને ગાળો આપીને પબ્લીક તરીકે આપણે કંઇ જ સાબિત નથી કરી શકવાના અને સામે પક્ષે રાજકારણીઓ/અધિકારીઓ પણ ઘણી અવ્યવસ્થા માટે જવાબદાર છે.

હું હજુ અસમંજસ માં છું કે આ બધામાં સાચા કોણ અને ખોટા કોણ! વળી, એમાં સાચા ને કેટલાં સાચા કહેવા અને ખોટા ને કેટલાં ખોટા કહેવા એ પણ નક્કી થઈ શકે એમ નથી.

કોઈપણ સરકાર કે વ્યવસ્થા માટે અચાનક આવતી આવી મહામારીમાં પહોંચી વળવું અઘરું જ હોય છે. હંમેશા દરેક સ્થિતિ માટે તૈયાર રહેતી સંપુર્ણ વ્યવસ્થા શક્ય જ નથી. આપણે સારી સગવડની આશા રાખી શકીએ; પણ ઉત્તમ વ્યવસ્થાની અપેક્ષા રાખવી થોડી વધારે પડતી લાગે છે.

કેટલાક ને માત્ર મોદીની બંગાળ ‘રેલી’ઓ ગળામાં અટકી ગઈ છે તો કેટલાકને કેજરીવાલની જાહેરાતો પર પીન ચોંટેલી છે. કોઈને ચૂંટણી-સભાઓનો દોષ દેખાય છે તો કોઈને અમદાવાદનું ખીચોખીચ ભરેલું સ્ટેડિયમ હવે ખૂંચી રહ્યું છે. હા, કોઈ એમપણ કહે છે કે આપણે લોકો જ વધારે બેફિકર બની ગયા હતા. મને તો ઘણું સાચું લાગે છે અને તેના વિશે હવે વિચારવું થોડુંક બાલિશ પણ લાગે છે.

એવું નથી કે આપણો જ દેશ બીજી લહેરમાં ફસાયો હોય; દુનિયામાં આ સ્થિતિ બીજે પણ ઉભી થઈ છે અથવા તો થઈ રહી છે. અત્યારે વેક્સીનેશન એકમાત્ર ઉપાય છે. રસીકરણ જેટલું ઝડપથી થાય એ જ દુનિયાભરની સરકારોએ જોવાનું છે. મને તો કોરોના વાઇરસના બદલાતા વેરીએંટ્સથી એ સવાલ પણ થાય છે કે તે રસીને કેટલી કામયાબ રહેવા દેશે..

કેટલીક ભયાનકતા ખરેખર આશંકાથી પણ વધારે ભયાનક હોય છે. ચર્ચા કરવા સમય પછી મળશે અત્યારે તો થાય એટલું બચાવવા પ્રયત્ન કરીએ એના વગર છૂટકો નથી.

💔

Apr’20 : અપડેટ્સ

કેટલાય દિવસથી વિચારું છું, છેવટે હા-ના કરતાં-કરતાં આજે મારો મુળ વિષય હાથમાં લીધો છે. આ વિશે ગમે ત્યારે લખી શકાય એમ હોવા છતાં આટલાં દિવસોની નવરાશમાં પણ આ મુદ્દો ખોવાઇ ગયો હતો! (હા, આળસમાંથી નવરાશ મળે તો ને..)

છેલ્લે 7 માર્ચ પછી હવે ઘણાં દિવસ પછી મારી પોતાની અપડેટ્સ લખાઈ રહી છે, એટલે જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ વધવાની શરૂઆત કરું જેથી અપડેટ્સની કડી જોડાયેલી રહે. (ડીયર બગી, પોતે લખેલું પોતે જ વાંચવું છે, તો કોના માટે આ કડી જોડવી છે તારે? 🤔)

લોકડાઉન યુગ શરૂ થયો તેનાથી થોડાં જ સમય પહેલાની આ વાત છે. આ એ જમાનો છે જ્યારે બધા મુક્ત રીતે હરતાં-ફરતાં હતા અને કોરોના માત્ર સમાચારોમાં જ દેખાતો હતો. માસ્ક માત્ર ડોક્ટર્સ પહેરતા હતા અને રોડ-શહેર ટ્રાફિક અને ઘોંઘાટથી ગાજતા હતા. (ટુંકમાં, બધું સામાન્ય હતું.)

સાઇડટ્રેકઃ કોઇવાર ક્રિકેટમાં કે બીજી કોઈ રમતમાં દરેક સાથે એકવાર તો થયું જ હશે કે તમારે દાવ લેવાનો વારો આવે ત્યારે જ કંઈક એવું બને કે તમારે ક-મને પણ પરિસ્થિતિ સ્વીકારી લેવી પડે અને તમારો વારો-રમતની મજા જતી કરવી પડે. “જેઓની સાથે આવું ક્યારેય ન બન્યું હોય તેમના જીવન ઉત્તેજના વિનાના શુષ્ક હશે.” -એવું બાબા બગીચાનંદ કહે છે. (અમારા બાબા જ સત્ય છે, બીજું બધું મિથ્યા છે! 😎)

સમયની ચાલ નિરાળી છે, જ્યારે 15 દિવસ બિમારીના લીધે ઘર-હોસ્પિટલમાં વિતાવ્યા પછી હું એવું અનુભવી રહ્યો હતો કે હવે ફરી મારો વારો આવ્યો છે દુનિયામાં બંધન-મુક્ત વિહરવાનો; ત્યારે જ કોરોના વાઇરસ નવી મુસીબત તરીકે મારા અરમાનોની પથારી ફેરવી નાખે છે. (કોઇને મારી આઝાદી સાથે અંગત-અદાવત હોય અને તેણે મને રોકવા માટે કોરોના ફેલાવ્યો હોવાની શંકા કરી શકાય? #કુછ_ભી)

ઉપરની બધી વાત પ્રસ્તાવના હતી, તેમાં અપડેટ એટલી જ છે કે 15 દિવસ પછી તબિયતમાં સુધારો જણાતા બે દિવસમાં કુલ ચાર કલાક માટે જ ઓફિસ ગયો હોઇશ અને મોદી સાહેબે દેશવાસીઓને જનતા-કર્ફ્યુ માટે વિનંતી કરી. બધાએ સ્વીકારી, પણ જનતા કર્ફ્યુનો દિવસ પુરો થાય એ પહેલાં તો ગુજરાત સરકારે લોકડાઉનની જાહેરાત કરી દીધી. (મૈ ઘર મેં થા, ઘર મેં હી રેહ ગયા.. મેરા જીવન કોરા કાગજ…. 😭)

અમદાવાદમાં લોકડાઉનને આજે લગભગ 40 દિવસ થયા છે. હું ઘરમાં જ છું. મારા ડોક્ટરના મતે રોગ-પ્રતિકારક શક્તિ ઓછી હોવાથી મને કોરોનાનો ચેપ લાગે તો રીકવર થવાની સંભાવના ઓછી છે. બે-ચાર વાર શાક-પાંદડા અને દવા-દારુ માટે દુકાન સુધી ગયો હોઇશ પણ એ સિવાય ઘરથી બહાર નીકળ્યો નથી. (દવા-દારુ એક જ શબ્દ છે; તો-પણ, શોખીન સજ્જનો શબ્દના અડધા ભાગ ઉપર નજર અટકાવી રાખશે.)

વર્તમાન કે ભવિષ્યનો કોઇ વિચાર કર્યા વગર કામકાજ અને નિયમિત લાઇફથી દુર કેટલાક દિવસ હું માત્ર મારી સાથે રહી શકું એવો સમય મેળવવાની ઘણી જુની ઇચ્છા હતી; પણ કોરોના વાઇરસના લીધે ખરેખર એવા દિવસો દેખ્યા ત્યારે શરુઆતમાં થોડું અઘરું થઇ ગયું. અહી 26 માર્ચની એક પોસ્ટ તે જ અઘરી સ્થિતિ દર્શાવતી હતી. બિમારીના લીધે એમપણ હું 15 દિવસથી ઘરમાં પુરાયેલો હતો અને પછી થયું લોકડાઉન…

ખૈર, લોકડાઉન થયા પછીના બે-પાંચ દિવસ નિયમિત સમાચાર જોવામાં, સોસીયલ મીડીયામાં, બાકી રહી ગઇ હોય એવી મુવી-સીરીઝ જોવામાં, કામ વગર ઘરે પુરાઇ રહેવાની વાતોમાં નિકળ્યા. પછીના દસ-પંદર દિવસ સમાચારોથી અંતર જાળવવામાં અને ભારે વિષયોની મુવી-સીરીઝ ટાળવામાં ગુજર્યા. વિચિત્ર વિચારો, ગભરાટ, ઉચાટ અને થોડા સમયના ડિપ્રેશન બાદ હવે એ માનસિક અવસ્થામાં છું જેમાં વિચારો સ્થિર છે અને એકંદરે મન શાંત છે. (મારા માટે આ સ્થિતિ જાળવી રાખવી જરુરી છે.)

હવે માત્ર હળવી અને મોટેભાગે એનીમેશન મુવી, કોમેડી સિરિઝ જોવાનું રાખુ છું. અમદાવાદ-ગુજરાતના જરુરી ન્યુઝ સિવાય કોઇ જ જાણકારી રાખવી નથી. દિવસનો મોટા ભાગનો સમય નાયરા સાથે રમવામાં વિતે છે અને બાકીનો સમય ઉંઘવામાં, ખાવા-પીવા-નાહવામાં, મહાભારત-રામાયણમાં વિતે છે. (બસ, લાઇફ યુ હી કટ રહી હૈ..)

નાયરાની વાતથી યાદ આવ્યું આ આખી અપડેટમાં હજુ સુધી વ્રજનો કોઇ ઉલ્લેખ નથી થયો. નાયરાના જન્મદિવસની વાતોમાં પણ તે ક્યાંય ન’તો. કેમ? તેની અલગ ઘટના છે. એક લોકડાઉન-સ્ટોરી છે. સિરીયસ કંઇ નથી, પણ તે વિશે નવી પોસ્ટમાં નોંધ કરીશ કેમ કે આ પોસ્ટ ઘણી લાંબી થઇ ગઇ છે તો અહીયા પુરી કરું. (વળી આજે તો કંટાળાજનક વાતો જ લખી છે.)

અચ્છા, બે દિવસ પહેલાં બગીચાનો ટાઇટલ લોગો અપડેટ કર્યો છે. નોટીસ કીયા ક્યા? (મૈને બનાયા હૈ બાઉજી, મૈને! #પ્રફુલપારેખ)

😊

કોરોના અપડેટ્સ – 2

અગાઉ જ્યારે અહી આ વિષયે નોંધ લેવાઇ ત્યારે ગુજરાતમાં કોઇ કેસ નોંધાયા ન હતા, પણ આજે પરિસ્થિતિ બદલાઇ ચુકી છે. અત્યાર સુધી મળેલ જાણકારી મુજબ અમદાવાદમાં ત્રણ, વડોદરામાં બે, સુરત અને રાજકોટમાં એક-એક એમ કુલ-7 પોઝીટીવ કેસ નોંધાઇ ચુક્યા છે. અને ભારતભરમાં નોંધાયેલ કુલ covid-19 કોરોના વાઇરસથી પોઝીટીવ કેસની સંખ્યા 200 ને પાર કરી ચુકી છે.

અમદાવાદમાં હજુયે લોકો મુક્તરીતે હરીફરી રહ્યા છે. એટલા નોર્મલ રીતે કે જાણે તેમને કોઇ જ ખતરો જ નથી જણાતો. કોણ ક્યારે ક્યાં શિકાર બનશે તે કળી શકાય એમ નથી. ઘણાં આગોતરા પગલાંઓને લીધે ભારતમાં આ વાઇરસ હજુ ઇટાલી, ઇરાન અને અમેરિકાની જેમ કોમ્યુનીટી-સ્પ્રેડ નથી થયો એટલું સારું છે પણ હજુયે કંઇ કહેવાય એમ નથી. તેનો ઉપકાર માનીને પણ થોડા દિવસ ઘરમાં પુરાઇ રહીએ તો સારું.

અત્યાર સુધી નોંધાયેલ દરેક કેસમાં મુખ્યત્વે વિદેશથી આવેલ વ્યક્તિઓ છે, પણ હવે થોડું ચેલેંજ જેવું લાગી રહ્યું છે. સામુહિક પ્રયત્નો કરવા જ પડશે. ગઇકાલે પ્રધાનમંત્રીના પ્રજાજોગ સંબોધનમાં એક દિવસનો ‘જનતા કર્ફ્યુ‘ નો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે તે ડ્રીલ સમાન લાગી રહ્યો છે.

આપણે રોતલ-નાગરિક બનીને ફરિયાદ પણ ન કરી શકીએ એટલી સરકાર એકટીવ છે! પરંતુ દરેક લોકોના સામુહિક સહયોગ વગર બધું જ બેકાર છે. જો એકવાર વાઇરસ લોકોમાં ફેલાવા લાગ્યો તો ખરેખર બહુજ ખરાબ દિવસો જોવા પડે એમ છે.

આગળની વાત નોંધતી વખતે લાગ્યું હતું કે જરુર કરતાં વધારે ભય બતાવાઇ રહ્યો છે પણ દુનિયાભરથી આવતા આંકડાઓ જોઇને હવે ચોક્કસ લાગે છે કે ડરવા માટે પુરતા કારણો છે.

અત્યાર સુધી ચીનમાં 80,967 પોઝિટીવ કેસ સામે 3,248 લોકોના મૃત્યુના આંકડાઓ જાહેર કર્યા છે, પણ ચીન બહાર નોંધાયેલ પોઝિટીવ કેસ અને મૃત્યુની સ્થિતિ જોઇને લાગે છે કે ચીને દુનિયાથી ઘણું છુપાવ્યું છે.

ખૈર, દુનિયાનું તો પછી જોવાશે જો આપણે સલામત રહીશું. અત્યારે સંપુર્ણ રીતે સ્વાર્થી બનવાનો સમય આવી ગયો છે. પોતાના દેશ અને રાજ્ય માટે, પોતાના શહેર અને વિસ્તાર માટે, ઘર અને પરિવાર માટે, ખાસ તો પોતાની જાત માટે સ્વાર્થી બનીને બને ત્યાં સુધી એકબીજાથી સીધો સંપર્ક ટાળવાનો આ સમય છે.

અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન સખત એલર્ટ છે. મ્યુનીસીપલ કમીશનર શ્રી વિજય નેહરા દ્વારા આજે નીચેની જાહેરાત કરવામાં આવી છે જેને ખાસ ધ્યાનમાં લેવા જેવી છે.

public advisory by ahmedabad municipal corporation

કોરોના વાઇરસની અસર દેખાતા બે થી પંદર દિવસ સુધીનો સમય હોય છે. એટલે તેનો અસરગ્રસ્ત વ્યક્તિ ત્યાં સુધી પબ્લીકમાં રહીને કેટલાય લોકોને ચેપ લગાડી શકે છે અને ચેપ લાગનાર વ્યક્તિને થોડા દિવસો બાદ તેની ખબર પડે એટલે ત્યાં સુધી તે બીજા કેટલાય સુધી આ વાઇરસ ફેલાઈ શકે છે. આ બિમારીને મહામારી બનતાં જરાય વાર લાગે એમ નથી અને અત્યારે તમારાથી તે એક વેંત જેટલી દુર છે. જરા સી ચુક ઔર હો ચુકા કલ્યાણ!

જો સ્થિતિ કાબુ બહાર નીકળે તો કેવી હાલત થઇ શકે તે જાણવું હોય તો બ્લોગર શ્રી હર્ષ ગાંધી એક દુઃસ્વપ્ન બતાવે છે કે;

Corona ની સામે સાવચેતી ન ભરી એટલે રોગચાળો વકર્યો છે. India માં રોજ ના 5000 નવા case આવે છે. Hospital એ 60 years થી ઉપરના લોકોનો ઈલાજ કરવાનો બંધ કર્યો છે. જેટલા જવાન લોકો બચે છે એટલા ને બચાવા પ્રયત્ન ચાલુ છે. Doctors મૂંઝાઈ જાય છે. કેટલા ને સાચવવાના. એક વાત છે કે દર્દી ના સગા સંબંધી ઓ માથાકૂટમાં નથી પડતાં. કેમકે ‌તેઓ પોતે દર્દી બનીને બેઠા છે. આખી Health care system ચૂસાઈ જાય છે. ફરજિયાત બધી industry બંધ કરવી પડે છે. રોડ સૂમસામ છે. લોકો બહાર નીકળી નથી શકતા. એમના કોઈ પણ સંબંધી ને મળવા નથી જઈ શકતા. શાકભાજી અને દવાઓ નથી આવતી. કેમકે બધું બંધ છે. Communication industry પણ ધીમે ધીમે બંધ થાય છે. લોકોનું Internet નથી ચાલતું. કેમકે ત્યાં કામ કરતા લોકો નું schedule ખોરવાઈ ગયું છે. લાખો લોકો ને hospital મા સાચવતા ધીમે ધીમે Doctors નો જોશ ઉતરી જાય છે.

મુળપોસ્ટ : https://anviksiki.blog


થોડા દિવસ માત્ર અગત્યના કામ સિવાય બહાર નહી નીકળવાથી કોઇ આભ નથી તુટી પડવાનું. અને ‘રોજ કમાઇને ખાનારા લોકો શું કરશે’ અને ‘પૈસા વગરના ગરીબોનું શું થશે’ -એવા સુફિયાણા સવાલોને કરતાં પહેલાં પોતે ઘરમાં બેસો એ બહુજ જરુરી રહેશે. વહિવટ કરનારને તે પણ નજરમાં આવશે એવી આશા રાખીએ, કેમ કે તમે પોતે બીજું કંઇ જ કરી શકવાની સ્થિતિમાં નથી. હાલ તો જનતા કર્ફ્યુને સફળ બનાવીએ અને આ એક દિવસનો કર્ફ્યુ આપણને ભવિષ્યમાં જરુર પડે તો સંપુર્ણ લોકડાઉન માટે પણ તૈયાર કરશે.

Continue reading “કોરોના અપડેટ્સ – 2”