મારા બગીચાની નવી ઇ-શાખા !!

. . .

– આજે બગીચાની બીજી બ્રાન્ચની શરૂઆત. આ વખતે વર્ડપ્રેસના બદલે ગુગલના બ્લૉગર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. (ચેન્જ… યુ નો.. ;)) બ્લૉગરને વર્ડપ્રેસથી સરળ કહેવું કે અઘરૂ તે નક્કી કરવું સરળ નથી.

– હેતુ : ફેસબુકમિત્રો સાથે વહેંચવામાં આવેલ નાના-મોટા જોડકણાં કે વાકયો જેને કદાચ ગઝલ (?) કે કવિતા (?) ગણી શકાય, તેવી રચનાઓને એક ઠેકાણે રાખવા અને વહેંચવા માટે. (હાશ…. અહી મારી વાતોની વચ્ચે હવે કવિતા કે ગઝલનો ત્રાસ નહી આવે.. 😀 😀 :D)

– બીજી શાખાનું નામ “મારો બગીચો” જ રાખવામાં આવ્યું છે. (આફ્ટરઑલ, ‘બ્રાન્ડ’ પણ એક મહત્વની ચીજ હોય છે !! 🙂 )

– ટૅગ-લાઇનમાં નાનકડો (હા હવે, નાનકડો જ કહેવાય એવો) સુધારો કર્યો છે જેથી થોડું અલગ પણ લાગે. (બ્રાન્ડીંગની સાથે-સાથે નવી જગ્યાની અલગ પહેચાન બનાવવી પણ જરૂરી હોય છે.)

– નવા બગીચાનું સરનામું : http://marobagicho.blogspot.in/

– શરૂઆત મારી એક જુની રચનાથી જ કરી છે તે ઉપરાંત અન્ય પોસ્ટ પણ ઉમેરવામાં આવી છે. (શરૂઆત કરવા જુનુ-પુરાનુ કંઇક તો નાખવું પડે ને…)

– વર્ડપ્રેસના ‘લાઇક’ બટનને ત્યાં બહુ ‘મીસ્સ’ કરીશ… (કારણ ? – આજકાલ મારા બગીચાની વાતોમાં કૉમેન્ટ કરતાં ‘લાઇક’ વધારે હોય છે એટલે…:))

– બ્લૉગરમાં customize template ની સગવડ સરસ છે. (હા, કૉમેન્ટ કરનારને તે ‘રૉબૉટ’ નથી એ સાબિત કરવું ત્રાસદાયક લાગશે.)

– આજનો આખો દિવસ બ્લૉગસ્પોટને સમજવામાં વિતાવ્યો છે. બ્લોગરના બ્લૉગ હજુ ‘.com’ અને ‘.in’ વચ્ચે મુંજાય છે.

. . .

તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન…

– આ વિષયે કદાચ હું પ્રથમવાર જાહેરમાં કંઇ લખી રહ્યો છું અને હું જે વિચારું છું તે જ લખવાનો પ્રયત્ન છે.

– ભગવાન અને તેને માનવાવાળા લોકોના સમુહમાં મારો સમાવેશ હવે નહિવત છે; છતાં પણ કયારેક કોઇની લાગણીને ખાતર કોઇ મંદિરમાં કે કોઇ ધાર્મિક સ્થળે આંટો મારી આવતો હોઉ છું. (તે સ્થળ મારી માટે તો કોઇ બગીચા, ફુટપાથ કે અન્ય પ્રવાસ સ્થળ જેવું જ સામાન્ય છે.)

– અન્ય સ્થળ કરતાં ત્યાં નવી વસ્તુ એ હોય છે કે તે જગ્યાએ કોઇ મુર્તીને કે તેના નામને સર્વ શક્તિમાન ઇશ્વરના સ્વરૂપે ગોઠવવામાં આવેલા હોય છે; અને એ મુર્તીને શ્રધ્ધાળુ લોકો બંધ આંખે (કે આંખો બંધ કરીને) પુજતાં હોય છે!!

– ઇશ્વરને પુજનારા ભક્તોની અતુટ શ્રધ્ધા પ્રત્યે કોઇ ફરિયાદ નથી. આમ પણ ઇશ્વરના અસ્તિત્વ અંગે હવે હું એકદમ સ્પષ્ટ છું. (આજે મારો કોઇ ભગવાન નથી અને કોઇ પ્રાઇવેટ ગુરૂ-બાબામાં શ્રધ્ધા પણ નથી.)

– હું તે લોકોની શ્રધ્ધાને વંદન કરું છું, જેમને એક જડ મુર્તીમાં પણ તેમનો તારણહાર દેખાય છે. હું સ્વીકારું છું કે જીવન જીવવા માટે કયારેક શ્રધ્ધા ઘણી મોટી ચીજ બનતી હોય છે. (પણ મને કયારેય એવા કોઇ ઇશ્વરની જરૂર નથી પડી એટલે મેં મારી શ્રધ્ધાને કુદરતના નિયમ સાથે સીધી જોડી દીધી છે.)

– ચમત્કાર કયારેય થયા નથી કે થવાના નથી. દરેક વસ્તું કુદરતી રીતે ગોઠવાયેલી છે અને તે તેના પ્રમાણે જ ચાલે છે. તેને બદલવું (ભગવાન માટે પણ) લગભગ અશક્ય છે. (કુદરત માટે જે એક સ્વાભાવિક પ્રક્રિયા છે તેને કોઇ ચમત્કાર કે ઇશ્વરની દેન ગણી શકે છે, પણ તેનાથી કુદરતને કોઇ ફેર પડતો નથી કે પડવાનો પણ નથી.)

– રોજે-રોજ કયાંક ને કયાંક ચાલતી કથા-સરઘસ-જાહેરાત ઉપરાંત ઠેર ઠેર બનાવેલા (કે બની રહેલા) મોટા-મોટા, ભવ્યાતિભવ્ય અને ભક્તોની ચાપલુસી (અને અઢળક દાનની કમાણી)થી (અતિ)પ્રખ્યાત મંદિરમાં કે ખોટા-મોટા બાવાઓના આશ્રમોમાં ઠસોઠસ એકઠા થયેલા લોકોને જોઇને કયારેક દુઃખ જેવું થાય. (પણ જો લોકો જ સામેથી લુંટાવા તૈયાર બેઠા હોય તો તેમને લુંટનારાને કેટલીવાર ખોટા કહીશું?)

– આજે એક ભવ્ય ઇમારત (કે જેને બનાવવામાં આસ્થાળું લોકોના કરોડો રૂપિયા ખર્ચાયા છે અને જેનાથી લાખો જરૂરિયાતમંદ લોકોની કરોડો સમસ્યા દુર કરી શકાઇ હોત) એવા મંદિરની મુલાકાત વખતે હજારો લોકોની ભીડ વચ્ચે સાવ એકલી ચુપ-ચાપ ઊભેલી મુર્તી જોઇને મારા મનથી નીકળેલાં શબ્દો…

તારી હાજરીની કોઇ સાબિતી હોય તો,
જલ્દી આપ ભગવાન…
તારા ભક્તોને તું હોવાની..

ઘણી મોટી જાહેરાતો કરવી પડે છે!”


*કાર્તિકભાઇની નજરે “ભીડ” જોઇને આ પોસ્ટ યાદ આવી ગઇ. લગભગ 7 મહિના પહેલા લખાયેલી આ પોસ્ટને ત્યારે જાહેરમાં મુકી નહોતી. (કદાચ કોઇની લાગણી દુભાશે એવો ડર હશે.)

સુખદ સરકારી અનુભવ

– બે દિવસ પહેલા એક સરકારી ઑફિસમાં સુખદ આંચકો આપે એવો અનુભવ થયો. (સરકારી અનુભવ મોટેભાગે દુઃખદ હોય છે અને એટલે જ મને અહીયાં ‘સુખદ’ ઉમેરવું જરુરી લાગ્યું.)

– બન્યું એવું કે….એક સરકારી ઓફિસમાં કોઇ સરકારી કર્મચારીએ કોઇ લાલચ/દબાણ વગર ઘણું અગત્યનું કામ ખુબ ઝડપથી અને એ પણ પુર્ણ સહકાર સાથે કરી આપ્યું કે જેને માટે લગભગ ૩-૪ ધક્કા તો ખાવા જ પડયા હોત !!

– આ ઉપરાંત અન્ય જગ્યાએ કરવાની અરજીને મારી માટે જાતે લખીને અને તે માટે જરૂરી પણ તે સમયે મારી પાસે ખુટતા કાગળો માટે મને ઘરે ધક્કો ખવડાવ્યા વગર જુની સરકારી ફાઇલો ફેંદીને શોધી આપ્યા !!!

– હા, એ સરકારી માણસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના (AMC) પગારદાર કર્મચારી છે !! અને આ અમારી પ્રથમ મુલાકાત હતી. (મારી માટે તો આ સૌથી આશ્ચર્યજનક બાબત છે !!)

– કામ તો ઘણાં અધિકારીઓ કે ઓફિસરો કરી આપતા હોય છે પણ તે માટે અગાઉથી (કે પછી) નક્કી થયેલ વળતર ચુકવવાનું રહેતું હોય છે. (આ વળતર વિશે વધુ ચોખવટની જરૂર નથી લાગતી.)

– વિચારતો હતો કે કામ પત્યા પછી તો તો તે ઓફિસર કંઇક માગણી કરશે જ, પણ…. મારા આશ્ચર્યને વધુ વધારવાનું નક્કી કરેલ તે સાહેબે છેલ્લે તેમનો પર્સનલ મોબાઇલ નંબર આપીને મને કહ્યુ કે – ‘બીજી ઓફિસમાં કોઇ તકલીફ પડે તો મને ફોન કરજે.’ (હવે તો મને ખરેખર તેમને બક્ષિસરૂપે કંઇક આપવાની ઇચ્છા થઇ આવી.)

– હવે સમસ્યા એ થઇ આવી કે… જો હું સામેથી ખુશ થઇને કંઇ આપુ અને તેમને ન ગમે તો…. (?) અને જો તેમને કંઇ આપુ અને તેઓ સ્વીકારી લે તો મારા પેલા નિયમનું શું (?)…જેમાં મે મારી જાતને પ્રોમિસ કર્યું હતુ કે હું કોઇ પણ ભોગે કોઇ સરકારી જગ્યાએ કાયદેસર ચુકવવાની રકમ સિવાય એક પૈસો પણ નહી ચુકવું. (એક તરફ મારો નિયમ હતો અને બીજી તરફ પેલા ઓફિસર માટે દિલમાં ભાવ.)

– સરવાળે જીત નિયમની થઇ. તેમની માટે મને મારો નિયમ તોડવો યોગ્ય ન લાગ્યો. (આમ પણ, નાગરીકોને મદદ કરવા માટે જ તો અ.મ્યુ.કો. તેમને પગાર ચુકવે છે.- એમ કહીને મન મનાવ્યું.)

# અન્નાના ‘જન-લોકપાલ‘ આંદોલનનું જે થાય તે અને ‘લોકપાલ‘ આવે કે ન આવે પણ જો સરકારી માણસો (અને મારા-તમારા જેવા લોકો) થોડા સુધરે તો ભ્રષ્ટાચાર અટકાવવા માટે નવા કાયદાઓના ઢગલા ખડકવાની કોઇ જરૂર ન રહે.