મારી મોટી મોટી વાતો

– અ.મ્યુ.કો. સાથે ફાઇનલી સેટ-અપ થયું અને મારૂ કામ પુરું થયું. સરકારી ઓફિસમા તમે સાચા હોવ તો પણ ભોગવવાનું તમારા પક્ષે જ હોય છે. (જો કે અગાઉના સુખદ અનુભવથી કામ થોડું સરળ બન્યું હતું.)

– ગઇ કાલે ગણતરી કરીને સરવાળો કર્યો કે મારે એક વર્ષમાં લગભગ ₹ 2,20,000 જેટલો પ્રોપર્ટી-ટેક્ષ ચુકવવાનો થાય છે. (જેમાં ગોડાઉન, દુકાન, ઓફિસ, ઘર દરેકનો સમાવેશ થાય છે.)

– આ ઉપરાંત વર્ષમાં ઇન્કમટેક્ષ, સેલ્સટેક્ષ, પ્રોફેશનટેક્ષ, સર્વિસ ટેક્ષ, રોડ ટેક્ષ, પાણી ટેક્ષ, એજ્યુકેશન સેસ, એડિશનલ સેસ, વેટ, ટોલ ટેક્ષ, સુઅરેજ ટેક્ષ વગેરે સ્વરૂપે વર્ષમાં બીજા કેટલાક-લાખ રૂપિયા ચુકવતો હોઉ છું. (આ બધાનો સરવાળો મેળવવો તો ઘણો મુશ્કેલ છે.)

– આજે સરકાર-નિયમો-બંધારણ માટે મગજમાં ઘણી ભડાશ ભરાઇ છે જેને કયાંક ઠાલવવી જરૂરી છે. પછી હું હળવો થઇને મારા નિયમિત કામે વળગી શકું. (અને અહી બીજાને ધંધે વળગાડી શકું… 😇 )

# એટલે આજે થોડી નક્કામી અને થોડી ‘આઉટ ઑફ ટ્રેક’ વાત…

ખાસ નોંધઃ કોઇએ મગજ ના બગાડવું હોય તો આગળ ન વાંચશો. 🙏 (જાણે મારા કહેવાથી કોઇ રોકાઇ જવાના હતા..)

– આજે વિચારું છું કે હું ટેક્ષ તરીકે જેટલા ચુકવું છું તેના બદલામાં સરકાર તરફથી મને જે સેવા મળે છે તેનું પ્રમાણ કેટલું હશે? શું હું મારા દ્વારા ચુકવવામાં આવેલા ટેક્ષના બદલામાં સરકાર કે સરકારી વિભાગ તરફથી સહકાર, સુરક્ષા કે સુવિધાની આશા ન રાખી શકું? મારા દ્વારા ચુકવવામાં આવતા નાણાંનો કેટલો હિસ્સો સરકાર મારી પાછળ ખર્ચ કરતી હશે ?

– હું બી.પી.એલ. ધારક નથી કે એસ.સી.-એસ.ટી.-બક્ષીપંચ તથા લઘુમતી અને ખાસ-સેલીબ્રીટી પણ નથી કે જેનો મને કોઇ સરકારી લાભ પણ મળતો હોય !!! હું એક એવા સામાન્ય નાગરીકની કેટેગરીમાં છું જેની કિંમત ચુટણીના સમયે એક ‘મત‘ જેવી છે. (કહેવાઉ લાખોનો પણ વેચવા નીકળો તો ફુટી કોડી પણ ન આવે.)

– મને સરકાર તરફથી મને મળતી મુખ્ય સુવિધાઓમાં સુરક્ષા, વ્યવસ્થા, પોલિસ, રેલ્વે, હોસ્પીટલ, પાણી-ગટર અને રોડ-રસ્તા વગેરે વગેરેનો સમાવેશ થાય છે. (વીજળી એ સરકારી સેવા નથી.)

– હવે નવાઇની વાત એ છે કે તે દરેક સુવિધા મેળવવાની કિંમત તેની ફી ઉપરાંત ઢગલો ટેક્ષ સ્વરૂપે હું ચુકવું છું તો પણ સરકાર દ્વારા મને મળતી અપુરતી કે ખામીયુક્ત સેવા બદલ વળતરની કોઇ જોગવાઇ ભારતીય બંધારણમાં નથી. (સરકાર કોઇપણ નાગરિકને ટેક્ષ ચુકવવા માટે ફરજ પાડી શકે એવી જોગવાઇ કરવામાં આવી છે, પણ કોઇ નાગરિક સરકારને સુવિધા પુરી પાડવા માટે ફરજ પાડી શકે એવી કોઇ જોગવાઇ બંધારણે સામાન્ય લોકોને આપી નથી.)

– જેમ ગ્રાહક સુરક્ષા દ્વારા વેપારી-ઉત્પાદક કે સેવા આપનાર સામે અયોગ્ય સેવા/ખામીયુક્ટ વસ્તુ માટે દાવો માંડી શકે છે, તેમ અહી સરકાર સેવા આપનારના સ્થાને છે અને હું તેના ઉપભોકતા તરીકે અયોગ્ય સેવા અંગે દાવો પણ ન કરી શકું તો એ કયાંનો ન્યાય? (ફરિયાદ કરવી હોય તો કરો, પણ તેનો ઉકેલ લાવવો કે નહી તે સરકાર નક્કી કરશે અને વળતરની આશા તો બિલકુલ ન રાખવી.)

– ભારતની રાજનીતિ જે રીતે ચાલી રહી છે અને તેનાથી દેશના જે હાલ થઇ રહ્યા છે તેમાં પણ આપણાં બંધારણનો પણ મોટો વાંક છે. સીધી વાતને સરળ રીતે કહેવાને બદલે ગોળ-ગોળ નિયમોમાં ફેરવીને દરેક કાયદાને જરૂર કરતાં મોટું સ્વરૂપ આપી દીધું છે. (જે બંધારણે લોકોને આંદોલન કરવાનો હક આપ્યો પણ એ જ બંધારણે સરકારને ઘણી સત્તા આપી રાખી છે એટલે નાના-મોટા આંદોલનનું એકાદ ‘બ્રેકિંગ ન્યુઝ’ સિવાય બીજું કંઇ ઉપજતુ નથી.)

– એક તરફ જે કલમ દેશના દુશ્મનને ફાંસીએ ચઢાવવાનો મજબુત કાયદો બનાવી આપે છે, તે બીજીબાજુ દયાના નામે દુશ્મનને પાળતા રહેવા મજબુર કરે, એ આપણાં બંધારણ અને તેને અનુરૂપ ચાલતા તંત્રની ઘોર નિષ્ફળતા છે. (સામાન્ય નાગરિક સાથે ઉઘરાણી માટે કડક હાથે વર્તવાની જોગવાઇ ધરાવતા કાયદાઓમાં ખત્તરનાક ગુનેગારો માટે ભરપુર દયાળું જોગવાઇઓ છે!) આપણે ત્યાં નાગરિક કરતાં વધારે સુરક્ષા ત્રાસવાદીઓ અને નેતાઓ માટે હોય છે!! (કાયદાના મતે તે લોકો દેશ માટે ઘણાં અગત્યના છે!! અંધા-કાનુન… )

લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે ચાલતી વ્યવસ્થા અને ભારતીય લોકશાહી એટલે સરકારી અધિકારીઓ દ્વારા, ટેક્ષ ઉઘરાવીને, પૈસા માટે, રાજકીય પક્ષ વડે ચાલતી વ્યવસ્થા. (આવું કયાંય લખ્યું નથી; આ અર્થ મારો પોતાનો બનાવેલો છે.)

– આ બધુ એટલે સ્વીકારી લેવાયું છે કેમ કે અહી પ્રજા હક પ્રત્યે જાગૃત નથી અને ફરજ પ્રત્યે જવાબદાર નથી. આઝાદી માત્ર કાગળ પર દેખાય છે, આપણે હવે મત આપીને ચુટેલી સરકારના ગુલામ છીએ. (કદાચ આપણી ચામડી ઉપર ગુલામીના થર એટલા જામી ગયા છે કે આપણને ગુલામ હોવાનો અહેસાસ પણ નથી.)

– દરેક નાગરીકને સમાન અધિકાર આપનાર બંધારણની જોગવાઇ નીચે જ ઢગલો ભેદભાવ ફુલી-ફાલી રહ્યા છે. કોઇ ચોક્કસ જ્ઞાતિ, ધર્મ અને વર્ગ માટે સ્પેશીયલ નિયમો બનાવવામાં દરેકને સમાન અધિકાર આપવાની વાત હવામાં ‘છુ‘ થઇ જાય છે. પણ તેને પડકારે કોણ ? (ભગવાન જાણે સમાન સિવિલ કોડ કયારે આવશે.)

– આજે પેલા સંસદ સુધી પહોંચી ગયેલા ધારાસભ્યો પોતાને અને સંસદને સર્વોચ્ચ ગણાવે છે. બંધારણ મુજબ લોકો તેમનું કહેલું સ્વીકારવા મજબુર બની જાય તો તે પણ એક પ્રકારની ગુલામી જ કહેવાય. (હું બંધારણનો ગુલામ, બંધારણીય ધારાસભ્યોનો ગુલામ કે પછી બંધારણીય સંસ્થાનો ગુલામ….. શું માનવું?)

– બંધારણના આમુખમાં લખવામાં આવેલ છે કે ‘અમે ભારતના લોકો’ આ બંધારણને અનુસરવાનું નક્કી કરીયે છીએ. (જયારે.. ભારતના ૧% લોકો પણ દેશના મુળ બંધારણ વિશે જાણતા નહી હોય.)

– કોઇ વ્યક્તિએ કહ્યું હતું કે, ‘આપણું બંધારણ કચરાપેટીમાં ફેંકી દેવા લાયક છે.’ (ઘણી એકતરફી જોગવાઇઓને કારણે હવે મને પણ કયારેક એવું લાગે છે.)

– બંધારણમાં નાના-મોટા સુધારા ઘણાં થયા છે, પણ હજુ સુધી તેના કેન્દ્રમાં નાગરિકો માટે સુવિધાની જવાબદારીની જગ્યાએ સરકારની સત્તાનુ પ્રમાણ ઘણું મોટું છે.


છેલ્લે, કયાંક વાંચેલું એક વાક્ય (કદાચ તુષાર ગાંધી દ્વારા લખાયેલ) – ‘કોણ કહે છે કે ખંડણી લાંબો સમય નથી ટકતી… ભારતમાં ઇન્કમટેક્ષનો કાયદો ૧૫૦ વર્ષ જુનો છે!’

મારા બગીચાની નવી ઇ-શાખા !!

. . .

– આજે બગીચાની બીજી બ્રાન્ચની શરૂઆત. આ વખતે વર્ડપ્રેસના બદલે ગુગલના બ્લૉગર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. (ચેન્જ… યુ નો.. ;)) બ્લૉગરને વર્ડપ્રેસથી સરળ કહેવું કે અઘરૂ તે નક્કી કરવું સરળ નથી.

– હેતુ : ફેસબુકમિત્રો સાથે વહેંચવામાં આવેલ નાના-મોટા જોડકણાં કે વાકયો જેને કદાચ ગઝલ (?) કે કવિતા (?) ગણી શકાય, તેવી રચનાઓને એક ઠેકાણે રાખવા અને વહેંચવા માટે. (હાશ…. અહી મારી વાતોની વચ્ચે હવે કવિતા કે ગઝલનો ત્રાસ નહી આવે.. 😀 😀 :D)

– બીજી શાખાનું નામ “મારો બગીચો” જ રાખવામાં આવ્યું છે. (આફ્ટરઑલ, ‘બ્રાન્ડ’ પણ એક મહત્વની ચીજ હોય છે !! 🙂 )

– ટૅગ-લાઇનમાં નાનકડો (હા હવે, નાનકડો જ કહેવાય એવો) સુધારો કર્યો છે જેથી થોડું અલગ પણ લાગે. (બ્રાન્ડીંગની સાથે-સાથે નવી જગ્યાની અલગ પહેચાન બનાવવી પણ જરૂરી હોય છે.)

– નવા બગીચાનું સરનામું : http://marobagicho.blogspot.in/

– શરૂઆત મારી એક જુની રચનાથી જ કરી છે તે ઉપરાંત અન્ય પોસ્ટ પણ ઉમેરવામાં આવી છે. (શરૂઆત કરવા જુનુ-પુરાનુ કંઇક તો નાખવું પડે ને…)

– વર્ડપ્રેસના ‘લાઇક’ બટનને ત્યાં બહુ ‘મીસ્સ’ કરીશ… (કારણ ? – આજકાલ મારા બગીચાની વાતોમાં કૉમેન્ટ કરતાં ‘લાઇક’ વધારે હોય છે એટલે…:))

– બ્લૉગરમાં customize template ની સગવડ સરસ છે. (હા, કૉમેન્ટ કરનારને તે ‘રૉબૉટ’ નથી એ સાબિત કરવું ત્રાસદાયક લાગશે.)

– આજનો આખો દિવસ બ્લૉગસ્પોટને સમજવામાં વિતાવ્યો છે. બ્લોગરના બ્લૉગ હજુ ‘.com’ અને ‘.in’ વચ્ચે મુંજાય છે.

. . .

તારી હાજરીની કોઇ સાબિતી હોય તો જલ્દી આપ ભગવાન…

– આ વિષયે કદાચ હું પ્રથમવાર જાહેરમાં કંઇ લખી રહ્યો છું અને હું જે વિચારું છું તે જ લખવાનો પ્રયત્ન છે.

– ભગવાન અને તેને માનવાવાળા લોકોના સમુહમાં મારો સમાવેશ હવે નહિવત છે; છતાં પણ કયારેક કોઇની લાગણીને ખાતર કોઇ મંદિરમાં કે કોઇ ધાર્મિક સ્થળે આંટો મારી આવતો હોઉ છું. (તે સ્થળ મારી માટે તો કોઇ બગીચા, ફુટપાથ કે અન્ય પ્રવાસ સ્થળ જેવું જ સામાન્ય છે.)

– અન્ય સ્થળ કરતાં ત્યાં નવી વસ્તુ એ હોય છે કે તે જગ્યાએ કોઇ મુર્તીને કે તેના નામને સર્વ શક્તિમાન ઇશ્વરના સ્વરૂપે ગોઠવવામાં આવેલા હોય છે; અને એ મુર્તીને શ્રધ્ધાળુ લોકો બંધ આંખે (કે આંખો બંધ કરીને) પુજતાં હોય છે!!

– ઇશ્વરને પુજનારા ભક્તોની અતુટ શ્રધ્ધા પ્રત્યે કોઇ ફરિયાદ નથી. આમ પણ ઇશ્વરના અસ્તિત્વ અંગે હવે હું એકદમ સ્પષ્ટ છું. (આજે મારો કોઇ ભગવાન નથી અને કોઇ પ્રાઇવેટ ગુરૂ-બાબામાં શ્રધ્ધા પણ નથી.)

– હું તે લોકોની શ્રધ્ધાને વંદન કરું છું, જેમને એક જડ મુર્તીમાં પણ તેમનો તારણહાર દેખાય છે. હું સ્વીકારું છું કે જીવન જીવવા માટે કયારેક શ્રધ્ધા ઘણી મોટી ચીજ બનતી હોય છે. (પણ મને કયારેય એવા કોઇ ઇશ્વરની જરૂર નથી પડી એટલે મેં મારી શ્રધ્ધાને કુદરતના નિયમ સાથે સીધી જોડી દીધી છે.)

– ચમત્કાર કયારેય થયા નથી કે થવાના નથી. દરેક વસ્તું કુદરતી રીતે ગોઠવાયેલી છે અને તે તેના પ્રમાણે જ ચાલે છે. તેને બદલવું (ભગવાન માટે પણ) લગભગ અશક્ય છે. (કુદરત માટે જે એક સ્વાભાવિક પ્રક્રિયા છે તેને કોઇ ચમત્કાર કે ઇશ્વરની દેન ગણી શકે છે, પણ તેનાથી કુદરતને કોઇ ફેર પડતો નથી કે પડવાનો પણ નથી.)

– રોજે-રોજ કયાંક ને કયાંક ચાલતી કથા-સરઘસ-જાહેરાત ઉપરાંત ઠેર ઠેર બનાવેલા (કે બની રહેલા) મોટા-મોટા, ભવ્યાતિભવ્ય અને ભક્તોની ચાપલુસી (અને અઢળક દાનની કમાણી)થી (અતિ)પ્રખ્યાત મંદિરમાં કે ખોટા-મોટા બાવાઓના આશ્રમોમાં ઠસોઠસ એકઠા થયેલા લોકોને જોઇને કયારેક દુઃખ જેવું થાય. (પણ જો લોકો જ સામેથી લુંટાવા તૈયાર બેઠા હોય તો તેમને લુંટનારાને કેટલીવાર ખોટા કહીશું?)

– આજે એક ભવ્ય ઇમારત (કે જેને બનાવવામાં આસ્થાળું લોકોના કરોડો રૂપિયા ખર્ચાયા છે અને જેનાથી લાખો જરૂરિયાતમંદ લોકોની કરોડો સમસ્યા દુર કરી શકાઇ હોત) એવા મંદિરની મુલાકાત વખતે હજારો લોકોની ભીડ વચ્ચે સાવ એકલી ચુપ-ચાપ ઊભેલી મુર્તી જોઇને મારા મનથી નીકળેલાં શબ્દો…

તારી હાજરીની કોઇ સાબિતી હોય તો,
જલ્દી આપ ભગવાન…
તારા ભક્તોને તું હોવાની..

ઘણી મોટી જાહેરાતો કરવી પડે છે!”


*કાર્તિકભાઇની નજરે “ભીડ” જોઇને આ પોસ્ટ યાદ આવી ગઇ. લગભગ 7 મહિના પહેલા લખાયેલી આ પોસ્ટને ત્યારે જાહેરમાં મુકી નહોતી. (કદાચ કોઇની લાગણી દુભાશે એવો ડર હશે.)