BSNLનું શું થશે..

~ ગઇ કાલે BSNL ની સુભાષ-બ્રીજ સ્થિત ઓફિસની મુલાકાત બાદ ચોક્કસ કહી શકાય કે જો આ સરકારી કંપની તેના ઘરડા કર્મચારીઓ1ની ચુંગાલમાંથી જલ્દી મુક્ત નહી થાય તો તેનું પતન થવું નિશ્ચિત છે. આખી ઓફિસમાં ફરી જુઓ.. તમને બધ્ધે ડોશીઓ જ દેખાશે. (લગભગ જીવનના ૬૦ વર્ષ અને કાર્ય પ્રત્યેનો ઉત્સાહ વિતાવી ચુકેલી !!)

~ પ્રોફેશનાલિઝમ કે કસ્ટમર સર્વિસ કોને કહેવાય તે આ લોકોને ખબર જ નથી. અહી બેઠેલા ‘સાહેબ’ કે ‘મેડમ’ને તમે તમારા હક માટે વિનંતી જ કરી શકો કેમ કે કસ્ટમરની ફરિયાદ સાંભળવા આ લોકો ટેવાયેલા નથી. (બસ, હમે ઔર કુછ ના કહો…)

bsnl logo png image~ સ્વીકાર્યું કે તે કર્મચારીઓ જયારે આ કંપનીમાં જોડાયા ત્યારે તેમની ‘સાહેબી’ હતી. (એ સમયે પબ્લીક માટે બીજો કોઇ વિકલ્પ નહોતો. અરે, પટાવાળાને પણ સાહેબ કરીને રાખવો પડતો!)

~ દિવાળીએ બી.એસ.એન.એલ.ના વાયરમેનને બૉનસ આપવું ફરજિયાત હતું. (હા, બોનસ!!! આ લોકો કસ્ટમર પાસેથી પણ હકથી બૉનસ માંગી લેતા. આ રિવાજ આજે પણ ઘણી જગ્યાએ પ્રચલિત છે!)

~ જો BSNLના તે લોકલ વાયરમેનને બૉનસ ન આપો તો ચોમાસામાં તમારો ફોન બંધ થવાનું પાક્કુ અને તેને ચાલુ કરાવવા લાખ પ્રયત્ન કરો પણ બૉનસની ચુકવણી પછી જ વાત આગળ વધે. (આ મારો અંગત અનુભવ છે. એ પણ બબ્બે વારનો..)

~ હવે સ્પર્ધાત્મક યુગમાં બીજી ઘણી કંપનીઓ BSNL ની અવેજીમાં ઉપલબ્ધ બની ગઇ છે એટલે BSNLની અને તેના કર્મચારીઓની મોનોપોલી ઘણી ઘટી ગઇ છે, પણ પેલા સાહેબી ભોગવી ચુકેલા કર્મચારીઓ ને હજુ કસ્ટમર-ફ્રેન્ડલી બનવું ફાવ્યું નથી. (હજુ તેમને સાહેબ કહીને બોલાવવાનો રિવાજ ચાલું છે !!)

~ કોમ્પ્યુટર અને સિસ્ટમ તો તેમને માથાનો દુખાવો લાગે છે !! અનેકવાર એવું થયું છે કે BSNL ઑફિસમાં જઇએ તો કોઇ સરખો જવાબ આપવા તૈયાર ન હોય.

# મારા દ્વારા ગઇકાલની જ મુલાકાત વખતની એક એવી નજીવી ઘટનાનું વર્ણન…

~ ‘છુટ્ટા ની રામાયણ‘માં કેશીયર-ડોશી અને બીલ ભરવા આવનાર એક ‘ઉંમરલાયક કાકા’ વચ્ચે થયેલી બોલાચાલી.

# સમસ્યા:  ગ્રાહક-કાકાને રુ.૪૫૦ નું ટેલીફોન બિલ ભરવું હતું; અને કાકા એ ૫૦૦ ની કડકડતી નોટ કેશીયર-ડોશી સામે ધરી દીધી!! (પછીનો સંવાદ નીચે મુજબ…)

  • કેશીયર-ડોશી (મોઢુ બગાડીને) : છુટ્ટા લઇને આવતા હોવ તો…
  • ગ્રાહક-કાકા (નિર્દોષતાથી) : ખાલી ૫૦ રૂપિયા માટે છુટ્ટા લેવા કયાં જવું…? તમે જ આપી દો ને બેન..
  • કેશીયર-ડોશી (હક સાથે) : હું તમારા બિલમાં ૫૦૦ જમા કરી દઉ છું…
  • ગ્રાહકકાકા (ભડકીને) : ના. ના.. એવુ ના ચાલે ? પરચુરણની માથાકુટ ના થાય એટલે ૪૪૨ ના બીલ સામે હું ૪૫૦ તો ભરું જ છુ ને… તો હવે બીજા વધારે શા માટે જમા કરાવું ? તમારે એટલા છુટ્ટા તો રાખવા જોઇએ ને…
  • કેશીયર-ડોશી (ઉકળીને2) : એક તો છુટ્ટા લાવવા નથી અને પાછા મને ઓડર આપે છે. અમારે શું કરવાનું એ તમારે શીખવાડવાની જરૂર નથી. અમે કંઇ તમારા નોકર નથી..
  • ગ્રાહક-કાકા (થોડા ઉંચા અવાજે) : તો હું તમારો નોકર નથી કે તમે મને છુટ્ટા લઇને આવવાનું કહો છો.. તમે આ ૪૫૦નું બીલ ભરી દો ને એટલે વાત પતે..

~ ડોશી-કેશીયર ગુસ્સામાં કોમ્પ્યુટરની સ્વિચ એક આંગળીથી ધીરે-ધીરે સાચવીને-સંભાળીને દબાવતા જાય છે… અને પછી જે પ્રિન્ટ નીકળે છે તેની સાથે (ગુસ્સો ઉમેરીને) ૫૦ રૂપિયાની નોટ પેલા કાકાને પાછી આપે છે.

  • ગ્રાહક-કાકા (હવે ગુસ્સામાં) : ૫૦ છુટ્ટા તો હતા… તો પછી આટલી માથાકુટ કેમ કરી? બસ… અમને હેરાન જ કરવા છે તમારે લોકોએ તો…
  • ડોશી-કેશીયર (ધીમેથી) : ચાલ્યા આવે છે કયાંથી આવા હવાર હવારમાં… મારો તો આખો દી બગાડી નાખ્યો.. (મોટેથી) જાવ જાવ હવે… બીજીવાર છુટ્ટા લઇને આવજો…અમે કંઇ તમારી માટે છુટ્ટા રાખવા નવરા નથી બેઠા… શું જોઇને ચાલ્યા આવે છે અહીયા…. જાણે અમે તેમના નોકર હોઇએ એમ ઓડર આપે છે પાછા..

~ પેલા કાકા તો આ ‘હિટલર’ ડોશી-કેશીયરથી છુટવા મળ્યું એ સંતોષમાં તેને વળતો જવાબ આપ્યા વગર ચુપચાપ નીકળે છે. જતાં-જતાં મારી સામે જોઇને તે ડોશીના વર્તન અંગે આંખોથી અને માથુ હલાવીને નિઃસાસો નાખતા જાય છે.

~ હવે ડોશી-કેશીયરનો નવો શિકાર બનવાનો મારો વારો હતો !!… જો કે આગળની ઘટના બન્યા પછી હું તો છટકવાનો રસ્તો શોધી ચુક્યો હતો..

~ મારે જે બીલ ભરવાનું હતું તેમાં છુટ્ટાની માયાજાળમાં પડવાને બદલે કહી દઉ છું કે પુરે-પુરા ભરી દો. વાર્તા પુરી.. હેપ્પી એન્ડીંગ! 🙂


‘કસ્ટમર ઇઝ કિંગ’ – એ વાત આ લોકોને હજુ કયારે સમજાશે?

~ એક નાની અમથી વાત છે; પણ જે કંપનીના કર્મચારીનું વર્તન તેની કંપનીના કાયમી ગ્રાહક સાથે આવું હોય, જે કંપનીના કર્મચારીની સરેરાશ ઉંમર અને કાર્યક્ષમતા વૃધ્ધની કેટેગરીમાં આવતી હોય, તે કંપનીને પરાસ્ત કરવા હરિફોની જરૂર નથી. તેને તો તેના કર્મચારીઓ જ ડુબાડી દેશે..

~ BSNL ના ડેટા પ્લાન, બેન્ડવિથ, સ્પિડ, સર્વર, મોડેમ કે તેની કેપેસીટી, મોબાઇલ નેટવર્ક કે કનેક્ટીવીટી અથવા અન્ય કોઇ પણ ટેકનીકલ જાણકારી ઇચ્છો તો તે અહી બેઠેલા બુઝુર્ગ લોકો માટે અશક્ય કાર્ય છે. (તમને તરત અલગ ઑફિસનું એડ્રેસ કે નંબર પકડાવી દેશે કે ત્યાં જાઓ અથવા ત્યાં વાત કરી લો.)

~ કસ્ટમરકેર બાબતે કયારેક AEC ની પણ આ જ હાલત હતી, પણ ટોરેન્ટના આવવાથી કમ-સે-કમ કસ્ટમર-ફ્રેન્ડલી વાતાવરણ તો બન્યું છે. (ટોરેન્ટ હેલ્પ લાઇન પર કોઇ પણ સવાલનો ચોક્કસ જવાબ હવે મળી જાય છે.)

~ મોબાઇલના આવવાથી બી.એસ.એન.એલ.ના લેન્ડલાઇન ગ્રાહકમાં મોટો ઘટાડો થવો સ્વાભાવિક હતો પણ એક હદ પછી હવે તે ઘટાડો કંપનીને ખુંચવો જોઇએ… મોબાઇલ નંબર પોર્ટેબિલીટી આવવાથી મોબાઇલ ગ્રાહકમાં પણ ઘટાડો થયો છે. (કંપનીની બજારમાં પકડ ઘટી રહી છે તો પણ કર્મચારીઓની અકડ નથી જતી.)

~ જો કે BSNL નું ફોલ્ટ બુકિંગ અને રિપેરીંગ કાર્યમાં ઘણો સુધારો આવી ગયો છે. તેઓ બદલાવના અને નવી સેવાઓ ઉમેરવાના ઘણાં સારા પ્રયાસ પણ કરી રહ્યા છે. આજે હું વિશ્વાસ સાથે BSNL ના બ્રોડબેન્ડ કનેકશનનો ઉપયોગ કરું છું અને તેની સેવા મને ગમે પણ છે. મોબાઇલનો વધુ ઉપયોગ ટાળવા તેની લેન્ડલાઇનનો ઉપયોગ વધારે કરવાનુ નક્કી કર્યું છે. (હા, BSNL મોબાઇલ સર્વિસ વિશે કંઇ કહેવા જેવુ નથી.)

# સાઇડટ્રેકઃ તમે કયારેય ૧૫૦૦ નંબર ડાયલ કરીને BSNL કસ્ટમર કેર અધિકારી ‘સાહેબ’ સાથે વાત કરી છે ? જીવનમાં આ અનુભવ પણ કરવા જેવો ખરો હોં..

મારી મોટી મોટી વાતો

– અ.મ્યુ.કો. સાથે ફાઇનલી સેટ-અપ થયું અને મારૂ કામ પુરું થયું. સરકારી ઓફિસમા તમે સાચા હોવ તો પણ ભોગવવાનું તમારા પક્ષે જ હોય છે. (જો કે અગાઉના સુખદ અનુભવથી કામ થોડું સરળ બન્યું હતું.)

– ગઇ કાલે ગણતરી કરીને સરવાળો કર્યો કે મારે એક વર્ષમાં લગભગ ₹ 2,20,000 જેટલો પ્રોપર્ટી-ટેક્ષ ચુકવવાનો થાય છે. (જેમાં ગોડાઉન, દુકાન, ઓફિસ, ઘર દરેકનો સમાવેશ થાય છે.)

– આ ઉપરાંત વર્ષમાં ઇન્કમટેક્ષ, સેલ્સટેક્ષ, પ્રોફેશનટેક્ષ, સર્વિસ ટેક્ષ, રોડ ટેક્ષ, પાણી ટેક્ષ, એજ્યુકેશન સેસ, એડિશનલ સેસ, વેટ, ટોલ ટેક્ષ, સુઅરેજ ટેક્ષ વગેરે સ્વરૂપે વર્ષમાં બીજા કેટલાક-લાખ રૂપિયા ચુકવતો હોઉ છું. (આ બધાનો સરવાળો મેળવવો તો ઘણો મુશ્કેલ છે.)

– આજે સરકાર-નિયમો-બંધારણ માટે મગજમાં ઘણી ભડાશ ભરાઇ છે જેને કયાંક ઠાલવવી જરૂરી છે. પછી હું હળવો થઇને મારા નિયમિત કામે વળગી શકું. (અને અહી બીજાને ધંધે વળગાડી શકું… 😇 )

# એટલે આજે થોડી નક્કામી અને થોડી ‘આઉટ ઑફ ટ્રેક’ વાત…

ખાસ નોંધઃ કોઇએ મગજ ના બગાડવું હોય તો આગળ ન વાંચશો. 🙏 (જાણે મારા કહેવાથી કોઇ રોકાઇ જવાના હતા..)

– આજે વિચારું છું કે હું ટેક્ષ તરીકે જેટલા ચુકવું છું તેના બદલામાં સરકાર તરફથી મને જે સેવા મળે છે તેનું પ્રમાણ કેટલું હશે? શું હું મારા દ્વારા ચુકવવામાં આવેલા ટેક્ષના બદલામાં સરકાર કે સરકારી વિભાગ તરફથી સહકાર, સુરક્ષા કે સુવિધાની આશા ન રાખી શકું? મારા દ્વારા ચુકવવામાં આવતા નાણાંનો કેટલો હિસ્સો સરકાર મારી પાછળ ખર્ચ કરતી હશે ?

– હું બી.પી.એલ. ધારક નથી કે એસ.સી.-એસ.ટી.-બક્ષીપંચ તથા લઘુમતી અને ખાસ-સેલીબ્રીટી પણ નથી કે જેનો મને કોઇ સરકારી લાભ પણ મળતો હોય !!! હું એક એવા સામાન્ય નાગરીકની કેટેગરીમાં છું જેની કિંમત ચુટણીના સમયે એક ‘મત‘ જેવી છે. (કહેવાઉ લાખોનો પણ વેચવા નીકળો તો ફુટી કોડી પણ ન આવે.)

– મને સરકાર તરફથી મને મળતી મુખ્ય સુવિધાઓમાં સુરક્ષા, વ્યવસ્થા, પોલિસ, રેલ્વે, હોસ્પીટલ, પાણી-ગટર અને રોડ-રસ્તા વગેરે વગેરેનો સમાવેશ થાય છે. (વીજળી એ સરકારી સેવા નથી.)

– હવે નવાઇની વાત એ છે કે તે દરેક સુવિધા મેળવવાની કિંમત તેની ફી ઉપરાંત ઢગલો ટેક્ષ સ્વરૂપે હું ચુકવું છું તો પણ સરકાર દ્વારા મને મળતી અપુરતી કે ખામીયુક્ત સેવા બદલ વળતરની કોઇ જોગવાઇ ભારતીય બંધારણમાં નથી. (સરકાર કોઇપણ નાગરિકને ટેક્ષ ચુકવવા માટે ફરજ પાડી શકે એવી જોગવાઇ કરવામાં આવી છે, પણ કોઇ નાગરિક સરકારને સુવિધા પુરી પાડવા માટે ફરજ પાડી શકે એવી કોઇ જોગવાઇ બંધારણે સામાન્ય લોકોને આપી નથી.)

– જેમ ગ્રાહક સુરક્ષા દ્વારા વેપારી-ઉત્પાદક કે સેવા આપનાર સામે અયોગ્ય સેવા/ખામીયુક્ટ વસ્તુ માટે દાવો માંડી શકે છે, તેમ અહી સરકાર સેવા આપનારના સ્થાને છે અને હું તેના ઉપભોકતા તરીકે અયોગ્ય સેવા અંગે દાવો પણ ન કરી શકું તો એ કયાંનો ન્યાય? (ફરિયાદ કરવી હોય તો કરો, પણ તેનો ઉકેલ લાવવો કે નહી તે સરકાર નક્કી કરશે અને વળતરની આશા તો બિલકુલ ન રાખવી.)

– ભારતની રાજનીતિ જે રીતે ચાલી રહી છે અને તેનાથી દેશના જે હાલ થઇ રહ્યા છે તેમાં પણ આપણાં બંધારણનો પણ મોટો વાંક છે. સીધી વાતને સરળ રીતે કહેવાને બદલે ગોળ-ગોળ નિયમોમાં ફેરવીને દરેક કાયદાને જરૂર કરતાં મોટું સ્વરૂપ આપી દીધું છે. (જે બંધારણે લોકોને આંદોલન કરવાનો હક આપ્યો પણ એ જ બંધારણે સરકારને ઘણી સત્તા આપી રાખી છે એટલે નાના-મોટા આંદોલનનું એકાદ ‘બ્રેકિંગ ન્યુઝ’ સિવાય બીજું કંઇ ઉપજતુ નથી.)

– એક તરફ જે કલમ દેશના દુશ્મનને ફાંસીએ ચઢાવવાનો મજબુત કાયદો બનાવી આપે છે, તે બીજીબાજુ દયાના નામે દુશ્મનને પાળતા રહેવા મજબુર કરે, એ આપણાં બંધારણ અને તેને અનુરૂપ ચાલતા તંત્રની ઘોર નિષ્ફળતા છે. (સામાન્ય નાગરિક સાથે ઉઘરાણી માટે કડક હાથે વર્તવાની જોગવાઇ ધરાવતા કાયદાઓમાં ખત્તરનાક ગુનેગારો માટે ભરપુર દયાળું જોગવાઇઓ છે!) આપણે ત્યાં નાગરિક કરતાં વધારે સુરક્ષા ત્રાસવાદીઓ અને નેતાઓ માટે હોય છે!! (કાયદાના મતે તે લોકો દેશ માટે ઘણાં અગત્યના છે!! અંધા-કાનુન… )

લોકશાહી એટલે લોકો દ્વારા, લોકો માટે અને લોકો વડે ચાલતી વ્યવસ્થા અને ભારતીય લોકશાહી એટલે સરકારી અધિકારીઓ દ્વારા, ટેક્ષ ઉઘરાવીને, પૈસા માટે, રાજકીય પક્ષ વડે ચાલતી વ્યવસ્થા. (આવું કયાંય લખ્યું નથી; આ અર્થ મારો પોતાનો બનાવેલો છે.)

– આ બધુ એટલે સ્વીકારી લેવાયું છે કેમ કે અહી પ્રજા હક પ્રત્યે જાગૃત નથી અને ફરજ પ્રત્યે જવાબદાર નથી. આઝાદી માત્ર કાગળ પર દેખાય છે, આપણે હવે મત આપીને ચુટેલી સરકારના ગુલામ છીએ. (કદાચ આપણી ચામડી ઉપર ગુલામીના થર એટલા જામી ગયા છે કે આપણને ગુલામ હોવાનો અહેસાસ પણ નથી.)

– દરેક નાગરીકને સમાન અધિકાર આપનાર બંધારણની જોગવાઇ નીચે જ ઢગલો ભેદભાવ ફુલી-ફાલી રહ્યા છે. કોઇ ચોક્કસ જ્ઞાતિ, ધર્મ અને વર્ગ માટે સ્પેશીયલ નિયમો બનાવવામાં દરેકને સમાન અધિકાર આપવાની વાત હવામાં ‘છુ‘ થઇ જાય છે. પણ તેને પડકારે કોણ ? (ભગવાન જાણે સમાન સિવિલ કોડ કયારે આવશે.)

– આજે પેલા સંસદ સુધી પહોંચી ગયેલા ધારાસભ્યો પોતાને અને સંસદને સર્વોચ્ચ ગણાવે છે. બંધારણ મુજબ લોકો તેમનું કહેલું સ્વીકારવા મજબુર બની જાય તો તે પણ એક પ્રકારની ગુલામી જ કહેવાય. (હું બંધારણનો ગુલામ, બંધારણીય ધારાસભ્યોનો ગુલામ કે પછી બંધારણીય સંસ્થાનો ગુલામ….. શું માનવું?)

– બંધારણના આમુખમાં લખવામાં આવેલ છે કે ‘અમે ભારતના લોકો’ આ બંધારણને અનુસરવાનું નક્કી કરીયે છીએ. (જયારે.. ભારતના ૧% લોકો પણ દેશના મુળ બંધારણ વિશે જાણતા નહી હોય.)

– કોઇ વ્યક્તિએ કહ્યું હતું કે, ‘આપણું બંધારણ કચરાપેટીમાં ફેંકી દેવા લાયક છે.’ (ઘણી એકતરફી જોગવાઇઓને કારણે હવે મને પણ કયારેક એવું લાગે છે.)

– બંધારણમાં નાના-મોટા સુધારા ઘણાં થયા છે, પણ હજુ સુધી તેના કેન્દ્રમાં નાગરિકો માટે સુવિધાની જવાબદારીની જગ્યાએ સરકારની સત્તાનુ પ્રમાણ ઘણું મોટું છે.


છેલ્લે, કયાંક વાંચેલું એક વાક્ય (કદાચ તુષાર ગાંધી દ્વારા લખાયેલ) – ‘કોણ કહે છે કે ખંડણી લાંબો સમય નથી ટકતી… ભારતમાં ઇન્કમટેક્ષનો કાયદો ૧૫૦ વર્ષ જુનો છે!’