શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ્સ સ્પર્ધા (via-નેટજગત)

. . .

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ્સ

. . .

શ્રેષ્ઠ ગુજરાતી સ્પર્ધા માં આપનો મત અપવા અને આ સ્પર્ધા અંગે વધુ જાણવા માટે નીચે આપેલી કડીની મુલાકાત લો –
http://netjagat.wordpress.com/2011/10/01/gujarati-blog-world-toppers/

. . .

ઇંટરનેટ પર બ્લોગ ધરાવતા અને વાંચનનો શોખ ધરાવતા દરેક મિત્રોને ખાસ વિનંતી કે આપ આપનો મત ચોક્કસ આપશો.

આભાર.

[via – http://netjagat.wordpress.com]

ગુગલ+ અને હું… (મારો અનુભવ)

. . .

બે દિવસ પહેલા મુકેલા તળાવના ફોટો લોકોને બહુ ગમ્યાં તે જાણીને મને પણ આનંદ થયો. (ક્યારેક મારી કોઇ પોસ્ટ લોકોને ગમે પણ છે !!!) આજે મારા બગીચામાં ગુગલ+ નામના નવા આવેલા વેબ-ગતકડાંની પંચાત કરવાની છે.

આજકાલ ફેસબુક મારો ઘણો સમય લઇ લે છે. અને મને પણ મજા આવે છે.. લોકો સાથે વિચારો વહેંચવાની, તેમની વાતો સાંભળવાની, નવું-નવું જાણવાની અને બીજુ ઘણું બધું.. હવે તો ઘણાં મિત્રો બની ગયા છે. ઘણાં ખાસ મિત્રો પણ મળ્યા છે. શ્રી મનસુખભાઇ, તુષારભાઇ,  હિંમતભાઇ, બધીર અમદાવાદીજી, સુષ્માજી, વિપુલભાઇ શાહ, ભુપેન્દ્રસિહજી, સત્યભાઇ, દિપ્તીજી, રાજીવભાઇ, યોગી વચન, વિનુભાઇ, મનિષાજી અને બીજા ઘણાં બધા મિત્રો છે જેઓએ મારી દુનિયામાં એક અલગ હિસ્સો બનાવી લીધો છે..

હવે વાત “ગુગલ+” ની.. ત્યાં જોડાઇને શરુઆત તો કરી છે… થોડુંક નવું જરુર છે પણ ઘણું સહેલું છે. તો મુળ વાત પર આવી ને આપને “ગુગલ+”નો મારો અનુભવ જણાવું.. વાત જરા એમ છે કે અહીયા લોકોને મિત્ર નથી બનાવવાનાં !!!!(ગભરાશો નહી મારા ભાઇ – બહેન.. આ એક સોસીયલ નેટવર્કિંગ સાઇટ જ છે એટલે મિત્રો નામના સામાજીક પ્રાણીઓ તો પહેલા આવશે.. પણ વાત જરા અલગ પ્રકારની છે.) અહીં આપણાં મિત્રોને સર્કલમાં ઉમેરવાના હોય છે અને મિત્રો આપણને તેમના સર્કલમાં ઉમેરે છે. મતલબ ગોળ-ગોળ રમવાનું છે !!!! (આઇ મીન… સર્કલ-સર્કલ.)ગુગલ+  - Google+

સાચું કહું… પહેલી નજરે મને આમાં ફેસબુક અને ટ્વીટરની ભેળસેળ કરી હોવાની ગંધ આવે છે… કઇ રીતે ? … તો જુઓ.. ગુગલ+ માં “વૉલ” (News feed – wall) ની જગ્યાએ “સ્ટ્રીમ” (stream) છે. અને “Like” ની જગ્યાએ “+1” છે. પ્રતિભાવ (કોમેન્ટ) ની સગવડ અને તેને પણ “Like” એટલે કે “+1′ કરવાની સગવડ સરખી જ લાગે છે. હવે “ગુગલ+” માં ટ્વીટર જેવું શું છે તે… અહીંયા ટ્વીટરની જેમ મિત્રોએ એક-બીજાને મિત્રતા જોડાણ અરજી (Friend Request) મોકલીને એકબીજાના મિત્રો બનવાનું નથી પણ એકબીજાના અનુયાયી કે ચાહક (Follower or Fan) બનવાનું છે. જરુરી નથી કે તમે જેના ચાહક બનો તે પણ તમારા ચાહક બને જ. ટુંકમાં આ મુદ્દે ટ્વીટરની પુરી કોપી !! બીજા વિકલ્પ જેવા કે “Hangout”, “Chat with friends”, “Suggestion” વગેરે વગેરે બધી જગ્યાએ હોય એમ જ છે. આ ઉપરાંત કેટલીક પ્રખ્યાત ઇંટરનેટ સર્વિસનો અહી સરવાળો પણ કરવામાં આવ્યો છે. (નામ-રૂપ જુદા અંતે ઓ હેમનું હેમ જ હોય !!)

હજુ ઘણાં ઓછા લોકો અહીંયા આવ્યા છે. એટલે કયારેક નિરવ શાંતિ જણાય છે…(ફેસબુકની જેમ ધડાધડ સ્ટેટસ, ગીત, શાયરીઓ કે ફોટાઓ અને તેના ટેગ મુકતા લોકો હજુ અહી સુધી પહોંચ્યા નથી લાગતા !!!) મે મારા ફેસબુક મિત્રો માંથી ઘણાં લોકોને મારા “ગુ+” [ગુગલ+] સર્કલમાં ઉમેર્યા છે તો ઘણાં લોકોએ મને તેમના સર્કલમાં ઉમેર્યો છે.. (મે જેમને ઉમેર્યા છે તેઓને હું લગભગ જાણવાનો દાવો કરું છું પણ મને ઉમેરનાર દરેકને ઓળખવાની હું ખાતરી આપી ન શકું.)

આમ તો હું શાંતિનો ચાહક છું. (યાર… તમે હજુયે ગુજરાતી ભાષાની આ કમજોરી પર હસો છો.. સમજી ગયા છો તો આગળ વાંચો ને…) અને મને અહીં શાંતિ હોવાનો અહેસાસ થાય છે એટલે મને તો અહીંયા ગમશે જ. જોઇએ આ અહેસાસ કેટલા દિવસ ટકે છે. ફેસબુકમાં તો ઓરકુટવાળી બબાલો શરુ થઇ ગઇ છે – એમ લોકોને કહેતા સાંભળુ છું.. તો મને થાય કે એવું તે શું થયું હશે ઓરકુટમાં ?  (જો કે આ બાપુને ઓરકુટનો લગીરેય અનુભવ નથી હોં….આમેય જવા દો ને આપણે શું પંચાત.)

બસ ભાઇ, મારો અનુભવ તો મે લગભગ જણાવી દીધો છે.. હવે તમને આ “ગુ+” કેવું લાગ્યું તે જણાવજો.. હું તો આ ચાલ્યો શાંતિને મળવા… (બીજે કયાંય નહિ ભાઇ.. સુવા જઉ છું..) આપણે ફરી મળીશું..  આ જ જગ્યાએ.. મારા બગીચામાં.

ત્યાં સુધી… આવજો મિત્રો..

શું આવા ગર્ભપાતને ગેરકાયદેસર ગણીશું?

થોડા સમય પહેલાની એક ઘટનાએ મને ઘણો મુંજવી દીધો. મારી માન્યતાને બદલવાની મને ફરજ પડી. આમ તો સમય અનુસાર ઘણી માન્યતાઓ બદલાતી હોય છે પણ અહી વાત બીજી પણ છે.

આજે એક દંપતિનો કિસ્સો જાણ્યો જે આપની સાથે વહેંચવાની ઇચ્છા છે: આ દંપતિને સંતાનમાં બે દિકરીઓ હતી. પત્નીને ફરી સારા દિવસો રહ્યા હતા. હવે તેમને ઇચ્છા એક દિકરાની હતી. વાત પણ માનવી પડે કે ભલે જમાનો ગમે તેટલો આગળ વધે પણ આખરે તો દિકરાની આશા તો હોય જ ને. આજે ભલે દિકરા-દિકરી વચ્ચે ભેદ નથી પણ દરેક દંપતિને દિકરીના મા-બાપ બનવાની સાથે એક દિકરાના મા-બાપ બનવાની પણ ઇચ્છા તો હોય જ ને. પણ કિસમતમાં કંઇક અલગ લખ્યું હતું. તેમને ત્યાં દિકરી જન્મી. ભગવાનને ગમ્યું તે ખરું તેમ માની ને તેમણે દિકરીને પણ ખુશી થી વધાવી લીધી. પણ… મનમાં એક દુઃખ રહી ગયું કે આ દિકરીઓને કોઇ એક ભાઇ પણ હોત તો કેટલું સારું હોત.

પતિ-પત્નીએ દિકરાની આશાએ એક વાર ફરી પ્રયત્ન કરી જોવાનું નક્કી કર્યું. જયાં-જયાં ખબર પડી ત્યાં માળા-દોરા-ધાગા અને દુઆ-પ્રાર્થના કરી આવ્યા. પત્નીને સારા દિવસો ફરી રહ્યા પણ બે-ત્રણ મહિનામાં દંપતિને ડર સતાવવા લાગ્યો કે ફરી દિકરી હશે તો? ત્રણ દિકરીઓને તો વધાવી લીધી છે પણ ફરીવાર જો દિકરી હશે તો શું તેને ખુશીથી સ્વીકારી શકશે? માત્ર દિકરાની આશાએ ચોથા સંતાન માટે તેઓ વિચારી રહ્યા હતા અને અત્યારના જમાનામાં ચાર-ચાર સંતાનને મોટા કરવાં એ જ ઘણી અઘરી બાબત હતી પણ તેમાંય જો ચોથા સંતાનમાં દિકરી અવતરે તો? અને જો તેને ખુશીથી સ્વીકાર ન મળે તો તેમાં શું દિકરીનો ગુનો ગણવો?

પતિ-પત્ની બન્ને એ વિચાર કર્યો કે જો દિકરી હશે તો તેમનો પરિવાર તેને રાજી-ખુશીથી નહી સ્વીકારી શકે અને જો તેમ થયું તો આ દિકરીને માત્ર અપમાનિત થવા જ આ દુનીયામાં લાવવી? પ્રશ્ન વિકટ હતો. જવાબ પણ નહોતો. જો અગર દિકરા ના સ્થાને દિકરી હશે તો તેને આ સંસારમાં દુઃખ જોવાનો જ વારો આવશે તે નક્કી હતું. અહી દિકરા-દિકરીની વચ્ચેના ભેદ કરતાં જરુરીયાત અને આવનાર સંતાન જો દિકરી હોય તો તેના ભવિષ્યનો સવાલ વધારે મોટો હતો.

કયાંકથી ખબર મળ્યા કે કોઇક જગ્યાએ ખાનગીમાં છુપી રીતે ગર્ભપરિક્ષણ થાય છે. બધા પાસાઓ નો વિચાર કરીને દંપતિએ છેવટે નક્કી થયું કે એકવાર દિકરો નહી હોય તો હવે ચાલશે, ત્રણેય દિકરીઓ ને જ પુરા વ્હાલથી ઉછેરીશું. પણ…. ત્રણ દિકરી પછી જો દિકરી જ હોય તો તેને આ દુનીયામાં લાવવી એ તેની સાથે અન્યાય કરવા જેવું થશે. એટલે ઘણાં દુઃખ સાથે મક્કમ નિર્ણય પર પહોંચ્યા કે ભલે ગેરકાયદેસર હોય પણ જો દિકરી હોય તો તેને આ દુનીયામાં ન લાવવી. છેવટે ગર્ભપરિક્ષણ બાદ હવે નક્કી થઇ ગયું કે આવનાર સંતાન દિકરી જ છે. નિર્ણય પહેલેથી જ લેવાઇ ગયો હતો કે શું કરવું. એ દિકરી આ દુનીયામાં ન આવી શકી.

~ આખી ઘટના મે જ્યારે સાંભળી, શરુઆતમાં તો તે મા-બાપ પર ગુસ્સો આવ્યો કે તેઓ આવું કઇ રીતે કરી શકે?!! પોતાની દિકરીને જન્મતા પહેલા મારી નાંખવાનુ પાપ કોઇ શા માટે કરે!! જમાનો બદલાઇ ગયો છે, દિકરીને પણ દિકરાની જેમ મોટી કરી શકાય છે. એ જ દિકરી સો દિકરાની ગરજ સારી શકે છે. પણ, વિસ્તૃત રીતે જોતા તે દંપતિનો નિર્ણયને યોગ્ય ઠેરવવા હું મજબુર બની ગયો છું. અત્યારે ગર્ભપરિક્ષણ કે ગર્ભપાતની જે દિશાને હું જોઇ રહ્યો હતો તે કંઇક અલગ જ હતી. કૃત્ય તો ગેરકાયદેસર થયું જ છે. પણ છતાંયે મને તે દંપતિ માટે કોઇ ગુનેગાર ના બદલે સહાનુભુતિની લાગણી જન્મી છે. તેઓ પણ ઘણાં દુખી છે. તેમને બેહદ પસ્તાવો પણ છે. પણ આખરે તેઓ એ વાત પર મક્કમ છે કે તે દિકરીને જો આ દુનીયામાં આવવા દીધી હોત તો તેઓ તેને પુરતો ન્યાય ન આપી શકયા હોત.

મિત્રો, વડિલો કે સામાજીક માણસો.. આપને આ જણાવવાનો કે કહેવાનો અર્થ કોઇ વિવાદ અંગે નથી. હું કોઇ કાળે ભૃણ હત્યાને યોગ્ય નથી માનતો અને તેના દરેક પ્રયાસને પણ ધુત્કારું છું. છતાંયે આખી ઘટના વર્ણવવાનો હેતુ આપને પુછવાનો છે કે શું આવા ગર્ભપાતને ગેરકાયદેસર ગણીશું? શું તે પતિ-પત્નીનો નિર્ણય ખોટો હતો? જવાબનો નિર્ણય આપ પર છોડી રહ્યો છું…