કોરોના અપડેટ્સ

મુળ ચીનના વુહાન શહેરથી શરૂ થયેલ કોરોના વાઇરસ [COVID-19] હવે આખી દુનિયામાં ફેલાઇ ચુક્યો છે. માંસાહારની વિચિત્ર આદતોને લીધે મનુષ્યોમાં ફેલાયેલો આ રોગ હજુ સુધી અસાધ્ય છે. શરૂઆતમાં શરદી-ખાંસીના સામાન્ય લક્ષણો ધરાવતી આ ચેપી જીવલેણ બિમારીનો સીધો ઇલાજ ન હોવાને લીધે તેને વધુ ગંભીર ગણવામાં આવે છે.

વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાતો આ વાઇરસ હવે આખી દુનિયામાં ફેલાઇ ચુક્યો છે. શરીરમાં ફેલાયેલા આ વાઇરસ ચેપગ્રસ્ત વ્યક્તિને ઝડપથી મૃત્યુ તરફ ખેંચી જતો હોવાને લીધે સમગ્ર દુનિયાની સરકારો તે માટે ચિંતિત છે. સૌથી વધુ કેસ ચીન બાદ ઇટાલી અને ઇરાનમાં નોધાયા છે. છેલ્લા આંકડા મુજબ દુનિયાભરમાં કુલ 1,67,000 લોકો તેની અસર હેઠળ આવ્યા છે, જેમાંથી અંદાજીત 6,000 થી વધુ લોકોની મૃત્યુ થઇ ચુકી છે અને 70,000 થી વધુ લોકોને સારવાર બાદ જીવલેણ કોરોના-વાઇરસ-મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

corona virus country wise

દુનિયાના દરેક દેશ પોતપોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે. વિશ્વભરમાં મોટા-મોટા સમારંભ, ઇવેન્ટ્સ, પ્રદર્શન અને રમત-સ્પર્ધાઓના કાર્યક્રમ ટાળી દેવામાં આવ્યા છે. સામાન્ય આંતરરાષ્ટ્રીય ઉડાન રદ કરી દેવાઇ છે અને વિઝિટર-વિઝા પણ કેન્સલ કરી દેવામાં આવ્યા છે. દરેક સરકાર પોતાની સરહદમાં પ્રવેશતા લોકો પર સખત નજર રાખી રહી છે.

ભારતમાં આપણને બધાને નવાઇ લાગે એટલી હદે કેંદ્ર અને રાજ્ય સરકારો મહામારીને રોકવા માટે આયોજન કરી રહી છે! આવી પરિસ્થિતિમાં નાગરિકોના જીવ બચાવવાને પ્રાથમિકતા આપવા બદલ દરેક અભિનંદનને પાત્ર છે.

દરેક વિમાન મથક પર આવતા લોકોનું સ્ક્રીનીંગ ફરજીયાત છે. દરેક કેસને ઝીણવટથી ચકાસવમાં આવી રહ્યા છે. શંકાસ્પદ કેસમાં પણ સરકાર રિસ્ક લેવાના મુડમાં નથી જણાતી. સંભાવનાઓને આધારે દરેક રાજ્યોએ વિશેષ તૈયારીઓ કરી રાખી છે ઉપરાંત ઝડપી નિદાન-સારવાર માટેની ટીમ અને હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.

આ નોંધી રહ્યો છું ત્યાં સુધી આખા દેશમાં કુલ કોરોના વાઇરસ(COVID-19)થી સંક્રમિત એવા 107 પોઝીટીવ કેસ નોંધાયા છે; જેમાં કેરળ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ છે. હવે ત્યાં આ ચેપ વધુ ન ફેલાય તે માટે પગલાં લેવા આવશ્યક હોઇ શકે છે.

ગુજરાતમાં કોઇ જગ્યાએ શંકાસ્પદ કેસ નોંધાયા હોવાના ન્યુઝ છે પણ આજસુધી કોઇ કન્ફર્મ કેસ નોંધાયો ન હોવા છતાંયે મહામારી ફેલાઇ હોય એમ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આજના સમાચાર મુજબ સમગ્ર ગુજરાતમાં સ્કુલ-કોલેજ, મોલ-સિનેમાને થોડા દિવસો માટે બંધ કરવાનો અને દરેક મેળાવડા કે સેમીનાર-કાર્યક્રમને ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કંપનીઓ પણ ‘વર્ક-ફ્રોમ-હોમ‘ ફોર્મુલા અપનાવી રહી છે. જોકે તકલીફ ત્યાં આવશે જ્યાં કારખાનામાં વસ્તુઓનું ઉત્પાદન થતું હોય અને જ્યાં પ્રક્રિયામાં કામદારોની સીધી જ જરુરીયાત રહેતી હોય; ત્યાં લગભગ કારખાનું કે ધંધાકીય એકમને બંધ કરવું પડે એવી સ્થિતિ બનશે.

આર્થિક નુકશાનનો અંદાજ લગાવવો હજુ વહેલો ગણાશે કેમ કે રોગચાળો ફેલાતો અટકાવવો વધુ જરુરી છે. હજુ સુધી દેશમાં નવા કેસ નોંધાતા જવાનો સીલસીલો યથાવત છે એટલે પહેલાં તેમાં રોક લગાવવાને પ્રાથમિકતા અપાય તે પણ યોગ્ય છે.

સૌથી વધુ વ્યસ્ત હોય તો અત્યારે હોસ્પિટલ અને તેના ડોકટર-નર્સીંગ સ્ટાફ છે. તેમની માટે ડબલ-ડ્યુટી નિભાવવાનો ટાઇમ છે અને કોઇ જ ફરિયાદ વગર નિભાવી પણ રહ્યા છે. અગાઉની એક અપડેટ્સમાં ડોક્ટર વિશે કરેલ ટિપ્પણી માટે આજે પરત લઉ છું. એમ તો ત્યારે ટીકા માટે કેટલાક કારણો હતા, પણ અત્યારની પરિસ્થિતિમાં તેઓ અભિનંદન યોગ્ય છે.

દેશ-દુનિયામાં આ સમયમાં ચર્ચાનો આ મુખ્ય વિષય છે. યુધ્ધ-વિગ્રહ ભુલાઇ ગયા છે; ઇશ્વર-અલ્લાહ-ઝીસસ વગેરેના ઠેકેદારો-એજન્ટો અને ભક્તો ઉપરાંત આતંકવાદીઓએ પણ આ વાઇરસ સામે હાર સ્વીકારી લીધી છે. એક ભયાનક બિમારીએ બધાને એક કરી દીધા છે!

ક્યારેક એમ પણ લાગે છે કે કોરોના વાઇરસ મુદ્દે જરુર કરતાં વધુ ભય બતાવવામાં આવી રહ્યો છે. લોકો વધુ પડતા જ સંવેદનશીલ બનીને ડરી રહ્યા છે અને વળી એકબીજામાં વધુ ભય ફેલાવી રહ્યા છે. વાસ્તવિકતા ગંભીર હોઇ પણ શકે છે પરંતુ આસપાસમાં હજુ એટલી ખરાબ પરિસ્થિતિ ઉભી નથી થઇ એવું મને લાગે છે.

ખૈર, પાણી પહેલાં પાળ બાંધવી એ પણ જરુરી પ્રક્રિયા છે અને વળી આ વાઇરસના ચેપથી બચવા માટે કેટલીક સામાન્ય જાણકારી હોવી જ પર્યાપ્ત છે. એટલે ગભરાઇ જવા કરતાં શાંત અને સજાગ રહેવામાં સમજદારી છે.

પુછો ના યાર ક્યા હુઆ…

હોસ્પીટલના ખાટલામાં

ગઇ કાલનો ફોટો છે.. આજે તો હાલત ઘણી સુધરી ચુકી છે અને એટલે જ તો અહીયાં છું. 

આજે દસ દિવસ થયા દવાઓ ખુટાડતા-ખુટાડતા અને બોટલો ચડાવતા; હું તો થાક્યો ભૈ’સાબ. કોઇપણ થાકી જાય યાર આમ અશક્તિના કારણે પડ્યા રહીને દિવસો પસાર કરવામાં. (બિમાર થવું એ કંઇ જેવા-તેવાનું કામ નથી. 😊)

હાલત તો એવી હતી કે મનમાં સાડી-સત્તરવાર કોરોનાનો ડર આવીને ગયો હશે. ગમે એટલી હિંમત રાખીએ તોય આવી સ્થિતિમાં મન કમજોર પડી જ જાય દોસ્ત.. (પતા હૈ?.. ડર સ્પાઇડર-મેન કો ભી લગતા હૈ!)

સારી વાત એ છે કે હવે ઠીક થવામાં બે-ત્રણ દિવસથી વધારે રાહ જોવી નહી પડે, એવું છેલ્લો રિપોર્ટ જોતા-જોતા ડોકટરે કહ્યું છે! રિપોર્ટ તો ફોર્માલીટી માટે જ હતો કેમ કે મને પોતે પણ લાગતું હતું કે અચ્છે દિન આનેવાલે હૈ.. 😎

આજથી દિવસમાં એકવાર વિટામીન્સની ગોળી અને બે વાર પ્રોટીન-યુક્ત દુધ પીવા સિવાય બીજી કોઇ જ દવાની જરુર નથી એ જાણીને હું પણ રાજી છું. (ગોળી તો અઢી સેકંડમાં ગળી જવાય છે, પણ આ પ્રોટીનવાળુ દુધ પીવું ભારે પડે છે.)

અને વજન 5.5 કિલો ઘટી ગયું છે. #હમદેખેંગે

😶

અપડેટ્સ – 200228

બે દિવસ પહેલા બીજાના કારણે હોસ્પીટલના ધક્કાની વાત હતી અને આજે આ લખી રહ્યો છું ત્યારે હું બિમાર થઇને ઘરમાં ફરજીયાત આરામ કરી રહ્યો છું. (ફરજીયાત ન હોત તો હું આરામ પણ ન કરતો હોત. મને તો એમાંયે કંટાળો આવે.)

જેની ખબર પુછવા હું જતો હતો, તે હવે મારી ખબર પુછી રહ્યા છે. સમય પણ કેવો તરત પલટાઈ પણ જતો હોય છે! પરિસ્થિતિને વશ રહેવું પડે ભાઇ, અભિમાન કોઇનું ચાલતું નથી. (અહંકારી રાવણનું પણ ન’તું ચાલ્યું અને જીતી-જીતીને અખંડ ભારત બનાવનાર સમ્રાટ અશોકે પણ છેવટે શાંતિનો માર્ગ સ્વીકારવો પડયો હતો; હું તો સાવ સાધારણ માણસ છું.)

શરદી, થોડો તાવ અને અશક્તિની ફરિયાદ શું કરી, બધા મને કાલે સાંજથી શંકાની નજરે દેખવા લાગ્યા છે. કોરોના નો ડર ઘણો ભારે! 🤷‍♂️ (હા યાર, એક-બે પળ માટે તો મને પણ શંકા થઇ આવી; હાલ તો મન મનાવ્યુ છે. પ્લીઝ, કોઇએ આ મુદ્દો છેડવો નહી.)

ચીનમાં જે રીતે હજુ બધું લોક-ડાઉન છે તે રીતે લાંબુ ચાલશે તો દુનિયાની ઇકોનોમીને મોટો ફટકો પડી શકે એમ છે. અરે દુનિયાને છોડો યાર, નવો કાચો માલ નહી આવે તો ભારતને પોતાના ઉદ્યોગો ચલાવવા ભારે પડી શકે છે. (નેતાઓ ભલે કહેતા કે મોટી અસર નહી થાય; પણ હું કહું છું કે આવું જ રહેશે તો આવનારો સમય અઘરો હશે.)

મારો પીછો કરતાં જીવોને જણાયું હશે કે લગભગ મૃત અવસ્થામાં રહેતી મારી સોસીયલ પ્રોફાઇલમાં કોઇ સળવળાટ જણાય છે. જો, આરામ જ કરવાનો હોય એટલે બેઠા બેઠા શું કરવાનું?… તો જે મળે તેની મેથી મારવાની હોય. 😂 (બની શકે ત્યાં સુધી વિવાદાસ્પદ મુદ્દાને ટાળવાનો પ્રયત્ન કરું છું, છતાંયે આદત મુજબ ક્યાંક તો સળગતું ઉપાડી લઉ છું. યાર, હું સુધરતો જ નથી.)

એમ તો વચ્ચે આ સામાજીક ઇ-માધ્યમોમાં એકટીવ થવાનું નક્કી કર્યું હતું, પણ લાંબો સમય ટકી ન શકાયું; ટ્વીટર સિવાય દરેક જગ્યાએથી હું ગાયબ છું. તેમ છતાયે ઇચ્છા છે કે કેટલાક લોકો સાથે સંપર્ક જળવાઇ રહે અને તેમની વાતોમાં રસ હોવાના લીધે ફેસબુક પર ફરી સક્રિય થવું છે.

સક્રિય થવાનો મતલબ એમ છે કે સમયાંતરે ત્યાં આંટો મારતા રહેવું. મારી કોઇ અપડેટ કે નવી પોસ્ટ ત્યાં હોવાની સંભાવના નહિવત્ છે. આપણે તો આ બગીચે જ ઠીક છીએ. એકલા-અટુલા ભલે હોઇએ, તો પણ મને આ જ જગ્યા ગમે છે મારા વિચારો ઠાલવવા માટે. (મેરા બગીચા મહાન! 👌)

દિલ્લીના તોફાનો સિવાય સોસીયલ મીડીયા પર બીજું કંઇ જ દેખાતું નથી, ટી.વી.ના કોઇ પ્રોગ્રામમાં આપણે રસ ધરાવતા નથી, ન્યુઝચેનલોનો બહિસ્કાર ચાલી રહ્યો છે, વેબ સીરીઝ બધી બંધનમાં નાંખે છે અને મારા બે (અતિ) તોફાની બાળકો એક આખી મુવી સળંગ જોવા દે એમ નથી. (અને અમે ભુતકાળમાં મનોમન ભિષ્મપ્રતિજ્ઞા લઇને બેઠા છીએ કે, મુવી જોવી હોય તો સળંગ જોવી; નહી તો જરાય ન જોવી.)

થોડા દિવસોમાં વ્રજની ફાઇનલ પરિક્ષાઓ આવી રહી છે એટલે મેડમજી ઉપર તેનું ટેન્શન જણાય છે. નાયરાનું પ્લે-ગ્રુપમાં એડમીશન થઇ ગયું છે. મારી બગલીના નખરાંઓનો એક મસ્ત ફોટો પણ ઘણાં દિવસથી અહીયાં મુકવાનો ભુલાઇ જાય છે. 🤦‍♂️

અત્યારે તો મેડમજી જમવા બોલાવે છે, તેને પ્રાથમિકતા આપુ. આ લખાણપટ્ટી તો નીરંતર ચાલ્યા જ રાખશે. ફોટો માટે એક નવું પાનું ચિતરવામાં આવશે.. મજા આવશે. 👍