અપડેટ્સ – 191230

~ આગળ થોડીક ગુસ્સામાં થયેલી વાત આવી ગઇ હતી એટલે વિચાર્યું’તું કે મગજ ઠંડું થાય પછી જ કંઇક લખવું. (અને આજે આ લખી રહ્યો છું તેનો મતલબ એ છે કે હવે બધું ઓ.કે. છે.)

~ ક્યારેક પોતાના સ્વભાવને ઓળખીને આમ થોડો સંયમ જાળવી લેવાય તો લાંબા ગાળે પોતાની આંતરિક શાંતિ માટે લાભદાયક હોય છે!

~ કાલે વર્ષનો છેલ્લો દિવસ છે અને અમે દર વખતની જેમ આ વખતે પણ આવનાર વર્ષમાં કોઇ નવા પ્રણ લેવાના નથી. જો કે જે સંકલ્પ અગાઉ લેવાયેલા છે તેને નવા વર્ષમાં પાળવાનો પ્રયત્ન કરવામાં આવશે. (વાંચનાર ‘પ્રયત્ન’ શબ્દ પર વધુ ધ્યાન આપે.)

~ અમદાવાદમાં જોરદાર ઠંડી આવી ગઇ છે. સવાર-સવારમાં વ્રજને સ્કુલે મુકવા જવાનું અઘરું લાગે છે. વ્રજ હજુ તે માટે ફરિયાદ નથી કરતો પણ મને થાય કે તેની જગ્યાએ હું હોત તો આવી ઠંડીમાં વહેલા ઉઠીને ભણવા જવામાં નખરાં ચોક્કસ કરતો હોત. (સારું છે કે વ્રજ ડાહ્યો છે. હા, એમ તો થોડો દોઢ ડાહ્યો પણ છે!)

~ નાયરા હવે સ્કુલે જવા ઉતાવળ કરે છે. આસપાસના ઉતાવળા લોકો પણ પુછે છે કે, ક્યારે મુકશો નિશાળે? અમે ત્રણ વર્ષે પ્લે-ગ્રુપમાં મુક્વા માટે નક્કી કરેલું હતું એટલે હવે જુનથી ચાલુ થતી નવી ટર્મમાં તેના એડમિશન માટે વિચારીએ છીએ. (મેડમજી પુછપરછ કરી આવ્યા છે; એટલે હવે તો નક્કી જ સમજો.)

~ નાનકડાં અમથા છોકરાંઓને ભણતરની પ્રક્રિયામાં જોતરવાની લોકોને શું ઉતાવળ હોય છે એ મને સમજાતું નથી. હજુ કાલે તો જન્મ્યા છે, બે ઘડી રમવા તો દો ભૈ’સાબ. (પછી આખી જીંદગી એ જ ચાલવાનું છે.)

~ કામધંધા લગભગ એવરેજ ચાલી રહ્યા છે. આજકાલ તો મારી અંદર પણ કંઇ ખાસ ઉત્સાહ જણાતો નથી. એક જ પ્રકારનું કામ નિયમિત ચાલતું હોવાથી ઓફિસમાં બધું કેલેન્ડના પાને અને ઘડીયાળના કાંટે ચાલી રહ્યું હોય એવું લાગે. (અને એટલે જ મને કામમાં સખત કંટાળો આવે છે. કંઇક નવું કરવું પડશે.)

~ લગ્નોની સિઝન હવે કમુરતા પછી ખુલશે એટલે ભરુચ, વલસાડ, મહેસાણા, બિલીમોરા જેવી જગ્યાએ દોડભાગ કરવાની થશે. દોડભાગથી યાદ આવ્યું કે મારી ગાડીમાં Fastage નથી. (અહીયાં લખવામાં સમય બગાડવા કરતાં જરુરી કામ પહેલા કરાય. -આવું મને કહેવું નહી; મને બધી ખબર પડે છે.)

~ જરુરી કામથી યાદ આવ્યું કે જાન્યુઆરીના પ્રથમ અઠવાડીયામાં એક સામાજીક ઇવેન્ટ માટે 4 દિવસ હિંમતનગર જવાનુ છે. યાર, ઇવેન્ટના દિવસો નજીક આવી ગયા અને અહીયાં ઘણાં કામ પતાવવાના બાકી પડ્યા છે.

~ ઠીક છે તો હમણાં જરુરી કામ કરું, બીજું પછી ઉમેરીશ..

લો બોલો, હમણાં જ ઇમેલ મળ્યો કે આ બગીચાનું ડોમેઇન-હોસ્ટીંગ રીન્યુ કરવાનો ટાઇમ થઇ ગયો છે! ‘જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં…

CAA, તોફાન અને અમદાવાદ

~ ભારે ચર્ચા બાદ સંસદના બંને ગૃહમાં નાગરિકતા સંશોધન બિલ (CAB) પાસ કરવામાં આવ્યું અને નાગરિકતા સંશોધન એક્ટ (CAA) તરીકે કાયદો અમલમાં આવ્યો.

~ લાગતું ન’તું કે તેનો આટલો મોટો વિરોધ થશે. મારી સમજ મુજબ તેનો વિરોધ કરવા માટે કોઇ જ વ્યક્તિ કે વિપક્ષ પાસે ચોક્કસ કારણો ન હોઇ શકે. જે કારણો ચર્ચા દરમ્યાન આપવામાં આવ્યા તેની ચોખવટ પણ ત્યારે થઈ ચૂકી હતી. પરંતુ સરકારના પક્ષે ખોટું એ થયું કે તેઓએ આંદોલનને ગણકાર્યું નહી અને લોકો સાથે સંવાદ ન સાધ્યો. નેતાઓ મિથ્યાભિમાનમાં રહ્યા. પુરતી માહિતી ન આપી જેથી લોકો અફવાઓ અને દુષ્પ્રચારમાં ફસાઇ ગયા.

~ ગઇ કાલે અમદાવાદમાં પણ તેના વિરોધની આગ પહોંચી. તેમના વિરોધનો ભોગ પોલીસવાળા વધુ બન્યા. ધર્મવિશેષ, શાંતિપ્રિય સમુદાય કે લઘુમતી જેવા શબ્દોનો ઉપયોગ કરીને પોલીટીકલ કરેકટનેસ બતાવવાની જરુર મને નથી લાગતી એટલે ચોખ્ખું કહીશ કે મુસ્લીમ ધર્મના લોકોએ જ તેમાં ભાગ લીધો હતો અને મંજૂરી વગર કાઢેલ રેલીને છેવટે તોફાનમાં ફેરવી નાખી.

~ અગાઉથી પ્લાનીંગ કરીને કરવામાં આવેલ હોવાથી કોઇરીતે તેને અચાનક બગડેલી સ્થિતિ તરીકે જોઇ ન શકાય. જે પુર્વનિયોજીત હોય તેને કાવતરું જ કહેવાય અને આ હિંસક બનેલ આંદોલન એક કાવતરું જ છે મારા શહેરની શાંતિ ખરાબ કરવાનું.

~ દેશનું દુર્ભાગ્ય કહો કે પોલીટીકલ એજન્ડા કહો, જે કહો તે; પણ આટલા બધા લોકોને સામુહિક રીતે મુર્ખ પણ બનાવી શકાય તે ઘણી નવાઇની વાત લાગી. સવાલ પણ થયો કે મુસલમાનોમાં એવા કોઇ બે શાણા માણસો પણ નહી હોય કે જેઓ એક કાયદાના બે વાક્યોનું સાચુ અર્થઘટન પણ ન કરી શકે?? અને સાચી વાત પોતાના લોકો સુધી પહોંચાડી પણ ન શકે?

~ દિવા જેવું સ્પષ્ટ છે કે નાગરિક્તા સંસોધન કાયદામાં કોઇની નાગરિક્તા જતી નથી અને માત્ર દેશ બહારના લોકોને નાગરિક્તા આપવાની વાત છે તો પણ ‘મારી નાગરિક્તા છીનવાઇ જશે’ -ના ડરથી ઉશ્કેરાઇ જનાર લોકોને ખરેખર મુર્ખ કહી શકાય. અને તેમને ઉશ્કેરનાર લોકોને દેશના ગુનેગાર કહી શકાય.

~ જે લોકો ચિંતા છે કે પડોશી દેશોની લઘુમતીના બધા જ લોકોને અહી નાગરિકતા આપવામાં આવશે અને દેશ પર તેનો ભાર વધશે તો તેઓએ જાણી લેવું જોઇએ કે CAA મુજબ 31 ડિસેમ્બર 2014 ના દિવસને ડેડલાઇન તરીકે સ્વીકારવામાં આવેલો છે. ત્યાં સુધી ભારતની શરણમાં આવી ગયેલ લોકો માટે જ આ કાયદો છે. તેઓ ઓલરેડી ભારતમાં આપણાં વચ્ચે છે. વર્ષોથી, દસકાઓથી..

~ માત્ર એક વ્યક્તિ કે પાર્ટીના વિરોધમાં કે પોતાની નાસમજમાં દેશ સળગાવનાર દરેક લોકો આ દેશના પણ ગુનેગાર છે. કોઇ મજબુત મુદ્દો શોધીને સરકારને વધુ જવાબદાર બનાવવાના બદલે તોફાનીઓને ખોટી માહિતી આપીને ઉશ્કેરવાની આ વૃતિ તેઓમાં રહેલી કાયરતા બતાવે છે.

~ મેં આ વિશે કંઇ ન લખ્યું હોત જો આ મુદ્દો અહી સુધી ન પહોંચ્યો હોત. બને ત્યાં સુધી સંયમિત રહેવાનું નક્કી કર્યું છે પણ આજે સૌથી વધારે તો એ ખટક્યું કે આ આગ મારા અમદાવાદને સળગાવે છે; અને તે મને કોઇ રીતે મંજુર નથી. હવે હું ચુપ ન રહી શકું, પાટીદાર આંદોલન વખતે પણ આ મંજુર ન’તું, પદમાવત વખતે પણ સ્વીકાર્ય ન’તું અને આજે પણ નથી. ક્યારેય નહી હોય.

~ હજુ પણ તે લોકોમાં અંદર ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જણાય છે. જો આવું જ રહેશે તો મુસ્લિમો અને હિંદુઓ વચ્ચે સીધા ભાગલા થઈ જશે. અત્યારે બધું મુસલમાનો કરી રહ્યા છે અને કોંગ્રેસીઓ કે જેમને પોલીટીકલ સ્કોર વધારવો છે તેઓ તેમનો ઉપયોગ રાજકીય લાભ માટે કરી રહ્યા છે. મુસલમાનો પોતાનું ભવિષ્ય જોઈને, વિચારી-સમજીને શાંતિ જાળવે તો સારું અને હિંદુવાદીઓ પણ તેમનો સંયમ જાળવી શકે તો સારું.

~ ઉંડાણથી વિચારતા અને રેલીમાં જોડાયેલા લોકોના ભાવ જોઇને મને દેખાવકારોમાં અન્ય કોઇ હેતુ હોવાની ગંધ આવી રહી છે. CAA-NRC નો વિરોધ માત્ર બહાનું છે, મુળ ઉદ્દેશ્ય કંઇક અલગ જ છે. પોલીસ અને વ્યવસ્થાતંત્ર આગમચેતી રાખીને ચેતી જાય તો સારું. ફરીવાર 2002 નો સમય નથી જોવો હવે.

~ ગોધરાકાંડ પછી આ શહેરની હાલત મેં નજરે જોઇ છે. સમયકાળની એ ભયાનકતા અનુભવી છે. એટલે આ શહેરને બાનમાં લેનાર દરેક કૃત્યનો હું સૌથી મોટો વિરોધી રહીશ. તોફાનીઓની માંગણી યોગ્ય હોય કે ન હોય, પણ જે આ શહેરને આગ લગાડશે તે દરેક હાથને કાપી નાખવાની હું તરફેણ કરીશ.

અને..

green house and a way

એક મોટા અવાજ સાથે દરવાજો બંધ થાય છે. બંધ કરવા માટે લગાવેલ ધક્કો એટલો વધારે હોય છે કે દરવાજાની અંદરની બાજુમાં સજાવેલી વિશાળ ફોટો ફ્રેમ જમીન પર પટકાય છે. પહેલા દરવાજો બંધ થયાનો મોટો અવાજ અને પછી કાચ તુટવાનો તીણો અવાજ શાંત વાતાવરણને થોડીવાર માટે ડહોળી મુકે છે; પણ નાયકને તેની ક્યાં પડી હતી. તે તો હજુયે ખોવાયેલો છે અને ઘણો ગભરાયેલો છે અંદરથી..

તુટેલા કાચ સાથેની ફોટો ફ્રેમ

અખુટ વૈભવથી સજાવેલા રુમનું વાતાનુકુલીત વાતાવરણ પણ આજે શાંત રહેવામાં સાથ આપી રહ્યું નહોતું, માનસિક હાલત પણ બગડી રહી હતી. વિશાળ રૂમની ચાર દિવાલો તેને પોતાની તરફ આવી રહી હોવાનો ભાસ થતો હતો. તેને શ્વાસ લેવામાં પણ તકલીફ જણાઇ હતી; અને યાદ કરે છે કે, અંદરની કોઇ ગુંગણામણથી છુટવા જ તો બહાર દોડી આવ્યો હતો!..

પણ, હજુયે તેની સ્થિતિ એવી જ છે; ખુલ્લા આકાશ નીચે પણ તેનો શ્વાસ હાંફી રહ્યો છે. તે હજુયે કેમ ગુંગળામણ અનુભવી રહ્યો છે, વિચારે છે; કશુંજ સમજાતુ નથી. અનાયાસે જ તે મુખ્ય દ્વારથી ગાઢ જંગલ તરફ જતી ફુટપાથ તરફ વળે છે. સિમેંટથી ચોટાડેલા પથ્થર પર ટક-ટક અવાજ સાથે બુટમાં દબાયેલા બંને પગ વિચારોમાં ખોવાયેલા મન સાથે માત્ર તાલમેલ મેળવવાના પ્રયત્નોથી ઝડપભેર ખત્તરનાક દિશામાં કારણ વગર વધી રહ્યા છે.

Do not enter board, a danger sign

આગળ એક એવું ગાઢ જંગલ છે, કે જ્યાં ફરતા પ્રાણીઓના હિંસક કિસ્સાઓ જંગલથી બહાર પણ લોકજીભે છે. હવે તો અંધારું પણ જંગલ પર તેનો હક જતાવી રહ્યું હતું..

પગ નીચે ફુટપાથ પુરી થઇ ચુકી છે, માત્ર સાંકડી પગદંડી કહી શકાય એવો કાચો રસ્તો દેખાય છે અને જેમ-જેમ જંગલ ગાઢ બની રહ્યું છે તેમ-તેમ પગદંડી પણ વધારે સાંકડી બની રહી છે! પરંતુ પગ આગળ વધી રહ્યા છે, ઝડપથી.. આંખો ચારે તરફ ફરી રહી છે, દેખાતું કંઇ નથી. અને હવે તો ચારે તરફની દિશાઓ સરખી થઇ ગઇ છે, પગ માટે; અને વિચારો માટે પણ! પરંતુ બંને દિશાવિહીન છે, દિશાશૂન્ય પણ કહી શકાય!

અંધકારમય જંગલમાં ભટકતો માણસ

પગદંડીએ પણ તો હવે સાથ છોડી દીધો છે. દોડતા જતા પગને કંઇ સમજાતું નથી કે ક્યાં જવું છે અને પોતાના વિચારો નાયકને ક્યાં લઇ જવા ઇચ્છે છે તે હજુયે તેને કળી નથી શકતો..

શરીરના દરેક ભાગ જાણે મનના ગુલામ બનીને પગ સાથે એવા લાચારીથી બંધાયેલાં છે કે અજાણતાં મનના વિચારોના પ્રત્યાઘાત દર્શાવી રહ્યા છે. અને નાયક? તે તો ઓગળી રહ્યો છે, આ પ્રકૃતિમાં, અંધારા સાથે.. બસ, આગળ વધી રહ્યો છે. આજે તે ખોવાઇ જવા ઇચ્છે છે, આ વિચારોના દંગલથી છુટવા ઇચ્છે છે. જંગલમાં તે કોઇ જંગલી પશુનો ખોરાક બની જશે તેનો ભય પણ નથી લાગી રહ્યો, ઉલ્ટાનું તેનું મન તેને ચીર શાંતિ મેળવવાના માર્ગ તરીકે દર્શાવી રહ્યું છે!

અંધારામાં ભટકતા મનમાં કોઇ ખુણે અચાનક વિચાર ઝબકે છે કે, આવું કેમ બની શકે?; પોતાનું જ મન પોતાને વિનાશના માર્ગે કઇ રીતે દોરી શકે?? આ તેને હકિકત જણાય છે તો પણ તે પોતાને રોકી કેમ નથી શકતો??;

વિરુધ્ધ વિચારોના આંતરિક દ્વંદ્વ યુધ્ધ વચ્ચે વિનાશના વાસ્તવિક વિચારોને અટકાવવામાં તે પોતાની જાતને અસમર્થ અનુભવે છે અને તે તરફ સતત વધતા જતા પગને રોકવામાં પણ! તેણે ડરવું જોઇએ તેવું સમજાય છે પણ તેને ડરનો અહેસાસ નથી. કદાચ અહેસાસની લાગણી પણ તે જાણીજોઇને દબાવી દેવા ઇચ્છે છે. ક્યાંક ઉંડાણથી એવું દર્દ ઉઠયું છે કે તેનાથી છુટવા તે કોઇપણ ભોગે ખોવાઇ જવા ઇચ્છે છે. તેને લાગે છે કે કુદરતમાં વિલિન થઇ જવું એ એકમાત્ર વિકલ્પ છે; તે તો બસ એમ જ કોઇ કારણમાં તેનો અંત ઇચ્છે છે..

પરેશાન મન જ્યારે વિચારો પર હાવી હોય ત્યારે વ્યક્તિનું શરીર આપોઆપ તેના ભાવ પ્રદર્શિત કરતું હોય છે. પ્રકૃતિ પણ જાણે તાલ મિલાવી રહી છે નાયકની આ અવસ્થામાં. તે શોધી રહ્યો છે ઉઠતા હજારો સવાલોના જવાબ ને, અંદર અને બહાર!

તેને બધું અલગ દિશામાં ભાગતું જણાય છે, એક અગોચર દુનિયાનો અહેસાસ થઇ રહ્યો છે. હા, આ એ જ નાયકની મનોસ્થિતિ છે કે જેની સાથે પગ અને મન જોડાયેલા છે અને જેને દુનિયા એક સફળ વ્યક્તિ તરીકે ઓળખે છે! તેને અભિમાન હતું એકઠી કરેલ અખુટ સંપતિ અને અસિમિત શક્તિ પર. પણ આજે ભટકી રહ્યો છે પાગલ બનીને જંગલમાં, બધાથી દુર.. દરેક આરોપનો સજ્જડ પ્રત્યુત્તર આપનાર, હંમેશા જીતનો સ્વાદ લેનાર અને વિરોધીઓને યેનકેન પ્રકારે પરાસ્ત કરનાર આજે હારી રહ્યો છે અંદરથી, પોતાના વિચારોથી..

એક જ સમયે ઘુમરાઇ રહેલા હજારો વિચારોના વંટોળને અલગ-અલગ દિશાઓમાં ભટકતા પગ સાથે કે દિશાશૂન્ય થયેલા મન સાથે કાર્યકારણનો પણ સંબંધ નથી રહ્યો! આસપાસ ખીલેલી પ્રકૃતિમાં ફેલાયેલી શાંતિ આજે તેને ખાવા આવી રહી હોય એવું લાગે છે. આ એજ હરિયાળી હતી જેને તે અનહદ ચાહતો હતો અને આસપાસ એ જ શાંતિ છે જેને મેળવવા તે તરસતો હતો. અહી બધું જ છે ત્યાં પણ તે પોતે ત્યાં નથી, મનથી.. વિચારોથી. અથવા તો તેને ત્યાં હોવાના પોતાના જ અસ્તિત્વને નકારી દેવા ઇચ્છે છે, એક રીતે નકારી જ તો દિધું છે..

અચાનક, ભટકતું શરીર જાણે કોઇ ખડક સાથે ટકરાઇને સખત પ્રત્યાઘાત અનુભવે છે. પોતે કોઇ વિશાળ પથ્થરને અથડાયો હોય એવું નાયકને જણાય છે. વિચારોને અટકાવતો સુપર-બ્રેક લાગ્યો છે! વ્યાકુળ મન હાલની બદલાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા તરફ વળ્યું છે. અંધકારમાં પણ દેખાતી તેની લાલઘુમ આંખો કોઇ અસહ્ય દર્દથી કણસી ઉઠી છે. ભાગંભાગ કરીને થાકેલા પગ હવે ભારે લાગી રહ્યા છે, શરીરના વજનથી જમીનમાં ખુંપી રહ્યા હોય એવું લાગે છે.

તે સ્થિર ગયો છે; જાણે શરીરમાંથી જીવ નીકળી ગયો હોય એમ.. જડ. શુન્ય. નિર્જીવ. હા, તે એક મોટો પથ્થર જ હતો! પણ, તેના મનમાં, વિચારોના વંટોળમાંં! …તેનો અસલ ચહેરો બતાવતો પથ્થર, તેના હજારો સવાલોનો એકમાત્ર જવાબરૂપ પથ્થર, સમાજ પર તેના દૈત્યરૂપ હોવાની હકિકતનો ભારરૂપ ખડક..

આજે પ્રથમવાર તેનો પોતાના રાક્ષસી-રુપ સાથે સામનો થયો હતો! તેને કારણો હવે તેને સમજાઇ રહ્યા છે. તેનું મન એ દરેક વાસ્તવિક્તા સુધી પહોંચી ચુક્યુંં છે, જે સત્યતાનું પોતે જ વર્ષો પહેલાં ખુન કરી ચુક્યો હતો! પોતાના હાથે, નિર્દયતાથી, ઠંડા કલેજે.

પણ સત્ય આજે ન્યાય કરવાના ઇરાદામાં છે. નાયકનો સમય પલટાઇ ચુક્યો હતો. સત્યએ કબ્જો કરી લીધો હતો તેના હોવાપણાં પર, તેના મન-વિચારો-અસ્તિત્વ પર. આ બધું જ તેને અંદરથી, પોતાની નજરમાં જ વિલન બનાવીને કરેલ અન્યાયનો બદલો લેવા માટે થઇ રહ્યું હતું. એ દરેકનો બદલો જેની સાથે નાયકે જીવનભર બહુજ ક્રુર બનીને અત્યાચાર કર્યો હતો, નિર્દોષની લાચારીનો વિકૃત ફાયદો ઉઠાવ્યાનો આ પ્રતિશોધ હતો.

નાયક સાથે થયેલ આ કુદરતી ન્યાય છે… કર્મોની સજા.

👺